08 – ઈસુસ

આ સર્વશક્તિમાન ઈશ્વરના પવિત્ર શબ્દો છે.
આપણને મનુષ્યના શબ્દોમાં રસ નથી.
જે કોઈ પણ ઈશ્વરને પ્રેમ કરે છે તેના માટે... ઈશ્વર આના વિશે કહે છે: ઈસુસ.

ટોચની 3 સૌથી નોંધપાત્ર છંદો

કેમ કે તેમનાંથી બધાં ઉત્પન્ન થયાં, જે આકાશમાં તથા પૃથ્વી પર છે, જે દૃશ્ય તથા અદ્રશ્ય છે, રાજ્યાસનો, રાજ્યો, અધિપતિઓ કે અધિકારીઓ સર્વ તેમની મારફતે તથા તેમને માટે ઉત્પન્ન થયાં; તેઓ સર્વ બાબતોમાં પહેલાં છે; અને તેમનાંમાં સર્વ બાબતો વ્યવસ્થિત થઈને રહે છે.

તેને દીકરો થશે અને તું તેમનું નામ ઈસુ પાડશે; કેમ કે તે પોતાના લોકોને તેઓનાં પાપથી ઉદ્ધાર કરશે." હવે એ બધું એ માટે થયું કે, પ્રભુએ પ્રબોધક દ્વારા જે કહ્યું હતું તે પૂરું થાય, એટલે, "જુઓ, કુંવારી ગર્ભવતી થશે, તેને દીકરો થશે અને તેનું નામ તેઓ ઈમ્માનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે, 'ઈશ્વર આપણી સાથે.'"

મેં જોયું, તો રાજ્યાસન, પ્રાણીઓ તથા વડીલોની આસપાસ મેં ઘણાં સ્વર્ગદૂતોની વાણી સાંભળી; તેઓની સંખ્યા લાખોલાખ અને હજારોહજાર હતી. તેઓએ મોટે અવાજે પોકારીને કહ્યું કે, 'જે હલવાન મારી નંખાયેલું હતું તે પરાક્રમ, સંપત્તિ, જ્ઞાન, સામર્થ્ય, માન, મહિમા તથા સ્તુતિ પામવાને યોગ્ય છે.' વળી ઉત્પન્ન થયેલ [પ્રાણી] જે સ્વર્ગમાં, પૃથ્વી પર, પાતાળમાં તથા સમુદ્રમાં છે, તેઓમાંનાં સર્વને મેં એમ કહેતાં સાંભળ્યાં કે, રાજ્યાસન પર જે બેઠેલા છે તેમને તથા હલવાનને સ્તુતિ, માન, મહિમા તથા અધિકાર સદાસર્વકાળ હો. ત્યારે ચારે પ્રાણીઓએ કહ્યું, આમીન. પછી વડીલોએ પગે પડીને [તેમની] આરાધના કરી.

દરેક શ્લોક કેનોનિકલ ઓર્ડરમાં - 391 ફકરાઓ

તારી અને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાનની અને તેના સંતાનની વચ્ચે હું વૈર કરાવીશ. તે તારું માથું છૂંદશે અને તું તેની એડીએ ડંખ મારશે."

ઇસહાકે તેના પિતા ઇબ્રાહિમને કહ્યું, "મારા પિતા" અને તેણે કહ્યું, "બોલ, મારા દીકરા, હું આ રહ્યો." તેણે કહ્યું, "જુઓ, અહીં અગ્નિ તથા લાકડાં તો છે, પણ દહનીયાર્પણને માટે ઘેટું ક્યાં છે? ઇબ્રાહિમે કહ્યું, "મારા દીકરા, દહનીયાર્પણને સારુ ઈશ્વર પોતે ઘેટું પૂરું પાડશે." અને તેઓ આગળ ચાલ્યા.

ત્યારે ઈશ્વરે મૂસાને કહ્યું, "હું જે છું તે છું." તું ઇઝરાયલીઓને કહેજે કે 'હું છું એ મને તમારી પાસે મોકલ્યો છે.'"

યહોવાહે આપેલી કોઈ પણ આજ્ઞાનું ઉલ્લંઘન જો કોઈ વ્યક્તિ અજાણતાથી કરીને પાપ કરે, તો તે દોષિત ઠરે અને તેના પાપની જવાબદારી તેને માથે. તે દોષાર્થાર્પણને માટે ટોળામાંનો ખોડખાંપણ વગરનો ઘેટો યાજક પાસે લાવે અને જે પાપ તેણે અજાણતાં કર્યું હોય, તો તે વિષે યાજક તેને માટે પ્રાયશ્ચિત કરે, એટલે તેને ક્ષમા કરવામાં આવશે.

હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે. અને આખરે તે પૃથ્વી પર ઊભા રહેશે;

હે મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ તજી દીધો છે? મને સહાય કરવાને તથા મારો વિલાપ સાંભળવાને તમે એટલે દૂર કેમ રહો છો?

જેમ પાણી વહી જાય તેમ, મારી શક્તિ ચાલી ગઈ છે અને મારાં સર્વ હાડકાં ઢીલાં થઈ ગયાં છે. મારું હૃદય મીણના જેવું બની ગયું છે; તે મારાં આંતરડાંમાં પીગળી ગયું છે. મારું બળ વાસણના એક તૂટેલા ટુકડા જેવું સુકું થઈ ગયું છે; મારી જીભ મારા મુખના તાળવે ચોંટી જાય છે. તમે મને મરણની ધૂળમાં બેસાડી દીધો છે. કારણ કે મારી આસપાસ કૂતરા ફરી વળ્યા છે; મને દુષ્ટોની ટોળીએ ઘેરી લીધો છે તેઓએ મારા હાથપગ વીંધી નાખ્યા છે. હું મારા શરીરનાં સર્વ હાડકાં ગણી શકું છું. તેઓ મને ધારીને જુએ છે; તેઓ મારાં વસ્ત્રો અંદરોઅંદર વહેંચી લે છે, તેઓ મારા ઝભ્ભાને માટે ચિઠ્ઠી નાખે છે.

હું મારો આત્મા તમારા હાથમાં સોંપુ છું; હે યહોવાહ, સત્યના ઈશ્વર, તમે મારો ઉદ્ધાર કર્યો છે.

તે તેનાં સર્વ હાડકાંનું રક્ષણ કરે છે; તેઓમાંનું એકપણ ભાંગવામાં આવતું નથી.

હા, મારો ખાસ મિત્ર, જેનો મને ભરોસો હતો, જે મારી રોટલી ખાતો હતો, તેણે મારી સામે લાત ઉગામી છે.

રાજાનું નામ સર્વદા રહેશે; સૂર્ય તપે ત્યાં સુધી તેમનું નામ ટકશે; તેમનામાં લોકો આશીર્વાદ પામશે. સર્વ દેશનાઓ તેમની સ્તુતિ કરશે.

વળી હું તેને મારા પ્રથમજનિત પુત્રની જેમ, પૃથ્વીના રાજાઓમાં શ્રેષ્ઠ બનાવીશ.

જે પથ્થરને ઘર બાંધનારાઓએ નકાર્યો હતો; તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.

આકાશમાં કોણ ચઢ્યો છે અને પાછો નીચે ઊતર્યો છે? કોણે હવાને પોતાની મુઠ્ઠીમાં બાંધી રાખી છે? કોણે પોતાનાં વસ્ત્રમાં પાણી બાંધી લીધાં છે? પૃથ્વીની સર્વ સીમાઓ કોણે સ્થાપી છે? જો તું ખરેખર જાણતો હોય, તો કહે તેનું નામ શું છે? અને તેના દીકરાનું નામ શું છે?

ઉઝિયા રાજા મરણ પામ્યો તે વર્ષે મેં પ્રભુને જોયા, તે ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બેઠેલા હતા. તેમના ઝભ્ભાની કિનારીથી સભાસ્થાન ભરાઈ ગયું હતું. તેમની આસપાસ સરાફો ઊભા હતા; તેઓને દરેકને છ છ પાંખો હતી; બેથી તે પોતાનાં મુખ ઢાંકતા, બેથી પોતાનાં પગ ઢાંકતા અને બેથી ઊડતા હતા. તેઓ એકબીજાને પોકારીને કહેતા, "પવિત્ર, પવિત્ર, પવિત્ર છે સૈન્યોના યહોવાહ! આખી પૃથ્વી તેમના ગૌરવથી ભરપૂર છે."

તેથી પ્રભુ પોતે તમને ચિહ્ન આપશે: જુઓ, કુમારી ગર્ભવતી થઈને, પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાનુએલ પાડવામાં આવશે. તે ખોટું નકારવાને તથા ભલું પસંદ કરવાને સમજણો થશે, ત્યારે તે દહીં અને મધ ખાશે. એ બાળક ખોટું નકારવાને તથા ભલું પસંદ કરવાને સમજણો થશે, તે અગાઉ જે બે રાજાથી તું ભયભીત થાય છે તેઓનો દેશ ઉજ્જડ થઈ જશે.

અંધકારમાં ચાલનારા લોકોએ મહાન પ્રકાશ જોયો છે; મૃત્યુની છાયાના દેશમાં રહેનારાઓ પર અજવાળું પ્રકાશ્યું છે.

કેમ કે આપણે સારુ છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; અને તેના ખભા પર રાજ્યાધિકાર રહેશે; અને તેને અદ્દભુત સલાહકાર, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા અને શાંતિનો રાજકુમાર એ નામ આપવામાં આવશે. દાઉદના રાજ્યાસન ઉપર અને તેના રાજ્ય ઉપર, તેમને ઇનસાફ તથા ન્યાયીપણાથી, તે સમયથી તે સર્વકાળ માટે સ્થાપવા તથા દૃઢ કરવા માટે તેમની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહિ. સૈન્યોના યહોવાહનો ઉત્સાહ આમ કરશે.

યિશાઈના મૂળમાંથી ફણગો ફૂટશે અને તેની એક ડાળીને ફળ લાગશે. યહોવાહનો આત્મા, જ્ઞાન તથા સમજનો આત્મા, વિવેકબુદ્ધિ તથા પરાક્રમનો આત્મા, ડહાપણ તથા યહોવાહના ભયનો આત્મા તેના પર રહેશે.

મારા આખા પવિત્ર પર્વતમાં કોઈ પણ હાનિ કે વિનાશ કરશે નહિ; કેમ કે જેમ સમુદ્ર જળથી ભરપૂર છે, તેમ આખી પૃથ્વી યહોવાહના જ્ઞાનથી ભરપૂર થશે. તે દિવસે, યિશાઈનું મૂળ લોકોને માટે ધ્વજારૂપ ઊભું રહેશે. તેની પાસે આવવાને વિદેશીઓ શોધ કરશે; અને તેનું નિવાસસ્થાન મહિમાવંત થશે.

ત્યારે અંધજનોની આંખો ઉઘાડવામાં આવશે અને બધિરોના કાન સાંભળશે. ત્યારે અપંગો હરણની જેમ કૂદશે અને મૂંગાની જીભ ગાયન કરશે, કેમ કે અરણ્યમાં પાણી અને વનમાં નાળાં ફૂટી નીકળશે.

જુઓ, આ મારો સેવક છે, એને હું નિભાવી રાખું છું; એ મારો પસંદ કરેલો છે, એના પર મારો જીવ પ્રસન્ન છે: તેનામાં મેં મારો આત્મા મૂક્યો છે; તે વિદેશીઓમાં ન્યાય પ્રગટ કરશે.

ઇઝરાયલના રાજા, તેના ઉધ્ધારક, સૈન્યોના ઈશ્વર યહોવાહ એવું કહે છે: "હું આદિ છું અને હું જ અંત છું; મારા વિના બીજો કોઈ ઈશ્વર નથી.

મેં મારા મારનારની આગળ મારી પીઠ તથા વાળ ખેંચી કાઢનારની આગળ મારા ગાલ ધર્યા; અપમાનિત તથા થૂંકાવા છતાં મેં મારું મુખ સંતાડ્યું નહિ.

જુઓ, મારો સેવક ડહાપણથી વર્તશે અને સફળ થશે; તે ઊંચો અને ઉન્નત થશે, તે અતિ ગૌરવશાળી થશે. જે પ્રમાણે લોકો તને જોઈને ભયભીત થયા - તેનું રૂપ માણસનાં રૂપ કરતા અલગ હતું, તેથી તેનો દેખાવ એવો હતો કે માણસ જ ન લાગે. તેથી ઘણા દેશો તેને જોઈને આશ્ચર્યચકિત થશે; રાજાઓ તેને કારણે પોતાના મુખ બંધ રાખશે. કારણ કે તેઓને જે કહેવામાં આવ્યું નહોતું તે તેઓ જોશે અને જે તેઓએ સાંભળ્યું નહોતું તે તેઓ સમજશે.

આપણે જે સાંભળ્યું તે કોણે માન્યું છે? અને યહોવાહનો ભુજ, તે કોની આગળ પ્રગટ થયેલો છે? તે યહોવાહની સમક્ષ રોપાની જેમ ઊગી નીકળ્યો અને સૂકી ભૂમિમાં ફણગાની જેમ ફૂટી નીકળ્યો; તેની પાસે કોઈ સૌંદર્ય કે વૈભવ ન હતા; જયારે આપણે તેને જોયો, તેનામાં આપણને આકર્ષી શકે તેવી સુંદરતા નહોતી. તે માણસોથી ધિક્કારાયેલો તથા નકારાયેલો હતો; દુ:ખી પુરુષ અને દર્દનો અનુભવી. જેને જોઈને માણસો પોતાનું મુખ ફેરવી લે, એવો ધિક્કાર પામેલો તે હતો; અને આપણે તેની કદર કરી નહિ. પણ નિશ્ચે તેણે આપણી માંદગી માથે લીધી અને આપણાં દુ:ખ વેઠ્યાં છે; પણ આપણે તો તેને ઈશ્વરથી શિક્ષા પામેલો, ઈશ્વર દ્વારા મારવામાં આવેલો તથા પીડિત થયેલો માન્યો. પણ આપણા અપરાધોને લીધે તે વીંધાયો; આપણા પાપોને લીધે તે કચડાયો. આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાને માટે તેને શિક્ષા થઈ અને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે. આપણે સર્વ ઘેટાંની જેમ ભટકી ગયા છીએ; આપણે દરેક પોતપોતાને માર્ગે વળી ગયા છીએ અને યહોવાહે તેના પર આપણા સર્વના પાપનો ભાર મૂક્યો છે. તેના પર જુલમ ગુજારવામાં આવ્યો; તો પણ તેણે નમ્ર થઈને પોતાનું મુખ ઉઘાડ્યું નહિ; જેમ હલવાનને વધ કરવા માટે લઈ જવામાં આવે છે અને જેમ ઘેટું પોતાના કાતરનારની આગળ મૂંગું રહે છે, તેમ તેણે પોતાનું મુખ ખોલ્યું નહિ. જુલમથી તથા ન્યાયચુકાદાથી તેને અપરાધી ઠરાવવામાં આવ્યો; તેની પેઢીનાં માણસોમાંથી કોણે તેના વિષે કંઈ વિચાર કર્યો? પણ તેને જીવતાઓની ભૂમિમાંથી કાપી નાખવામાં આવ્યો; મારા લોકોના અપરાધોને લીધે તેને શિક્ષા થઈ. તેની કબર ગુનેગારોની સાથે ઠરાવેલી હતી, તેની મરણાવસ્થામાં તે ધનિકની સાથે હતો, તેમ છતાં તેણે કોઈ હિંસા કરી નહિ કે તેના મુખમાં કોઈ કપટ નહોતું. તોપણ યહોવાહની મરજી તેને ઘાયલ કરીને કચરવાની હતી; જો તમે લોકો તેના જીવનને પાપનું બલિદાન બનાવો, તો તે પોતાનાં સંતાન જોશે, તે દીર્ઘાયુ થશે અને યહોવાહનો હેતુ તેના દ્વારા સફળ થશે. તે પોતાના આત્માના કષ્ટનું ફળ જોશે અને તેના ડહાપણથી સંતોષ પામશે. મારો ન્યાયી સેવક ઘણાનો ઇનસાફ કરશે; અને તેઓના અપરાધો પોતાને માથે લઈ લેશે. તેથી હું તેને મહાન પુરુષોની સાથે તેનો હિસ્સો વહેંચી આપીશ અને તે લૂંટ ઘણાની સાથે લૂંટ વહેંચશે, કારણ કે તેણે પોતાનો આત્મા મરણ પામતાં સુધી રેડી દીધો અને તેની ગણતરી અપરાધીઓમાં થઈ. તેણે ઘણાંઓનાં પાપ માથે લીધાં અને અપરાધીઓને માટે મધ્યસ્થી કરી.

પ્રભુ યહોવાહનો આત્મા મારા પર છે, કારણ કે, દીનોને વધામણી કહેવા માટે યહોવાહે મને અભિષિક્ત કર્યો છે. તેણે મને તૂટેલા હૃદયવાળાને સાજા કરવા માટે, બંદીવાનોના છુટકારાને તથા જે લોકો બંધનમાં છે તેઓને કેદમાંથી છોડાવવાને માટે મને મોકલ્યો છે. યહોવાહે માન્ય કરેલું કૃપાનું વર્ષ, આપણા ઈશ્વરના વેરનો દિવસ અને સર્વ શોક કરનારાઓને દિલાસો આપવા માટે, સિયોનમાંના શોક કરનારાઓને રાખને બદલે મુગટ શોકને બદલે હર્ષનું તેલ, ખિન્ન આત્માને બદલે સ્તુતિરૂપ વસ્ત્ર, આપવા માટે મને મોકલ્યો છે; જેથી તેઓ તેમના મહિમાને અર્થે ધાર્મિકતાનાં વૃક્ષ, યહોવાહની રોપણી કહેવાય.

યહોવાહ કહે છે, "જુઓ, એવો સમય આવી રહ્યો છે "જ્યારે હું દાઉદના વંશમાં એક ન્યાયી ''અંકુર'' ઉગાવીશ. તે રાજા તરીકે રાજ કરશે. તેના શાસનમાં આબાદી હશે. અને દેશમાં ન્યાય અને નીતિમત્તા લાવશે.

યહોવાહ કહે છે કે, જુઓ, એવો સમય આવી રહ્યો છે કે "જ્યારે હું ઇઝરાયલ અને યહૂદિયા સાથે નવો કરાર કરીશ. મેં જ્યારે એમના પિતૃઓને હાથ પકડીને મિસરમાંથી બહાર કાઢ્યાં હતા ત્યારે તેઓની સાથે જે કરાર કર્યો હતો તેવો આ કરાર નહિ હોય. હું તેઓનો વિશ્વાસુ માલિક હોવા છતાં પણ તેમણે મારા કરારનું ઉલ્લંઘન કર્યુ છે.'' એવું યહોવાહ કહે છે. ''પણ યહોવાહ કહે છે હવે પછી ઇઝરાયલના લોકો સાથે જે કરાર કરીશ તે આ હશે'' ''હું મારા નિયમો તેમના હ્રદયમાં મૂકીશ. અને તેઓનાં હૃદયપટ પર તે લખીશ. હું તેઓનો ઈશ્વર થઈશ. અને તેઓ મારા લોક થશે. તે સમયે 'યહોવાહને ઓળખવા માટે!' એકબીજાને શીખવવાની જરૂર રહેશે નહિ, કેમ કે ત્યારે નાનાથી મોટા સુધી સૌ કોઈ મને ઓળખશે.'' ''હું તેઓનાં દુષ્કૃત્યો માફ કરીશ અને તેમના પાપને ફરી સંભારીશ નહિ. એમ યહોવાહ કહે છે.''

તે રાજાઓના શાસન દરમ્યાન, આકાશના ઈશ્વર એક એવું રાજ્ય સ્થાપશે જેનો કદી નાશ થશે નહિ. તે રાજ્ય કદી બીજી કોઈ પ્રજાના હાથમાં જશે નહિ. તે બીજા રાજ્યને ભાંગીને ભૂકો કરી નાખશે. અને સર્વકાળ ટકશે.

ત્યારે નબૂખાદનેસ્સાર રાજા આશ્ચર્ય પામીને તરત જ ઊભો થઈ ગયો. તેણે પોતાના સલાહકારોને પૂછ્યું, "શું આપણે ત્રણ માણસોને બાંધીને અગ્નિમાં નાખ્યા નહોતા?" તેઓએ રાજાને જવાબ આપ્યો, "હા રાજા, ચોક્કસ એવું જ છે." પછી તેણે કહ્યું, "પણ હું તો ચાર માણસોને અગ્નિમાં ચારેબાજુ છૂટા ફરતા જોઉં છું અને તેઓને કંઈ ઈજા થયેલી નથી. ચોથાનું સ્વરૂપ તો દેવપુત્ર જેવું દેખાય છે."

હું જોતો હતો ત્યારે, સિંહાસનો ગોઠવવામાં આવ્યાં, એક પુરાતન કાલીન માણસ તેના પર બેઠો હતો, તેનાં વસ્ત્રો હિમ જેવાં સફેદ હતાં, તેના માથાના વાળ શુદ્ધ ઊન જેવા હતાં. તેનું સિંહાસન અગ્નિની જ્વાળારૂપ હતું, તેનાં પૈડાં સળગતા અગ્નિનાં હતાં. તેમની આગળથી ધગધગતા અગ્નિનો ધોધ નીકળીને વહેતો હતો. હજારોહજાર લોકો તેમની સેવા કરતા હતા લાખો લોકો તેમની આગળ ઊભા હતા. ન્યાયસભા ભરાઈ હતી, પુસ્તકો ખોલવામાં આવ્યાં હતાં.

તે રાત્રે મારા સંદર્શનમાં, મનુષ્યપુત્ર જેવા એક પુરુષને આકાશના વાદળો સાથે ઊતરતો મેં જોયો. તે પુરાતનકાલીન પુરુષની પાસે આવ્યો, તેમની સમક્ષ હાજર થયો. તેને સત્તા, મહિમા તથા રાજ્યાધિકાર આપવામાં આવ્યો, જેથી બધા લોકો, પ્રજાઓ તથા વિવિધ ભાષા બોલનારાઓ તેને તાબે થાય. તેની સત્તા સનાતન છે તે કદી લોપ થશે નહિ, તેનું રાજ્ય જે કદી નાશ નહિ પામે.

માટે જાણ તથા સમજ કે યરુશાલેમની મરામત કરવાનો તથા તેને બાંધવાનો હુકમ થયાના સમયથી તે અભિષિક્તના સમય સુધી સાત અઠવાડિયાં લાગશે. બાસઠ અઠવાડિયામાં યરુશાલેમની શેરીઓ તથા ખાઈ આપત્તિના સમયમાં પણ ફરી બંધાશે. બાસઠ અઠવાડિયાં પછી અભિષિક્તનો નાશ કરવામાં આવશે અને તેની પાસે કંઈ રહેશે નહિ. એક સેનાપતિ સૈન્ય સાથે આવશે. અને નગરનો તથા પવિત્રસ્થાનનો નાશ કરશે. તેનો અંત રેલની જેમ આવશે અને અંત સુધી યુદ્ધ ચાલશે. વિનાશ નિર્માણ થયેલો છે.

હે બેથલેહેમ એફ્રાથા, જો કે તું યહૂદાના કુળો મધ્યે વિસાત વગરનું છે, પણ ઇઝરાયલમાં રાજ કરવા, તારામાંથી એક રાજકર્તા ઉત્પન્ન થશે, તે મારી પાસે આવશે, જેનો પ્રારંભ પ્રાચીન કાળથી, અનંતકાળથી છે.

યહોવાહના સામર્થ્યથી તથા પોતાના ઈશ્વર યહોવાહના નામના પ્રતાપથી તે પુરુષ ઊભો રહીને પોતાના ટોળાનું પાલન કરશે. તેઓ કાયમ રહેશે. કેમ કે હવે તે પૃથ્વીના છેડા સુધી મોટો ગણાશે.

