21 – પૂજા કરો

આ સર્વશક્તિમાન ઈશ્વરના પવિત્ર શબ્દો છે.
આપણને મનુષ્યના શબ્દોમાં રસ નથી.
જે કોઈ પણ ઈશ્વરને પ્રેમ કરે છે તેના માટે... ઈશ્વર આના વિશે કહે છે: પૂજા કરો.

ટોચની 3 સૌથી નોંધપાત્ર છંદો

તે ચાર પ્રાણીમાંના દરેકને છ છ પાંખ હતી, અને તેઓ ચારે તરફ તથા અંદર આંખોથી ભરપૂર હતાં; તેઓ 'પવિત્ર, પવિત્ર, પવિત્ર, પ્રભુ ઈશ્વર, સર્વશક્તિમાન, જે હતા, જે છે, અને જે આવનાર છે,' એમ રાતદિવસ કહેતાં વિસામો લેતાં નહોતાં. રાજ્યાસન પર જે બેઠેલા છે, જે સદાસર્વકાળ જીવંત છે, તેમનો મહિમા, માન તથા આભારસ્તુતિ તે પ્રાણીઓ જયારે ગાશે, ત્યારે ચોવીસ વડીલો રાજ્યાસન પર બેઠેલાને પગે પડશે, ને જે સદાસર્વકાળ સુધી જીવંત છે તેમની આરાધના કરશે અને રાજ્યાસન આગળ પોતાના મુગટ ઉતારીને કહેશે કે, 'ઓ અમારા પ્રભુ તથા ઈશ્વર, મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તમે જ યોગ્ય છો; કેમ કે તમે સર્વને ઉત્પન્ન કર્યા, અને તમારી ઇચ્છાથી તેઓ અસ્તિત્વમાં આવ્યા અને ઉત્પન્ન થયાં.'

તેને કારણે ઈશ્વરે તેમને ઘણાં ઊંચા કર્યા અને સર્વ નામો કરતાં એવું શ્રેષ્ઠ નામ આપ્યું કે, સ્વર્ગમાંનાં, પૃથ્વી પરનાં તથા પાતાળમાંનાં સર્વ ઈસુને નામે ઘૂંટણે પડીને નમે; અને ઈશ્વરપિતાના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે.

હે સૈન્યોના યહોવાહ, તમારું નિવાસસ્થાન કેવું મનોહર છે! મારો આત્મા યહોવાહના આંગણાની અભિલાષા રાખે છે; જીવતા જાગતા ઈશ્વર માટે મારું હૃદય તથા મારો દેહ હર્ષનાદ કરશે. ચકલીઓને ઘર મળ્યું છે અને અબાબીલને પોતાનાં બચ્ચાં રાખવા માટે માળો મળ્યો છે એટલે તમારી વેદીઓ આગળ, હે સૈન્યોના યહોવાહ, મારા રાજા તથા મારા ઈશ્વર. તમારા ઘરમાં રહેનારાઓ આશીર્વાદિત છે; તેઓ સદા તમારાં સ્તુતિગાન ગાશે. સેલાહ

દરેક શ્લોક કેનોનિકલ ઓર્ડરમાં - 536 ફકરાઓ

હનોખ ઈશ્વરની સંઘાતે ચાલતો હતો. પછી તે અદ્રશ્ય થઈ ગયો, કેમ કે ઈશ્વરે તેને લઈ લીધો હતો.

સાલેમનો રાજા મલ્ખીસદેક, રોટલી તથા દ્રાક્ષારસ લઈને આવ્યો. તે પરાત્પર ઈશ્વરનો યાજક હતો. તેણે ઇબ્રામ આશીર્વાદ આપીને કહ્યું, "પરાત્પર ઈશ્વર, જે આકાશ તથા પૃથ્વીના ઉત્પન્નકર્તા છે તેમનાંથી ઇબ્રામ આશીર્વાદિત થાઓ. જે સર્વશ્રેષ્ઠ ઈશ્વરે તારા શત્રુઓને તારા હાથમાં સોંપ્યા છે, તેમની પ્રશંસા હો." પછી ઇબ્રામે સર્વ સંપત્તિમાંથી તેને દસમો ભાગ આપ્યો.

ઇબ્રામે સદોમના રાજાને કહ્યું, "ઈશ્વર, સર્વોચ્ય પ્રભુ કે, જેમણે આકાશ તથા પૃથ્વીને ઉત્પન્ન કર્યાં, તેમને મેં ગંભીરતાપૂર્વક વચન આપ્યું છે કે,

ઇબ્રામ ભૂમિ સુધી નીચો નમ્યો. ઈશ્વરે તેની સાથે વાત કરતાં કહ્યું,

પછી તે માણસે માથું નમાવીને ઈશ્વરની સ્તુતિ કરી,

અને મેં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ઈશ્વરની આરાધના કરી અને મારા માલિક ઇબ્રાહિમના ઈશ્વર, જેમણે તેના દીકરાને સારુ મારા માલિકનાં સ્વજનોમાંથી કન્યા લેવા માટે મને સાચા માર્ગે દોરી લાવ્યા હતા તેમની સ્તુતિ કરી.

ઇબ્રાહિમના ચાકરે તેઓની વાત સાંભળી ત્યારે તેણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ઈશ્વરની સ્તુતિ કરી.

ત્યાં યહોવાહના દૂતે ઝાડવાં વચ્ચે આગના ભડકામાં તેને દર્શન દીધું. તેણે જોયું ઝાડવું સળગતું હતું. પણ બળીને ભસ્મ થતું ન હતું.

ત્યારે યહોવાહે કહ્યું, "નજીક આવીશ નહિ, તારાં પગરખાં ઉતાર. કારણ કે જ્યાં તું ઊભો છે તે ભૂમિ પવિત્ર છે."

ત્યારે ઈશ્વરે મૂસાને કહ્યું, "હું જે છું તે છું." તું ઇઝરાયલીઓને કહેજે કે 'હું છું એ મને તમારી પાસે મોકલ્યો છે.'"

પણ મેં તને એટલા માટે જીવતો રાખ્યો છે કે હું તને મારું પરાક્રમ બતાવું. અને સમગ્ર પૃથ્વી પર મારું નામ પ્રગટ થાય.

દિવસે તેઓને રસ્તો બતાવવા માટે યહોવા મેઘસ્તંભમાં તેમ જ રાત્રે તેમને પ્રકાશ મળે તેથી અગ્નિસ્તંભમાં તેઓની આગળ ચાલતા હતા. દિવસે મેઘસ્તંભ અને રાત્રે અગ્નિસ્તંભ તેઓની આગળથી જરા પણ ખસતા ન હતા, યહોવા સતત તેઓની સાથે રહેતા હતા.

પછી ઇઝરાયલી સૈન્યની આગળ ચાલતો યહોવાહનો જે દૂત હતો તે ત્યાંથી ખસીને તેઓની પાછળ ગયો, તેથી મેઘસ્તંભ પણ તેઓની આગળથી ખસીને તેઓની પાછળ થંભ્યો.

પછી મૂસાએ અને ઇઝરાયલના લોકોએ યહોવાહની સમક્ષ આ સ્તુતિગાન ગાયું: "હું યહોવાહની સમક્ષ ગાયન કરીશ, તેમણે મહાન વિજય પ્રાપ્ત કર્યો છે. તેમણે ઘોડા અને સવારોને સમુદ્રમાં ડુબાડી દીધા છે; યહોવા મારું સામર્થ્ય અને ગીત છે; તે મારો ઉદ્ધાર થયા છે. આ મારા ઈશ્વર છે અને હું તેમની સ્તુતિ કરીશ. મારા પૂર્વજોના ઈશ્વર, હું તેમને મહાન માનું છું.

હે યહોવા! તમારો જમણો હાથ, પરાક્રમે મહિમાવાન છે. હે યહોવા! તમારો જમણો હાથ શત્રુઓને પછાડીને તેમના ચૂરા કરે છે. તમારી સામે થનારને તમે તમારી શ્રેષ્ઠતાના માહાત્મ્યથી પાયમાલ કરો છો. તમે તમારા ભયાનક કોપથી તેઓને ઘાસના પૂળાની જેમ બાળી નાખો છો.

હે યહોવા, તમારા જેવા અન્ય કોઈ ઈશ્વર નથી? તમારા જેવા પરમપવિત્ર, મહિમાવાન; સ્તોત્રોમાં ભયજનક અને પરાક્રમી બીજા કોણ છે?

હે યહોવા, તમે સદાસર્વકાળ સુધી રાજ્ય કરવાના છો."

ઇઝરાયલનો સમગ્ર સમુદાય એક જ સ્થાને ભેગો થયો હતો. ત્યારે હારુન તેઓની સાથે વાત કરતો હતો. તે દરમિયાન તેઓએ અરણ્ય તરફ જોયું, તો વાદળમાં યહોવાહના ગૌરવનું દર્શન થયું.

પછી યહોવાહે મૂસાને કહ્યું, "જો હું ઘાડાં વાદળમાં તારી પાસે આવું છું, જેથી હું તારી સાથે બોલું ત્યારે લોકો સાંભળી શકે અને તારા પર સદાસર્વદા વિશ્વાસ રાખે." અને મૂસાએ લોકોએ જે કર્યું હતું તે યહોવાહને કહી સંભળાવ્યું."

પછી ત્રીજે દિવસે સવારમાં આકાશમાં મેઘગર્જનાઓ અને વીજળીઓ થવા લાગ્યાં. પર્વત ઉપર કાળું ઘાડું વાદળ છવાઈ ગયું, અને રણશિંગડાનો બહુ મોટો અવાજ થયો, જેથી છાવણીમાં સર્વ લોકો ધ્રૂજી ઊઠયા. એટલે મૂસા યહોવાહને મળવા માટે સર્વ લોકોને છાવણીમાંથી બહાર લાવ્યો; અને તેઓ પર્વતની તળેટીમાં ઊભા રહ્યા. અગ્નિ દ્વારા યહોવા સિનાઈ પર્વત પર ઊતર્યા, એટલે આખા પર્વત પર ધુમાડો વ્યાપ્યો. અગ્નિનો એ ધુમાડો ભઠ્ઠીના ધુમાડાની જેમ ઉપર ચઢવા લાગ્યો. અને આખો પર્વત જોરથી કંપવા લાગ્યો.

પછી મૂસા પર્વત પર ચઢયો અને વાદળોએ પર્વતને ઢાંકી દીધો. યહોવાહનું ગૌરવ સિનાઈ પર્વત પર ઊતર્યુ. અને છ દિવસ સુધી વાદળોએ પર્વતને ઢાંકી રાખ્યો. અને સાતમે દિવસે યહોવાહે વાદળમાંથી હાંક મારીને મૂસાને બોલાવ્યો. અને યહોવાહનું ગૌરવ ઇઝરાયલીઓને પર્વતની ટોચે પ્રચંડ અગ્નિ જેવું દેખાયું. અને મૂસા વાદળમાં પ્રવેશ કરીને પર્વત પર ગયો; અને તે ચાળીસ દિવસ અને ચાળીસ રાત પર્યંત એ પર્વત પર રહ્યો.

અને ત્યાં હું તને મળીશ. ઇઝરાયલી લોકો માટે જે આજ્ઞાઓ હું તને આપીશ તે સર્વ વિષે, કરારલેખના કોશ પરના દયાસન ઉપરથી તથા બે કરુબોની વચમાંથી, હું તારી સાથે વાત કરીશ.

મૂસા જ્યારે મંડપમાં પ્રવેશ કરતો ત્યારે વાદળનો સ્તંભ નીચે ઊતરી માંડવાના દરવાજા આગળ ઊભો રહેતો અને યહોવા મૂસા સાથે વાત કરતા. વાદળના સ્તંભને દરવાજા આગળ જોતાં જ દરેક માણસ પોતપોતાના માંડવાના દરવાજા આગળ ભજન કરતા. યહોવા મૂસા સાથે એક માણસ બીજા માણસ સાથે વાત કરે એ રીતે મુખોપમુખ વાત કરતા. ત્યાર પછી મૂસા પાછો છાવણીમાં આવતો, પણ તેનો નવયુવાન સેવક નૂનનો દીકરો યહોશુઆ કદી મંડપમાંથી બહાર નીકળતો નહિ.

યહોવાહે જવાબ આપ્યો, "મારી સમક્ષતા તારી સાથે આવશે અને હું તને વિસામો આપીશ."

મૂસાએ કહ્યું, "કૃપા કરીને તમારું ગૌરવ મને દેખાડો." યહોવાહે કહ્યું, "હું મારી સંપૂર્ણ ભલાઈ તારા મુખ આગળથી પસાર કરીશ અને તારી સમક્ષ મારું નામ 'યહોવા' તરીકે જાહેર કરીશ. હું જેના પર કૃપા કરવા ચાહું તેના પર હું કૃપા કરીશ અને જેના પર રહેમ કરવા ચાહું તેના પર રહેમ કરીશ." પણ યહોવાહે કહ્યું, "તું મારું મુખ જોઈ શકીશ નહિ, કારણ કે, કોઈ પણ માણસ મને જોઈને જીવતો રહી શકે નહિ." યહોવાહે કહ્યું, "જો મારી પાસે એક જગ્યા છે અને તું ખડક પર ઊભો રહે. મારું ગૌરવ તારી નજર આગળથી પસાર થાય ત્યારે હું તને આ ખડકની ફાટમાં રાખીશ અને હું પોતે પસાર થઈ જાઉં ત્યાં સુધી મારા હાથ વડે તને હું ઢાંકી દઈશ. પછી હું મારો હાથ લઈ લઈશ અને તું મારી પીઠ જોવા પામીશ, પણ મારું મુખ તને દેખાશે નહિ."

યહોવા મેઘસ્તંભના રૂપમાં નીચે ઊતરી આવ્યા અને તેની સાથે ત્યાં ઊભા રહ્યા અને તેમણે પોતાનું નામ "યહોવા" જાહેર કર્યું. યહોવા તેની આગળથી જાહેર કરતા પસાર થયા કે, "યહોવા, યહોવા દયાળુ તથા કૃપાળુ ઈશ્વર, ક્રોધ કરવામાં ધીમા અને કરૂણાથી ભરપૂર તથા વિશ્વાસપાત્ર છું. હું યહોવા હજારો પેઢી સુધી કરૂણા રાખનાર, અન્યાય, ઉલ્લંઘન તથા પાપની ક્ષમા કરનાર અને દોષિતને નિર્દોષ નહિ જ ઠરાવનાર; પિતાના અધર્મની સજા ત્રીજી અને ચોથી પેઢી સુધી છોકરાંના છોકરાં પર બદલો વાળનાર છું." મૂસાએ એકદમ જમીન પર લાંબા થઈને સાષ્ટાંગ નમસ્કાર કર્યાં.

કેમ કે તારે કોઈ અન્ય દેવની પૂજા કરવી નહિ, કેમ કે હું યહોવા છું, મારું માન કોઈ બીજાને આપવા ન દઉં એવો ઈશ્વર છું.

પછી મુલાકાતમંડપને વાદળે ઘેરી લીધો. અને યહોવાહનું ગૌરવ મંડપમાં વ્યાપી ગયું. મૂસા મુલાકાતમંડપમાં પ્રવેશી શકયો નહિ, કેમ કે વાદળ તેના પર સ્થિર થયું હતું અને યહોવાહનું ગૌરવ મંડપમાં પ્રસરી ગયું હતું.

દિવસ દરમિયાન મુલાકાતમંડપ પર વાદળ આચ્છાદન કરે અને રાતે વાદળ અગ્નિમય બની જાય, એટલે ઇઝરાયલી લોકો સમગ્ર પ્રવાસ દરમિયાન પ્રત્યેક મુકામને જોઈ શકતા.

મૂસા અને હારુન મુલાકાતમંડપમાં ગયા, પછી ફરીથી બહાર આવ્યા અને લોકોને આશીર્વાદ આપ્યો અને બધા લોકોને યહોવાહના ગૌરવના દર્શન થયા. યહોવાહની સંમુખથી અગ્નિ આવ્યો અને વેદી પરના દહનીયાર્પણને તથા ચરબીવાળા ભાગોને ભસ્મ કર્યાં. જ્યારે સર્વ લોકોએ આ જોયું, ત્યારે તેઓ પોકાર કરવા લાગ્યા અને જમીન પર ઊંધા પડ્યા.

પછી તેમણે મૂસાને કહ્યું, "તારા ભાઈ હારુનને કહે, પરમપવિત્ર સ્થાનમાં એટલે કે તંબુના પડદાની અંદરની બાજુએ પવિત્ર કોશ પરના દયાસન સમક્ષ કોઈ પણ સમયે આવે નહિ. જો તે તેમ કરશે તો તે મૃત્યુ પામશે. કારણ કે તે દયાસન પર વાદળરૂપે હું દેખાઈશ.

મંડપ ઊભો કરવામાં આવ્યો તે જ દિવસે મેઘે મંડપ પર એટલે સાક્ષ્યમંડપ પર આચ્છાદન કર્યું. અને સાંજથી સવાર સુધી મંડપ ઉપર તેનો દેખાવ અગ્નિની જેમ ઝળહળતો હતો. આ પ્રમાણે હંમેશા થતું મેઘ તેના પર આચ્છાદન કરતો અને રાત્રે તેનો દેખાવ અગ્નિની જ્વાળા જેવો હતો.

પણ નિશ્ચે હું જીવતો છું. અને આખી પૃથ્વી યહોવાહના ગૌરવથી ભરપૂર થશે,

કોરાએ આખી જમાતને મૂસા તથા હારુન વિરુદ્ધ મુલાકાતમંડપના દ્વાર પાસે એકઠી કરી અને આખી જમાતને યહોવાહનું ગૌરવ દેખાયું.

જ્યારે મૂસા અને હારુનની વિરુદ્ધ સમગ્ર સમાજ એકઠો થયો ત્યારે એમ થયું કે, તેઓએ મુલાકાતમંડપ તરફ જોયું તો એકાએક વાદળે તેના પર આચ્છાદન કર્યું. યહોવાહનું ગૌરવ દેખાયું.

મૂસા તથા હારુન સભા આગળથી નીકળી ગયા. તેઓ મુલાકાતમંડપના દ્વાર પાસે ગયા અને ઉંધા પડ્યા. ત્યાં તેઓની સમક્ષ યહોવાહનું ગૌરવ પ્રગટ થયું.

પછી યહોવાહે બલામની આંખો ખોલી, તેણે યહોવાહના દૂતને પોતાની તલવાર હાથમાં લઈને રસ્તાની વચ્ચે ઊભેલો જોયો. બલામે માથું નમાવીને તેને સાષ્ટાંગ દંડ્વત પ્રણામ કર્યા.