'સૈન્યોના યહોવાહ કહે છે, આ સભાસ્થાનનું ભૂતકાળનું ગૌરવ તેની શરૂઆતના ગૌરવ કરતાં વધારે હશે, 'અને આ જગ્યામાં હું સલાહ શાંતિ આપીશ. એવું સૈન્યોના યહોવાહ કહે છે."

હે સિયોનની દીકરી, મોટા આનંદથી પોકાર કર, હે યરુશાલેમની દીકરી હર્ષનાદ કર. જો, તારો રાજા તારી પાસે ન્યાયીપણા સાથે આવે છે તે તારણ લાવે છે. તે નમ્ર છે અને ગધેડા પર એટલે ગધેડીના વછેરા પર સવારી કરીને આવે છે.

પછી યહોવાહે મને કહ્યું, "ખજાનામાં ચાંદીને મૂકી દે, તેઓએ તારું વિશેષ મૂલ્યાંકન કર્યું છે!" તેથી મેં ચાંદીના ત્રીસ સિક્કા લઈને યહોવાહના સભાસ્થાનના ખજાનામાં મૂકી દીધા.

"પણ હું દાઉદના ઘર પર તથા યરુશાલેમના રહેવાસીઓ પર કરુણા અને વિનંતીનો આત્મા રેડીશ, તેઓ મને, એટલે જેને તેઓએ વીંધ્યો છે તેને જોશે. જેમ કોઈ પોતાના એકના એક દીકરા માટે શોક કરે તેમ તેઓ પોતાના સંતાન માટે શોક કરે છે, જેમ તેઓ પોતાના પ્રથમજનિત દીકરાના મૃત્યુ માટે શોક કરતો હોય એવી રીતે તેઓ શોક કરશે.

પણ જો કોઈ તેને કહેશે કે, 'તારા હાથો પર આ ઘા શાના છે?' તો તે જવાબ આપશે કે, 'તે ઘા તો મને મારા મિત્રોના ઘરમાં પડ્યા હતા તે છે.'" સૈન્યોના યહોવાહ કહે છે- "હે તલવાર મારા પાળક વિરુદ્ધ તથા, જે માણસ મારી પાસે ઊભો છે તેની વિરુદ્ધ જાગૃત થા. પાળકને માર, એટલે ઘેટાં વિખેરાઈ જશે. કેમ કે હું મારો હાથ નાનાંઓ પર ફેરવીશ.

ઈસુ ખ્રિસ્ત જે દાઉદના દીકરા, જે ઇબ્રાહિમનાં દીકરા, તેમની વંશાવળી.

યાકૂબ યૂસફનો પિતા, યૂસફ જે મરિયમનો પતિ હતો; અને મરિયમથી ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તે જનમ્યાં.

માટે ઇબ્રાહિમથી દાઉદ સુધી બધી મળીને ચૌદ પેઢી થઈ, દાઉદથી બાબિલના બંદીવાસ સુધી ચૌદ પેઢી, બાબિલના બંદીવાસથી ખ્રિસ્તનાં સમય સુધી ચૌદ પેઢી થઈ.

ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો. તેમની મા મરિયમની સગાઈ યૂસફ સાથે થયા પછી, તેઓનો શારીરિક સંબંધ થયા અગાઉ તે પવિત્ર આત્માથી ગર્ભવતી થયેલી જણાઈ.

તેને દીકરો થશે અને તું તેમનું નામ ઈસુ પાડશે; કેમ કે તે પોતાના લોકોને તેઓનાં પાપથી ઉદ્ધાર કરશે." હવે એ બધું એ માટે થયું કે, પ્રભુએ પ્રબોધક દ્વારા જે કહ્યું હતું તે પૂરું થાય, એટલે, "જુઓ, કુંવારી ગર્ભવતી થશે, તેને દીકરો થશે અને તેનું નામ તેઓ ઈમ્માનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે, 'ઈશ્વર આપણી સાથે.'"

મરિયમને દીકરો થયો ત્યાં સુધી યૂસફે મરિયમની સાથે શારીરિક સંબંધ કર્યો નહિ; અને તેણે દીકરાનું નામ ઈસુ પાડ્યું.

હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં ઈસુ જનમ્યાં ત્યારે, માગીઓએ પૂર્વથી યરુશાલેમમાં આવીને પૂછ્યું કે, "યહૂદીઓના જે રાજા જનમ્યાં છે, તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તેમનો તારો જોઈને, અમે તેમનું ભજન કરવાને આવ્યા છીએ." એ સાંભળીને હેરોદ રાજા ગભરાયો અને તેની સાથે આખું યરુશાલેમ પણ ગભરાયું. ત્યાર પછી હેરોદ રાજાએ સર્વ મુખ્ય યાજકોને તથા શાસ્ત્રી લોકોને એકત્ર કરીને તેઓને પૂછ્યું કે, 'ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ?' તેઓએ તેને કહ્યું કે, "યહૂદિયાના બેથલેહેમમાં; કેમ કે પ્રબોધકે એમ લખ્યું છે કે, "ઓ યહૂદિયા દેશના બેથલેહેમ, તું યહૂદિયાના સૂબાઓમાં કોઈ પ્રકારે સર્વથી નાનું નથી, કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે, જે મારા ઇઝરાયલી લોકોના પાળક થશે."

ઘરમાં જઈને તેઓએ બાળકને તેની મા મરિયમની પાસે જોયું; પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની ઝોળી ખોલીને સોનું, લોબાન તથા બોળનું તેને નજરાણું કર્યું.

માટે પસ્તાવાને સારુ હું પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું ખરો, પણ જે મારી પાછળ આવનાર છે તે મારા કરતાં સામર્થ્યવાન છે, હું તેમના ચંપલ ઊંચકવાને યોગ્ય નથી; તે તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્માથી તથા અગ્નિથી કરશે. તેમનું સૂપડું તેમના હાથમાં છે, તે પોતાની ખળીને પૂરેપૂરી સાફ કરશે અને પોતાના ઘઉં વખારમાં ભરશે, પણ ભૂસું, ન હોલવાનાર અગ્નિમાં બાળી નાખશે."

ત્યારે ઈસુ યોહાનથી બાપ્તિસ્મા પામવા માટે ગાલીલથી યર્દન નદીએ તેની પાસે આવ્યા. પણ યોહાને તેમને અટકાવતાં કહ્યું કે, "તમારાથી તો મારે બાપ્તિસ્મા પામવું જોઈએ અને શું તમે મારી પાસે આવો છો?" પછી ઈસુએ ઉત્તર આપતાં કહ્યું કે, 'હમણાં એમ થવા દે, કેમ કે સર્વ ન્યાયીપણું એવી રીતે પૂરું કરવું તે આપણને ઉચિત છે.' ત્યારે યોહાને ઈસુને બાપ્તિસ્મા આપ્યું. જયારે ઈસુ બાપ્તિસ્મા પામીને તરત પાણીમાંથી બહાર આવ્યા; અને જુઓ, તેમને સારુ સ્વર્ગો ઉઘાડાયાં અને ઈશ્વરના આત્માને કબૂતર રૂપે ઊતરતા તથા પોતા પર આવતા તેમણે જોયા. જુઓ, સ્વર્ગોમાંથી એવી વાણી થઈ કે, "આ મારો વહાલો દીકરો છે, તેના પર હું પ્રસન્ન છું."

પછી ઈસુનું પરીક્ષણ શેતાનથી થાય એ માટે આત્મા તેમને અરણ્યમાં લઈ ગયા. ચાળીસ રાતદિવસ ઉપવાસ કર્યા પછી તેમને ભૂખ લાગી.

ત્યાર પછી ઈસુ પ્રગટ કરવા અને કહેવા લાગ્યા કે, 'પસ્તાવો કરો, કેમ કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.'

ઈસુ સભાસ્થાનોમાં ઉપદેશ કરતા તથા રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા અને લોકોમાં દરેક પ્રકારના રોગ તથા દુઃખ મટાડતા, આખા ગાલીલમાં ફર્યા. ત્યારે આખા સિરિયામાં તેમની કીર્તિ ફેલાઈ ગઈ, સઘળાં માંદાઓને, એટલે અનેક જાતનાં રોગીથી પીડાતાઓને, દુષ્ટાત્મા વળગેલાંઓને, વાઈના રોગીઓને તથા લકવાગ્રસ્તોને તેઓ તેમની પાસે લાવ્યા; અને તેમણે તેઓને સાજાં કર્યા. ગાલીલથી, દસનગરથી, યરુશાલેમથી, યહૂદિયાથી તથા યર્દનને પેલે પારથી લોકોનાં ટોળેટોળાં તેમની પાછળ ગયા.

એમ ન ધારો કે હું નિયમશાસ્ત્ર અથવા પ્રબોધકોની વાતોનો નાશ કરવાને આવ્યો છું; હું નાશ કરવા નહિ, પણ પૂર્ણ કરવા આવ્યો છું.

એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારુ ચિંતા ન કરો કે, અમે શું ખાઈશું અથવા શું પીશું; તેમ જ તમારા શરીરને માટે ચિંતા ન કરો કે, અમે શું પહેરીશું? શું જીવ ખોરાક કરતાં અને શરીર વસ્ત્રો કરતાં અધિક નથી?

જેઓ મને 'પ્રભુ, પ્રભુ,' કહે છે, તેઓ સર્વ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પ્રવેશશે.

ત્યારે ઈસુએ તેને કહ્યું કે, "શિયાળોને દર હોય છે અને આકાશનાં પક્ષીઓને માળા હોય છે; પણ માણસના દીકરાને માથું મૂકવાની જગ્યા નથી."

ત્યારે તે માણસોએ આશ્ચર્ય પામીને કહ્યું કે, "એ કયા પ્રકારના માણસ છે કે પવન તથા સમુદ્ર પણ તેમનું માને છે?"

ઈસુએ તેઓના વિચાર જાણીને કહ્યું કે, "તમે તમારા મનમાં શા માટે દુષ્ટ વિચાર કરો છો?

પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપોની માફી આપવાનો અધિકાર છે, એ તમે જાણો તેથી ઈસુ લકવાગ્રસ્ત માણસને કહ્યુંકે "ઊઠ, તારો ખાટલો ઊંચકીને તારે ઘરે ચાલ્યો જા."

ઈસુ તેઓનાં સભાસ્થાનોમાં બોધ કરતા, રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા, દરેક પ્રકારનો રોગ તથા દરેક પ્રકારની બીમારી મટાડતા, સઘળાં નગરોમાં તથા ગામોમાં ફરતા ગયા.

પછી ઈસુએ પોતાના બાર શિષ્યોને પાસે બોલાવીને અશુદ્ધ આત્માઓને કાઢવાનો, તથા દરેક પ્રકારનો મંદવાડ તથા દરેક જાતનો રોગ મટાડવાનો અધિકાર તેઓને આપ્યો.

મારા નામને કારણે સહુ તમારો દ્વેષ કરશે, પણ જે કોઈ અંત સુધી ટકશે તે જ ઉદ્ધાર પામશે.

માટે માણસોની આગળ જે કોઈ મને કબૂલ કરશે તેને હું પણ મારા સ્વર્ગમાંનાં પિતાની આગળ કબૂલ કરીશ. પણ માણસોની આગળ જે કોઈ મારો ઇનકાર કરશે, તેનો હું પણ મારા સ્વર્ગમાંનાં પિતાની આગળ ઇનકાર કરીશ.

એમ ન ધારોકે હું પૃથ્વી પર શાંતિ લાવવા આવ્યો છું; શાંતિ તો નહિ, પણ તરવાર લઈને આવ્યો છું. કેમ કે પુત્રને તેના પિતાની વિરુધ્ધ, દીકરીને તેની માની વિરુધ્ધ તથા પુત્રવધૂને તેની સાસુની વિરુધ્ધ કરવાને હું આવ્યો છું.

મારા કરતાં જે પોતાની મા અથવા પોતાના પિતા પર વધારે પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી; અને દીકરા કે દીકરી પર જે મારા કરતાં વધારે પ્રેમ કરે છે, તે પણ મારે યોગ્ય નથી. જે પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવતો નથી તે મારે યોગ્ય નથી;

માણસનો દીકરો ખાતોપીતો આવ્યો, તો તેઓ કહે છે કે, 'જુઓ, ખાઉધરો અને દારૂબાજ માણસ, જકાત ઉઘરાવનારનો તથા પાપીઓનો મિત્ર! પણ જ્ઞાન પોતાનાં કૃત્યોથી યથાર્થ ઠરે છે.'"

મારા પિતાએ મને સઘળું સોંપ્યું છે; પિતા સિવાય દીકરાને કોઈ જાણતું નથી અને દીકરા સિવાય પિતાને કોઈ જાણતું નથી, તથા જેમને દીકરો પ્રગટ કરવા ચાહે તેનેજ પિતા જાણે છે.

ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો, અને હું તમને વિસામો આપીશ. મારી ઝૂંસરી તમે પોતા પર લો, અને મારી પાસેથી શીખો; કેમ કે હું મનમાં નમ્ર તથા દીન છું, તમે તમારા જીવમાં વિસામો પામશો. કેમ કે મારી ઝૂંસરી સહેલી અને મારો બોજો હલકો છે."

કેમ કે માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે."

બધા જ દેશના લોકો તેમના નામ પર આશા રાખશે."

ત્યારે દુષ્ટાત્મા વળગેલા કોઈ અંધ, મૂંગા માણસને તેઓ તેમની પાસે લાવ્યા; તેમણે તેને સાજો કર્યો, એટલે જે અંધ તથા મૂંગો હતો તે બોલવા અને જોવા લાગ્યો. સર્વ લોકોએ આશ્ચર્ય પામીને કહ્યું કે, "શું આ દાઉદનો દીકરો હોઈ શકે?"

ત્યારે ઈસુએ તેઓનો વિચાર જાણીને તેઓને કહ્યું કે, "દરેક રાજ્ય જે ભાગલા પડે, તે તૂટી પડે છે; તથા દરેક નગર અથવા ઘર જે ભાગલા પડે, તે સ્થિર નહિ રહેશે.

પણ જો હું ઈશ્વરના આત્માથી દુષ્ટાત્માઓને કાઢું છું, તો ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે એમ સમજો.

કેમ કે જેમ યૂના ત્રણ રાતદિવસ મોટી માછલીના પેટમાં રહ્યો હતો, તેમ માણસનો દીકરો પણ ત્રણ રાતદિવસ પૃથ્વીના પેટાળમાં રહેશે.

કેમ કે મારા સ્વર્ગમાંનાં પિતાની ઇચ્છા પ્રમાણે જે કોઈ કરે, તે જ મારો ભાઈ, બહેન તથા મા છે."

માણસનો દીકરો પોતાના સ્વર્ગદૂતોને મોકલશે, પાપમાં પાડનારી બધી વસ્તુઓને તથા દુષ્ટતા કરનારાંઓને તેમના રાજ્યમાંથી તેઓ એકઠા કરશે.

પછી તેમણે લોકોને ઘાસ પર બેસવાની આજ્ઞા આપી. અને તે પાંચ રોટલી તથા બે માછલી લઈ સ્વર્ગ તરફ જોઈને આશીર્વાદ માગ્યો અને રોટલી ભાંગીને શિષ્યોને આપી અને શિષ્યોએ લોકોને આપી. તેઓ સર્વ જમીને ધરાયાં; પછી ભાણામાં વધેલા કકડાઓની બાર ટોપલી ભરાઈ. જેઓ જમ્યાં તેઓ સ્ત્રીઓ અને બાળકો ઉપરાંત આશરે પાંચ હજાર પુરુષ હતા.

રાતના ચોથા પહોરે ઈસુ સમુદ્ર પર ચાલતા તેઓની પાસે આવ્યા. શિષ્યોએ તેમને સમુદ્ર પર ચાલતા જોયા, ત્યારે તેઓએ ગભરાઈને કહ્યું, "એ તો કોઈ ભૂત છે" અને બીકથી તેઓએ બૂમ પાડી.

હોડીમાં જેઓ હતા તેઓએ તેમનું ભજન કરતાં કહ્યું કે, "ખરેખર તમે ઈશ્વરના દીકરા છો."

જયારે તે જગ્યાનાં લોકોએ તેમને ઓળખ્યા, ત્યારે તેઓએ તે આખા દેશમાં ચોતરફ માણસોને મોકલીને બધા માંદાઓને તેમની પાસે લાવ્યા. તેઓએ ઈસુને વિનંતી કરી કે 'કેવળ તમારાં વસ્ત્રોની કોરને જ તમે અમને અડકવા દો;' અને જેટલાં અડક્યા તેટલાં સાજાં થયા.

ત્યારે કેટલાક પંગુઓ, અંધજનો, મૂંગાંઓ, પગે અપંગ તથા બીજાં ઘણાંઓને લોકો તેમની પાસે લઈને આવ્યા અને ઈસુના પગ પાસે તેઓને લાવ્યા અને તેમણે તેઓને સાજાંપણું આપ્યું.

તેમણે તે સાત રોટલી તથા માછલી લઈ સ્તુતિ કરીને ભાંગી અને પોતાના શિષ્યોને આપી, શિષ્યોએ લોકોને આપી. સઘળાં ખાઈને તૃપ્ત થયાં; પછી વધેલા કકડાની તેઓએ સાત ટોપલી ભરી. જેઓ જમ્યાં તેઓ સ્ત્રીઓ તથા બાળકો ઉપરાંત ચાર હજાર પુરુષ હતા.

ત્યારે સિમોન પિતરે જવાબ આપતાં કહ્યું કે, તમે મસીહ, જીવતા ઈશ્વરના દીકરા છો.

ઈસુએ શિષ્યોને આજ્ઞા આપી કે, 'હું ખ્રિસ્ત છું એ તમારે કોઈને કહેવું નહિ.'

ત્યારથી માંડીને ઈસુ પોતાના શિષ્યોને જણાવવાં લાગ્યા કે, 'હું યરુશાલેમમાં જાઉં, વડીલો, મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓને હાથે ઘણું દુઃખ સહન કરું, માર્યો જાઉં અને ત્રીજે દિવસે પાછા સજીવન થવું આવશ્યક છે.'

કેમ કે માણસનો દીકરો પોતાના પિતાના મહિમામાં પોતાના સ્વર્ગદૂતો સહિત આવશે, ત્યારે તે દરેકને તેમના કાર્યો પ્રમાણે બદલો ભરી આપશે.

તેઓની આગળ તેમનું રૂપાંતર થયું, એટલે તેમનું મુખ સૂર્યના જેવું તેજસ્વી થયું અને તેમના વસ્ત્ર અજવાળાનાં જેવા શ્વેત થયા.

તે બોલતો હતો એટલામાં, જુઓ, એક ચળકતી વાદળી તેઓ પર આચ્છાદિત થઈ; અને વાદળીમાંથી એવી વાણી થઈ કે, 'આ મારો વહાલો દીકરો છે, તેના પર હું પ્રસન્ન છું, તેનું સાંભળો.'

જયારે તેઓ ગાલીલમાં રહેતા હતા ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, 'માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે; તેઓ તેને મારી નાખશે, પણ ત્રણ દિવસ પછી તે પાછો ઊઠશે.' ત્યારે તેઓ બહુ દિલગીર થયા.

સાવધાન રહો કે આ નાનાઓમાંના એકનો પણ અનાદર તમે ન કરો, કેમ કે હું તમને કહું છું કે સ્વર્ગમાં તેઓના સ્વર્ગદૂત મારા સ્વર્ગમાંનાં પિતાનું મુખ સદા જુએ છે. કેમ કે જે ખોવાયેલું છે તેને બચાવવાને માણસનો દીકરો ઈસુ આવ્યો છે.

કેમ કે જ્યાં બે અથવા ત્રણ મારે નામે એકઠા થયેલા હોય ત્યાં તેઓની મધ્યે હું છું.'

ઈસુએ તે જુવાનને કહ્યું કે, 'જો તું સંપૂર્ણ થવા ચાહે છે, તો જઈને તારું જે છે તે વેચી નાખ અને ગરીબોને આપી દે, એટલે સ્વર્ગમાં તને દ્રવ્ય મળશે; અને આવીને મારી પાછળ ચાલ.'

આપણે યરુશાલેમ જઈએ છીએ, માણસના દીકરાને મુખ્ય યાજકોને તથા શાસ્ત્રીઓને હાથે પરાધીન કરાશે અને તેઓ તેના પર મૃત્યુદંડ ઠરાવશે. ઠઠ્ઠામશ્કરી કરવાને, કોરડા મારવાને, વધસ્તંભે જડવાને તેઓ તેમને બિનયહૂદીઓને સોંપશે; અને ત્રીજે દિવસે તે પાછો સજીવન થશે.

જેમ માણસનો દીકરો સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને, તથા ઘણાં લોકોના મુક્તિમૂલ્યને સારુ પોતાનો જીવ આપવાને આવ્યો છે તેમ.'

લોકોમાંના ઘણાંખરાએ પોતાના કપડાં રસ્તામાં પાથર્યા, બીજાઓએ વૃક્ષો પરથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી. હવે આગળ ચાલનાર તથા પાછળ આવનાર લોકે પોકાર્યું કે, 'દાઉદના દીકરાને હોસાન્ના, પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે; પરમ ઊંચામાં હોસાન્ના.'

પછી ઈસુ ઈશ્વરના ભક્તિસ્થાનમાં ગયા, ત્યાં જેઓ વેચતા તથા ખરીદતા હતા, તે સર્વને તેમણે કાઢી મૂક્યા; અને નાણાવટીઓનાં બાજઠ, તથા કબૂતર વેચનારાઓનાં આસનો ઊંધા વાળ્યાં; ઈસુએ તેઓને કહ્યું કે, "મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે, એમ લખેલું છે, પણ તમે એને લૂંટારાઓનું કોતર કર્યું છે." ત્યાર પછી અંધજનો તથા અપંગો તેમની પાસે ભક્તિસ્થાનમાં આવ્યા અને તેમણે તેઓને સાજાં કર્યા. પણ જે ચમત્કારો તેમણે કર્યા, તથા જે બાળકો ભક્તિસ્થાનમાં મોટા અવાજે 'દાઉદના દીકરાને હોસાન્ના' પોકારતા હતાં, તેઓને જયારે મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓએ જોયા, ત્યારે તેઓ બહુ ગુસ્સે થયા.

ઈસુએ તેઓને કહ્યું કે, 'જે પથ્થરનો નકાર ઘર બાંધનારાઓએ કર્યો, તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયા તે પ્રભુથી બન્યું અને આપણી નજરમાં આશ્ચર્યકારક છે, 'એ શું તમે શાસ્ત્રવચનોમાં કદી નથી વાંચ્યું? એ માટે હું તમને કહું છું કે, ઈશ્વરનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવાશે અને જે પ્રજા તેનાં ફળ આપશે, તેઓને તે અપાશે. આ પથ્થર પર જે પડશે તેના ટુકડેટુકડાં થઈ જશે, પણ જેનાં પર તે પડશે, તેનો તે ભૂકો કરી નાખશે.'

હવે ફરોશીઓ એકઠા મળેલા હતા, ત્યારે ઈસુએ તેઓને એવું પૂછ્યું કે, 'મસીહ સંબંધી તમે શું ધારો છો? તે કોનો દીકરો છે? તેઓએ તેમને કહ્યું કે, 'દાઉદનો.' ઈસુએ તેઓને કહ્યું, 'તો પવિત્ર આત્મા વડે દાઉદ તેમને પ્રભુ કેમ કહે છે?' જેમ કે, 'પ્રભુ ઈશ્વરે મારા પ્રભુને કહ્યું કે, તારા શત્રુઓને હું તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.' હવે જો દાઉદ તેમને પ્રભુ કહે છે, તો તે કેવી રીતે તેનો દીકરો કહેવાય? એક પણ શબ્દનો ઉત્તર કોઈ તેમને આપી શકયું નહિ, વળી તે દિવસથી કોઈએ તેમને કંઈ પૂછવાની હિંમત કરી નહિ.

તમે સ્વામી ન કહેવડાવો, કેમ કે એક, જે ખ્રિસ્ત, તે તમારા સ્વામી છે.

ત્યારે તેઓ તમને વિપત્તિમાં નાખશે, તમને મારી નાખશે, મારા નામને લીધે સઘળી પ્રજાઓ તમારો દ્વેષ કરશે.

કેમ કે જેમ વીજળી પૂર્વથી નીકળીને પશ્ચિમ સુધી ચમકે છે, તેમ જ માણસના દીકરાનું આગમન થશે.

પછી માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે, ત્યારે પૃથ્વી પરનાં સઘળાં કુળો શોક કરશે; અને માણસના દીકરાને પરાક્રમ તથા મહામહિમાસહિત તેઓ આકાશનાં વાદળ પર આવતા જોશે.

આકાશ તથા પૃથ્વી નાશ પામશે, પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહિ.

જયારે માણસના દીકરા [ઈસુ] પોતાના મહિમામાં સર્વ પવિત્ર સ્વર્ગદૂતો સાથે આવશે, ત્યારે તે પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે. સર્વ દેશજાતિઓ તેમની આગળ એકઠી કરાશે; અને જેમ ઘેટાંપાળક ઘેટાંને બકરાંથી જુદાં પાડે છે, તેમ તે તેઓને એકબીજાથી જુદા પાડશે. ઘેટાંને તે પોતાને જમણે હાથે, પણ બકરાંને ડાબે હાથે રાખશે. ત્યારે રાજા પોતાની જમણી તરફનાઓને કહેશે કે, 'મારા પિતાના આશીર્વાદિતો તમે આવો, જે રાજ્ય સૃષ્ટિનો પાયો નાખ્યા અગાઉ તમારે સારુ તૈયાર કરેલું છે તેનો વારસો લો.

તેઓ ભોજન કરતા હતા ત્યારે ઈસુએ રોટલી લઈને, આશીર્વાદ માગીને ભાંગી અને શિષ્યોને આપીને કહ્યું કે, લો, ખાઓ, આ મારું શરીર છે. પછી ઈસુએ પ્યાલો લઈને સ્તુતિ કરીને તેઓને આપતાં કહ્યું કે, 'તમે બધા એમાંથી પીઓ.' કેમ કે એ નવા કરારનું મારું રક્ત છે, જે પાપોની માફીને અર્થે ઘણાંઓને માટે વહેવડાવવામાં આવે છે. હું તમને કહું છું કે, 'હું મારા બાપના રાજ્યમાં તમારી સાથે નવો દ્રાક્ષારસ નહિ પીઉં, તે દિવસ સુધી હું હવેથી તે પીનાર જ નથી.'

પછી ઈસુ તેઓને કહે છે કે, 'મારો જીવ મરવા જેવો ઘણો દુઃખી છે, તમે અહીં રહીને મારી સાથે જાગતા રહો.'

શું તું ધારે છે કે હું બાપની પાસે એવું નથી માગી શકતો કે તે હમણાં જ સૈન્યની બાર ટુકડીઓ કરતાં વધારે સ્વર્ગદૂતોને મારી પાસે મોકલી દે? તો શાસ્ત્રવચનોમાં જે લખેલું છે કે, 'એવું થવું જોઈએ, તે કેમ પૂરું થશે?'

પણ ઈસુ મૌન રહ્યા. ત્યારે પ્રમુખ યાજકે ઈસુને કહ્યું, 'હું તને જીવતા ઈશ્વરના સમ આપું છું કે, ઈશ્વરનો દીકરો જે ખ્રિસ્ત તે તું જ છે કે નહિ, એ અમને કહે.' ઈસુ તેને કહે છે કે, તેં જ કહ્યું, પરંતુ હું તમને કહું છું કે, હવે પછી તમે માણસના દીકરાને પરાક્રમના જમણાં હાથ પર બેઠેલા તથા આકાશનાં વાદળો પર આવતા નિહાળશો.

ત્યારે તેઓએ તેના મુખ પર થૂંકીને તેને મુક્કીઓ મારી; અને તેને થપ્પડો મારતાં કહ્યું કે, 'ઓ ખ્રિસ્ત, તને કોણે માર્યું એ અમને કહી બતાવ.'

અને ઈસુ રાજ્યપાલની આગળ ઊભા રહ્યા અને રાજ્યપાલે તેમને પૂછ્યું કહ્યું કે, 'શું તું યહૂદીઓનો રાજા છે?' ઈસુએ તેને કહ્યું કે, 'તું પોતે કહે છે.'

તેથી તેઓ એકઠા થયા પછી પિલાતે તેઓને કહ્યું કે, 'હું તમારે માટે કોને છોડી દઉં, તે વિષે તમારી શી મરજી છે? બરાબાસને, કે ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને?'

પિલાતે તેઓને કહ્યું છે કે, 'તો ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને હું શું કરું?' સઘળાંએ તેને કહ્યું કે, 'ઈસુને વધસ્તંભે જડાવો.'

પછી તેઓએ તેમના વસ્ત્રો ઉતારીને લાલ ઝભ્ભો પહેરાવ્યો. કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો, તેમના જમણાં હાથમાં સોટી આપી અને તેમની આગળ ઘૂંટણ ટેકીને તેમના ઠઠ્ઠામશ્કરી કરતાં કહ્યું કે, 'હે યહૂદીઓના રાજા, સલામ.' પછી તેઓ તેમના પર થૂંક્યાં અને સોટી લઈને તેમના માથામાં મારી. તેમની ઠઠ્ઠામશ્કરી કરી રહ્યા પછી તેઓએ તેમનો ઝભ્ભો ઉતારીને તેમના પોતાના જ વસ્ત્રો તેમને પહેરાવ્યાં અને વધસ્તંભે જડવાને તેઓ તેમને લઈ ગયા.

'ઈસુ જે યહૂદીઓનો રાજા, તે એ જ છે.' એવું તેમના વિરુધ્ધનું આરોપનામું તેમના માથાની ઉપર મુકાવ્યું.

તે જ રીતે મુખ્ય યાજકોએ પણ શાસ્ત્રીઓ તથા વડીલો સાથે ઠઠ્ઠામશ્કરી કરતાં કહ્યું કે, 'તેણે બીજાઓને બચાવ્યા, પણ તે પોતાને બચાવી નથી શક્તો; એ તો ઇઝરાયલનો રાજા છે, તે હમણાં જ વધસ્તંભ પરથી ઊતરી આવે, એટલે અમે તેના પર વિશ્વાસ કરીશું. તે ઈશ્વર પર ભરોસો રાખે છે, જો તે તેમને ચાહતો હોય તો હમણાં તેને છોડાવે; કેમ કે તેણે કહ્યું હતું કે, 'હું ઈશ્વરનો દીકરો છું.'

આશરે ત્રણ કલાકે ઈસુએ ઊંચા અવાજે બૂમ પાડતાં કહ્યું કે, 'એલી, એલી, લમા શબકથની,' એટલે, 'ઓ મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ મૂકી દીધો છે?'

પછી ઈસુએ બીજી વાર ઊંચે અવાજે બૂમ પાડીને પ્રાણ છોડ્યો. ત્યારે જુઓ, ભક્તિસ્થાનનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા, પૃથ્વી કાંપી, ખડકો ફાટ્યા, કબરો ઊઘડી ગઈ અને ઊંઘેલા સંતોનાં ઘણાં શરીર ઊઠ્યાં. અને ઈસુના મરણોત્થાન પછી તેઓ કબરોમાંથી નીકળીને પવિત્ર નગરમાં ગયા અને ઘણાંઓને દેખાયા. ત્યારે સૂબેદાર તથા તેની સાથે જેટલાં ઈસુની ચોકી કરતાં હતા, તેઓએ ધરતીકંપ તથા જે જે થયું, તે જોઈને બહુ ગભરાતા કહ્યું કે, 'ખરેખર એ ઈશ્વરના દીકરા હતા.'

ત્યારે જુઓ, મોટો ધરતીકંપ થયો, કેમ કે પ્રભુનો સ્વર્ગદૂત આકાશથી ઊતર્યો, અને પાસે આવીને કબર પર પથ્થરને ગબડાવીને તે પર બેઠો. તેનું રૂપ વીજળી જેવું, તેનું વસ્ત્ર બરફના જેવું ઊજળું હતું. તેની ધાકથી ચોકીદારો ધ્રૂજી ગયા અને મરણતોલ થઈ ગયા. ત્યારે સ્વર્ગદૂતે ઉત્તર દેતાં તે સ્ત્રીઓને કહ્યું, તમે બીશો નહિ, કેમ કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો, એ હું જાણું છું. જુઓ ઈસુ અહીં નથી, કેમ કે તેમણે જેમ કહ્યું હતું તેમ તે સજીવન થયા છે, તમે આવો, જ્યાં પ્રભુ સૂતા હતા તે જગ્યા જુઓ. વહેલા જઈને તેમના શિષ્યોને કહો કે, મૃત્યુમાંથી તે સજીવન થયા છે. જુઓ, તે તમારા અગાઉ ગાલીલમાં જાય છે, ત્યાં તમે તેમને દેખશો; જુઓ મેં તમને કહ્યું છે.

ત્યારે જુઓ, ઈસુએ તેઓને મળીને કહ્યું કે, 'કુશળતા.' તેઓએ પાસે આવીને તેમના પગ પકડ્યા, અને તેમનું ભજન કર્યું. ઈસુ તેઓને કહે છે, 'બીશો નહિ,' જાઓ, મારા ભાઈઓને કહો કે, તેઓ ગાલીલમાં જાય અને ત્યાં તેઓ મને દેખશે.

ઈસુએ પાસે આવીને તેઓને કહ્યું કે, 'સ્વર્ગ તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે.' એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો; પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. મેં તમને જે જે આજ્ઞા આપી તે સર્વ પાળવાનું તેઓને શીખવવું; અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.'

ઈશ્વરના દીકરા ઈસુ ખ્રિસ્તની આ સુવાર્તાની શરૂઆત;

હું પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું, પણ તે પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરશે.'

તે દિવસોમાં એમ થયું કે, ઈસુ ગાલીલના નાસરેથથી આવ્યા અને યર્દનમાં યોહાનથી બાપ્તિસ્મા પામ્યા; પછી તરત પાણીમાંથી બહાર આવતાં તેમણે સ્વર્ગો ખુલ્લાં થયેલા તથા પવિત્ર આત્માને કબૂતરની જેમ પોતાના પર ઊતરતા જોયા, અને સ્વર્ગોમાંથી વાણી થઈ કે, 'તું મારો વહાલો દીકરો છે, તારા પર હું પ્રસન્ન છું.' તરત આત્મા તેમને અરણ્યમાં લઈ ગયા; અરણ્યમાં ચાળીસ દિવસ સુધી શેતાનથી તેમનું પરીક્ષણ થયું; ત્યાં જંગલી પશુઓ સાથે તેઓ હતા; અને સ્વર્ગદૂતોએ તેમની સેવા કરી.

તેઓ કપરનાહૂમમાં ગયા; અને તરત, વિશ્રામવારે સભાસ્થાનમાં જઈને ઈસુએ બોધ આપ્યો. લોકો તેમના બોધથી આશ્ચર્ય પામ્યા; કેમ કે તેમણે તેઓને શાસ્ત્રીઓની જેમ નહિ, પણ જેને અધિકાર હોય છે તેની માફક બોધ કર્યો. તે જ સમયે તેઓના સભાસ્થાનમાં અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ હતો. તેણે બૂમ પાડીને કહ્યું કે, 'અરે, નાસરેથના ઈસુ, અમારે અને તમારે શું છે? શું તમે અમારો નાશ કરવા આવ્યા છો? તમે કોણ છો, એ હું જાણું છું, એટલે ઈશ્વરના પવિત્ર.' ઈસુએ તેને ધમકાવતાં કહ્યું કે, 'ચૂપ રહે, અને તેનામાંથી નીકળી જા'. અશુદ્ધ આત્મા તેને મરડી નાખીને તથા મોટી બૂમ પાડીને તેનામાંથી નીકળી ગયો. બધા એવા અચરત થયા કે તેઓ અંદરોઅંદર પૂછવા લાગ્યા કે, 'આ શું છે? આ તો નવો બોધ છે! કેમ કે અધિકારથી તેઓ અશુદ્ધ આત્માઓને પણ આજ્ઞા કરે છે અને તેઓ તેમનું માને છે.' તરત તેમની કીર્તિ આખા ગાલીલ પ્રાંતમાં ફેલાઈ ગઈ.

ઘણાં જેઓ વિવિધ પ્રકારના રોગથી પીડાતાં હતાં તેઓને તેમણે સાજાં કર્યાં; ઘણાં દુષ્ટાત્માઓને કાઢ્યાં. દુષ્ટાત્માઓ તેમને ઓળખતા હતા માટે તેમણે તેઓને બોલવા દીધાં નહિ.

પણ તે ત્યાંથી જઈને એ બિના એટલી બધી પ્રગટ કરવા તથા ફેલાવવા લાગ્યો, કે ઈસુ ફરી શહેરમાં ઉઘાડી રીતે જઈ ન શક્યા, પણ બહાર ઉજ્જડ જગ્યાઓમાં રહ્યા અને ચારેબાજુથી લોકો તેમની પાસે આવ્યા.

જે જે ગામો, શહેરો કે પરાંઓમાં ઈસુ ગયા, ત્યાં તેઓએ માંદાઓને ચોકમાં રાખ્યા અને તેમને વિનંતી કરી કે, 'તેઓને માત્ર તમારા વસ્ત્રની કોરને અડકવા દો;' જેટલાંએ તેમને સ્પર્શ કર્યો તેઓ સાજાં થયા.

ઈસુએ તેઓને પૂછ્યું, 'પણ હું કોણ છું, એ વિષે તમે શું કહો છો?' પિતરે જવાબ આપતાં તેમને કહ્યું કે, 'તમે તો ખ્રિસ્ત છો.'

ઈસુ તેઓને શીખવવા લાગ્યા કે, 'માણસના દીકરાએ ઘણું સહેવું, અને વડીલોથી તથા મુખ્ય યાજકોથી તથા શાસ્ત્રીઓથી નાપસંદ થવું, માર્યા જવું અને ત્રણ દિવસ પછી પાછા ઊઠવું એ જરૂરી છે.'

કેમ કે ઈસુ પોતાના શિષ્યોને શીખવતા અને તેઓને કહેતાં કે, 'માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે અને તેઓ તેને મારી નાખશે. મારી નંખાયા પછી તે ત્રીજે દિવસે પાછો ઊઠશે.'

યરુશાલેમની તરફ ઢાળ ચઢતાં તેઓ માર્ગમાં હતા. ઈસુ તેઓની આગળ ચાલતા હતા; તેઓ આશ્ચર્ય પામ્યા અને તેમની પાછળ અનુસરનારા ડરી ગયા. તે ફરીથી બાર શિષ્યોને પાસે બોલાવીને પોતાના પર જે વીતવાનું હતું તે તેઓને કહેવા લાગ્યા કે, 'જુઓ, આપણે યરુશાલેમમાં જઈએ છીએ; માણસનો દીકરો મુખ્ય યાજકોને તથા શાસ્ત્રીઓને સોંપાશે અને તેઓ તેના પર મૃત્યુદંડ ઠરાવશે અને તેને વિદેશીઓને સોંપશે; તેઓ તેની મશ્કરી કરશે, તેના પર થૂંકશે, તેને કોરડા મારશે, અને મારી નાખશે અને ત્રીજે દિવસે તે પાછો ઊઠશે.'

કેમ કે માણસનો દીકરો સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને, તથા ઘણાંનાં મુક્તિમૂલ્યને સારુ પોતાનો જીવ આપવાને આવ્યો છે.'

તેઓ યરુશાલેમમાં આવ્યા. ત્યારે તે ભક્તિસ્થાનમાં ગયા. તેમાંથી વેચનારાઓને તથા ખરીદનારાઓને નસાડી મૂકવા લાગ્યા; તેમણે નાણાવટીઓનાં બાજઠ તથા કબૂતર વેચનારાઓનાં આસનો ઊંધા વાળ્યાં. અને કોઈને પણ ભક્તિસ્થાનમાં માલસામાન લાવવા દીધો નહિ. તેઓને બોધ કરતાં ઈસુએ કહ્યું કે, 'શું એમ લખેલું નથી કે, મારું ઘર સર્વ દેશનાઓને સારું પ્રાર્થનાનું ઘર કહેવાશે? પણ તમે તો તેને લૂંટારાઓનું કોતર કર્યું છે.' મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓએ તે સાંભળ્યું અને ઈસુને શી રીતે મારી નાખવા તે વિષે તક શોધવા લાગ્યા, કેમ કે તેઓ ડરી ગયા હતા, કારણ કે લોકો તેમના ઉપદેશથી નવાઈ પામ્યા હતા.

ભક્તિસ્થાનમાં બોધ કરતાં ઈસુએ કહ્યું કે, 'શાસ્ત્રીઓ કેમ કહે છે કે, ખ્રિસ્ત દાઉદનો દીકરો છે?

મારા નામને લીધે બધા તમારો દ્વેષ કરશે; પણ જે અંત સુધી ટકશે તે જ ઉદ્ધાર પામશે.

ત્યારે તેઓ માણસના દીકરાને ભરપૂર પરાક્રમ તથા મહિમાસહિત વાદળામાં આવતા જોશે.

આકાશ તથા પૃથ્વી નાશ પામશે, પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહિ.

તેઓ જમતા હતા, ત્યારે ઈસુએ રોટલી લઈને આશીર્વાદ માગીને ભાંગી અને તેઓને આપી; અને કહ્યું કે, 'લો, આ મારું શરીર છે.' પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને તેમણે તેઓને આપ્યો; અને બધાએ તેમાંથી પીધું. ઈસુએ તેઓને કહ્યું કે, નવા કરારનું આ મારું રક્ત છે, જે ઘણાંને માટે વહેવડાવેલું આવ્યું છે.

પણ ઈસુ મૌન રહ્યા. તેમણે કશો જવાબ ન આપ્યો. ફરી પ્રમુખ યાજકે તેમને પૂછ્યું કે, 'શું તું સ્તુતિમાનનો દીકરો ખ્રિસ્ત છે?' ઈસુએ કહ્યું કે, 'હું છું; તમે માણસના દીકરાને પરાક્રમનાં જમણા હાથ તરફ બેઠેલા તથા આકાશનાં વાદળાંપર આવતા જોશો.

પિલાતે ઈસુને પૂછ્યું કે, 'શું તું યહૂદીઓનો રાજા છે?' તેમણે જવાબ આપતાં તેને કહ્યું કે, 'તું કહે છે તે જ હું છું.'

તેઓએ તેમને જાંબુડિયો ઝભ્ભો પહેરાવ્યો અને કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો; અને 'હે યહૂદીઓના રાજા, સલામ!' એમ કહીને મશ્કરીમાં તેમને નમસ્કાર કરવા લાગ્યા. તેઓએ તેમના માથામાં સોટી મારી, ઈસુના પર થૂંક્યાં અને ઘૂંટણ ટેકીને તેમની આગળ નમ્યાં. તેમની મશ્કરી કરી રહ્યા પછી તેઓએ તેમના અંગ પરથી જાંબુડિયો ઝભ્ભો ઉતારી લીધો અને તેમના પોતાનાં વસ્ત્રો તેમને પહેરાવ્યાં; પછી વધસ્તંભે જડવા સારુ તેમને લઈ જવામાં આવ્યા.

તેના ઉપર ઈસુનું એવું તહોમતનામું લખ્યું હતું કે "યહૂદીઓનો રાજા." ઈસુની સાથે તેઓએ બે ચોરોને વધસ્તંભે જડ્યાં, એકને તેમની જમણી તરફ અને બીજાને ડાબી તરફ. "તે અપરાધીઓમાં ગણાયો," એવું જે શાસ્ત્રવચન હતું તે પૂરું થયું.

ઇઝરાયલના રાજા, ખ્રિસ્ત, હમણાં જ વધસ્તંભ પરથી ઊતરી આવ, કે અમે જોઈને વિશ્વાસ કરીએ.' વળી જેઓ ઈસુની સાથે વધસ્તંભે જડાયેલા હતા તેઓએ પણ તેમની નિંદા કરી.

બપોરે લગભગ ત્રણ વાગ્યે ઈસુએ મોટે ઘાંટે બૂમ પાડી કે, 'એલોઈ, એલોઈ લમા શબક્થની, એટલે, મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ મૂકી દીધો છે?'

ઈસુએ મોટી બૂમ પાડીને પ્રાણ છોડ્યો. ભક્તિસ્થાનનો પડદો ઉપરથી નીચે સુધી ચિરાઈને તેના બે ભાગ થયા. જે સૂબેદાર તેમની સામે ઊભો હતો, તેણે જયારે જોયું કે તેમણે આવી રીતે પ્રાણ છોડ્યો, ત્યારે તેણે કહ્યું કે, 'ખરેખર આ માણસ ઈશ્વરના દીકરા હતા.'

તેઓએ કબરમાં પ્રવેશીને સફેદ ઝભ્ભો પહેરેલા, જમણી તરફ બેઠેલા, એક જુવાન માણસને જોયો. તેથી તેઓ ગભરાઈ ગઈ. પણ તે તેઓને કહે છે કે, 'ગભરાશો નહિ; વધસ્તંભે જડાયેલા નાસરેથના ઈસુને તમે શોધો છો; તે ઊઠ્યાં છે; તે અહીં નથી; જુઓ, જે જગ્યાએ તેમને દફનાવ્યાં હતા તે આ છે. પણ જાઓ, અને તેમના શિષ્યોને, અને ખાસ કરીને પિતરને કહો કે તેઓ તમારી આગળ ગાલીલમાં જાય છે, જેમ તેમણે તમને કહ્યું હતું તેમ. તમે તેમને ત્યાં જોશો.' તેઓ બહાર નીકળીને કબરની પાસેથી દોડી ગઈ; કેમ કે તેઓને સાચે ભય તથા આશ્ચર્ય લાગ્યું હતું; અને તેઓએ કોઈને કંઈ કહ્યું નહિ; કેમ કે તેઓ ડરતી હતી.

પ્રભુ ઈસુ તેઓની સાથે બોલી રહ્યા પછી સ્વર્ગમાં લઈ લેવાયા અને ઈશ્વરને જમણે હાથે બિરાજ્યા. તેઓએ ત્યાંથી જઈને બધે સ્થળે સુવાર્તા પ્રગટ કરી; અને પ્રભુ તેઓના કામમાં તેઓને સહાય કરતા અને તેઓને હાથે થયેલા ચમત્કારિક ચિહ્નોથી સુવાર્તાની સત્યતા સાબિત કરતા હતા. આમીન.

જો, તને ગર્ભ રહેશે, તને દીકરો થશે, અને તું તેમનું નામ ઈસુ પાડશે. તે મોટા થશે અને પરાત્પર ઈશ્વરના દીકરા કહેવાશે; અને ઈશ્વર પ્રભુ તેમને તેમના પિતા દાઉદનું રાજ્યાસન આપશે. તે યાકૂબના વંશજો પર સર્વકાળ રાજ્ય કરશે, અને તેમના રાજ્યનો અંત આવશે નહિ.'

મરિયમે સ્વર્ગદૂતને કહ્યું કે, 'એ કેમ કરીને થશે? કેમ કે હું કુંવારી છું, અને હું કોઈ પુરુષ સાથે સંબંધમાં આવી નથી.' સ્વર્ગદૂતે તેને ઉત્તર આપ્યો કે, 'પવિત્ર આત્મા તારા પર આવશે, અને પરાત્પર ઈશ્વરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે; માટે જે તારાથી જન્મ લેશે તેને પવિત્ર ઈશ્વરનો દીકરો કહેવાશે.

અને તેણે પોતાના પ્રથમ દીકરાને જન્મ આપ્યો; તેને કપડાંમાં લપેટીને ગભાણમાં સુવડાવ્યો, કારણ કે તેઓને સારુ ધર્મશાળામાં કંઈ જગ્યા નહોતી.

કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારુ એક ઉદ્ધારક, એટલે ખ્રિસ્ત પ્રભુ જનમ્યાં છે. તમારે માટે એ નિશાની છે કે, તમે એક બાળકને કપડાંમાં લપેટેલું તથા ગભાણમાં સૂતેલું જોશો.' પછી એકાએક સ્વર્ગદૂતની સાથે આકાશના બીજા સ્વર્ગદૂતોનો સમુદાય પ્રગટ થયો; તેઓ ઈશ્વરની સ્તુતિ કરીને કહેતાં હતા કે, 'સ્વર્ગમાં ઈશ્વરને મહિમા, તથા પૃથ્વી પર જે માણસો વિષે તે પ્રસન્ન છે, તેઓ મધ્યે શાંતિ થાઓ.'

શિમયોને તેઓને આશીર્વાદ આપ્યો, અને તેમની મા મરિયમને કહ્યું કે, 'જો, આ બાળક ઇઝરાયલમાંનાં ઘણાંનાં પડવા, તથા પાછા ઊઠવા સારુ, તથા જેની વિરુદ્ધ વાંધા લેવામાં આવે તેની નિશાની થવા સારુ ઠરાવેલો છે. હા, તારા પોતાના જીવને તરવાર વીંધી નાખશે; એ માટે કે ઘણાં મનોની કલ્પના પ્રગટ થાય.'

સર્વ લોક બાપ્તિસ્મા પામ્યા પછી ઈસુ પણ બાપ્તિસ્મા પામીને પ્રાર્થના કરતા હતા, એટલામાં સ્વર્ગો ઊઘડી ગયાં; અને પવિત્ર આત્મા કબૂતરનાં રૂપે તેમના પર ઊતર્યા; અને સ્વર્ગમાંથી એવી વાણી થઈ કે, 'તું મારો વહાલો દીકરો છે, તારા પર હું પ્રસન્ન છું.'

ઈસુ આત્માને પરાક્રમે ગાલીલમાં પાછા આવ્યા, અને તેમના વિષેની વાતો આસપાસ આખા દેશમાં ફેલાઈ ગઈ. અને તેમણે તેઓનાં સભાસ્થાનોમાં બોધ કર્યો, અને બધાથી માન પામ્યા.

યશાયા પ્રબોધકનું પુસ્તક તેમને આપવામાં આવ્યું, તેમણે તે ઉઘાડીને, જ્યાં નીચે દર્શાવ્યાં પ્રમાણે લખ્યું છે તેનું વાચન કર્યુ કે, 'પ્રભુનો આત્મા મારા પર છે, કેમ કે દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરવા સારુ ઈશ્વરે મારો અભિષેક કર્યો છે; બંદીવાનોને છુટકારો તથા દ્રષ્ટિહીનોને દ્વષ્ટિ આપવાનું જાહેર કરવા, પીડિતોને છોડાવવાં તથા પ્રભુનું માન્ય વર્ષ પ્રગટ કરવા સારુ ઈશ્વરે મને મોકલ્યો છે.' પછી તેમણે પુસ્તક બંધ કર્યુ, સેવકને પાછું આપીને બેસી ગયા, પછી સભાસ્થાનમાં બધા ઈસુને એક નજરે જોઈ રહયા. ઈસુ તેઓને કહેવા લાગ્યા કે, 'આજે આ શાસ્ત્રવચન તમારા સાંભળતાં પૂરું થયું છે.'

ત્યારે તેઓ તેમના બોધથી આશ્ચર્ય પામ્યા, કેમ કે તેઓ અધિકારથી બોલ્યા. ત્યાં દુષ્ટાત્મા વળગેલો એક માણસ હતો, તેણે મોટે ઘાંટે કહ્યું કે, 'અરે, ઈસુ નાઝીરી, તમારે અને અમારે શું છે? શું તમે અમારો નાશ કરવા આવ્યા છો? તમે કોણ છો તે હું જાણું છું, એટલે ઈશ્વરના પવિત્ર!' ઈસુએ તેને ધમકાવીને કહ્યું કે, 'ચૂપ રહે, અને તેનામાંથી નીકળ'. દુષ્ટાત્મા તેને લોકોની વચમાં પાડી નાખીને તેને કંઈ નુકસાન કર્યા વિના નીકળી ગયો. બધાને આશ્ચર્ય લાગ્યું, અને તેઓએ એકબીજાને કહ્યું કે, 'આ કેવાં શબ્દો છે! કેમ કે તે અધિકાર તથા પરાક્રમસહિત અશુદ્ધ આત્માઓને હુકમ કરે છે, ને તેઓ નીકળી જાય છે?'

ઘણાંઓમાંથી દુષ્ટાત્માઓ નીકળી ગયા, અને ઘાંટો પાડીને કહેતાં હતા કે, 'તમે ઈશ્વરના દીકરા છો!' તેમણે તેઓને ધમકાવ્યાં, અને બોલવા દીધાં નહિ, કેમ કે તેઓ જાણતા હતા કે, 'તે ખ્રિસ્ત છે.'

ઉપદેશ સમાપ્ત કર્યા પછી ઈસુએ સિમોનને કહ્યું કે, 'હોડીને ઊંડા પાણીમાં જવા દો, અને માછલાં પકડવા સારુ તમારી જાળો નાખો.' સિમોને ઉત્તર આપ્યો કે, 'ગુરુ, અમે આખી રાત મહેનત કરી, પણ કશું પકડાયું નહિ, તોપણ તમારા કહેવાથી હું જાળ નાખીશ.' તેઓએ જાળ નાખી તો માછલાંનો મોટો જથ્થો પકડાયો અને તેઓની જાળ તૂટવા લાગી. તેઓના ભાગીદાર બીજી હોડીમાં હતા તેઓને તેઓએ ઇશારો કર્યો કે, તેઓ આવીને તેમને મદદ કરે; અને તેઓએ આવીને બન્ને હોડીઓ માછલાંથી એવી ભરી કે તેઓની હોડીઓ ડૂબવા લાગી. તે જોઈને સિમોન પિતરે ઈસુના પગ આગળ પડીને કહ્યું કે, 'ઓ પ્રભુ, મારી પાસેથી જાઓ. કેમ કે હું પાપી માણસ છું.'

ઈસુએ તેઓના વિચાર જાણીને તેઓને જવાબ આપ્યો કે, 'તમે પોતાના મનમાં શા પ્રશ્નો કરો છો?

જયારે માણસના દીકરાને લીધે લોકો તમારો દ્વેષ કરશે તમને બહાર કાઢશે, તમને મહેણાં મારશે, તમારું અપમાન કરશે, તમારા નામને કલંકિત માનીને તમને કાઢી મૂકશે, ત્યારે તમે આશીર્વાદિત છો.

ઈસુએ તેઓને કહ્યું કે, 'પણ હું કોણ છું તે વિષે તમે શું કહો છો?' પિતરે ઉત્તર આપતા કહ્યું કે, 'ઈશ્વરના ખ્રિસ્ત.' પણ ઈસુએ તેઓને કડક આજ્ઞા આપી કે, 'એ વાત કોઈને કહેશો નહિ.' વળી, ઈસુએ તેઓને કહ્યું કે, 'માણસના દીકરાને ઘણું દુ:ખ સહેવું, વડીલોથી તથા મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓથી નાપસંદ થવું, મરવું, અને ત્રીજે દિવસે પાછા સજીવન થવું આવશ્યક છે.'

મારા ઈશ્વરપિતાએ મને સઘળું સોંપ્યું છે; દીકરો કોણ છે, એ ઈશ્વરપિતા વિના કોઈ જાણતું નથી; ને ઈશ્વરપિતા કોણ છે, એ દીકરા વિના તથા જેને દીકરો પ્રગટ કરવા ચાહે તેમના વિના બીજો કોઈ જાણતું નથી.'

હું તમને કહું છું કે, માણસોની આગળ જે કોઈ મને કબૂલ કરશે તેને ઈશ્વરના સ્વર્ગદૂતો આગળ માણસનો દીકરો પણ કબૂલ કરશે. પણ માણસોની આગળ જે કોઈ મારો નકાર કરશે તેનો નકાર ઈશ્વરના સ્વર્ગદૂતોની આગળ કરવામાં આવશે.

ઈસુએ બારે શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે,' જુઓ, આપણે યરુશાલેમ જઈએ છીએ, અને માણસના દીકરા સંબંધી પ્રબોધકોથી જે લખાયું છે તે સર્વ પૂરું કરાશે. કેમ કે તેમને બિનયહૂદીઓને આધીન કરાશે, અને તેમની મશ્કરી તથા અપમાન કરાશે, અને તેમના પર તેઓ થૂંકશે; વળી કોરડા મારીને તેઓ તેમને મારી નાખશે, અને ત્રીજે દિવસે તે પાછા સજીવન થશે.'

કેમ કે જે ખોવાયું છે તેને શોધવા તથા ઉદ્ધાર કરવા સારુ માણસનો દીકરો આવ્યો છે.'

ઈસુ ભક્તિસ્થાનમાં ગયા અને ત્યાંનાં દુકાનદારોને અંદરથી કાઢી મૂક્યાં.' તેણે તેઓને કહ્યું કે, એમ લખ્યું છે કે, 'મારું ઘર પ્રાર્થનાનું ઘર થશે, પણ તમે તેને લૂંટારાઓનું કોતર કર્યું છે.' ઈસુ રોજ ભક્તિસ્થાનમાં બોધ કરતા હતા, પણ મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ તથા લોકોના આગેવાનો તેમને મારી નાખવાની કોશિશ કરતા હતા; શું કરવું તે તેઓને સમજાયું નહિ; કેમ કે બધા લોકો એક ચિત્તે ઈસુને સાંભળતાં હતા.

પણ ઈસુએ તેઓની તરફ જોઈને કહ્યું, કે 'આ જે લખેલું છે તેનો અર્થ શો છે?, એટલે, જે પથ્થરનો બાંધનારાઓએ નકાર કર્યો તે ખૂણાનો મુખ્ય પથ્થર (કોણશિલા) થયો. તે પથ્થર પર જે કોઈ પડશે તેના ટુકડેટુકડાં થઈ જશે, પણ જેનાં પર તે પડશે તેનો તે છુંદો કરી નાખશે.'

મારા નામને લીધે સઘળા તમારો દ્વેષ કરશે.

ત્યારે તેઓ માણસના દીકરાને પરાક્રમ તથા મહામહિમાસહિત વાદળામાં આવતા જોશે.

આકાશ તથા પૃથ્વી નાશ પામશે, પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહિ.

પછી ઈસુએ રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી, અને તેઓને આપીને કહ્યું કે, 'આ મારું શરીર છે જે તમારે સારુ આપવામાં આવે છે, મારી યાદગીરીમાં આ કરો.' તે પ્રમાણે ભોજન કર્યા પછી તેમણે પ્યાલો લઈને કહ્યું કે, 'આ પ્યાલો તમારે સારુ વહેવડાવેલા મારા રક્તમાંનો નવો કરાર છે.

પણ મારી કપરી કસોટીઓમાં મારી સાથે રહેનાર તમે થયા છો. જેમ મારા પિતાએ મને રાજ્ય ઠરાવી આપ્યું, તેમ હું તમને રાજ્ય ઠરાવી આપું છું; કે તમે મારા રાજ્યમાં મારી મેજ પર ખાઓ અને પીઓ; અને તમે ઇઝરાયલનાં બાર કુળોનો ન્યાય કરતાં રાજ્યાસનો પર બિરાજો.'

તેમણે વેદના સાથે વિશેષ આગ્રહથી પ્રાર્થના કરી, અને તેમનો પરસેવો જમીન પર પડતાં લોહીનાં ટીપાં જેવો થયો.

પણ હવે પછી માણસનો દીકરો ઈશ્વરના પરાક્રમને જમણે હાથે બિરાજશે." લોકોએ કહ્યું, "તો શું, તમે ઈશ્વરના દીકરા છો?" તેમણે તેઓને કહ્યું કે, "તમે કહો છો તે મુજબ હું તે છું."

અને પિલાતે ઈસુને પૂછ્યું, 'શું તું યહૂદીઓના રાજા છે?' અને તેમણે તેનો ઉત્તર આપતા કહ્યું, 'તમે કહો છો તે બરાબર છે.'

ખોપરી નામની જગ્યાએ તેઓ આવ્યા, ત્યારે તેઓએ ત્યાં તેમને તથા ગુનેગારોમાંના એકને જમણી તરફ, અને બીજાને ડાબી તરફ, વધસ્તંભે જડ્યાં. ઈસુએ કહ્યું, 'હે પિતા, તેઓને માફ કરો, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી.' ચિઠ્ઠીઓ નાખીને તેઓએ તેમના વસ્ત્ર અંદરોઅંદર વહેંચી લીધા.

તેમના ઉપર એવો લેખ પણ લખેલો હતો કે, 'આ યહૂદીઓના રાજા છે.'

તેણે કહ્યું કે, 'હે ઈસુ, તમે તમારા રાજ્યમાં આવો ત્યારે મને યાદ કરજો.' ઈસુએ તેને કહ્યું કે, હું તને નિશ્ચે કહું છું કે,' આજ તું મારી સાથે પારાદૈસમાં હોઈશ.'

હમણાં લગભગ બપોર થઈ હતી, અને ત્રીજા પહોર સુધી સૂર્યનું તેજ ઘેરાઈ જવાથી આખા દેશમાં અંધારપટ છવાયો. વળી ભક્તિસ્થાનનો પડદો વચમાંથી ફાટી ગયો. ઈસુએ મોટી બૂમ પાડી, અને કહ્યું કે,' ઓ પિતા, હું મારો આત્મા આપના હાથમાં સોંપું છું;' તેમણે એમ કહીને પ્રાણ છોડ્યો.

એમ થયું કે, એ સંબંધી તેઓ ગૂંચવણમાં પડી હતી, ત્યારે ચળકતાં વસ્ત્ર પહેરેલા બે પુરુષો તેઓને દેખાયા. તેઓએ ડરીને જમીન સુધી પોતાનાં માથાં નમાવ્યાં, ત્યારે તેઓએ તેઓને કહ્યું કે, 'મૂએલાંઓમાં જીવતાંને કેમ શોધો છો? તે અહીં નથી, પણ ઊઠયા છે; યાદ કરો કે તે ગાલીલમાં હતા,

મૂસા (ના નિયમશાસ્ત્રથી) તથા સઘળા પ્રબોધકોથી માંડીને તેમણે બધા પવિત્રશાસ્ત્રમાંથી પોતાના સંબંધીની વાતોનો ખુલાસો કરી બતાવ્યો.

ઈસુએ તેઓને કહ્યું કે, 'હું તમારી સાથે હતો, ત્યારે મેં એ વાતો તમને કહી હતી કે, જે મોઝિસના નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકોના પુસ્તકોમાં તથા ગીતશાસ્ત્રમાં મારા સંબંધી લખ્યું છે તે બધું પૂરું થવું જોઈએ.' ત્યારે પવિત્રશાસ્ત્ર સમજવા સારુ ઈસુએ તેઓનાં મન ખોલ્યાં. ઈસુએ તેઓને કહ્યું કે, 'એમ લખ્યું છે, કે ખ્રિસ્તે દુઃખ સહન કરવું, અને ત્રીજે દિવસે મૂએલાંઓમાંથી પાછા ઊઠવું જોઈએ; યરુશાલેમથી માંડીને સઘળી પ્રજાઓને તેમના નામમાં પસ્તાવો તથા પાપોની માફી પ્રગટ કરાવાં જોઈએ.

એમ થયું કે ઈસુ તેઓને આશીર્વાદ આપતા હતા એટલામાં તે તેઓથી છૂટા પડ્યા, અને સ્વર્ગમાં લઈ લેવાયા. તેમનું ભજન કરીને તેઓ બહુ આનંદ કરતા યરુશાલેમમાં પાછા વળ્યા.

પ્રારંભમાં શબ્દ હતા. તે ઈશ્વરની સાથે હતા. તે (ઈસુ) ઈશ્વર હતા. તે જ પ્રારંભમાં ઈશ્વરની સાથે હતા. તેમણે સઘળું ઉત્પન્ન કર્યું; એટલે જે કંઈ ઉત્પન્ન થયું તે તેમના વિના થયું નહિ.

તેઓ દુનિયામાં હતા અને દુનિયાને તેમણે ઉત્પન્ન કરી હતી અને મનુષ્યોએ તેમને ઓળખ્યા નહિ. તે પોતાના લોકોની પાસે આવ્યા, પણ તેમણે તેમનો અંગીકાર કર્યો નહિ. છતાં જેટલાંએ તેમનો અંગીકાર કર્યો, એટલે જેટલાં તેમના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાંને તેમણે ઈશ્વરનાં સંતાન થવાનો અધિકાર આપ્યો. તેઓ લોહીથી નહિ કે, દેહની ઇચ્છાથી નહિ કે, મનુષ્યની ઇચ્છાથી નહિ, પણ ઈશ્વરથી જન્મ પામ્યા. અને શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યા અને પિતાના એકનાએક પુત્રના મહિમા જેવો તેમનો મહિમા અમે જોયો; તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતા.

નિયમશાસ્ત્ર મૂસા દ્વારા આપવામાં આવ્યું; પણ કૃપા તથા સત્યતા ઈસુ ખ્રિસ્ત દ્વારા આવ્યાં.

બીજે દિવસે તે પોતાની પાસે ઈસુને આવતા જોઈને કહે છે કે, "જુઓ, ઈશ્વરનું હલવાન, જે માનવજગતનું પાપ દૂર કરે છે!

તેણે ઈસુને ચાલતા જોઈને કહ્યું કે, 'જુઓ, ઈશ્વરનું હલવાન!'

તેણે પ્રથમ પોતાના ભાઈ સિમોનને મળીને કહ્યું કે, 'મસીહ એટલે ખ્રિસ્ત અમને મળ્યા છે.'

નથાનિયેલે તેમને જવાબ આપ્યો, 'ગુરુજી, તમે ઈશ્વરના દીકરા છો; તમે ઇઝરાયલના રાજા છો.'

હવે યહૂદીઓની શુદ્ધિકરણની રીત પ્રમાણે દરેકમાં ચાળીસ લીટર પાણી ભરાય એવાં પથ્થરના છ કૂંડાં ત્યાં મૂકેલાં હતાં. ઈસુએ તેઓને કહ્યું, 'તે કુંડાંઓમાં પાણી ભરો.' એટલે તેઓએ કુંડાંને છલોછલ ભર્યાં. પછી ઈસુએ તેઓને કહ્યું કે, 'હવે કાઢીને જમણનાં કારભારી પાસે લઈ જાઓ.' અને તેઓ લઈ ગયા. જયારે જમણનાં કારભારીએ પાણીનો બનેલો દ્રાક્ષારસ ચાખ્યો, પણ તે ક્યાંથી આવ્યો એ તે જાણતો ન હતો (પણ જે ચાકરોએ પાણી ભર્યું હતું તેઓ જાણતા હતા), ત્યારે જમણનાં કારભારીએ વરને બોલાવીને, કહ્યું, 'દરેક માણસ પહેલાં ઉત્તમ દ્રાક્ષારસ પીરસે છે; અને માણસોએ તે સારી રીતે પીધા પછી સામાન્ય દ્રાક્ષારસ પીરસે છે. પણ તમે અત્યાર સુધી ઉત્તમ દ્રાક્ષારસ રાખી મૂક્યો છે.'

ત્યારે ઈસુએ દોરીઓનો કોરડો બનાવીને તે સર્વને, ઘેટાં, બળદ સહિત, ભક્તિસ્થાનમાંથી કાઢી મૂક્યાં; નાણાવટીઓનાં નાણાં વેરી નાખ્યાં અને આસનો ઊંધા વાળ્યાં; કબૂતર વેચનારાઓને પણ તેમણે કહ્યું કે, 'આ બધું અહીંથી લઈ જાઓ; મારા પિતાના ઘરને વેપારનું ઘર ન બનાવો.' તેમના શિષ્યોને યાદ આવ્યું કે એમ લખેલું છે કે, 'તારા ઘરનો ઉત્સાહ મને કોરી ખાય છે.' તેથી યહૂદીઓએ તેમને પૂછ્યું કે, 'તું આ કામો કરે છે, તો અમને કયું ચમત્કારિક ચિહ્ન બતાવીશ?' ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, 'આ ભક્તિસ્થાનને તોડી પાડો અને ત્રણ દિવસમાં હું તેને ઊભું કરીશ.'

જો મેં તમને પૃથ્વી પરની વાતો કહી, છતાં તમે વિશ્વાસ કરતા નથી, તો હું તમને સ્વર્ગમાંની વાતો કહું તો તમે કેવી રીતે વિશ્વાસ કરશો? સ્વર્ગમાંથી ઊતરેલો માણસનો દીકરો જે સ્વર્ગમાં છે તેમના સિવાય સ્વર્ગમાં કોઈ ઊંચે ગયું નથી. જેમ મૂસાએ અરણ્યમાં સર્પને ઊંચો કર્યો, તેમ માણસના દીકરા ઈસુને ઊંચા કરાવાની જરૂર છે; જેથી જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તે અનંતજીવન પામે. કેમ કે ઈશ્વરે માનવજગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપ્યો, એ સારુ કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંતજીવન પામે. કેમ કે માનવજગતને દોષિત ઠરાવવા માટે નહિ, પણ તેમનાંથી માનવજગતનો ઉદ્ધાર થાય, માટે ઈશ્વરે પોતાના દીકરા ઈસુને દુનિયામાં મોકલ્યા છે. તેમના પર જે વિશ્વાસ કરે છે, તે અપરાધી ઠરતો નથી; પણ જે વિશ્વાસ નથી કરતો, તે અપરાધી ગણાઈ ચૂક્યો છે, કેમ કે ઈશ્વરના એકનાએક દીકરા ઈસુના નામ પર તેણે વિશ્વાસ કર્યો નથી.

જે સ્વર્ગમાંથી આવ્યા છે તે સર્વોપરી છે; જે પૃથ્વીનો છે તે ઐહિક છે તે પૃથ્વીની વાતો કરે છે; જે સ્વર્ગમાંથી આવ્યા છે તે સર્વની ઉપર છે.

પિતા દીકરા પર પ્રેમ કરે છે, અને તેમણે સર્વસ્વ તેમના હાથમાં સોંપ્યું છે. દીકરા પર જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; પણ દીકરા વિષે ન સમજનાર જીવન નહિ જોશે, પણ તેના પર ઈશ્વરનો કોપ રહે છે.'

ઈસુએ તેને કહ્યું કે, 'જે કોઈ આ પાણી પીએ તેને ફરી તરસ લાગશે; પણ જે પાણી હું આપીશ, તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહિ. પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે, તે ઝરો અનંતજીવન સુધી ઝર્યા કરશે.'

સ્ત્રીએ તેમને કહ્યું કે 'મસીહ (જે ખ્રિસ્ત કહેવાય છે તે) આવે છે, એ હું જાણું છું; તે આવશે ત્યારે તે આપણને બધું કહી બતાવશે.' ઈસુએ કહ્યું કે, 'તારી સાથે જે બોલે છે તે હું છું.'

તે માટે ઈસુને મારી નાખવા યહૂદીઓએ વિશેષ પ્રયત્ન કર્યો; કેમ કે ઈસુએ વિશ્રામવારનો ભંગ કર્યો એટલું જ નહિ, પણ ઈશ્વરને પોતાના પિતા કહીને પોતાને ઈશ્વર સમાન કર્યા. ત્યારે ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, 'હું તમને ખરેખર કહું છું કે, દીકરો પિતાને જે કંઈ કરતા જુએ છે તે સિવાય પોતે અન્ય કંઈ કરી નથી શકતો; કેમ કે તે જે જે કરે છે તે તે દીકરો પણ કરે છે. કેમ કે પિતા દીકરા પર પ્રેમ કરે છે અને પોતે જે કંઈ કરે છે તે બધું તે તેને બતાવે છે; અને તે તેને એ કરતાં મોટાં કામ બતાવશે, એ માટે કે તમે આશ્ચર્ય પામો. કેમ કે જે પિતા મૃત્યુ પામેલાઓને સજીવન કરે છે, તેમ જ દીકરો પણ ચાહે તેમને સજીવન કરે છે. કેમ કે પિતા કોઈનો ન્યાય કરતા નથી, પણ ન્યાય કરવાનું સઘળું કામ તેમણે દીકરાને સોંપ્યું છે કે, જેમ બધા પિતાને માન આપે છે, તેમ દીકરાને પણ માન આપે. દીકરાને જે માન આપતો નથી, તે તેના મોકલનાર પિતાને પણ માન આપતો નથી. હું તમને નિશ્ચે કહું છું કે, જે મારાં વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; તે અપરાધી ઠરશે નહિ, પણ તે મૃત્યુમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે.