જે ઈશ્વરની વાણી સાંભળે છે, જેને પરાત્પર ઈશ્વર પાસેથી ડહાપણ પ્રાપ્ત થયું છે, જે ખુલ્લી આંખો રાખીને પરાક્રમી ઈશ્વરનું દર્શન પામે છે, તે કહે છે.

આ બધું તેમણે એટલા માટે કર્યુ કે તમે જાણો કે ઈશ્વર યહોવાહ છે. તેમના વગર બીજા કોઈ ઈશ્વર નથી. તેઓ તમને બોધ આપે એ માટે યહોવાહે આકાશમાંથી પોતાની વાણી તમને સંભળાવી. અને તમને પૃથ્વી પર મોટી આગ બતાવી અને તેં તેમના શબ્દો અગ્નિમાંથી સાંભળ્યા.

એ માટે આજે તમે જાણો અને અંત:કરણમાં રાખો કે આકાશમાં અને પૃથ્વી ઉપર ઈશ્વર તે જ યહોવાહ છે અને તેમના વગર બીજા કોઈ ઈશ્વર નથી.

તમે કહ્યું કે, જો ઈશ્વર આપણા યહોવાહે આપણને પોતાનું ગૌરવ તથા માહાત્મ્ય બતાવ્યું છે. અને અગ્નિ મધ્યેથી તેમની વાણી આપણે સાંભળી છે; આજે આપણે જોયું છે કે ઈશ્વર મનુષ્ય સાથે બોલે છે તેમ છતાં મનુષ્ય જીવતો રહે છે.

હે ઇઝરાયલ સાંભળ: યહોવાહ આપણા ઈશ્વર તે એકલા જ યહોવાહ છે. અને યહોવાહ તારા ઈશ્વર પર તું તારા પૂર્ણ મનથી તથા પૂર્ણ જીવથી તથા પૂર્ણ બળથી પ્રેમ રાખ.

કેમ કે, યહોવાહ તમારા ઈશ્વર તે તો સર્વોપરી ઈશ્વર છે. તે મહાન, પરાક્રમી અને ભયાનક ઈશ્વર છે, તે નિષ્પક્ષ અને ન્યાયી છે, તે કદી લાંચ લેતા નથી.

તમે યહોવાહ તમારા ઈશ્વરનો ડર રાખો અને તમે તેમની જ સેવા કરો; તેમને જ તમે વળગી રહો. અને તેમના જ નામે સમ ખાઓ. તમારે તેમની સ્તુતિ કરવી, તે જ તમારા ઈશ્વર છે. તેમણે તમારા માટે જે મહાન અને અદ્દભુત કાર્યો કર્યાં છે તે તમે પ્રત્યક્ષ નિહાળ્યાં છે.

યહોવાહ તમારા ઈશ્વરના ગૌરવી તથા ભયાનક નામથી તમે બીહો, માટે આ નિયમના જે સર્વ શબ્દો આ પુસ્તકમાં લખેલા છે, તે તમે પાળીને અમલમાં નહિ મૂકો,

કેમ કે હું યહોવાહનું નામ પ્રગટ કરીશ. અને આપણા ઈશ્વરના માહાત્મ્યને લીધે તેમને સ્તુત્ય માનો. યહોવાહ અચળ ખડક છે, તેમનાં કાર્યો પણ સંપૂર્ણ છે; તેમના સર્વ માર્ગો ન્યાયી છે. વિશ્વાસુ તથા સત્ય ઈશ્વર તે ન્યાયી તથા સાચા ઈશ્વર છે.

હવે જુઓ હું જ એકલા જ ઈશ્વર છું. હા હું તે જ છું, મારા વગર બીજા કોઈ ઈશ્વર નથી, શું તમે નથી જોતા? હું જ મારું છું, અને હું જ જિવાડું છું, હું જ ઘાયલ કરું છું અને હું જ સાજા કરું છું; અને મારા હાથમાંથી કોઈ છોડાવી શકે એમ નથી.

હે યશુરૂન, આપણા ઈશ્વર જેવા કોઈ નથી, તેઓ આકાશમાંથી વાદળો પર સવાર થઈને પોતાના ગૌરવમાં તમને મદદ કરવા આવશે. સનાતન ઈશ્વર તમારો આશ્રય છે, તારી નીચે અનંત હાથો છે. તેમણે તારી આગળથી દુશ્મનોને કાઢી મૂક્યા, અને કહ્યું, "નાશ કર!"

તેણે કહ્યું, "એમ તો નહિ, પણ હું યહોવાહનાં સૈન્યનો સરદાર છું." અને યહોશુઆએ ભૂમિ પર પડીને તેનું ભજન કરીને કહ્યું, "મને માલિકનો આદેશ ફરમાવો." ત્યારે યહોવાહનાં સૈન્યના સરદારે યહોશુઆને કહ્યું કે "તારા પગમાંથી તારા ચંપલ ઉતાર. કેમ કે જે જગ્યાએ તું ઊભો છે તે પવિત્ર છે." અને યહોશુઆએ તેના કહ્યા પ્રમાણે કર્યું.

સાત યાજકો કરારકોશ આગળ ઘેટાંના શિંગનાં બનાવેલા સાત રણશિંગડા ઊંચકે. સાતમા દિવસે, તમારે સાત વાર નગરની પ્રદક્ષિણા કરવી અને યાજકોએ મોટા અવાજે રણશિંગડાં વગાડ્યાં. મોટા અવાજ સાથે શિંગ વગાડે અને જયારે તેનો અવાજ તમે સાંભળો ત્યારે સઘળાં લોકો મોટો અવાજ કરે. તેથી નગરનો કોટ તૂટી પડશે. ત્યારે દરેક વ્યક્તિએ સીધા નગરમાં ધસી જવું."

તેથી લોકોએ હોંકારો કર્યો અને યાજકોએ રણશિંગડાં વગાડયાં. જયારે લોકોને રણશિંગડાનો સાદ સંભળાયો ત્યારે તેઓએ મોટો અવાજ કર્યો અને કોટ તૂટી પડ્યો તેથી લોકોમાંનો દરેક પુરુષ સીધો નગરમાં દોડી ગયો અને તેઓએ નગરને પોતાને કબજે કર્યું.

પછી યહોશુઆએ પોતાનાં વસ્ત્ર ફાડયાં, તેણે અને ઇઝરાયલના વડીલોએ પોતાના માથા પર ધૂળ નાખી અને સાંજ સુધી તેઓ યહોવાહનાં કોશ આગળ, ભૂમિ પર પડી રહ્યાં.

'રાજાઓ, તમે સાંભળો! ઓ આગેવાનો, ધ્યાન આપો! હું ઈશ્વર માટે ગાઈશ; હું ઇઝરાયલના પ્રભુ ઈશ્વરની સ્તુતિ ગાઈશ.

ઈશ્વરના દૂતે તેને કહ્યું, "તું મારું નામ કેમ પૂછે છે? કેમ કે તે અદ્દભુત છે!" ત્યારે માનોઆએ બકરીનું બચ્ચું ખાદ્યાર્પણ સાથે લઈને ખડક પર ઈશ્વરને ચઢાવ્યું. માનોઆ અને તેની પત્નીના દેખતાં જ સ્વર્ગદૂતે આશ્ચર્યજનક કામ કર્યું. ત્યાં અગ્નિની જ્વાળા વેદી પરથી આકાશની તરફ ચઢી, ત્યારે ઈશ્વરનો દૂત વેદી પરથી જ્વાળામાં થઈને ઉપર ચઢી ગયો. માનોઆ અને તેની પત્ની તે જોઈ રહ્યાં અને તેઓ ભૂમિ પર નમી પડ્યાં.

ત્યાં ઈશ્વર જેવા અન્ય કોઈ પવિત્ર નથી, કેમ કે ત્યાં તેમના સિવાય બીજો કોઈ નથી; ત્યાં અમારા ઈશ્વર જેવો બીજો કોઈ ખડક નથી.

અને દાઉદ તથા ઇઝરાયલના ઘરના લોકો દેવદારના લાકડાંમાંથી બનાવેલાં સર્વ પ્રકારનાં વાજિંત્રો, વીણા, સિતાર, ખંજરી, કરતાલ તથા મંજીરા ઈશ્વર આગળ વગાડતા હતા.

દાઉદ ઈશ્વરની આગળ પોતાના પૂરા બળથી નાચતો હતો; તેણે શણનો ઝભ્ભો પહેરેલો હતો. આ રીતે દાઉદ તથા ઇઝરાયલના સર્વ લોકો પોકાર કરતા તથા રણશિંગડાં વગાડતા ઈશ્વરનો કોશ લઈને ચાલતા હતા. ઈશ્વરનો કોશ દાઉદના નગરમાં આવતો હતો, ત્યારે શાઉલની દીકરી મીખાલે, બારીમાંથી નજર કરીને જોયું. તેણે જોયું કે દાઉદ રાજા ઈશ્વરની આગળ કૂદતો અને નાચતો હતો. તે જોઈને તેણે દાઉદને પોતાના અંતઃકરણમાં ધિક્કાર્યો.

ઈશ્વર જે સ્તુતિને યોગ્ય છે તેમને હું હાંક મારીશ, તેથી હું મારા શત્રુઓથી બચી જઈશ.

આકાશમાંથી ઈશ્વરે ગર્જના કરી. પરાત્પરે અવાજ કર્યો.