હું તમને ખાતરીપૂર્વક કહું છું કે, એવો સમય આવે છે અને હમણાં આવી ચૂક્યો છે કે, જયારે મૃત્યુ પામેલાંઓ ઈશ્વરના દીકરા ઈસુનાં વચન સાંભળશે અને સાંભળનારાંઓ જીવશે. કેમ કે જેમ પિતાને પોતાનામાં જીવન છે, તેમ દીકરાને પણ પોતાનામાં જીવન રાખવાનું તેમણે આપ્યું. ન્યાય કરવાનો અધિકાર પણ તેમણે તેને આપ્યો, કેમ કે તે માણસનો દીકરો છે. તેથી તમે આશ્ચર્ય ન પામો; કેમ કે એવો સમય આવે છે કે જયારે સર્વ જેઓ કબરમાં છે તેઓ તેમના વચન સાંભળશે; અને જેઓએ સારાં કામ કર્યા છે, તેઓ જીવનનું મરણોત્થાન પામવા માટે અને જેઓએ ખરાબ કામ કર્યાં છે, તેઓ શિક્ષાત્મક મરણોત્થાન પામવા માટે, નીકળી આવશે.

ઈસુએ તેઓને કહ્યું, 'જીવનની રોટલી હું છું; જે મારી પાસે આવે છે તેને ભૂખ નહિ જ લાગશે અને જે મારા પર વિશ્વાસ કરે છે, તેને કદી તરસ નહિ જ લાગશે.

કેમ કે હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ જેમણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા પૂરી કરવાને સ્વર્ગથી ઊતર્યો છું.

સ્વર્ગમાંથી ઊતરેલી જીવનની રોટલી હું છું; જો કોઈ એ રોટલી ખાય, તો તે સદા જીવતો રહેશે; જે રોટલી હું આપીશ તે મારું માંસ છે, તે માનવજગતના જીવનને માટે [હું આપીશ].'

ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, 'હું તમને ખાતરીપૂર્વક કહું છું કે, જો તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ અને તેનું રક્ત ન પીઓ, તો તમારામાં જીવન નથી. જે કોઈ મારું માંસ ખાય છે અને મારું રક્ત પીવે છે, તેને અનંતજીવન છે; છેલ્લાં દિવસે હું તેને પાછો સજીવન કરીશ. કેમ કે મારું માંસ ખરેખરો ખોરાક છે અને મારું રક્ત ખરેખરું પીણું છે. જે મારું માંસ ખાય છે અને મારું રક્ત પીવે છે, તે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું.

એ માટે તેમના શિષ્યોમાંના ઘણાંએ તે સાંભળીને કહ્યું કે, 'આ વાત કઠણ છે, તે કોણ સાંભળી શકે?' પણ મારા શિષ્યો જ તે વિષે કચકચ કરે છે એ ઈસુએ પોતાના મનમાં જાણીને તેઓને કહ્યું કે, 'શું તે તમને ગેરમાર્ગે દોરે છે? ત્યારે માણસનો દીકરો જ્યાં પહેલાં હતો ત્યાં જો તેને પાછો ચઢતાં તમે જુઓ તો કેમ? જે જીવાડે છે તે આત્મા છે; શરીરથી કંઈ લાભ થતો નથી. જે બાબતો મેં તમને કહી છે, તે આત્મા તથા જીવન છે.

તેમણે કહ્યું કે, 'મેં એ જ કારણથી તમને કહ્યું કે, પિતા તરફથી તેને આપવામાં આવ્યું ન હોય તો કોઈ મારી પાસે આવી શકતો નથી.'

આ સાંભળીને તેમના શિષ્યોમાંના ઘણાં પાછા પડી ગયા. અને તેમની સાથે ચાલ્યા નહિ. તે માટે ઈસુએ બાર [શિષ્યો] ને પૂછ્યું કે, 'શું તમે પણ જતા રહેવા ચાહો છો?' સિમોન પિતરે તેમને જવાબ આપ્યો કે, 'પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંતજીવનની વાતો તો તમારી પાસે છે.

માટે ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, 'મારો ઉપદેશ મારો પોતાનો નથી, પણ જેમણે મને મોકલ્યો તેમનો છે. જો કોઈ તેમની ઇચ્છા પૂરી કરવા ચાહે, તો આ બોધ વિષે તે સમજશે કે, તે ઈશ્વરથી છે કે હું પોતાથી બોલું છું. જે પોતાથી બોલે છે તે પોતાનો મહિમા શોધે છે; પણ જે પોતાના મોકલનારનો મહિમા શોધે છે, તે જ સત્ય છે અને તેનામાં કંઈ અન્યાય નથી.

ફરીથી ઈસુએ તેઓને કહ્યું, 'હું માનવજગતનું અજવાળું છું; જે કોઈ મારી પાછળ આવે છે તે અંધકારમાં નહિ ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે.'

વળી જો હું ન્યાય કરું, તો મારો ન્યાયચૂકાદો સાચો છે; કેમ કે હું એકલો નથી, પણ હું તથા પિતા જેમણે મને મોકલ્યો છે.

હું મારે પોતાને વિષે સાક્ષી આપનાર છું અને પિતા જેમણે મને મોકલ્યો છે તે મારે વિષે સાક્ષી આપે છે.'

ઈસુએ તેઓને કહ્યું કે, 'તમે પૃથ્વી પરના છો, હું ઉપરનો છું; તમે આ જગતના છો, હું આ જગતનો નથી. માટે મેં તમને કહ્યું કે, તમે તમારાં પાપોમાં મરશો; કેમ કે તે હું છું, એવો જો તમે વિશ્વાસ નહિ કરો, તો તમે તમારાં પાપોમાં મરશો.'

ઈસુએ કહ્યું, 'જ્યારે તમે માણસના દીકરાને ઊંચો કરશો ત્યારે તમે સમજશો કે હું તે જ છું અને હું મારી પોતાની જાતે કંઈ કરતો નથી, પણ જેમ પિતાએ મને શીખવ્યું છે, તેમ હું તે વાતો બોલું છું. જેમણે મને મોકલ્યો છે તે મારી સાથે છે; અને તેમણે મને એકલો મૂક્યો નથી; કેમ કે જે કામો તેમને ગમે છે તે હું નિત્ય કરું છું.'

ઈસુએ તેઓને કહ્યું કે, 'હું તમને ખાતરીપૂર્વક કહું છું કે, ઇબ્રાહિમનો જન્મ થયા અગાઉથી હું છું.'

તેઓએ તેને બહાર કાઢી મૂક્યો છે, એવું ઈસુએ સાંભળ્યું ત્યારે તેમણે તેને શોધીને કહ્યું કે, 'તું શું માણસના દીકરા પર વિશ્વાસ કરે છે?' તેણે ઉત્તર આપ્યો કે, 'હે પ્રભુ, તે કોણ છે કે, હું તેમના પર વિશ્વાસ કરું?' ઈસુએ તેને કહ્યું કે, 'તેં તેમને જોયા છે અને જે તારી સાથે વાત કરે છે, તે જ તે છે.' તેણે કહ્યું કે, 'પ્રભુ, હું વિશ્વાસ કરું છું.' પછી તેણે તેમનું ભજન કર્યું.

તેથી ઈસુએ ફરીથી તેઓને કહ્યું કે, 'હું તમને ખાતરીપૂર્વક કહું છું કે, ઘેટાંનું પ્રવેશદ્વાર હું છું.

ઉત્તમ ઘેટાંપાળક હું છું; ઉત્તમ ઘેટાંપાળક ઘેટાંને સારુ પોતાનો જીવ આપે છે.

ઉત્તમ ઘેટાંપાળક હું છું અને પોતાનાં ઘેટાંને ઓળખું છું અને મારા પોતાનાં ઘેટાં મને ઓળખે છે. જેમ પિતા મને ઓળખે છે અને હું પિતાને ઓળખું છું તેમ મારાં પોતાનાં મને ઓળખે છે; અને ઘેટાંને સારુ હું મારો જીવ આપું છું. મારાં બીજાં ઘેટાં પણ છે, તેઓ આ વાડામાંના નથી; તેઓને પણ મારે લાવવાની જરૂર છે અને તેઓ મારો અવાજ સાંભળશે; અને એક ટોળું, એક ઘેટાંપાળક થશે. પિતા મારા પર પ્રેમ કરે છે, કારણ કે હું મારો જીવ આપું છું કે હું તે પાછો લઉં. કોઈ મારી પાસેથી તે લેતો નથી, પણ હું મારી પોતાની જાતે તે આપું છું; તે આપવાનો મને અધિકાર છે અને પાછો લેવાનો પણ મને અધિકાર છે; તે આજ્ઞા મને મારા પિતા તરફથી મળી છે.'

ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, 'મેં તો તમને કહ્યું, પણ તમે વિશ્વાસ કરતા નથી. મારા પિતાને નામે જે કામો હું કરું છું, તેઓ મારા વિષે સાક્ષી આપે છે. તોપણ તમે વિશ્વાસ કરતા નથી, કેમ કે તમે મારાં ઘેટાં નથી. મારાં ઘેટાં મારો અવાજ સાંભળે છે, હું તેઓને ઓળખું છું અને તેઓ મારી પાછળ આવે છે. હું તેઓને અનંતજીવન આપું છું; કદી તેઓનો નાશ થશે નહિ અને મારા હાથમાંથી કોઈ તેઓને છીનવી લેશે નહિ. મારા પિતા, જેમણે મને તેઓને આપ્યાં છે, તે સહુથી મહાન છે; અને પિતાના હાથમાંથી કોઈ તેઓને છીનવી લેવા સમર્થ નથી. હું તથા પિતા એક છીએ.'

હું તથા પિતા એક છીએ.' [ત્યારે] યહૂદીઓએ તેમને મારવાને ફરીથી પથ્થર હાથમાં લીધા. ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, 'મેં પિતા તરફથી તમને ઘણાં સારાં કામો બતાવ્યાં છે, તેઓમાંના કયા કામને લીધે મને પથ્થર મારો છો?' યહૂદીઓએ તેમને ઉત્તર આપ્યો કે, 'કોઈ સારા કામને લીધે અમે તમને પથ્થર મારતા નથી, પણ દુર્ભાષણને કારણે; અને તમે માણસ હોવા છતાં પોતાને ઈશ્વર ઠરાવો છો, તેને કારણે.'

પણ જો હું કરું છું, તો જોકે તમે મારા પર વિશ્વાસ ન કરો, તોપણ તે કામો પર વિશ્વાસ કરો; જેથી તમે જાણો અને સમજો કે, પિતા મારામાં છે અને હું પિતામાં છું.'

ઈસુએ તેને કહ્યું કે, 'મરણોત્થાન તથા જીવન હું છું; જે મારા પર વિશ્વાસ કરે છે, તે જોકે મૃત્યુ પામે તોપણ તે સજીવન થશે. અને જે કોઈ જીવંત વ્યક્તિ મારા પર વિશ્વાસ કરે છે, તે કદી મરશે નહીં જ; તું શું એવો વિશ્વાસ રાખે છે?' તેણે તેમને કહ્યું કે, 'હા પ્રભુ, મેં વિશ્વાસ કર્યો છે કે તમે ઈશ્વરના દીકરા ખ્રિસ્ત છો, જે દુનિયામાં આવનાર છે, તે જ તમે છો.

ઈસુ રડયા.

એમ બોલ્યા પછી તેમણે મોટા અવાજે હાંક મારી કે, 'લાજરસ, બહાર આવ.' ત્યારે જે મૃત્યુ પામેલો હતો તે હાથે પગે કફને બાંધેલો બહાર આવ્યો, તેના મૂખ પર રૂમાલથી વીંટાળેલો હતો. ઈસુએ તેઓને કહ્યું, તેનાં બંધન છોડી નાખો અને તેને જવા દો.

બીજે દિવસે પર્વમાં આવેલા ઘણાં લોકોએ એવું સાંભળ્યું કે, ઈસુ યરુશાલેમ આવે છે; ત્યારે ખજૂરીની ડાળીઓ લઈને તેઓ તેમને મળવાને બહાર ગયા; અને ઊંચા અવાજે કહ્યું કે, 'હોસાન્ના; પ્રભુને નામે ઇઝરાયલના જે રાજા આવે છે, તે આશીર્વાદિત છે.

ત્યારે ઈસુ તેઓને જવાબ કહ્યું કે, 'માણસના દીકરાને મહિમાવાન થવાનો સમય આવ્યો છે.

ઓ બાપ, તમારા નામનો મહિમા [પ્રગટ] કરો, ત્યારે સ્વર્ગમાંથી એવી વાણી થઈ કે, 'મેં તેનો મહિમા [પ્રગટ] કર્યો છે અને ફરી કરીશ.'

અને જો હું પૃથ્વી પરથી ઊંચો કરાઈશ, તો હું સર્વને મારી પોતાની તરફ ખેંચીશ. પોતાનું મૃત્યુ શી રીતે થવાનું છે, એ સૂચવતાં તેમણે એ પ્રમાણે કહ્યું,

યશાયાએ તેમનો મહિમા જોયો હતો તેણે એ વાતો જણાવી; અને તે તેમના વિષે બોલ્યો.

જે મારો ઇનકાર કરે છે અને મારી વાતો સ્વીકારતો નથી, તેનો ન્યાય કરનાર એક છે; જે વાત મેં કહી છે, તે જ અંતિમ દિવસે તેનો ન્યાય કરશે. કેમ કે મેં પોતાના તરફથી નથી કહ્યું, પણ મારે શું કહેવું, તથા મારે શું બોલવું, એ વિષે પિતા જેમણે મને મોકલ્યો છે તેમણે મને આજ્ઞા આપી છે.

હવે પાસ્ખાપર્વ અગાઉ પોતાનો આ દુનિયામાંથી પિતાની પાસે જવાનો સમય આવ્યો છે એ જાણીને ઈસુએ દુનિયામાંનાં પોતાના લોક, જેઓનાં ઉપર તેઓ પ્રેમ રાખતા હતા, તેઓ પર અંત સુધી પ્રેમ રાખ્યો.

જયારે તે બહાર ગયો, ત્યારે ઈસુ કહે છે કે, 'હવે માણસનો દીકરો મહિમાવાન થયો છે, તેનામાં ઈશ્વર મહિમાવાન થયા છે. ઈશ્વર તેને પોતામાં મહિમાવાન કરશે અને તેને વહેલો મહિમાવાન કરશે.

ઈસુ તેને કહે છે કે, 'માર્ગ, સત્ય તથા જીવન હું છું; મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવતું નથી. તમે જો મને ઓળખત તો મારા પિતાને પણ ઓળખત; હવેથી તમે તેમને ઓળખો છો અને તેમને જોયા છે.

હું બાપમાં છું અને બાપ મારામાં છે, એવો વિશ્વાસ તું કરે છે કે નહિ? જે વાતો હું તમને કહું છું તે હું મારા પોતાના તરફથી નથી કહેતો; પણ પિતા મારામાં રહીને પોતાના કામ કરે છે. હું બાપમાં છું અને બાપ મારામાં છે, એવો વિશ્વાસ મારા પર કરો, નહિ તો કામોને જ લીધે મારા પર વિશ્વાસ રાખો.'

હું તમને સાચે જ કહું છું કે, 'હું જે કામો કરું છું તે જ મારા પર વિશ્વાસ કરનાર પણ કરશે અને એના કરતાં પણ મોટાં કામો કરશે, કેમ કે હું પિતાની પાસે જાઉં છું. જે કંઈ મારે નામે તમે માગશો, તે હું કરીશ, એ માટે કે પિતા દીકરામાં મહિમાવાન થાય. જો તમે મારે નામે મારી પાસે કંઈ માગશો તો તે પ્રમાણે હું કરીશ. જો તમે મારા પર પ્રેમ કરતા હો તો મારી આજ્ઞાઓ પાળશો.

તે દિવસે તમે જાણશો કે, હું મારા પિતામાં છું. તમે મારામાં છો અને હું તમારામાં છું.

જે મારા પર પ્રેમ રાખતો નથી તે મારા વચનોનું પાલન કરતો નથી. જે વચન તમે સાંભળો છો તે મારા નથી, પણ જે પિતાએ મને મોકલ્યો છે તેના છે.

મેં તમને જે કહ્યું તે તમે સાંભળ્યું છે કે, 'હું જાઉં છું, તમારી પાસે પાછો આવું છું. જો તમે મારા પર પ્રેમ રાખતા હોત, તો હું પિતાની પાસે જાઉં છું, એથી તમને આનંદ થાત; કેમ કે મારા કરતાં પિતા મહાન છે.

ખરો દ્રાક્ષાવેલો હું છું અને મારા પિતા માળી છે.

હું તો દ્રાક્ષાવેલો છું; અને તમે ડાળીઓ છો; જે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું, તે જ ઘણાં ફળ આપે છે; કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી. જો કોઈ મારામાં રહેતો નથી, તો ડાળીની પેઠે તેને બહાર ફેંકી દેવામાં આવે છે; નાખી દેવાયેલી ડાળીઓ સુકાઈ જાય છે; પછી લોક તેઓને એકઠી કરીને અગ્નિમાં નાખે છે અને તેઓને બાળવામાં આવે છે. જો તમે મારામાં રહો; અને મારાં વચનો તમારામાં રહે, તો જે કંઈ તમે ચાહો તે માગો, એટલે તે તમને મળશે.

જેમ પિતાએ મારા પર પ્રેમ રાખ્યો છે, તેમ મેં પણ તમારા પર પ્રેમ રાખ્યો છે; તમે મારા પ્રેમમાં રહો. જેમ હું મારા પિતાની આજ્ઞાઓ પાળીને તેમના પ્રેમમાં રહું છું, તેમ જો તમે મારી આજ્ઞાઓ પાળો તો તમે મારા પ્રેમમાં રહેશો. મારો આનંદ તમારામાં રહે; અને તમારો આનંદ સંપૂર્ણ થાય, એ માટે મેં તમને એ વાતો કહી છે.

મારી આજ્ઞા એ છે કે, 'જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે, તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો.' પોતાના મિત્રોને સારું પોતાનો જીવ આપવો, તે કરતાં મહાન અન્ય કોઈ પ્રેમ નથી.

જો જગત તમારો દ્વેષ રાખે છે તો તમારા પહેલાં તેણે મારો દ્વેષ કર્યો છે, એ તમે જાણો છો.

જે મારો દ્વેષ કરે છે, તે મારા પિતાનો પણ દ્વેષ કરે છે.

તે મને મહિમાવાન કરશે, કેમ કે મારું જે છે તેમાંથી તે લઈને તમને કહી બતાવશે. જે પિતાનાં છે, તે સર્વ મારાં છે; માટે મેં કહ્યું કે, મારું જે છે તેમાંથી લઈને તે તમને કહી બતાવશે.

હવે અમે જાણીએ છીએ કે તમે સઘળી બાબતો જાણો છો; અને કોઈ માણસ તમને કંઈ પૂછે એવી અગત્ય નથી; તેથી અમે વિશ્વાસ કરીએ છીએ કે તમે ઈશ્વર પાસેથી આવ્યા છો.'

જુઓ, એવો સમય આવે છે, હા, હમણાં જ આવ્યો છે કે, તમે હરેક માણસ પોતપોતાની ગમ વિખેરાઈ જશો અને તમે મને એકલો મૂકશો. તે છતાં પણ હું એકલો નથી, કેમ કે પિતા મારી સાથે છે. મેં તમને એ વાતો કહી છે કે, 'મારામાં તમને શાંતિ પ્રાપ્ત થાય. દુનિયામાં તમને સંકટ છે; પણ હિંમત રાખો; મેં જગતને જીત્યું છે.'

ઈસુએ એ વાતો કહ્યાં પછી સ્વર્ગો તરફ પોતાની આંખો ઊંચી કરીને કહ્યું કે, 'પિતા, સમય આવ્યો છે; તમે તમારા દીકરાને મહિમાવાન કરો, જેથી દીકરો તમને મહિમાવાન કરે. કેમ કે તે સર્વ માણસો પર તમે અધિકાર આપ્યો છે કે, જે સર્વ તમે તેને આપ્યાં છે તેઓને તે અનંતજીવન આપે. અનંતજીવન એ છે કે તે તમને એકલાને, સત્ય ઈશ્વરને તથા મને (ઈસુ ખ્રિસ્તને) કે જેને તમે મોકલ્યો છે તેને ઓળખે. જે કામ કરવાનું તમે મને સોંપ્યું હતું તે પૂરું કરીને મેં તમને પૃથ્વી પર મહિમાવાન કર્યાં છે. હવે, ઓ પિતા, સૃષ્ટિની ઉત્પત્તિ અગાઉ તમારી સાથે જે મહિમા હું ભોગવતો હતો તેથી તમે હમણાં પોતાની સાથે મને મહિમાવાન કરો.

જેઓએ વિશ્વાસ કર્યો છે તેઓને માટે હું પ્રાર્થના કરું છું; માનવજગતને સારું હું પ્રાર્થના કરતો નથી, પણ જેઓને તમે મને આપ્યાં છે તેઓને માટે; કેમ કે તેઓ તમારાં છે; જે બધા મારાં તે તમારા છે અને જે તમારા તે મારાં છે; હું તેઓમાં મહિમાવાન થયો છું.

હવે હું તમારી પાસે આવું છું; 'તેઓમાં મારો આનંદ સંપૂર્ણ થાય,' માટે હું આ બાબતો દુનિયામાં કહું છું. તમારાં વચનો મેં તેઓને આપ્યાં છે; માનવજગતે તેઓનો દ્વેષ કર્યો છે કેમ કે જેમ હું જગતનો નથી તેમ તેઓ આ જગતના નથી.

તેઓ બધા એક થાય; ઓ પિતા, જેમ તમે મારામાં અને હું તમારામાં, તેમ તેઓ પણ આપણામાં થાય, જેથી માનવજગત વિશ્વાસ કરે કે તમે મને મોકલ્યો છે. જે મહિમા તમે મને આપ્યો છે તે મેં તેઓને આપ્યો છે, જેથી જેવા આપણે એક છીએ તેમ તેઓ પણ એક થાય; [એટલે] હું તેઓમાં અને તમે મારામાં થઈ જેથી તેઓ એક થાય અને સંપૂર્ણ કરાય, એ સારું કે માનવજગત સમજે કે તમે મને મોકલ્યો છે અને જેમ તમે મારા પર પ્રેમ કર્યો છે તેમ તેઓના પર પણ પ્રેમ કર્યો છે. હું પિતા, હું એવું ઇચ્છું છું કે, જ્યાં હું છું ત્યાં જેઓને તમે મને આપ્યાં છે તેઓ પણ મારી પાસે રહે, જેથી તેઓ મારો મહિમા જુએ, કે જે તમે મને આપ્યો છે; કેમ કે સૃષ્ટિનો પાયો નંખાયા અગાઉ તમે મારા પર પ્રેમ કર્યો હતો.

તેઓએ તેમને ઉત્તર દીધો કે, 'ઈસુ નાઝારીને.' ઈસુ તેઓને કહે છે કે, 'તે હું છું.' અને યહૂદા જે તેમને પરસ્વાધીન કરનાર હતો તે પણ સૈનિકોની સાથે ઊભો હતો. એ માટે જયારે તેમણે તેઓને કહ્યું કે, 'તે હું છું,' ત્યારે તેઓ પાછા હટીને જમીન પર પડ્યા.

ઈસુએ ઉત્તર આપ્યો કે, 'મારું રાજ્ય આ જગતનું નથી; જો મારું રાજ્ય આ જગતનું હોત, તો મને યહૂદીઓને સ્વાધીન કરવામાં આવત નહિ, તે માટે મારા સેવકો લડાઈ કરત, પણ મારું રાજ્ય તો અહીંનું નથી. તેથી પિલાતે ઈસુને પૂછ્યું કે, 'ત્યારે શું તું રાજા છે?' ઈસુએ ઉત્તર આપ્યો કે, 'તું કહે છે કે હું રાજા છું.' એ જ માટે હું જન્મ્યો છું; અને એ જ માટે હું આ દુનિયામાં આવ્યો છું, જેથી હું સત્ય વિષે સાક્ષી આપું; સર્વ જે સત્યનો છે, તે મારી વાણી સાંભળે છે.'

સિપાઈઓએ કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો અને તેમને જાંબુડા રંગનો ઝભ્ભો પહેરાવ્યો; તેઓએ તેમની પાસે આવીને કહ્યું કે, 'ઓ યહૂદીઓના રાજા, સલામ!' અને તેઓએ તેમને મુક્કીઓ મારી.

યહૂદીઓએ પિલાતને ઉત્તર આપ્યો કે, 'અમારો એક નિયમ છે અને તે પ્રમાણે તેણે મૃત્યુદંડ ભોગવવો જોઈએ; કેમ કે તેણે પોતે ઈશ્વરનો દીકરો હોવાનો દાવો કર્યો છે.

હવે પાસ્ખાની તૈયારીનો દિવસ હતો અને લગભગ બપોરનો એક વાગ્યો હતો. પિલાત યહૂદીઓને કહ્યું કે, 'જુઓ, તમારો રાજા!' ત્યારે તેઓએ પોકારીને કહ્યું કે, 'તેને દૂર કરો, દૂર કરો, તેને વધસ્તંભે જડો.' પિલાત તેઓને કહે છે કે, 'શું હું તમારા રાજાને વધસ્તંભે જડાવું?' મુખ્ય યાજકોએ ઉત્તર આપ્યો કે, 'કાઈસાર સિવાય અમારે બીજો કોઈ રાજા નથી.'

પિલાતે એવું લખાણ લખીને વધસ્તંભ પર ટિંગાળ્યું કે; 'નાસરેથનો ઈસુ, યહૂદીઓનો રાજા.' જ્યાં ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યા હતા, તે જગ્યા શહેરની પાસે હતી અને તે લખાણ હિબ્રૂ, લેટિન તથા ગ્રીક ભાષામાં લખેલું હતું, માટે ઘણાં યહૂદીઓએ તે વાંચ્યું. તેથી યહૂદીઓના મુખ્ય યાજકોએ પિલાતને કહ્યું કે, 'યહૂદીઓનો રાજા,' એમ ન લખો, પણ તેણે કહ્યું કે, 'હું યહૂદીઓનો રાજા છું.' એમ લખો. પિલાતે ઉત્તર આપ્યો કે, 'મેં જે લખ્યું તે લખ્યું.'

તે પછી ઈસુ, હવે સઘળું પૂર્ણ થયું એ જાણીને, શાસ્ત્રવચન પૂર્ણ થાય તે માટે કહે છે કે, 'મને તરસ લાગી છે.'

ત્યારે ઈસુએ દ્રાક્ષાસવ ચાખ્યાં પછી કહ્યું કે, 'સંપૂર્ણ થયું;' અને માથું નમાવીને તેમણે પ્રાણ છોડ્યો.

અને જ્યાં ઈસુનો પાર્થિવ દેહ દફનાવેલો હતો ત્યાં પ્રકાશિત વસ્ત્ર પહેરેલા બે સ્વર્ગદૂતોને, એકને માથા બાજુ અને બીજાને પગ બાજુ, બેઠેલા તેણે જોયા. તેઓ તેને કહે છે કે, 'બહેન, તું કેમ રડે છે?' તે તેમને કહે છે, 'તેઓ મારા પ્રભુને લઈ ગયા છે અને તેઓએ તેમને ક્યાં મૂક્યા છે તે હું જાણતી નથી, માટે હું રડું છું;' એમ કહીને તેણે પાછા વળીને જોયું તો ઈસુને ઊભેલા જોયા; પણ તેઓ ઈસુ છે, એમ તેને ખબર પડી નહિ. ઈસુ તેને કહે છે કે, 'બહેન, તું કેમ રડે છે?' તું કોને શોધે છે?' તે માળી છે એમ ધારીને તેણે તેને કહ્યું કે, 'ભાઈ, જો તમે તેમને અહીંથી લઈ ગયા છો, તો તમે તેમને ક્યાં મૂક્યા છે તે મને કહો, એટલે હું તેમને લઈ જઈશ.' ઈસુ તેને કહે છે કે, 'મરિયમ;' અને તેણે પાછા ફરીને તેમને હિબ્રૂ ભાષામાં કહ્યું કે, 'રાબ્બોની!' એટલે 'ગુરુજી.'

તે જ દિવસે, એટલે અઠવાડિયાને પહેલે દિવસે સાંજે, શિષ્યો જ્યાં એકઠા થયા હતા ત્યાંનાં બારણાં યહૂદીઓના ભયથી બંધ રાખવામાં આવ્યાં હતા, ત્યારે ઈસુએ આવીને તેઓની મધ્યે ઊભા રહીને કહ્યું કે, 'તમને શાંતિ થાઓ.'

આઠ દિવસ પછી ફરી તેમના શિષ્યો અંદર હતા; અને થોમા પણ તેઓની સાથે હતો; ત્યારે બારણાં બંધ હોવા છતાં ઈસુએ આવીને વચમાં ઊભા રહીને કહ્યું કે, 'તમને શાંતિ હો.' પછી તેઓ થોમાને કહે છે કે, 'તારી આંગળી અહીં સુધી પહોંચાડીને મારા હાથ જો; અને તારો હાથ લાંબો કરીને મારી ફૂખમાં નાખ; અવિશ્વાસી ન રહે, પણ વિશ્વાસી થા.' થોમાએ ઉત્તર આપતાં તેમને કહ્યું કે, 'મારા પ્રભુ અને મારા ઈશ્વર!'

ઈસુએ બીજા ઘણાં ચમત્કારિક ચિહ્નો શિષ્યોની સમક્ષ કર્યા, કે જેનું વર્ણન આ પુસ્તકમાં કરેલું નથી. પણ ઈસુ તે જ ખ્રિસ્ત, ઈશ્વરના દીકરા છે, એવો તમે વિશ્વાસ કરો અને વિશ્વાસ કરીને તેમના નામથી જીવન પામો, માટે આટલી વાતો લખેલી છે.

તેમણે તેઓને કહ્યું કે, 'હોડીની જમણી તરફ જાળ નાખો, એટલે તમને કંઈક મળશે.' તેથી તેઓએ જાળ નાખી; પણ એટલી બધી માછલીઓ તેમાં ભરાઈ કે તેઓ તેને ખેંચી શક્યા નહિ. ત્યારે જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા તે પિતરને કહે છે કે, 'આ તો પ્રભુ છે!' જ્યારે સિમોન પિતરે સાંભળ્યું કે તેઓ પ્રભુ છે ત્યારે તેણે પોતાનો ઝભ્ભો પહેર્યો (કેમ કે તે ઉઘાડો હતો) અને સમુદ્રમાં કૂદી પડ્યો.

ઈસુએ બીજાં ઘણાં કરેલાં કામ છે, જો તેઓમાંનું દરેક લખવામાં આવે તો એટલા બધાં પુસ્તકો થાય કે તેનો સમાવેશ આ દુનિયામાં થાય નહિ, એવું મારું માનવું છે.

ઈસુએ મરણ સહ્યાં પછી તેઓને ઘણી સાબિતીઓથી પોતાને સજીવન થયેલા બતાવ્યા, ચાળીસ દિવસ સુધી તે તેઓની સમક્ષ પ્રગટ થતાં અને ઈશ્વરના રાજ્ય વિશેની વાતો કહેતાં રહ્યા;

એ વાતો કહી રહ્યા પછી, તેઓના દેખતા તેમને ઉપર લઈ લેવાયા; અને વાદળોએ તેઓની દૃષ્ટિથી તેમને ઢાંકી દીધાં. તે જતા હતા ત્યારે તેઓ સ્વર્ગ તરફ અનિમેષ નયને જોઈ રહ્યા હતા, એવામાં ચળકતાં વસ્ત્ર પહેરેલા બે દૂત તેઓની પાસે ઊભા રહ્યા. તેઓએ કહ્યું કે, ગાલીલના માણસો, તમે સ્વર્ગ તરફ જોતાં કેમ ઊભા રહ્યા છો? એ જ ઈસુ જેમને તમારી પાસેથી સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા છે, તેઓને જેમ તમે સ્વર્ગમાં જતા જોયા તે જ રીતે તેઓ પાછા આવશે.

ઓ ઇઝરાયલી માણસો, તમે આ વાતો સાંભળો. ઈસુ નાઝારી, જેમની મારફતે પ્રભુએ તમારામાં જે પરાક્રમી કામો, આશ્ચર્યકર્મો તથા ચમત્કારિક ચિહ્નો કરાવ્યાં, જે વિષે તમે પોતે પણ જાણો છો, તેઓ વડે તે ઈશ્વરને પસંદ પડેલા માણસ તરીકે તમારી આગળ સાબિત થયા તે છતાં, ઈશ્વરના સંકલ્પ તથા પૂર્વજ્ઞાન પ્રમાણે તેમને પરસ્વાધીન કરાયા, તેમને પકડીને દુષ્ટોની હસ્તક વધસ્તંભે જડાવીને મારી નખાયા.

એવું અગાઉથી જાણીને તેણે ખ્રિસ્તનાં મરણોત્થાન વિષે કહ્યું કે, તેમને હાદેસમાં રહેવા દેવામાં આવ્યા નહિ, અને તેમના દેહને સડી જવા દીધો નહીં.

માટે ઈશ્વરને જમણે હાથે તેમને ઉપર લઈ લેવામાં આવ્યા, અને આશાવચન અનુસાર ઈશ્વરપિતા પાસેથી પવિત્ર આત્મા પામીને, આ જે તમે જુઓ છો તથા સાંભળો છો, તેમ તેમણે આપણને પવિત્ર આત્મા આપ્યાં છે.

એ માટે ઇઝરાયલના તમામ લોકોએ નિશ્ચે જાણવું કે, જે ઈસુને તમે વધસ્તંભ પર મારી નાખ્યા, તેમને ઈશ્વરે પ્રભુ તથા ખ્રિસ્ત બનાવ્યા છે.

તમે જીવનનાં અધિકારી ઈસુને મારી નાખ્યા; તેમને ઈશ્વરે મૂએલાંઓમાંથી સજીવન કર્યા; અને અમે તેના સાક્ષી છીએ.

તો તમો સર્વને તથા સર્વ ઇઝરાયલી લોકોને એ માલૂમ થાય કે, ઈસુ ખ્રિસ્ત નાઝારી, જેમને તમે વધસ્તંભ પર મારી નાખ્યા, જેમને ઈશ્વરે મરણમાંથી સજીવન કર્યા તેમના નામથી આ માણસ સાજો થઈ અહીં તમારી આગળ ઊભો રહયો છે. જે પથ્થર તમો બાંધનારાઓએ નકાર્યો હતો તે એ જ છે, ને તે ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે. બીજા કોઈથી ઉદ્ધાર નથી, કેમ કે જેથી આપણો ઉદ્ધાર થાય એવું બીજું કોઈ નામ આકાશની નીચે માણસો મધ્યે અપાયેલું નથી.

જે ઈસુને તમે વધસ્તંભ પર જડીને મારી નાખ્યા, તેમને આપણા પૂર્વજોના ઈશ્વરે ઉઠાડ્યાં છે. તેમને ઈશ્વરે પોતાને જમણે હાથે રાજા તથા ઉદ્ધારક થવાને ઊંચા કર્યા છે, કે તેઓ ઇઝરાયલને પશ્ચાતાપ કરાવે તથા તેઓને પાપની માફી આપે.

પણ પવિત્ર આત્માથી ભરપૂર થઈને સ્તેફને સ્વર્ગ તરફ એક નજરે જોઈ રહેતાં, ઈશ્વરનું ગૌરવ તથા ઈશ્વરને જમણે હાથે ઈસુને ઊભેલા જોયા. તેણે કહ્યું કે, "જુઓ, સ્વર્ગ ઊઘડેલું તથા ઈશ્વરને જમણે હાથે માણસના દીકરાને ઊભેલા હું જોઉં છું."

શાસ્ત્રવચનનું જે પ્રકરણ તે વાંચતો હતો તે એ હતું કે, "ઘેટાંની પેઠે મારી નંખાવાને તેમને લઈ જવાયા; અને જેમ હલવાન પોતાના કાતરનારની આગળ મૂંગું રહે છે, તેમ તેમણે પોતાનું મુખ ઉઘાડ્યું નહિ;

ઈસુ ખ્રિસ્ત જે સર્વનાં પ્રભુ છે તેમની મારફતે શાંતિની સુવાર્તા પ્રગટ કરતા ઈશ્વરે ઇઝરાયલપુત્રોની પાસે જે વાત મોકલી,

એટલે કે નાસરેથના ઈસુની વાત કે જેમને પરમેશ્વરે પવિત્ર આત્માથી તથા સામર્થ્યથી અભિષિક્ત કર્યા; તે ભલું કરતા તથા શેતાનથી જેઓ પીડાતા હતા તેઓ સર્વને સાજાં કરતા ફર્યા; કેમ કે ઈશ્વર તેમની સાથે હતા.

તેમને ઈશ્વરે ત્રીજા દિવસે સજીવન કર્યા, અને સર્વ લોકોની આગળ નહિ, પણ અગાઉથી ઈશ્વરના પસંદ કરેલા સાક્ષીઓ, જેઓએ તેમના મૃત્યુમાંથી સજીવન થયા પછી તેમની સાથે ખાધું પીધું હતું તેઓની આગળ, એટલે અમારી આગળ, તેમને પ્રગટ કર્યા, તેમણે અમને આજ્ઞા આપી કે લોકોને ઉપદેશ કરો, અને સાક્ષી આપો કે, ઈશ્વર એમને જ જીવતાંના તથા મૂએલાંના ન્યાયાધીશ નીમ્યા છે. તેમને વિષે સર્વ પ્રબોધકો સાક્ષી આપે છે કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે છે તે તેમના નામથી પાપની માફી પામશે.

પાઉલે તેઓને ખુલાસો આપીને સિદ્ધ કર્યું કે ખ્રિસ્તે સહેવું, મરણ પામેલાઓમાંથી પાછા ઊઠવું એ જરૂરનું હતું, [અને એવું પણ કહ્યું કે] જે ઈસુને હું તમારી આગળ પ્રગટ કરું છું તે જ ખ્રિસ્ત છે.

એટલે કે ખ્રિસ્ત [મરણની] વેદના સહે અને તે પ્રથમ મરણમાંથી પાછા ઊઠ્યાંથી લોકોને તથા બિનયહૂદીઓને પ્રકાશ આપે.

તે સુવાર્તા તેમના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષે છે, ઈસુ શારીરિક રીતે તો દાઉદના વંશમાં જનમ્યાં હતા, પણ પવિત્રાઈના આત્માના સામર્થ્ય દ્વારા મરણોત્થાન થયાથી પરાક્રમસહિત ઈશ્વરના દીકરા ઠર્યા છે.

આપણે વિશ્વાસથી ન્યાયી ઠરાવાયેલાં છીએ, તે માટે આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશ્રયે ઈશ્વરની સાથે સમાધાન પામીએ છીએ;

પણ આપણે જયારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારુ મરણ પામ્યા. એવું કરવામાં ઈશ્વરે આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કર્યો. તેથી હવે આપણે હમણાં તેમના રક્તથી ન્યાયી ઠરાવાયા છીએ જેથી તેમના દ્વારા આપણે ઈશ્વરના ક્રોધથી બચીશું તે કેટલું બધું ખાતરીપૂર્વક છે! કેમ કે જયારે આપણે ઈશ્વરના વિરોધી હતા, ત્યારે તેમના દીકરાના મૃત્યુથી ઈશ્વરની સાથે આપણું સમાધાન થયું. તેથી હવે તેમના જીવનને લીધે આપણે બચીશું તે કેટલું બધું ખાતરીપૂર્વક છે! અને એટલું જ નહિ, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેમનાં દ્વારા હમણાં આપણું સમાધાન થયું છે, તેમને આશ્રયે આપણે ઈશ્વરમાં આનંદ પણ કરીએ છીએ.

પણ જો આપણે ખ્રિસ્તની સાથે મૃત્યુ પામેલા છીએ, તો આપણને વિશ્વાસ છે કે તેમની સાથે જીવીશું પણ ખરા. કેમ કે આપણે જાણીએ છીએ કે ખ્રિસ્તને મૃત્યુ પામેલાઓમાંથી સજીવન કરવામાં આવ્યા અને તે ફરી મૃત્યુ પામનાર નથી; હવે પછી મૃત્યુનો અધિકાર તેમના પર નથી. કેમ કે તેઓ મર્યા, એટલે પાપ સંબંધી એક જ વાર મૃત્યુ પામ્યા, પણ તેઓ જીવે છે એટલે ઈશ્વર સંબંધી જીવે છે. તેમ તમે પોતાને પણ પાપ સંબંધી મૃત્યુ પામેલા, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર સંબંધી જીવતા ગણો.

કેમ કે પાપનું પરિણામ મૃત્યુ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરનું કૃપાદાન અનંતજીવન છે.

તેથી જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે કોઈ શિક્ષા નથી. કેમ કે ઈસુ ખ્રિસ્તમાં જીવનનાં આત્માનો જે નિયમ છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે. કેમ કે મનુષ્યદેહનાં લીધે નિયમશાસ્ત્ર નિર્બળ હતું, તેથી જે કામ તેને અશક્ય હતું તે ઈશ્વરે કર્યું, એટલે પોતાના દીકરાને પાપી મનુષ્યદેહની સમાનતામાં અને પાપના અર્પણ તરીકે મોકલીને તેમના મનુષ્યદેહમાં પાપને દંડાજ્ઞા ફરમાવી;

ખ્રિસ્તનાં પ્રેમથી આપણને કોણ અલગ કરશે? શું વિપત્તિ, કે વેદના, કે સતાવણી, કે દુકાળ, કે નિ:વસ્ત્રતા, કે જોખમ, કે તલવાર?

કેમ કે મને ખાતરી છે, કે ઈશ્વરનો જે પ્રેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે, તેનાથી આપણને મરણ, જીવન, સ્વર્ગદૂતો, અધિકારીઓ, વર્તમાનનું, ભવિષ્યનું, પરાક્રમીઓ, ઊંચાણ, ઊંડાણ, કે કોઈ પણ બીજી સૃજેલી વસ્તુ અલગ કરી શકશે નહિ.

પૂર્વજો તેઓના છે અને ખ્રિસ્ત દેહ પ્રમાણે તેઓમાંના છે; તેઓ સર્વોપરી સદાકાળ સ્તુત્ય ઈશ્વર છે. આમીન.

જો તું તારા મુખથી ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ અને ઈશ્વરે તેમને મૃત્યુમાંથી પાછા સજીવન કર્યા, એવો વિશ્વાસ તારા અંતઃકરણમાં કરીશ, તો તું ઉદ્ધાર પામીશ.

કેમ કે મૃત અને જીવંત બન્નેના તે પ્રભુ થાય, એ જ હેતુથી ખ્રિસ્ત મરણ પામ્યા અને પાછા સજીવન થયા.

કારણ કે બાપ્તિસ્મા કરવા માટે નહિ, પણ સુવાર્તા પ્રગટ કરવા માટે, ખ્રિસ્તે મને મોકલ્યો; [એ કામ] વિદ્વતાથી ભરેલા પ્રવચનથી નહિ, એમ ન થાય કે ખ્રિસ્તનો વધસ્તંભ નિરર્થક થાય. કેમ કે નાશ પામનારાઓને તો વધસ્તંભની વાત મૂર્ખતા [જેવી લાગે] છે; પણ અમો ઉદ્ધાર પામનારાઓને તો તે ઈશ્વરનું સામર્થ્ય છે.

પણ અમે તો વધસ્તંભે જડાયેલા ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ, તે તો યહૂદીઓને અવરોધરૂપ અને ગ્રીક લોકોને મૂર્ખતારૂપ લાગે છે; પરંતુ જેઓને તેડવામાં આવ્યા, પછી તે યહૂદી હોય કે ગ્રીક હોય, તેઓને તો ખ્રિસ્ત એ જ ઈશ્વરનું સામર્થ્ય તથા ઈશ્વરનું જ્ઞાન છે.

પણ ઈશ્વર [ની કૃપા] થી તમે ઈસુ ખ્રિસ્તમાં છો, તેઓ તો ઈશ્વર તરફથી આપણે સારુ જ્ઞાન, ન્યાયીપણું, પવિત્રતા તથા ઉદ્ધાર થયા છે;

કેમ કે ઈસુ ખ્રિસ્ત, જે વધસ્તંભે જડાયેલા, તે સિવાય હું તમારી સાથે રહીને બીજું કંઈ જ ન જાણું, એવો મેં નિશ્ચય કર્યો હતો.

આ જમાનાનાં અધિકારીઓમાંના કોઈને તે [જ્ઞાન] ની સમજ નથી; કેમ કે જો તેઓને તેની સમજ હોત તો તેઓએ મહિમાવાન પ્રભુને વધસ્તંભે જડ્યાં ન હોત.

કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં સામર્થ્ય સહિત, તમે મારા આત્મા સાથે એકઠા મળીને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં નામે,

તમે જૂના ખમીરને કાઢી નાખો, એ માટે કે જેમ તમે બેખમીર છો, તેમ તમે નવા થઈ જાઓ, કેમ કે આપણા પાસ્ખાયજ્ઞ એટલે ખ્રિસ્ત ઈસુએ, આપણે માટે તેમનું બલિદાન આપ્યું છે.

તોપણ આપણા તો એક જ ઈશ્વર એટલે પિતા છે, જેમનાંથી સર્વ સર્જાયું છે; અને આપણે તેમને અર્થે છીએ; એક જ પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્ત છે, જેમને આશરે સર્વ છે અને આપણે પણ તેમને આશ્રયે છીએ.

માટે હું તમને જણાવું છું કે, ઈશ્વરના આત્માથી બોલનારો કોઈ માણસ ઈસુને શાપપાત્ર કહેતો નથી; અને કોઈ માણસ, પવિત્ર આત્મા વિના, 'ઈસુ પ્રભુ છે,' એવું કહી શકતો નથી.

હવે તમે ખ્રિસ્તનું શરીર, અને તેના જુદાંજુદાં અંગો છો. ઈશ્વરે મંડળીમાં કેટલાકને નીમ્યા છે, તે આ પ્રમાણે છે; પ્રથમ પ્રેરિતો, બીજા પ્રબોધકો, ત્રીજા ઉપદેશકો, પછી પરાક્રમી કામો કરનારા, પછી સાજાપણાંના કૃપાદાનો, સહાયકો, વહીવટકર્તાઓ અને વિવિધ ભાષા બોલનારાઓ.

કેમ કે જે મને પ્રાપ્ત થયું છે, તે મેં પ્રથમ તમને સોંપી દીધું કે શાસ્ત્રવચનો પ્રમાણે ખ્રિસ્ત આપણાં પાપને સારુ મરણ પામ્યા; વળી શાસ્ત્રવચનો પ્રમાણે ઈસુને દફનાવવામાં આવ્યા; અને ત્રીજે દિવસે તેઓ સજીવન થયા.' પિતરને અને પછી શિષ્યોને તેમણે દર્શન આપ્યું. ત્યાર પછી પાંચસો કરતાં વધારે ભાઈઓ સમક્ષ એક જ સમયે તેઓ પ્રગટ થયા; તેઓમાંના ઘણાં હજુ સુધી જીવતા રહ્યા છે, પણ કેટલાક મૃત્યુ પામ્યા છે.