એ માટે લોકો મધ્યે, હે ઈશ્વર, હું તમારી આભારસ્તુતિ કરીશ; હું તમારા નામનાં સ્ત્તોત્ર ગાઈશ.

જયારે યાજકો પવિત્રસ્થાનમાંથી બહાર આવ્યા ત્યારે એમ બન્યું કે ઈશ્વરનું ભક્તિસ્થાન વાદળથી ભરાઈ ગયું. તે વાદળના કારણે યાજકો સેવા કરવા ઊભા રહી શક્યા નહિ કેમ કે આખું ભક્તિસ્થાન ઈશ્વરના ગૌરવથી ભરાઈ ગયું હતું.

સુલેમાને ઈશ્વરની વેદી સમક્ષ ઇઝરાયલની સમગ્ર પ્રજા આગળ ઊભા રહીને પોતાના હાથ ઊંચા કર્યા. તેણે કહ્યું, "હે ઇઝરાયલના પ્રભુ ઈશ્વર, ઉપર આકાશમાં તથા નીચે પૃથ્વી પર તમારા જેવા કોઈ ઈશ્વર નથી, એટલે તમારા જે સેવકો પોતાના સંપૂર્ણ હૃદયથી તમારી આગળ ચાલે છે તેઓની સાથે તમે કરાર કરો છો તથા તેઓ પર દયા રાખો છો.

પણ શું ઈશ્વર સાચે જ પૃથ્વી પર રહેશે? જુઓ, આકાશ તથા આકાશોનું આકાશ તમારો સમાવેશ કરી શકતું નથી; તો આ મારું બાંધેલું તમારા ભક્તિસ્થાનરૂપી ઘર તમારો સમાવેશ કરે એ કેટલું બધું અશક્ય છે!

જ્યારે લોકોએ આ જોયું ત્યારે તેઓએ દંડવત પ્રણામ કર્યા અને કહ્યું, "યહોવા એ જ ઈશ્વર છે! યહોવા એ જ ઈશ્વર છે!"

પછી મિખાયાએ કહ્યું, "એ માટે તમે યહોવાહની વાત સાંભળો: મેં યહોવાહને તેમના સિંહાસન પર બેઠેલા અને આકાશનું સર્વ સૈન્ય તેમને જમણે તથા ડાબે હાથે તેમની પાસે ઊભેલું જોયું.

પછી હિઝકિયાએ યહોવાહ આગળ પ્રાર્થના કરીને કહ્યું કે, "હે ઇઝરાયલના ઈશ્વર, સૈન્યોના યહોવાહ, તમે જે કરુબો પર બિરાજમાન છો, પૃથ્વીનાં બધાં રાજયોના તમે એકલા જ ઈશ્વર છો. તમે આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે.

દાઉદ તથા સર્વ ઇઝરાયલીઓ ગીતો ગાતા હતા અને વીણા, સિતાર, ડફ, ઝાંઝ તથા રણશિંગડાં વગાડીને ખૂબ આનંદથી ઈશ્વરની સમક્ષ ઉત્સવ કરતા હતા.

દાઉદે લેવીઓના આગેવાનોને વાજિંત્રો, એટલે સિતાર, વીણા, ઝાંઝ ઊંચે સ્વરે વગાડવા માટે તથા ઉત્સાહથી મોટી ગર્જના કરવા માટે પોતાના ગાયક ભાઈઓને નીમવાને કહ્યું.

દાઉદે કોશ ઊંચકનારા સર્વ લેવીઓ, ગાયકો તથા ગાયકોના ઉપરી કનાન્યાની જેમ સુંદર શણનો એફોદ (ઝભ્ભો) પહેરેલો હતો. દાઉદે સુંદર શણનો એફોદ પહેરેલો હતો. તેથી સર્વ ઇઝરાયલીઓ યહોવાહના કરારકોશને હર્ષનાદ સહિત તથા શરણાઈ, રણશિંગડાં, ઝાંઝ, સિતાર તથા વીણા વગાડી ઊંચા અવાજો સાથે લઈ આવ્યા. યહોવાહનો કરારકોશ દાઉદનગરમાં લાવવામાં આવ્યો, ત્યારે શાઉલની પુત્રી મીખાલે બારીમાંથી બહાર જોયું. તેણે દાઉદ રાજાને, નૃત્ય કરતો તથા ઉજવણી કરતો જોયો. તેથી તેણે પોતાના મનમાં તેને તુચ્છકાર્યો.

ઈશ્વરનો આભાર માનો, તેમના નામે પ્રાર્થના કરો; લોકોમાં તેમના અદ્દભુત કાર્યો જાહેર કરો. તેમના ગુણગાન ગાઓ, તેમનાં સ્તુતિગાન કરો; તેમનાં સર્વ અદ્દભુત કાર્યોનું મનન કરો. તમે તેમના પવિત્ર નામનું ગૌરવ જાળવો; યહોવાહના ભક્તોનાં હૃદયો આનંદમાં રહો. યહોવાહને તથા તેમના સામર્થ્યને તમે શોધો; સદાસર્વદા તેમના મુખને શોધો.

હે આખી પૃથ્વીના લોકો, યહોવાહના ગુણગાન કરો; દિનપ્રતિદિન તેમના તારણને જાહેર કરો. રાષ્ટ્રોમાં તેમનો મહિમા પ્રગટ કરો. સર્વ દેશજાતિઓમાં તેમનાં અદ્દ્ભુત કાર્યો જાહેર કરો. કેમ કે યહોવાહ મહાન છે તથા અતિવિશેષ સ્તુતિપાત્ર છે, અને બીજા દેવો કરતાં તેઓનું ભય રાખવું યોગ્ય છે. કેમ કે લોકોના સર્વ દેવો મૂર્તિઓ જ છે, પણ યહોવાહે તો આકાશો બનાવ્યાં છે. તેમની સંમુખ ગૌરવ તથા મહિમા છે. તેમના ભક્તિસ્થાનમાં સામર્થ્ય તથા આનંદ છે. હે લોકોનાં કુળો, તમે યહોવાહને, હા, યહોવાહને જ, ગૌરવ તથા સામર્થ્યનું માન આપો. યહોવાહના નામને ઘટિત ગૌરવ આપો. અર્પણ લઈને તેમની હજૂરમાં આવો. પવિત્ર વસ્ત્રો ધારણ કરીને યહોવાહની આગળ નમો. સમગ્ર પૃથ્વી તેમની સમક્ષ ધ્રૂજે. જગત પણ એવી રીતે સ્થપાયેલું છે કે, તેને હલાવી શકાય તેમ નથી. આકાશો આનંદ કરે તથા પૃથ્વી હરખાય; વિદેશીઓ મધ્યે એવું કહેવાય કે, "યહોવાહ રાજ કરે છે." સમુદ્ર તથા તેમા જે છે તે ગર્જના કરે છે. ખેતરો તથા તેઓમાં જે છે, તે સર્વ ઉત્સાહ કરે છે. પછી જંગલનાં વૃક્ષો યહોવાહની આગળ હર્ષનાદ કરશે, કેમ કે તેઓ પૃથ્વીના લોકોનો ન્યાય કરવા આવે છે. યહોવાહનો આભાર માનો, કેમ કે તેઓ કૃપાળુ છે, કેમ કે તેમનું વિશ્વાસુપણું સદાકાળ રહે છે. બોલો, "હે અમારા ઉદ્ધારનાર ઈશ્વર અમારો ઉદ્ધાર કરો. બીજી પ્રજાઓથી અમારી રક્ષા કરો અને અમને એકત્રિત કરો, કે જેથી અમે તમારા પવિત્ર નામનો આભાર માનીએ અને તમારી સ્તુતિ ગાઈએ." ઇઝરાયલના ઈશ્વર, યહોવાહ અનાદિકાળથી તે અનંતકાળ માટે સ્તુત્ય થાઓ. પછી સર્વ લોકોએ "આમીન" કહીને યહોવાહની સ્તુતિ કરી.

વળી તેઓએ દરરોજ સવારે યહોવાહનો આભાર માનવા અને સ્તુતિ કરવા માટે ઊભા રહેવાનું હતું. એ જ રીતે સાંજે પણ

સમગ્ર સભાની સમક્ષ દાઉદે યહોવાની સ્તુતિ કરતાં કહ્યું, "અમારા પિતૃઓના, ઇઝરાયલના ઈશ્વર, યહોવાહ, સદા સર્વદા તમારી સ્તુતિ હો! યહોવાહ તમે જ મહાન, શક્તિશાળી, ગૌરવવંત, ભવ્ય અને પ્રતાપી છો. આ પૃથ્વી પર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તમારું છે. હે યહોવા રાજ્ય તમારું છે અને એ બધાં પર તમારો જ અધિકાર છે. તમારાથી જ ધન અને યશ પ્રાપ્ત થાય છે. તમે જ સર્વ પ્રજા પર શાસન કરો છો. સામર્થ્ય અને સત્તા તમારા જ હાથમાં છે. તમે જ સૌને મહાન તથા બળવાન કરો છો, હવે અત્યારે, હે અમારા ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ અને તમારા મહિમાવંત નામની સ્તુતિ કરીએ છીએ.