પણ હવે ખ્રિસ્ત મૃત્યુ પામેલાઓમાંથી સજીવન થયા છે, અને તે ઊંઘી ગયેલાંઓનું પ્રથમફળ થયા છે. કેમ કે માણસથી મરણ થયું, એ જ રીતે માણસથી મૂએલાંઓનું મરણોત્થાન પણ થયું છે. કેમ કે જેમ આદમમાં સર્વ મરે છે, તેમ ખ્રિસ્તમાં સર્વ સજીવન થશે. પણ પ્રત્યેક પોતપોતાને અનુક્રમે: ખ્રિસ્ત પ્રથમફળ, ત્યાર પછી જ્યારે તે આવશે ત્યારે જેઓ ખ્રિસ્તનાં છે તેઓને [સજીવન કરવામાં આવશે]. જયારે ખ્રિસ્ત ઈશ્વરને એટલે પિતાને રાજ્ય સોંપી દેશે, ત્યારે સમગ્ર સત્તા, સર્વ અધિકાર તથા પરાક્રમ નષ્ટ કરશે ત્યારે અંત આવશે. કેમ કે સર્વ શત્રુઓને તે પોતાના પગ તળે કચડી નહિ નાખે, ત્યાં સુધી તેમણે રાજ કરવું જોઈએ. જે છેલ્લો શત્રુ નાશ પામશે તે તો મરણ છે. કેમ કે ઈશ્વરે પોતાના પગ નીચે બધાને આધીન કર્યાં છે; પણ જયારે તેમણે કહ્યું કે, 'સર્વ આધીન કરાયા છે, ત્યારે સર્વને આધીન કરનાર જુદા છે, તે સ્પષ્ટ દેખાય છે.' પણ જયારે સર્વ તેમને આધીન કરાશે, ઈસુ આધીન થયેલાઓને આધીન નહિ થાય પણ પિતાને આધીન થશે એ સારુ કે ઈશ્વર સર્વમાં સર્વોચ્ચ થાય.

પણ તેઓના મન કઠણ થયાં; કેમ કે આજ સુધી જૂનો કરાર વાંચતા તે પડદો એમનો એમ જ રહે છે; પણ તે તો ખ્રિસ્તમાં દૂર કરવામાં આવે છે.

પણ જો અમારી સુવાર્તા ગુપ્ત રહેલી હોય તો તે નાશ પામનારાઓને સારુ જ ગુપ્ત રખાયેલી છે; જેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓના મન અંધ કર્યાં છે, એ સારુ કે ખ્રિસ્ત જે ઈશ્વરની પ્રતિમા છે, તેમના મહિમાની સુવાર્તાનાં અજવાળાનો ઉદય તેઓ પર ન થાય. અમે ઉપદેશમાં પોતાને પ્રગટ નથી કરતા, પણ ખ્રિસ્ત ઈસુ પ્રભુ છે અને અમે પોતે ઈસુને લીધે તમારા દાસો છીએ, એવું જાહેર કરીએ છીએ. કેમ કે જે ઈશ્વરે જેમણે અંધારામાંથી અજવાળાને પ્રકાશવા ફરમાવ્યું; તે મુજબ ઈસુ ખ્રિસ્તનાં ચહેરા પરનો ઈશ્વરના મહિમાના જ્ઞાનનો પ્રકાશ આપણા હૃદયોમાં પાડે.

કેમ કે દરેકે શરીરથી જે કર્યું છે, સારુ કે ખરાબ હોય, તે પ્રમાણે તે બદલો પામવા સારુ આપણને સર્વને ખ્રિસ્તનાં ન્યાયાસનની આગળ હાજર થવું પડશે.

માટે, જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવું સર્જન થયો છે; જે જૂનું હતું તે જતું રહ્યું છે; જુઓ, તે નવું થયું છે.

જેમણે પાપ જાણ્યું ન હતું, તેમને આપણે માટે તેમણે પાપરૂપ કર્યા, એ સારુ કે આપણે તેમનાંમાં ઈશ્વરના ન્યાયીપણારૂપ થઈએ.

કેમ કે તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા જાણો છો કે, તેઓ ધનવાન હોવા છતાં તમારે માટે નિર્ધન થયા, કે જેથી તમે તેમની ગરીબીથી ધનવાન થાઓ.

હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો છું, પરંતુ હું જીવું છું, તોપણ હું નહિ, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે; અને હવે મનુષ્યદેહમાં મારું જે જીવન છે તે ઈશ્વરના દીકરા પરના વિશ્વાસથી છે; તેમણે મારા પર પ્રેમ કર્યો અને મારે માટે પોતાનું અર્પણ કર્યું.

ખ્રિસ્તે આપણા વતી શાપિત થઈને, નિયમશાસ્ત્રના શાપથી આપણને છોડાવી લીધા, કેમ કે લખેલું છે કે, 'જે કોઈ ઝાડ પર ટંગાયેલો છે, તે શાપિત છે;'

પણ સમયની સંપૂર્ણતાએ, ઈશ્વરે સ્ત્રીથી જન્મેલો અને નિયમશાસ્ત્રને આધીન જન્મેલો, એવો પોતાનો પુત્ર (એવા હેતુથી) મોકલ્યો, કે જેઓ નિયમશાસ્ત્રના દાસત્વમાં હતા તેઓને તે મુક્ત કરાવે, જેથી આપણે તેમના દત્તક સંતાનો તરીકે સ્વીકારાઈએ.

આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં ઈશ્વર, મહિમાવાન પિતા, પોતાના વિષેના જ્ઞાનને સારુ બુદ્ધિનો તથા પ્રકટીકરણનો આત્મા તમને આપે; અને તમારાં અંતર્નયનો પ્રકાશિત થઈ ગયા હોવાથી તેમના આમંત્રણની આશા અને સંતોમાં તેમના વારસાના મહિમાની સંપત્તિ શી છે, અને તેમની મહાન શક્તિના પરાક્રમ પ્રમાણે આપણ વિશ્વાસ કરનારાઓમાં તેમની શક્તિ શી છે, તે તમે સમજો. ઈશ્વરે તે પરાક્રમ ખ્રિસ્તમાં બતાવીને ઈસુને મૂએલાંમાંથી સજીવન કર્યા, અને સર્વ રાજ્યસત્તા, અધિકાર, પરાક્રમ, આધિપત્ય તથા પ્રત્યેક નામ જે કેવળ આ કાળમાંનું નહિ, પણ ભવિષ્યકાળમાંનું દરેક નામ જે હોય, એ સર્વ કરતાં ઊંચા કરીને પોતાની જમણી તરફ સ્વર્ગીય સ્થાનોમાં તેમને બેસાડયા. અને સઘળાંને તેમણે તેમના પગ નીચે રાખ્યાં, અને તેમને સર્વ પર વિશ્વાસી સમુદાયના શિરપતિ તરીકે નિર્માણ કર્યા; વિશ્વાસી સમુદાય તો ખ્રિસ્તનું શરીર છે, ખ્રિસ્ત તેમાં સંપૂર્ણ રીતે વસેલા છે; તે સર્વમાં સર્વ છે.

પ્રેરિતો તથા પ્રબોધકોના પાયા પર તમને બાંધવામાં આવેલા છે; ઈસુ ખ્રિસ્ત પોતે તો ખૂણાનો મુખ્ય પથ્થર છે; તેમનાંમાં દરેક બાંધણી એકબીજાની સાથે યોગ્ય રીતે જોડાઈને પ્રભુમાં વધતાં વધતાં પવિત્ર ભક્તિસ્થાન બને છે; તેમનાંમાં તમે પણ ઈશ્વરના નિવાસને સારુ આત્મામાં એકબીજાની સાથે જોડાઈને બંધાતા જાઓ છો.

જે ઊતર્યા તે [ઈસુ ખ્રિસ્ત] એ છે કે જે સર્વને ભરપૂર કરવાને સર્વ સ્વર્ગો પર ઊંચે ચઢ્યાં.

પણ પ્રેમથી સત્યને બોલીને, ખ્રિસ્ત જે શિર છે, તેમાં સર્વ પ્રકારે વધીએ. એનાથી આખું શરીર ગોઠવાઈને તથા દરેક સાંધા વડે જોડાઈને, દરેક અંગ પોતાની શક્તિ પ્રમાણે કાર્ય કર્યાથી, પ્રેમમાં પોતાની ઉન્નતિને સારુ શરીરની વૃદ્ધિ કરે છે.

એ માટે તમે [પ્રભુનાં] પ્રિય બાળકો તરીકે ઈશ્વરનું અનુસરણ કરનારા થાઓ; અને પ્રેમમાં ચાલો. જેમ ખ્રિસ્ત ઈસુએ તમારા પર પ્રેમ રાખ્યો અને ઈશ્વરની સમક્ષ સુવાસને અર્થે, આપણે સારુ સ્વાર્પણ કરીને પોતાનું બલિદાન આપ્યું, તેમ.

કેમ કે આપણે તેમના [ખ્રિસ્તનાં] શરીરનાં અંગો છીએ.

ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું, તેવું તમે પણ રાખો પોતે ઈશ્વરના રૂપમાં હોવા છતાં, તેમણે ઈશ્વર સમાન હોવાનું પકડી રાખવાને ઇચ્છ્યું નહિ, પણ તેમણે દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસોની સમાનતામાં આવીને પોતાને ખાલી કર્યા; અને માણસના રૂપમાં પ્રગટ થઈને, વધસ્તંભ પરના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યા. તેને કારણે ઈશ્વરે તેમને ઘણાં ઊંચા કર્યા અને સર્વ નામો કરતાં એવું શ્રેષ્ઠ નામ આપ્યું કે, સ્વર્ગમાંનાં, પૃથ્વી પરનાં તથા પાતાળમાંનાં સર્વ ઈસુને નામે ઘૂંટણે પડીને નમે; અને ઈશ્વરપિતાના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે.

એ માટે કે હું તેમને તથા મૃત્યુમાંથી તેમના મરણોત્થાનના પરાક્રમને સમજું તથા તેમના દુઃખોમાં સહભાગી થાઉં; એટલે કે તેમના મૃત્યુને અનુરૂપ થાઉં, કે હું કોઈ પણ રીતે મૃત્યુ પામેલાંઓના મરણોત્થાનને પહોંચું.

તેમણે અંધકારનાં અધિકારમાંથી આપણને છોડાવ્યાં તથા પોતાના પ્રિય પુત્રના રાજ્યમાં લાવ્યા. તેમનાં રક્તદ્વારા આપણને ઉદ્ધાર, એટલે પાપોની માફી છે. તે અદ્રશ્ય ઈશ્વરની પ્રતિમા, સર્વ સૃષ્ટિના પ્રથમજનિત છે; કેમ કે તેમનાંથી બધાં ઉત્પન્ન થયાં, જે આકાશમાં તથા પૃથ્વી પર છે, જે દૃશ્ય તથા અદ્રશ્ય છે, રાજ્યાસનો, રાજ્યો, અધિપતિઓ કે અધિકારીઓ સર્વ તેમની મારફતે તથા તેમને માટે ઉત્પન્ન થયાં; તેઓ સર્વ બાબતોમાં પહેલાં છે; અને તેમનાંમાં સર્વ બાબતો વ્યવસ્થિત થઈને રહે છે. તેઓ શરીરનું એટલે વિશ્વાસી સમુદાયનું શિર છે; તે આરંભ, એટલે મૃત્યુ પામેલાંઓમાંથી પ્રથમ સજીવન થયેલાં છે; કે જેથી સર્વમાં તે શ્રેષ્ઠ થાય. કેમ કે તેમનાંમાં સર્વ પ્રકારની સંપૂર્ણતા રહે; એવું પિતાને પસંદ પડયું; અને ઈસુ ખ્રિસ્તનાં વધસ્તંભના રક્તથી શાંતિ કરાવીને તેમની મારફતે તેઓ પોતાની સાથે સઘળી બાબતોનું સમાધાન કરાવે છે; પછી તે પૃથ્વી પરની હોય કે આકાશમાંની હોય.

તેઓનાં હૃદયો દિલાસો પામે અને ઈશ્વરનો મર્મ એટલે ખ્રિસ્તને સમજવાને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે, પ્રેમથી સંગતમાં રહે. તેમનાંમાં જ્ઞાન તથા બુદ્ધિનો સર્વ ખજાનો ગુપ્ત રહેલો છે.

કેમ કે ઈશ્વરત્વની સર્વ સંપૂર્ણતા ખ્રિસ્તનાં શરીરમાં વસે છે. તમે તેમનાંમાં સંપૂર્ણ થયા છો; તેઓ સર્વ શાસન તથા અધિકારનાં ઉપરી છે;

રાજ્યો તથા અધિકારો તોડી પાડીને, વધસ્તંભે તેઓ પર વિજય પામીને તેઓને જાહેરમાં ઉઘાડાં પાડ્યાં.

એ માટે જો તમને, ખ્રિસ્તની સાથે સજીવન કરવામાં આવ્યા છે, તો જ્યાં ખ્રિસ્ત, ઈશ્વરને જમણે હાથે બિરાજમાન છે ત્યાંની, એટલે કે ઉપરની બાબતોની શોધો કરો.

કેમ કે એક જ ઈશ્વર છે તદુપરાંત ઈશ્વર તથા મનુષ્યોની વચ્ચે એક જ મધ્યસ્થ છે તે મનુષ્ય, ખ્રિસ્ત ઈસુ જેમણે સઘળાંનું મુક્તિમૂલ્ય ચૂકવવા સ્વાર્પણ કર્યું; તેમની સાક્ષી નિર્માણ થયેલ સમયે આપવામાં આવી હતી.

નિર્વિવાદપણે ઈશ્વરપરાયણતાનો મર્મ મોટો છે તેઓ મનુષ્યદેહમાં પ્રગટ થયા, પવિત્ર આત્મામાં ન્યાયી ઠરાવાયા, સ્વર્ગદૂતોનાં જોવામાં આવ્યા, લોકજાતીઓમાં પ્રચાર કરાયા, દુનિયામાં જેમનાં પર વિશ્વાસ કરાયો અને તેમને મહિમામાં ઉપર લઈ લેવામાં આવ્યા.

આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં પ્રગટ થવા સુધી તું ઠપકારહિત તથા નિષ્કલંક રીતે આ આજ્ઞા પાળ. જેઓ સ્તુત્ય છે, એકલા જ સર્વોપરી, રાજકર્તાઓના રાજા તથા પ્રભુઓના પ્રભુ છે તેઓ યોગ્ય સમયે ઈસુનું પ્રગટ થવું બતાવશે, તેમને એકલાને જ અવિનાશીપણું છે, પાસે ન જવાય એવા અજવાળામાં રહે છે, જેમને કદી કોઈ મનુષ્યોએ જોયા નથી અને જોઈ શકતા પણ નથી તેમને અનંતકાળ સન્માન તથા આધિપત્ય હો. આમીન.

માટે ઈશ્વરની સમક્ષ ખ્રિસ્ત ઈસુ જે જીવતાં તથા મૂએલાંઓનો ન્યાય કરવાના છે તેમની સમક્ષ ઈસુના પ્રગટ થવાનાં તથા તેમના રાજ્યના [આદેશથી] હું તને આગ્રહથી કહું છું કે,

અને આશીર્વાદિત આશાપ્રાપ્તિની તથા મહાન ઈશ્વર તેમ જ આપણા ઉદ્ધારકર્તા ઈસુ ખ્રિસ્તનાં મહિમાના પ્રગટ થવાની પ્રતિક્ષા કરવી;

પ્રાચીન કાળમાં પ્રબોધકો દ્વારા આપણા પૂર્વજોની સાથે ઈશ્વર અનેક વાર વિવિધ રીતે વાત કરી હતી. તે આ છેલ્લાં સમયમાં પુત્ર કે, જેમને તેમણે સર્વના વારસ ઠરાવ્યાં અને વળી જેમનાં વડે તેમણે વિશ્વ પરના લોકોને ઉત્પન્ન કર્યા, તેમના દ્વારા આપણી સાથે બોલ્યા છે. તેઓ ઈશ્વરના મહિમાનું તેજ તથા તેમના વ્યક્તિત્વની આબેહૂબ પ્રતિમા છે, પોતાના પરાક્રમના શબ્દથી તેઓ સર્વને નિભાવી રાખે છે; તેઓ આપણા પાપનું પ્રાયશ્ચિત કરી, આપણને શુદ્ધ કરી, મહાન પિતાની જમણી તરફ ઉચ્ચસ્થાને બિરાજેલા છે.

કેમ કે ઈશ્વરે સ્વર્ગદૂતોને ક્યારે એવું કહ્યું કે, 'તું મારો દીકરો છે, આજે મેં તને જન્મ આપ્યો છે?' અને વળી, 'હું તેનો પિતા થઈશ અને તે મારો પુત્ર થશે?' વળી જયારે તે પ્રથમજનિતને દુનિયામાં લાવે છે, ત્યારે તે કહે છે કે, 'ઈશ્વરના સર્વ સ્વર્ગદૂતો તેમનું ભજન કરો.'

પણ પુત્ર વિષે તે કહે છે, 'ઓ ઈશ્વર, તમારું રાજ્યાસન સનાતન છે અને તમારો રાજદંડ ન્યાયનો દંડ છે. તમે ન્યાયીપણા પર પ્રેમ રાખ્યો છે અને અન્યાય પર દ્વેષ કર્યો છે, એ માટે ઈશ્વરે, એટલે તમારા ઈશ્વરે, તમને તમારા સાથીઓ કરતાં અધિક ગણીને આનંદરૂપી તેલથી અભિષિક્ત કર્યા છે. વળી, ઓ પ્રભુ, તમે આરંભમાં પૃથ્વીનો પાયો નાખ્યો, અને આકાશો તમારા હાથની કૃતિ છે. તેઓ નાશ પામશે, પણ તમે કાયમ રહો છો; તેઓ સર્વ વસ્ત્રની માફક જીર્ણ થઈ જશે; તમે ઝભ્ભાની જેમ તેઓને વાળી લેશો; અને વસ્ત્રની જેમ તેઓ બદલાશે; પણ તમે એવા અને એવા જ છો, તમારાં વર્ષોનો કદી અંત આવશે નહિ.'

કેમ કે તેમનું પરીક્ષણ થવાથી તેમણે એટલા માટે દુઃખ સહન કર્યું કે જેઓનું પરીક્ષણ થાય છે, તેઓને સહાય કરવાને તે સર્વશક્તિમાન છે.

એ માટે, ઓ, સ્વર્ગીય તેડાના ભાગીદાર પવિત્ર ભાઈઓ, આપણે જે સ્વીકાર્યું છે તેના પ્રેરિત તથા પ્રમુખ યાજક ઈસુ પર તમે લક્ષ રાખો.

તો ઈશ્વરના પુત્ર ઈસુ જે સ્વર્ગમાં પ્રવેશ પામ્યા છે, એવા મહાન પ્રમુખ યાજક આપણને મળ્યા છે, માટે આપણે જે સ્વીકાર્યું છે તેને દૃઢતાથી પકડી રાખીએ. કેમ કે આપણી નિર્બળતા પર જેમને દયા ન આવે એવા નહિ, પણ તે સર્વ પ્રકારે આપણી જેમ પરીક્ષણ પામેલા છતાં નિષ્પાપ રહ્યા એવા આપણા પ્રમુખ યાજક છે.

તેઓ મનુષ્યદેહધારી હતા એ સમયે પોતાને મૃત્યુમાંથી છોડાવવાને જે સર્વશક્તિમાન હતા, તેઓની પાસે મોટે અવાજે, આંસુસહિત પ્રાર્થના તથા વિનંતી કર્યાં અને તેમણે અધીનતાથી ઈશ્વરની વાતોને મહિમા આપ્યો, માટે તેમની પ્રાર્થના સાંભળવામાં આવી; તે પુત્ર હતા તે છતાં પણ પોતે જે જે સંકટો સહ્યાં તેથી તે [ખ્રિસ્ત] આજ્ઞાપાલન શીખ્યા. અને પરિપૂર્ણ થઈને પોતાની આજ્ઞાનું પાલન કરનારા સઘળાંને માટે અનંત ઉદ્ધારનું કારણ બન્યા. ઈશ્વરે તેમને મેલ્ખીસેદેકનાં નિયમ પ્રમાણે પ્રમુખ યાજક જાહેર કર્યાં.

પણ ઈસુ તો સદાકાળ રહે છે, માટે તેમનું યાજકપદ અવિકારી છે. માટે જેઓ તેમની મારફતે ઈશ્વરની પાસે આવે છે, તેઓનો સંપૂર્ણ ઉદ્ધાર કરવાને ઈસુ સમર્થ છે. કેમ કે દરેકને માટે મધ્યસ્થી કરવાને તેઓ સદા જીવંત રહે છે. તેમના જેવા પ્રમુખ યાજકની આપણને જરૂર હતી, તે પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક, પાપીઓથી તદ્દન અલગ છે, અને તેમને આકાશ કરતાં વધારે ઉચ્ચસ્થાને બિરાજવામાં આવેલા છે. પ્રથમ પ્રમુખ યાજકોની માફક તે પોતાના પાપોને સારુ, પછી લોકોના પાપોને સારુ નિત્ય બલિદાન આપવાની તેમને અગત્ય નથી; કેમ કે તેમણે, પોતાનું અર્પણ કરીને એક જ વખતમાં એ કાર્ય પૂર્ણ કર્યું છે. કેમ કે નિયમશાસ્ત્ર નબળા માણસોને પ્રમુખ યાજકો ઠરાવે છે; પણ નિયમશાસ્ત્ર પછી જે સમનું વચન છે તે તો સદાને માટે સંપૂર્ણ કરેલા પુત્રને પ્રમુખ યાજક ઠરાવે છે.

હવે જે વાતો અમે કહીએ છીએ, તેનો સારાંશ એ છે, કે આપણને એવા પ્રમુખ યાજક મળ્યા છે, કે જે સ્વર્ગમાં ઈશ્વરના મહત્વના રાજ્યાસનની જમણી તરફ બિરાજમાન છે.

કેમ કે જો તે પહેલા કરારમાં દોષ ન હોત, તો બીજા કરારને માટે સ્થાન શોધવાની જરૂર રહેત નહિ. પણ દોષ કાઢતાં ઈશ્વર તેઓને કહે છે કે, 'જુઓ, પ્રભુ એમ કહે છે કે, એવા દિવસો આવે છે, કે જેમાં હું ઇઝરાયલના લોકોની સાથે તથા યહૂદિયા લોકોની સાથે નવો કરાર કરીશ.

તો, 'નવો કરાર' એવું કહીને તેમણે પહેલા કરારને જૂનો ઠરાવ્યો છે. પણ જે જૂનું તથા જર્જરિત થતું જાય છે તે નાશ પામવાની તૈયારીમાં છે.

ખ્રિસ્ત, હવે પછી થનારી સર્વ બાબતો સંબંધી પ્રમુખ યાજક થઈને, હાથથી તથા પૃથ્વી પરના પદાર્થોથી બનાવેલ નહિ એવા અતિ મહાન તથા અધિક સંપૂર્ણ મંડપમાં થઈને, બકરાના તથા વાછરડાના લોહીથી નહિ, પણ પોતાના જ રક્તથી, માણસોને માટે અનંતકાળિક ઉદ્ધાર મેળવીને તે પરમપવિત્રસ્થાનમાં એક જ વાર ગયા હતા.

માટે પહેલા કરારના સમયે જે ઉલ્લંઘનો કરવામાં આવ્યા હતાં, તેના ઉદ્ધારને માટે પોતે બલિદાન આપે [મરણ આપે] અને જેઓને તેડવામાં આવ્યા છે તેઓને અનંતકાળના વારસાનું વચન પ્રાપ્ત થાય માટે તે નવા કરારના મધ્યસ્થ છે. કેમ કે જ્યાં વસિયતનામું છે, ત્યાં વસિયતનામું કરનારનું મૃત્યુ થાય એ જરૂરી છે. કેમ કે વસિયતનામાનો અમલ માણસના મૃત્યુ પછી થાય છે; એ વસિયતનામું કરનાર જીવિત હોય ત્યાં સુધી કદી તે ઉપયોગી હોય ખરું? એ માટે પહેલા કરારની પ્રતિષ્ઠા પણ રક્ત વિના થઈ ન હતી.