અને એમ થયું કે યાજકો સભાસ્થાનમાંથી બહાર આવ્યા. જે સર્વ યાજકો હાજર હતા તેઓએ પોતાને પવિત્ર કર્યા હતા; તેઓએ તેમના વિભાગોમાં જુદા પાડ્યાં. આ ઉપરાંત સર્વ ગાનારા લેવીઓ, એટલે આસાફ, હેમાન, યદૂથૂન તથા તેઓના સર્વ દીકરાઓ તથા ભાઈઓ બારીક શણનાં વસ્ત્ર પહેરીને ઝાંઝો, સિતાર તથા વીણા લઈને વેદીની પૂર્વ બાજુએ ઊભા હતા. તેઓની સાથે એકસો વીસ યાજકો રણશિંગડાં વગાડતા હતા. અને એમ થયું કે રણશિંગડાં વગાડનારા તથા ગાનારાઓએ ઈશ્વરની સ્તુતિ કરવા તથા આભાર માનવા ઊંચે સ્વરે એક સરખો અવાજ કર્યો. તેઓએ ઈશ્વરની સ્તુતિ કરવા રણશિંગડાં, ઝાંઝ અને બીજા વાજિંત્રો સહિત ઊંચા સ્વરે સ્તુતિ કરી. તેઓએ ગાયું, "તે ઉત્તમ છે, કેમ કે તેમની કૃપા સર્વકાળ ટકે છે." પછી ઈશ્વરનું સભાસ્થાન વાદળ સ્વરૂપે ઈશ્વરના ગૌરવથી ભરાઈ ગયું. યાજકો ઘરમાં સેવા કરવા ઊભા રહી શક્યા નહિ. કેમ કે ઈશ્વરના મહિમાથી સભાસ્થાન ભરાઈ ગયું હતું.

સુલેમાને ઈશ્વરની વેદીની સમક્ષ ઇઝરાયલની સમગ્ર પ્રજા આગળ ઊભા રહીને પોતાના હાથ પ્રસાર્યા. તેણે પિત્તળનો પાંચ હાથ લાંબો, પાંચ હાથ પહોળો અને ત્રણ હાથ ઊંચો બાજઠ બનાવ્યો હતો. તેને આંગણાની વચ્ચે મૂક્યો હતો. સુલેમાન તેના પર ઊભો રહ્યો. અને સર્વ ઇઝરાયલી લોકોની આગળ ઘૂંટણે પડીને તેણે આકાશ તરફ પોતાના હાથ ઊંચા કર્યા. તેણે કહ્યું, "પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર, આકાશમાં તથા પૃથ્વી પર તમારા જેવા બીજા કોઈ ઈશ્વર નથી, તમારા જે સર્વ સેવકો પોતાના ખરા અંતઃકરણથી તમારી આગળ ચાલે છે તેઓની સાથે તમે કરાર પાળો છો તથા તેઓ પર કૃપા રાખો છો;

તો પણ શું ઈશ્વર ખરેખર માણસોની સાથે પૃથ્વી પર રહે ખરા? જુઓ, આકાશ તથા આકાશોના આકાશમાં તમારો સમાવેશ થાય તેમ નથી, ત્યારે આ જે સભાસ્થાન મેં બાંધ્યું છે તેમાં તમારો સમાવેશ થવો એ કેટલું અશક્ય છે!

જયારે સુલેમાન પ્રાર્થના પૂરી કરી રહ્યો ત્યારે આકાશમાંથી અગ્નિએ ઊતરીને દહનીયાર્પણ તથા બલિદાન ભસ્મ કર્યાં અને ઈશ્વરના ગૌરવથી સભાસ્થાન ભરાઈ ગયું. જેથી યાજકો ઈશ્વરના ઘરમાં પ્રવેશ કરી શક્યા નહિ, કેમ કે ઈશ્વરના ગૌરવે સભાસ્થાનને ભરી દીધું હતું. ઇઝરાયલના સઘળા લોકોએ અગ્નિને ઊતરતો અને ઈશ્વરના ગૌરવને સભાસ્થાન ઉપર સ્થિર થતો જોયો. તેઓએ માથું નમાવીને સાષ્ટાંગ પ્રણામ કરીને સ્તુતિ કરી અને ઈશ્વરનો આભાર માન્યો. તેઓએ કહ્યું, "કેમ કે તે ઉત્તમ છે, તેમના કરારને તે હંમેશા નિભાવી રાખે છે."

યાજકો તેમની સેવાના નિયત સ્થાને ઊભા રહ્યા, એ જ રીતે લેવીઓ પણ ઈશ્વરનાં કિર્તન વખતે વગાડવા માટે દાઉદે બનાવેલાં વાજિંત્રો લઈને ઊભા રહ્યા અને દાઉદે રચેલા સ્તવનો ગાવા લાગ્યા કે, "ઈશ્વરની કૃપા સર્વકાળ ટકે છે." તેઓની આગળ યાજકો રણશિંગડાં વગાડતા હતા અને બધા ઇઝરાયલીઓ ત્યાં ઊભા હતા.

પછી મિખાયાએ કહ્યું, "તમે સર્વ ઈશ્વરનું વચન સાંભળો મેં ઈશ્વરને તેમના સિંહાસન પર બેઠેલા જોયા છે અને આકાશનું આખું સૈન્ય તેમને જમણે હાથે તથા ડાબે હાથે ઊભેલું હતું.

જયારે તેણે લોકોને બોધ શિક્ષા આપવાનું પૂરું કર્યું ત્યારપછી સૈન્યની આગળ ચાલતાં ચાલતાં ઈશ્વરની સમક્ષ ગાયન કરનારાઓને, પવિત્ર વસ્ત્રો ધારણ કરીને તેમની સ્તુતિ કરનારાઓને તથા 'ઈશ્વરનો આભાર માનો કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે' એ સ્તોત્ર ગાનારાઓને નિયુક્ત કર્યા."

વળી હિઝકિયા રાજાએ તથા આગેવાનોએ, દાઉદે તથા પ્રેરક આસાફે રચેલાં ગીતો ગાઈને લેવીઓને ઈશ્વરની સ્તુતિ કરવાની આજ્ઞા કરી. તેઓએ આનંદથી સ્તુતિનાં ગીતો ગાયા અને તેઓએ સાષ્ટાંગ પ્રણામ કરીને તેમની સ્તુતિ કરી.

આ રીતે ઇઝરાયલના લોકો જેઓ યરુશાલેમમાં હતા તેઓએ સાત દિવસ સુધી બહુ આનંદ સાથે બેખમીર રોટલીના પાસ્ખાપર્વની ઊજવણી કરી. તે દરમિયાન લેવીઓ અને યાજકો દરરોજ ગીતો અને વાજિંત્રો સાથે ઈશ્વરની સ્તુતિ કરતા હતા.

બાંધનારાઓએ યહોવાહના ભક્તિસ્થાનનો પાયો નાખ્યો ત્યારે ઇઝરાયલના રાજા દાઉદના હુકમ પ્રમાણે, યહોવાહની સ્તુતિ કરવા માટે યાજકો રણશિંગડાં સાથે ગણવેશમાં, લેવીય આસાફના દીકરાઓ ઝાંઝ સાથે, ઊભા રહ્યાં. તેઓએ યહોવાહની સ્તુતિ કરતા આભારનાં ગીતો ગાયા, "ઈશ્વર ભલા છે! તેમના કરારનું વિશ્વાસુપણું ઇઝરાયલીઓ પર સર્વકાળ રહે છે." સર્વ લોકોએ ઊંચા અવાજે યહોવાહની સ્તુતિ કરતા હર્ષનાદ કર્યા કેમ કે ભક્તિસ્થાનના પાયા સ્થપાયા હતા.

સાંજના અર્પણનો સમય થતાં હું શોકમગ્ન થઈને જ્યાં બેઠો હતો ત્યાંથી ઊઠ્યો અને મારાં ફાટેલાં અન્ય વસ્ત્રો અને ઝભ્ભા સાથે જ મેં ઘૂંટણિયે પડીને મારા ઈશ્વર, યહોવાહ તરફ હાથ લંબાવ્યા.

એઝરાએ મહાન ઈશ્વર યહોવાહનો આભાર માન્યો. સર્વ લોકોએ પોતાના હાથ ઊંચા કરીને કહ્યું, "આમીન!, આમીન!" પછી તેઓએ પોતાના માથા નમાવીને મુખ ભૂમિ તરફ નીચાં રાખ્યાં અને યહોવાહની આરાધના કરી.

લેવીઓ એટલે યેશુઆ, બાની, કાદ્મીએલ, શબાન્યા, બુન્ની, શેરેબ્યા, બાની તથા કનાની તે સર્વએ લેવીઓની સીડી ઉપરથી મોટે અવાજે પોતાના ઈશ્વર યહોવાહને વિનંતી કરી. ત્યાર બાદ લેવીઓ એટલે યેશૂઆ, કાદ્મીએલ, બાની, હશાબ્નયા, શેરેબ્યા, હોદિયા, શબાન્યા, અને પથાહ્યાએ કહ્યું, "ઊભા થાઓ અને આપણા યહોવા જે અનાદિ અને અનંત છે તેમની સ્તુતિ કરો. અને એવું બોલો કે તમારું બુલંદ નામ જે સર્વ સ્તુતિ અને પ્રશંસાની પરિસીમાથી પણ પર છે, તે મહિમાવંત હો. તમે જ એક માત્ર યહોવા છો, આકાશ, આકાશોનું આકાશ તથા સર્વ તારા મંડળ અને પૃથ્વી તથા જે સર્વ તેમાં છે, સમુદ્ર અને તેમાંના સર્વ જીવજંતુ તમે બનાવ્યાં છે અને બધાંને જીવન આપ્યું છે. અને આકાશનું સૈન્ય તમારી આરાધના કરે છે.