નિયમશાસ્ત્ર પ્રમાણે ઘણું કરીને સઘળી વસ્તુઓ રક્તદ્વારા શુદ્ધ કરાય છે અને રક્ત વહેવડાવ્યા વગર પાપની માફી મળતી નથી.

કેમ કે ખ્રિસ્ત હાથે બનાવેલાં પવિત્રસ્થાન કે જે સત્યનો નમૂનો છે તેમાં ગયા નથી, પણ સ્વર્ગમાં જ ગયા છે, એ માટે કે તે હમણાં આપણે માટે ઈશ્વરની સમક્ષ હાજર થાય.

તેમ ખ્રિસ્તે ઘણાંઓનાં પાપ માથે લેવા માટે એક જ વખત પોતાનું બલિદાન આપ્યું. જેઓ તેમની વાટ જુએ છે તેઓના સંબંધમાં ઉદ્ધારને અર્થે તે બીજી વખત પાપ વગર પ્રગટ થશે.

પણ ઈસુ તો, પાપોને કાજે એક બલિદાન સદાકાળને માટે આપીને, ઈશ્વરની જમણી તરફ બિરાજેલા છે.

મારા ભાઈઓ, તેણે આપણે માટે પડદામાં થઈને, એટલે પોતાના શરીરમાં થઈને, એક નવો તથા જીવતો માર્ગ ઉઘાડ્યો છે. તે માર્ગમાં થઈને ઈસુના રક્તદ્વારા પરમપવિત્રસ્થાનમાં પ્રવેશ કરવાને આપણને હિંમત છે; વળી ઈશ્વરના ઘર પર આપણે માટે એક મોટો યાજક છે,

આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ રાખીએ કે, જેમણે પોતાની સમક્ષ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને વધસ્તંભ પર મરણનું દુઃખ સહન કર્યું અને હાલ તેઓ ઈશ્વરના રાજ્યાસનની જમણી તરફ બિરાજમાન છે. તો જેમણે પોતા પર પાપીઓનો એટલો બધો વિરોધ સહન કર્યો તેમનો વિચાર કરો, એમ ન થાય કે તમે પોતાના મનમાં અશક્ત થવાથી થાકી જાઓ.

નવા કરારના મધ્યસ્થ ઈસુની પાસે અને જે છંટકાવનું રક્ત હાબેલના કરતાં સારું બોલે છે ત્યાં તેની પાસે આવ્યા છો.

ઈસુ ખ્રિસ્ત ગઈ કાલે, આજ તથા સદાકાળ એવા અને એવા જ છે.

હવે શાંતિના ઈશ્વર, જેણે અનંતકાળના કરારના રક્તથી ઘેટાંના મોટા રખેવાળ આપણા પ્રભુ ઈસુને મૃત્યુમાંથી પાછા સજીવન કર્યાં, તે તમને દરેક સારા કામને માટે એવા સંપૂર્ણ કરે કે, તમે તેમની ઇચ્છા પ્રમાણે જ બધું કરો. અને તેમની દ્રષ્ટિમાં જે સંતોષકારક છે, તે આપણી મારફતે ઈસુ ખ્રિસ્ત દ્વારા તેઓ કરાવે; તેમને સદાસર્વકાળ મહિમા હો. આમીન.

મારા ભાઈઓ, તમે પક્ષપાત વિના આપણા મહિમાવાન પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વિશ્વાસ રાખો.

આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં ઈશ્વર તથા પિતાની સ્તુતિ થાઓ; તેમણે પોતાની પુષ્કળ દયા પ્રમાણે મૂએલામાંથી ઈસુ ખ્રિસ્તનાં મરણોત્થાન દ્વારા આપણને જીવંત આશાને સારુ, અવિનાશી, નિર્મળ તથા જર્જરિત ન થનારા વતનને માટે આપણને નવો જન્મ આપ્યો છે, તે વતન તમારે માટે સ્વર્ગમાં રાખી મૂકેલું છે. છેલ્લાં સમયમાં જે ઉદ્ધાર પ્રગટ થવાની તૈયારીમાં છે, તેને માટે ઈશ્વરના સામર્થ્ય વડે વિશ્વાસથી તમને સંભાળવામાં આવે છે.

પણ ખ્રિસ્ત જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન છે તેમના મૂલ્યવાન રક્તથી ખરીદી લેવાયેલા છો. તેઓ તો સૃષ્ટિના પ્રારંભ પૂર્વે નિયુક્ત કરાયેલા હતા ખરા, પણ તમારે માટે આ છેલ્લાં સમયમાં પ્રગટ થયા. તેમને આધારે તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો, જેમણે તેમને મરણમાંથી ઉઠાડયા અને મહિમા આપ્યો, એ માટે કે તમારો વિશ્વાસ તથા આશા ઈશ્વર પર રહે.

જે જીવંત પથ્થર છે, મનુષ્યોથી નકારાયેલા ખરા, પણ ઈશ્વરથી પસંદ કરાયેલા તથા મૂલ્યવાન છે. તેમની પાસે આવીને તમે પણ આત્મિક ઘરના જીવંત પથ્થર બન્યા અને જે આત્મિક યજ્ઞો ઈસુ ખ્રિસ્તને ધ્વારા ઈશ્વરને પ્રસન્ન છે તેમનું અર્પણ કરવા પવિત્ર યાજકો થયા છો. કારણ કે શાસ્ત્રવચનમાં લખેલું છે કે, 'જુઓ, પસંદ કરેલો તથા મૂલ્યવાન, એવો ખૂણાનો મુખ્ય પથ્થર હું સિયોનમાં મૂકું છું અને જે તેના પર વિશ્વાસ કરે છે તે શરમાશે નહિ.

માટે તમને વિશ્વાસ કરનારાઓને તે મૂલ્યવાન છે, પણ અવિશ્વાસીઓને સારુ તો જે પથ્થર બાંધનારાઓએ નાપસંદ કર્યો, તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે. વળી ઠેસ ખવડાવનાર પથ્થર અને ઠોકર ખવડાવનાર ખડક થયો છે;' તેઓ આજ્ઞા માનતાં નથી, તેથી વચન વિષે ઠોકર ખાય છે, એટલા માટે પણ તેઓનું નિર્માણ થયેલું હતું.

કારણ કે એને માટે તમે તેડાયેલા છો, કેમ કે ખ્રિસ્તે પણ તમારે માટે સહન કર્યું છે અને તમને નમૂનો આપ્યો છે, કે તમે તેમને પગલે ચાલો. તેમણે કંઈ પાપ કર્યું નહિ, ને તેમના મુખમાં કપટ માલૂમ પડ્યું નહિ. તેમણે નિંદા પામીને સામે નિંદા કરી નહિ, દુઃખો સહેતાં કોઈને ધમકાવ્યાં નહિ, પણ સાચો ન્યાય કરનારને પોતાને સોંપ્યો. લાકડા પર તેમણે પોતે પોતાના શરીરમાં આપણાં પાપ લીધાં, જેથી આપણે પાપ સંબંધી મૃત્યુ પામીએ અને ન્યાયીપણા માટે જીવીએ; તેમના જખમોથી તમે સાજાં થયા. કેમ કે તમે ભૂલાં પડેલાં ઘેટાંના જેવા હતા, પણ હમણાં તમારા આત્માના પાળક તથા રક્ષક ઈશ્વરની પાસે પાછા આવ્યા છો.

કેમ કે ખ્રિસ્તે પણ એક વાર પાપોને સારુ, એટલે ન્યાયીએ અન્યાયીઓને બદલે સહ્યું કે, જેથી તેઓ આપણને ઈશ્વર પાસે લાવે; તેમને મનુષ્યદેહમાં મારી નંખાયા, પણ આત્મામાં સજીવન કરવામાં આવ્યા.

તે દ્રષ્ટાંત પ્રમાણે બાપ્તિસ્માનાં પાણીથી શરીરનો મેલ દૂર કરવાથી નહિ, પણ ઈસુ ખ્રિસ્તનાં મરણોત્થાન દ્વારા ઈશ્વર પાસે શુદ્ધ અંતઃકરણની માગણીથી હમણાં તમને પણ બચાવે છે. ઈસુ તો સ્વર્ગદૂતો, અધિકારીઓ તથા પરાક્રમીઓને પોતાને સ્વાધીન કરીને સ્વર્ગમાં ગયા અને ઈશ્વરને જમણે હાથે બિરાજમાન છે.

આપણા ઈશ્વર તથા ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તનાં ન્યાયીપણાથી અમારા વિશ્વાસ જેવો મૂલ્યવાન વિશ્વાસ જેઓ પામ્યા છે, તેઓને ઈસુ ખ્રિસ્તનો દાસ તથા પ્રેરિત સિમોન પિતર લખે છે ઈશ્વરને તથા આપણા પ્રભુ ઈસુને ઓળખવાથી તમારા પર કૃપા તથા શાંતિ પુષ્કળ હો.

કારણ કે એમ કરવાથી આપણા પ્રભુ તથા ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તનાં અનંતકાળના રાજ્યમાં તમે પૂરી રીતે પ્રવેશ પામશો.

કેમ કે જયારે અમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય તથા તેના આગમનની વાત તમને જણાવી, ત્યારે અમે ચતુરાઈથી કલ્પેલી વાર્તાઓ અનુસર્યા નહોતા; પણ તેમની મહાન પ્રભુતાને પ્રત્યક્ષ જોનારા હતા. કેમ કે જયારે ગૌરવી મહિમા તરફથી તેઓને એવી વાણી થઈ કે, 'એ મારો વહાલો પુત્ર છે, તેના પર હું પ્રસન્ન છું,' ત્યારે ઈશ્વરપિતાથી તેઓ માન તથા મહિમા પામ્યા.

પણ આપણા પ્રભુ તથા ઉદ્ધારકર્તા ઈસુ ખ્રિસ્તની કૃપામાં અને જ્ઞાનમાં તમે વૃદ્ધિ પામો; તેમને હમણાં તથા સદાસર્વકાળ મહિમા હો. આમીન.

મારા વહાલા બાળકો, તમે પાપ ન કરો તે માટે હું તમને આ વાતો લખું છું. અને જો કોઈ પાપ કરે તો પિતાની પાસે આપણા મધ્યસ્થ છે, એટલે ઈસુ ખ્રિસ્ત જે ન્યાયી છે તે. તેઓ આપણા પાપનું પ્રાયશ્ચિત છે, કેવળ આપણાં જ નહિ, પણ આખા માનવજગતના પાપનું તેઓ પ્રાયશ્ચિત છે.

તમે જાણો છો કે પાપનો નાશ કરવાને તેઓ પ્રગટ થયા અને તેમનાંમાં પાપ નથી.

વળી આપણે જાણીએ છીએ કે ઈશ્વરના પુત્ર આવ્યા છે અને જે સત્ય છે તેને ઓળખવા સારુ તેમણે આપણને સમજણ આપી છે અને જે સત્ય છે, એટલે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત, તેમનાંમાં આપણે છીએ; એ જ ઈશ્વર સાચો (સત્ય) અને અનંતજીવન છે.

એટલે આપણા ઉદ્ધારકર્તા એકલા ઈશ્વરને, મહિમા, પરાક્રમ તથા અધિકાર અનાદિકાળથી, હમણાં તથા સર્વકાળ હોજો. આમીન.

જે સાત મંડળી (વિશ્વાસી સમુદાય) આસિયામાં છે તેઓને યોહાન લખે છે. જે છે અને જે હતા અને જે આવનાર છે તેમનાંથી, તથા તેમના રાજ્યાસન આગળ જે સાત આત્મા છે તેઓના તરફથી, તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ સાક્ષી, અને મરણ પામેલાંમાંથી પ્રથમ ઊઠેલ અને દુનિયાના રાજાઓના અધિકારી છે તેમનાંથી, તમારા પર કૃપા તથા શાંતિ હો. જેમણે આપણા પર પ્રેમ કર્યો, અને પોતાના રક્ત વડે આપણને આપણાં પાપથી બચાવ્યા; અને ઈશ્વર પિતાને માટે આપણને રાજ્ય તથા યાજકો બનાવ્યા, તેમનો મહિમા તથા અધિકાર સદાસર્વકાળ સુધી હો; આમીન. જુઓ, તે વાદળાં સાથે આવે છે અને દરેક આંખ, અને જેઓએ તેમને વીંધ્યા તેઓ પણ તેમને જોશે; અને પૃથ્વી પરનાં સઘળાં કુળો તેમને લીધે વિલાપ કરશે; હા, આમીન.

પ્રભુ ઈશ્વર જે છે, જે હતા અને જે આવનાર છે, જે સર્વસમર્થ છે, તે એમ કહે છે કે, 'હું આલ્ફા તથા ઓમેગા છું.'

'તું જે જુએ છે તે પુસ્તકમાં લખ, અને એફેસસમાં, સ્મર્નામાં, પેર્ગામનમાં, થુઆતૈરામાં, સાર્દિસમાં, ફિલાડેલ્ફિયામાં તથા લાઓદિકિયામાં જે સાત મંડળી છે તેઓના પર મોકલ.'

જે વાણીએ મારી સાથે વાત કરી, તેને જોવા હું ફર્યો; ત્યારે મેં સોનાની સાત દીવીને જોઈ. તે દીવીઓની વચમાં મનુષ્યપુત્ર જેવા એકને મેં જોયા, તેમણે પગની પાની સુધી પહોંચે એવો ઝભ્ભો પહેરેલો હતો અને તેમની છાતી પર સોનાનો પટ્ટો બાંધેલો હતો; તેમનું માથું તથા વાળ સફેદ ઊનના જેવા, બરફની માફક શ્વેત હતાં; અને તેમની આંખો અગ્નિની જ્વાળા જેવી હતી; તેમના પગ જાણે ભઠ્ઠીમાં શુદ્ધ થયેલા ચળકતા પિત્તળના જેવા હતા; અને તેમનો અવાજ ઘણાં પાણીનાં મોજાંના જેવો ગર્જતો હતો; તેમના જમણાં હાથમાં સાત તારા હતા; તેમના મુખમાંથી બેધારી તીક્ષ્ણ તરવાર નીકળતી હતી; અને તેમનો ચહેરો પૂર્ણ તેજથી પ્રકાશતા સૂર્ય સમાન હતો;

જયારે મેં તેમને જોયા ત્યારે મૂએલા જેવો થઈને હું તેમના પગ પાસે પડી ગયો; ત્યારે તેમણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું કે, 'બીશ નહિ, પ્રથમ તથા છેલ્લો હું છું; અને જે જીવંત છે તે હું છું, હું મૃત્યુ પામ્યો હતો અને જુઓ, હવે હું સદાકાળ જીવતો છું; મરણ તથા હાદેસની ચાવીઓ મારી પાસે છે.

ત્યારે વડીલોમાંના એકે મને કહ્યું કે, તું રડીશ નહીં; જો, યહૂદાના કુળમાંનો જે સિંહ છે, જે દાઉદનું મૂળ છે, તે આ ઓળિયું ખોલવાને તથા તેના સાત સીલ [તોડવાને] વિજયી થયો છે. રાજ્યાસનની તથા ચાર પ્રાણીઓની વચ્ચે તથા વડીલોની વચ્ચે મારી નંખાયેલા જેવું એક હલવાન ઊભું રહેલું મેં જોયું, તેને સાત શિંગડાં તથા સાત આંખ હતી; એ આંખો ઈશ્વરના સાત આત્મા છે, જેઓને આખી પૃથ્વી પર મોકલવામાં આવેલા છે.

તેઓ નવું ગીત ગાતાં કહે છે કે, તમે ઓળિયું લેવાને તથા તેનું સીલ તોડવાને યોગ્ય છો; કેમ કે તમને મારી નાખવામાં આવ્યા હતા, તમે તમારા રક્તથી ઈશ્વરને સારુ સર્વ કુળોના, ભાષાના, પ્રજાના તથા દેશોમાંના લોકોને ખરીદેલા છે;

મેં જોયું, તો રાજ્યાસન, પ્રાણીઓ તથા વડીલોની આસપાસ મેં ઘણાં સ્વર્ગદૂતોની વાણી સાંભળી; તેઓની સંખ્યા લાખોલાખ અને હજારોહજાર હતી. તેઓએ મોટે અવાજે પોકારીને કહ્યું કે, 'જે હલવાન મારી નંખાયેલું હતું તે પરાક્રમ, સંપત્તિ, જ્ઞાન, સામર્થ્ય, માન, મહિમા તથા સ્તુતિ પામવાને યોગ્ય છે.' વળી ઉત્પન્ન થયેલ [પ્રાણી] જે સ્વર્ગમાં, પૃથ્વી પર, પાતાળમાં તથા સમુદ્રમાં છે, તેઓમાંનાં સર્વને મેં એમ કહેતાં સાંભળ્યાં કે, રાજ્યાસન પર જે બેઠેલા છે તેમને તથા હલવાનને સ્તુતિ, માન, મહિમા તથા અધિકાર સદાસર્વકાળ હો. ત્યારે ચારે પ્રાણીઓએ કહ્યું, આમીન. પછી વડીલોએ પગે પડીને [તેમની] આરાધના કરી.

ત્યાર બાદ મેં જોયું, તો જુઓ, સર્વ દેશમાંથી આવેલાની, સર્વ કુળ, લોકો તથા ભાષાના માણસોની કોઈથી ગણી શકાય નહિ એવી એક મોટી સભા! તેઓ રાજ્યાસનની આગળ તથા હલવાનની સમક્ષ ઊભા રહ્યા; તેઓએ સફેદ ઝભ્ભા પહેરેલા હતા, અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી; અને તેઓ મોટા અવાજે પોકારીને કહે છે કે, 'અમારા જે ઈશ્વર રાજ્યાસન પર બેઠેલા છે, તેમને તથા હલવાનને ઉદ્ધારને માટે પ્રશંસા હોજો.' સઘળા સ્વર્ગદૂતો રાજ્યાસનની તથા વડીલોની તથા ચારે પ્રાણીઓની આસપાસ ઊભેલા હતા, અને તેઓએ રાજ્યાસનની આગળ દંડવત પ્રણામ કરીને ઈશ્વરની ભજન કરતાં કહ્યું કે,

કેમ કે જે હલવાન રાજ્યાસનની મધ્યે છે, તે તેઓના પાળક થશે અને જીવનનાં પાણીના ઝરાઓ પાસે તેઓને દોરી જશે; અને ઈશ્વર તેઓની આંખોનું દરેક આંસુ લૂછી નાખશે.'

પછી સાતમાં સ્વર્ગદૂતે પોતાનું રણશિંગડુ વગાડ્યું ત્યારે આકાશમાં મોટી વાણીઓ થઈ. તેઓએ કહ્યું કે 'આ દુનિયાનું રાજ્ય આપણા પ્રભુનું તથા તેમના ખ્રિસ્તનું થયું છે, તે સદાસર્વકાળ રાજ્ય કરશે.'

તેઓએ હલવાનના રક્તથી તથા પોતાની સાક્ષીના વચનથી તેને જીત્યો છે અને છેક મરતાં સુધી તેઓએ પોતાનો જીવ વહાલો ગણ્યો નહિ.

પછી મેં જોયું, તો જુઓ, સિયોન પહાડ પર હલવાન ઊભેલું હતું, તેની સાથે એક લાખ ચુંમાળીસ હજાર [સંતો] હતા. તેઓનાં કપાળ પર તેનું તથા તેના પિતાનું નામ લખેલું હતું.

પછી મેં જોયું, તો જુઓ, સફેદ વાદળું અને તે વાદળાં પર મનુષ્યપુત્ર જેવા એક [પુરુષ] બેઠેલા હતા, તેમના માથા પર સોનાનો મુગટ હતો, તેમના હાથમાં ધારદાર દાતરડું હતું.

તેઓ હલવાનની સાથે લડશે અને હલવાન તેઓને જીતશે કેમ કે તેઓ મહાન પ્રભુ તથા રાજાઓના રાજા છે; અને તેમની સાથે જેઓ છે, એટલે તેડાયેલા, પસંદ કરેલા તથા વિશ્વાસુ છે તેઓ પણ જીતશે.

પછી મેં સ્વર્ગ ઊઘડેલું જોયું, અને જુઓ, એક સફેદ ઘોડા ઉપર જે બેઠેલા છે તે 'વિશ્વાસુ તથા સત્ય' છે, અને તેઓ પ્રમાણિકતાથી ન્યાય તથા લડાઈ કરે છે. અગ્નિની જ્વાળા જેવી તેમની આંખો છે, અને તેમના માથા પર ઘણાં મુગટ છે; જેનાં પર એવું નામ લખેલું છે કે જે તેમના સિવાય બીજું કોઈ જાણતું નથી. લોહીથી છંટાયેલો ઝભ્ભો તેમણે પહેર્યો છે; તેમનું નામ 'ઈશ્વરનો શબ્દ' છે. સ્વર્ગનાં સૈન્ય તે શ્વેત ઘોડા પર સફેદ તથા શુદ્ધ બારીક શણનાં વસ્ત્રો પહેરીને તેમની પાછળ પાછળ ચાલ્યા. તેમના મોમાંથી ધારવાળી તલવાર નીકળે છે; એ માટે કે તેનાથી વિદેશીઓને તે મારે, અને લોખંડના દંડથી તેઓ પર તે સત્તા ચલાવશે! અને સર્વસમર્થ ઈશ્વરના ભારે કોપનો દ્રાક્ષકુંડ તે ખૂંદે છે. તેમના ઝભ્ભા પર તથા તેમની જાંઘ પર એવું લખેલું છે કે 'રાજાઓનો રાજા તથા પ્રભુ.'

રાજ્યાસન પર જે બેઠેલા છે, તેમણે કહ્યું કે, 'જુઓ, હું સઘળું નવું બનાવું છું.' ફરીથી તે કહે છે કે, 'તું લખ, કેમ કે આ વાતો વિશ્વસનીય તથા સાચી છે.' તેમણે મને કહ્યું કે, 'તે પૂરી થઈ ગઈ છે. હું આલ્ફા તથા ઓમેગા, શરૂઆત તથા અંત છું. હું તૃષિતને જીવનનાં પાણીના ઝરામાંથી મફત જળ આપીશ.

ત્યાં કદી કોઈ શાપ થનાર નથી, પણ તેમાં ઈશ્વરનું તથા હલવાનનું રાજ્યાસન થશે, અને તેમના સેવકો તેમની સેવા કરશે,

જુઓ, હું થોડીવારમાં આવું છું, અને દરેકનું જેવું કામ હશે તે પ્રમાણે તેને ભરી આપવાનો બદલો મારી પાસે છે. હું આલ્ફા તથા ઓમેગા, પ્રથમ તથા છેલ્લો, આરંભ તથા અંત છું.

મેં ઈસુએ મારા સ્વર્ગદૂતને મોકલ્યો છે કે તે વિશ્વાસી સમુદાયને સારુ આ સાક્ષી તમને આપે. હું દાઉદનું મૂળ, સંતાન તથા પ્રભાતનો ઉજ્જવળ તારો છું.

જે આ વાતોની સાક્ષી આપે છે તે કહે છે કે, 'હા, થોડીવારમાં આવું છું.' આમીન, 'ઓ પ્રભુ ઈસુ, આવો.' પ્રભુ ઈસુની કૃપા સંતો પર હો, આમીન.

Gujarati - ગુજરાતી - GU

GUBCS - Gujarati Bridge Connectivity Solutions - 2017

This Bible text is from Gujarati Indian Revised Version IRV
https://open.bible/bibles/gujarati-bridge-text-bible/
provided by: Bridge Connectivity Solutions Pvt Ltd, available by Creative Commons CC-BY-SA-4.0,
and this new compilation is shared as www.creativecommons.org/licenses/by-sa/4.0.
Languages are made available to you by www.ipedge.net