તેમ છતાં, તમે દયાળુ હોવાથી તેઓને અરણ્યમાં ત્યજી ન દીધા, જે માર્ગે તેઓ ચાલતા હતા તે માર્ગ દેખાડવાને દિવસે મેઘસ્તંભ અને રાત્રે પ્રકાશ આપવાને અગ્નિસ્તંભથી તમે તેઓને દોર્યા.

યરુશાલેમના કોટની પ્રતિષ્ઠાને પ્રસંગે લોકોએ લેવીઓને તેઓની સર્વ જગ્યાઓમાંથી શોધી કાઢ્યા કે તેઓને ઈશ્વરની આભારસ્તુતિનાં ગાયનો ગાવા, ઝાંઝો, સિતાર અને વીણાઓ વગાડતાં ઉત્સાહથી પ્રતિષ્ઠાપર્વ પાળવા માટે તેઓ તેમને યરુશાલેમમાં લાવે.

કારણ કે પ્રાચીનકાળમાં દાઉદના અને આસાફના સમયમાં આસાફ ગાયકોનો મુખ્ય આગેવાન હતો. વળી ઈશ્વરના સ્તવનના તથા આભારસ્તુતિનાં ગીતો પણ હતાં.

પછી અયૂબે ઊભા થઈને, પોતાનો જામો ફાડી નાખ્યો, પોતાનું માથું મૂંડાવીને જમીન પર પડીને ઈશ્વરની સ્તુતિ કરી. તેણે કહ્યું કે, મારી માતાના ગર્ભસ્થાનમાંથી હું નિર્વસ્ત્ર આવ્યો હતો અને એવો જ પાછો જઈશ. યહોવાહે આપ્યું અને યહોવાહે લઈ લીધું છે; યહોવાહના નામની પ્રશંસા હો.''

છતાં હું ઈશ્વરને શોધું અને મારી બાબત ઈશ્વરને સોંપું. તેઓ મોટાં અને અગમ્ય કાર્યો કરે છે તથા અગણિત અદ્દભુત કાર્યો કરે છે.

શું શોધ કરવાથી તું ઈશ્વરને સમજી શકે? શું તું યોગ્ય રીતે સર્વસશક્તિમાનને સમજી શકે છે?

પણ જો તું તારું મન સીધું રાખે અને ઈશ્વર તરફ તારા હાથ લાંબા કરે;

હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે. અને આખરે તે પૃથ્વી પર ઊભા રહેશે; મારા શરીરનો આવી રીતે નાશ થયા પછી પણ, હું મારા ઈશ્વરને જોઈશ. તેમને હું પોતાની જાતે જોઈશ; મારી આંખો તેમને જોશે, બીજાની નહિ મારું હૃદય નિર્બળ થાય છે.

તો સર્વશક્તિમાન તારો ખજાનો થશે, અને તને મૂલ્યવાન ચાંદી પ્રાપ્ત થશે. તું સર્વશક્તિમાનમાં આનંદ માનશે; અને તું ઈશ્વર તરફ તારું મુખ ઊંચું કરશે.

જુઓ, ઈશ્વર તેમનાં સામથ્ય દ્વારા મહિમાવાન થાય છે; તેમના જેવો ગુરુ કોઈ છે? તેમણે શું કરવું એ કોઈ તેમને કહી શકે ખરું? અથવા કોણ તેમને કહી શકે છે કે, 'તમે અન્યાય કર્યો છે?' તેમનાં કાર્યોની સ્તુતિ કરવાનું યાદ રાખ, લોકોએ ગાયનો મારફતે તેમની સ્તુતિ કરી છે.

નિશ્ચે મારું હૃદય ધ્રૂજે છે; તે તેની જગ્યાએથી ખસી જાય છે. તેમના મુખમાંથી નીકળતા અવાજ, ધ્યાનથી સાંભળો. આખા આકાશને તે વીજળીથી ઝળકાવે છે, અને પૃથ્વીની દરેક દિશાઓ સુધી મોકલે છે. તેમની પાછળ અવાજ થાય છે; તે ગર્જનાથી તેમની ભવ્યતાનો અવાજ કરે છે; જ્યારે વીજળી ચમકે છે, ત્યારે તેમનો અવાજ સંભળાય છે. ઈશ્વર અદ્દભુત રીતે તેમનો અવાજ કરે છે; તેમનાં મહાન કૃત્યો આપણે સમજી શકતા નથી.

વાદળો કેવી રીતે હવામાં સમતોલ રહે છે, જે ડહાપણમાં સંપૂર્ણ છે અને ઈશ્વરનાં આશ્ચર્યકારક કાર્યો, તે શું તું જાણે છે?

તે જ રીતે આકાશમાંથી આપણી ઉપર આવતા અને આંખોને આંજી દેતા ઈશ્વરની ભવ્યતા સામે પણ આપણે જોઈ શક્તા નથી. સર્વશક્તિમાન ઈશ્વર મહાન છે! આપણે તેમને સમજી શકતા નથી; તેઓ મહા પરાક્રમી અને ન્યાયી છે. તેઓ આપણને નુકસાન પહોંચાડતા નથી.

આકાશમાં જે બિરાજમાન છે તે હાસ્ય કરશે; પ્રભુ તેઓને તુચ્છ ગણશે.

"મારા પવિત્ર સિયોન પર્વત પર મેં મારા રાજાને અભિષિક્ત કર્યો છે."

હું યહોવાહના ન્યાયપણાને લીધે તેમનો આભાર માનીશ; હું પરાત્પર યહોવાહના નામનું સ્તોત્ર ગાઈશ.

હે યહોવાહ, અમારા પ્રભુ, આખી પૃથ્વી પર તમારું નામ કેવું ભવ્ય છે! તમે આકાશમાં પોતાનો મહિમા મૂક્યો છે.

હે યહોવાહ, અમારા પ્રભુ, આખી પૃથ્વીમાં તમારું નામ કેવું ભવ્ય છે!

હું મારા સંપૂર્ણ હૃદયથી યહોવાહની આભારસ્તુતિ કરીશ; હું તમારાં સર્વ આશ્ચર્યકારક કૃત્યો જાહેર કરીશ. હું તમારામાં આનંદ પામીશ તથા ઉલ્લાસ કરીશ; હે પરાત્પર, હું તમારા નામનું સ્તોત્ર ગાઈશ.

સિયોનના અધિકારી યહોવાહનાં સ્તુતિગાન ગાઓ; લોકોમાં તેમનાં કૃત્યો જાહેર કરો.

સિયોનની દીકરીના દરવાજાઓમાં હું તમારાં પૂરેપૂરાં વખાણ કરું હું તમારા ઉદ્ધારમાં હર્ષ પામીશ.

યહોવાહ સદાસર્વકાળ રાજા છે; તેમના દેશમાંથી વિદેશીઓ નાશ પામ્યા છે.

યહોવાહ પોતાના પવિત્રસ્થાનમાં છે; તેમની આંખો જુએ છે અને તેમની આંખો મનુષ્યના દીકરાઓને પારખે છે.

યહોવાહની આગળ હું ગાયન ગાઈશ, કારણ કે તે મારા પર કૃપાવાન થયા છે.

તમારી આંખની કીકીની જેમ મારી રક્ષા કરો; તમારી પાંખોની છાયા નીચે મને સંતાડો.

હે યહોવાહ, મારા સામર્થ્ય, હું તમારા પર પ્રેમ કરું છું. યહોવાહ મારા ખડક, મારા કિલ્લા તથા મારા બચાવનાર છે; તે મારા ઈશ્વર, મારા ગઢ; તે પર હું ભરોસો રાખીશ. તે મારું બખ્તર છે, મારા ઉદ્ધારનું શિંગ અને મારો ઊંચો બુરજ છે. હું યહોવાહને વિનંતિ કરીશ તે સ્તુતિપાત્ર છે અને એમ હું મારા શત્રુઓથી બચી જઈશ.

યહોવાહે આકાશમાં ગર્જના કરી! પરાત્પરે મોટો અવાજ કાઢ્યો અને કરા તથા વીજળીના ચમકારા થયા.

ઈશ્વરને માટે તેમનો માર્ગ તો પરિપૂર્ણ છે. યહોવાહના શબ્દો શુદ્ધ છે! જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વની તે ઢાલ છે. કારણ કે યહોવાહ વિના બીજા ઈશ્વર કોણ છે? અમારા ઈશ્વર વિના બીજો ખડક કોણ છે?

યહોવાહ જીવતા જાગતા ઈશ્વર છે; મારા રક્ષકની સ્તુતિ હો. મારા ઉદ્ધાર કરનાર ઈશ્વર ઉત્તમ મનાઓ.

આકાશો ઈશ્વરનો મહિમા પ્રગટ કરે છે અને અંતરિક્ષ તેમના હાથનું કામ દર્શાવે છે!

હે યહોવાહ, તમે પોતાને સામર્થ્યે ઊંચા થાઓ; અમે તમારા પરાક્રમનાં સ્તોત્ર ગાઈને સ્તવન કરીશું.

તોપણ, હે ઇઝરાયલનાં સ્તોત્ર પર બિરાજમાન, તમે પવિત્ર છો.

હું મારા ભાઈઓમાં તમારું નામ પ્રગટ કરીશ; હું ભરી સભામાં તમારી સ્તુતિ કરીશ. હે યહોવાહનો ભય રાખનારાઓ, તેમનાં ગુણગાન ગાઓ! તમે બધા યાકૂબના વંશજો, તેમને માન આપો! હે ઇઝરાયલના સર્વ વંશજો, તમે તેમનું ભય રાખો. કેમ કે તેમણે દુઃખીઓના દુઃખને તુચ્છ ગણ્યું નથી અને તેનાથી કંટાળ્યા નથી; યહોવાહે તેનાથી પોતાનું મુખ ફેરવ્યું નથી; જ્યારે તેણે મદદને માટે અરજ કરી, ત્યારે તેમણે તેનું સાંભળ્યું. હું તમારી કૃપાથી મોટી મંડળીમાં તમારી સ્તુતિ કરું છું; તેમનું ભય રાખનારાઓની આગળ હું મારી પ્રતિજ્ઞાઓ પૂરી કરીશ. દરિદ્રીઓ ખાઈને તૃપ્ત થશે; જેઓ યહોવાહને શોધે છે, તેઓ તેમની સ્તુતિ કરશે. તમારું હૃદય સર્વકાળ જીવો. પૃથ્વીના સર્વ લોકો યહોવાહને સંભારીને તેમની તરફ ફરશે; વિદેશીઓનાં સર્વ કુટુંબો તમારી આગળ આવીને પ્રણામ કરશે. કારણ કે રાજ્ય યહોવાહનું છે; તે સર્વ પ્રજા પર રાજ કરે છે. પૃથ્વીના સર્વ મોટા લોકો ખાશે તથા પ્રણામ કરશે; જેઓ ધૂળમાં જનારા છે, એટલે જેઓ પોતાના જીવને બચાવી શકતા નથી, તેઓ સર્વ ઈશ્વરની આગળ નમશે.

હે પ્રવેશદ્વારો, તમારાં માથા ઊંચાં કરો; હે પ્રાચીન પ્રવેશદ્વારો, તમે ઊંચાં થાઓ, કે જેથી ગૌરવવાન રાજા અંદર આવશે! ગૌરવવાન રાજા તે કોણ છે? યહોવાહ, જે બળવાન તથા યુદ્ધમાં પરાક્રમી છે, તે જ. હે પ્રવેશદ્વારો, તમારાં માથાં ઊંચાં કરો; હે પ્રાચીન પ્રવેશદ્વારો, તમે પણ ઊંચાં થાઓ, કે જેથી ગૌરવવાન રાજા અંદર આવશે! આ ગૌરવવાન રાજા તે કોણ છે? યહોવાહ આકાશોના સર્વ સૈન્યોના માલિક એ જ ગૌરવવાન રાજા છે. સેલાહ

યહોવાહ પાસે મેં એક વરદાન માગ્યું છે: કે યહોવાહનું ઘર મારી જિંદગીના સર્વ દિવસો દરમ્યાન મારું નિવાસસ્થાન થાય, જેથી હું યહોવાહના સૌંદર્યનું અવલોકન કર્યા કરું અને તેમના પવિત્રસ્થાનમાં તેમનું ધ્યાન ધરું.

પછી મારી આસપાસના શત્રુઓ પર મારું માથું ઊંચું કરવામાં આવશે અને હું તેમના મંડપમાં હર્ષનાદનાં અર્પણ ચઢાવીશ! હું ગાઈશ અને યહોવાહનાં સ્તોત્રો ગાઈશ! હે યહોવાહ, જ્યારે હું વિનંતી કરું, ત્યારે તે સાંભળો! મારા પર દયા કરીને મને ઉત્તર આપો! મારું હૃદય તમારા વિષે કહે છે કે, "તેમનું મુખ શોધો!" હે યહોવાહ, હું તમારું મુખ શોધીશ!

યહોવાહ મારું સામર્થ્ય અને મારી ઢાલ છે; મારા હૃદયે તેમના ઉપર ભરોસો રાખ્યો છે અને મને તેમની સહાય મળી છે. માટે મારા હૃદયમાં અત્યંત આનંદ થાય છે અને તેમની સ્તુતિ ગાઈને હું તેમનો આભાર માનીશ.

હે પરાક્રમી યહોવાહના દીકરાઓ, તમે તેમની સ્તુતિ કરો; ગૌરવ તથા સામર્થ્ય યહોવાહને આપો. યહોવાહના નામનું ગૌરવ તેમને આપો; પવિત્રતાની શોભા ધારણ કરીને યહોવાહની સ્તુતિ કરો. યહોવાહનો સાદ પાણી પર ગાજે છે; ગૌરવવાન ઈશ્વર ગર્જના કરે છે, યહોવાહ ઘણા પાણી પર ગર્જના કરે છે. યહોવાહનો અવાજ સમર્થ છે; યહોવાહનો અવાજ માહાત્મ્યથી ભરપૂર છે.

યહોવાહના અવાજથી હરણીઓના ગર્ભ ગળી જાય છે; ઝાડીઓનાં ડાળાપાંખડાં તૂટી પડે છે; પણ તેમના પવિત્રસ્થાનમાં સર્વ લોકો કહે છે, "તેમને મહિમા હો!" યહોવાહ જળપ્રલય સમયે બિરાજમાન હતા; યહોવાહ સદા સર્વકાળ રાજા તરીકે બિરાજનાર છે.

હે યહોવાહના વિશ્વાસુ ભક્તો, તેમનાં સ્તોત્ર ગાઓ! તેમના પવિત્ર નામની આભારસ્તુતિ કરો.

તમે મારા શોકને નૃત્યમાં ફેરવ્યું છે; તમે મારા શોકનાં વસ્ત્રો ઉતારી લઈને મને ઉત્સાહ રૂપી વસ્ત્રો પહેરાવી દીધાં. જેથી મારું ગૌરવી હૃદય તમારાં સ્તોત્ર ગાય અને શાંત રહે નહિ; હું આનંદપૂર્વક, યહોવાહ મારા ઈશ્વરની સદાકાળ આભારસ્તુતિ કરીશ!

હે ન્યાયી લોકો, યહોવાહમાં આનંદ કરો; યથાર્થીઓ સ્તુતિ કરે તે યોગ્ય છે. વીણા વગાડી યહોવાહની સ્તુતિ કરો; દશ તારનું વાજિંત્ર વગાડીને તેમનાં સ્તોત્ર ગાઓ. તેમની આગળ નવું ગીત ગાઓ; વાજિંત્રોને કુશળતાથી અને આનંદથી વગાડો.

દાઉદનું [ગીત]; તેણે અબીમેલેખની આગળ ગાંડાઈનો ઢોંગ કર્યો, અને એણે તેને કાઢી મૂકયાથી તે જતો રહ્યો, તે વખતનું. હું સર્વ સમયે યહોવાહને ધન્યવાદ આપીશ; મારે મુખે તેમની સ્તુતિ નિરંતર થશે. હું યહોવાહની સ્તુતિ કરીશ; દિન લોકો તે સાંભળીને આનંદ કરશે. મારી સાથે યહોવાહની સ્તુતિ કરો; આપણે એકઠાં મળીને તેમનું નામ બુલંદ માનીએ.

એટલે હું ભરસભામાં તમારી આભારસ્તુતિ કરીશ; ઘણા લોકોની મધ્યે હું તમારી પ્રશંસા કરીશ.

જેઓ મારા ન્યાયીપણામાં આનંદ કરે છે; તેઓ હર્ષ પામીને જયજયકાર કરો; તેઓ હમેશાં કહો, જે પોતાના સેવકની આબાદીમાં ખુશ રહે છે, તે યહોવાહની સ્તુતિ થાઓ. ત્યારે હું તમારું ન્યાયીપણું પ્રગટ કરીશ અને આખો દિવસ હું તમારાં સ્તોત્ર ગાઈશ.

તેમણે આપણા ઈશ્વરનું સ્તોત્ર, મારા મુખમાં મૂક્યું છે. ઘણા તે જોશે અને બીશે અને યહોવાહ પર ભરોસો રાખશે.

પણ જે સર્વ તમને શોધે છે તેઓ તમારાથી હર્ષ પામો અને તમારામાં આનંદ કરો; જેઓ તમારા દ્વારા ઉદ્ધાર ચાહે છે તેઓ નિરંતર કહો, "યહોવાહ મોટા મનાઓ."

તમે મને મારી નિર્દોષતામાં સ્થિર રાખો છો અને તમારી હજૂરમાં મને સર્વકાળ રાખો છો. અનાદિકાળથી તે અનંતકાળ સુધી હે મારા યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર, તમારી સ્તુતિ થાઓ. આમેન તથા આમેન.

હરણ જેમ પાણીના ઝરણાં માટે તલપે છે, તેમ હે ઈશ્વર, તમારે માટે મારો આત્મા તલપે છે. ઈશ્વર, હા, જીવતા ઈશ્વરને માટે, મારો આત્મા તરસે છે; હું ક્યારે ઈશ્વરની આગળ હાજર થઈશ?

દિવસે યહોવાહ પોતાના કરારના વિશ્વાસુપણાની વાત કરતા; અને રાત્રે હું તેમનાં સ્તુતિગીત ગાતો, એટલે મારા જીવનદાતા ઈશ્વરની પ્રાર્થના કરતો.

પછી હું ઈશ્વરની વેદી પાસે, ઈશ્વર જે મારો અત્યાનંદ છે, તેમની પાસે જઈશ; હે ઈશ્વર, મારા ઈશ્વર, હું વીણા સાથે તમારી આભારસ્તુતિ કરીશ.

હે પરાક્રમી, તમે તમારી તરવાર કમરે બાંધો, તમારું ગૌરવ તથા તમારો મહિમા ધારણ કરો. સત્ય, નમ્રતા તથા ન્યાયીપણાને અર્થે તમારા પ્રતાપે સવારી કરીને વિજયવંત થાઓ; તમારો જમણો હાથ તમને ભયંકર કૃત્યો શીખવશે.

હે ઈશ્વર, તમારું રાજ્યાસન સનાતન છે; તમારો રાજદંડ તે યથાર્થ રાજદંડ છે.

હું પેઢી દરપેઢી તમારા નામનું સ્મરણ રખાવીશ; તેથી લોકો સદાકાળ સુધી તમારી આભારસ્તુતિ કરશે.

શાંત રહો અને જાણો કે હું ઈશ્વર છું; હું વિદેશીઓમાં મોટો મનાઈશ; હું પૃથ્વીમાં મોટો મનાઈશ.

હે સર્વ લોકો, તાળી પાડો; આનંદથી મોટા અવાજે ઈશ્વરની સ્તુતિ કરો. કારણ કે પરાત્પર યહોવાહ ભયાવહ છે; તે આખી પૃથ્વીના રાજાધિરાજ છે.

ઈશ્વર વિજયના પોકારસહિત, યહોવાહ રણશિંગડાના અવાજસહિત ચઢી ગયા છે. ઈશ્વરનાં સ્તોત્રો ગાઓ, સ્તોત્રો ગાઓ; આપણા રાજાનાં સ્તોત્રો ગાઓ, સ્તોત્રો ગાઓ. કેમ કે ઈશ્વર આખી પૃથ્વીના રાજા છે; સમજદારીથી તેમની પ્રશંસાનાં ગીતો ગાઓ. ઈશ્વર વિદેશીઓ પર રાજ કરે છે; ઈશ્વર પોતાના પવિત્ર સિંહાસન પર બિરાજમાન છે. લોકોના રાજકુમારો એકત્ર થયા છે ઇબ્રાહિમના ઈશ્વરના લોકોની સાથે બધા ભેગા થયા છે; કેમ કે પૃથ્વીની સર્વ ઢાલો ઈશ્વરની છે; તે સર્વોચ્ય છે.

આપણા ઈશ્વરના નગરમાં તેમના પવિત્ર પર્વતમાં યહોવાહ મહાન છે અને ઘણા સ્તુત્યમાન છે.

કારણ કે આ ઈશ્વર આપણા સનાતન ઈશ્વર છે; તે મરણ પર્યંત આપણને દોરનાર છે.

ઈશ્વરને આભારસ્તુતિનાં અર્પણો ચઢાવ અને પરાત્પર પ્રત્યેની તારી પ્રતિજ્ઞા પૂર્ણ કર. સંકટને સમયે મને વિનંતિ કર; હું તને છોડાવીશ અને તું મારો મહિમા પ્રગટ કરશે."

જે આભારસ્તુતિનાં અર્પણો ચઢાવે છે તે મને માન આપે છે અને જે પોતાના માર્ગો નિયમસર રાખે છે તેને હું ઈશ્વર દ્વારા મળતો ઉદ્ધાર બતાવીશ."

હે ઈશ્વર, મારા ઉદ્ધારનાર, ખૂનના દોષથી મને માફ કરો અને હું મારી જીભે તમારા ન્યાયીપણા વિષે મોટેથી ગાઈશ. હે પ્રભુ, તમે મારા હોઠ ઉઘાડો એટલે મારું મુખ તમારી સ્તુતિ પ્રગટ કરશે.

હે ઈશ્વર, તમે આકાશો કરતાં ઊંચા મનાઓ; તમારો મહિમા આખી પૃથ્વી કરતાં મોટો થાઓ.

હે ઈશ્વર, મારું હૃદય સ્થિર છે, મારું હૃદય સ્થિર છે; હું ગાયન કરીશ, હા, હું સ્તોત્રો ગાઈશ.

પણ હું તો તમારા સામર્થ્યનું ગીત ગાઈશ; અને મારા સંકટના સમયે ભરોસો રાખીશ, કેમ કે તમે મારે માટે ઊંચો ગઢ છો. હે મારા સામર્થ્ય, હું તમારાં સ્તોત્રો ગાઈશ; કેમ કે ઈશ્વર મારે માટે ઊંચો ગઢ અને મારા પર કૃપા કરનાર ઈશ્વર છે.

હું નિરંતર તમારા નામની સ્તુતિ ગાઈશ કે જેથી હું દરરોજ મારી પ્રતિજ્ઞા પૂરી કરું.

હે ઈશ્વર, તમે મારા ઈશ્વર છો; હું ગંભીરતાપૂર્વક તમારી શોધ કરીશ; જ્યાં પાણી હોતું નથી, એવા સૂકા તથા ખેદજનક દેશમાં મારો આત્મા તમારે માટે તલસે છે અને મારો દેહ તમારે માટે તલપે છે. તેથી તમારું સામર્થ્ય તથા ગૌરવ જોવાને માટે મેં પવિત્રસ્થાનમાં તમારી તરફ જોયું છે. કારણ કે તમારી કૃપા જીવન કરતાં ઉત્તમ છે, મારા હોઠો તમારી સ્તુતિ કરશે. હું આવી રીતે મરણ પર્યંત તમને ધન્યવાદ આપીશ; હું તમારે નામે મારા હાથ જોડીને ઊંચા કરીશ. હું મારી પથારીમાં તમારા વિષે વિચારું છું; અને રાતના સમયે હું તમારું મનન કરું છું મજ્જા તથા મેદથી મારો આત્મા તૃપ્ત થશે અને હર્ષિત હોઠોથી મારું મુખ તમારું સ્તવન કરશે.

પણ રાજા ઈશ્વરમાં આનંદ કરશે, જે તેમના સમ ખાય છે તે દરેકનો જય થશે, પણ જૂઠું બોલનારાનાં મુખ તો બંધ કરી દેવામાં આવશે.

હે ઈશ્વર, સિયોનમાં તમારી સ્તુતિ થાય તે ઘટિત છે; અમારી પ્રતિજ્ઞા તમારી આગળ પૂરી કરવામાં આવશે.

હે સર્વ પૃથ્વીના રહેવાસી, ઈશ્વરની આગળ હર્ષનાં ગીત ગાઓ; તેમના નામના ગૌરવની સ્તુતિ ગાઓ; સ્તુતિગાનથી તેમને મહિમાવાન કરો. ઈશ્વરને કહો, "તમારાં કામ કેવાં ભયંકર છે! તમારા મહા સામર્થ્યને લીધે તમારા શત્રુઓ તમારી આગળ નમી જશે. આખી પૃથ્વી તમારી સ્તુતિ કરશે અને તે તમારી આગળ ગાયન કરશે; તેઓ તમારા નામનું સ્તવન કરશે." સેલાહ

તે પોતાના પરાક્રમથી સદાકાળ રાજ કરે છે; તેમની આંખો દેશોને જુએ છે; બંડખોરો ફાવી જઈને ઊંચા ન થઈ જાય. સેલાહ હે લોકો, આપણા ઈશ્વરને, ધન્યવાદ આપો અને તેમનાં સ્તવનનો ધ્વનિ સંભળાવો.

ઈશ્વરની સમક્ષ ગાઓ, તેમના નામનાં સ્તુતિગાન કરો; એમના માટે રાજમાર્ગ બનાવો જે યર્દન નદીની ખીણના મેદાનોમાં થઈને સવારી કરે છે; તેમનું નામ યહોવાહ છે; તેમની સમક્ષ આનંદ કરો.

ત્યારે પૃથ્વી કાંપી; વળી ઈશ્વરની આગળ આકાશમાંથી વરસાદ વરસ્યો, ઈશ્વર, ઇઝરાયલના ઈશ્વરની આગળ સિનાઈ પર્વત કાંપ્યો.

હે પૃથ્વીના રાજ્યો, તમે ઈશ્વર માટે ગાઓ; સેલાહ યહોવાહનું સ્તવન કરો. પુરાતન કાળનાં આકાશોનાં આકાશ પર સવારી કરનારનું સ્તવન કરો; જુઓ, તે પોતાની સામર્થ્યવાન વાણી કાઢે છે. પરાક્રમ કેવળ ઈશ્વરનું છે; તેમની સત્તા ઇઝરાયલ પર છે અને તેમનું સામર્થ્ય આકાશોમાં છે. હે ઈશ્વર, તમે તમારાં પવિત્રસ્થાનોમાં અતિ ભયાવહ છો; ઇઝરાયલના ઈશ્વર પોતાના લોકોને સામર્થ્ય તથા બળ આપે છે. ઈશ્વરની સ્તુતિ થાઓ.

હું ગીત ગાઈને ઈશ્વરના નામનું સ્તવન કરીશ અને આભાર માનીને તેમના નામની સ્તુતિ કરીશ.

આકાશ તથા પૃથ્વી તેમનું સ્તવન કરો, સમુદ્રો તથા તેમાંનાં સર્વ જળચર તેમની સ્તુતિ કરો.

તમારા શોધાનારાઓ હરખાઓ અને તમારામાં આનંદ કરો; જેઓ તમારા દ્વારા મળતા ઉદ્ધાર પર પ્રેમ કરે છે તેઓ પોકારીને કહો કે, "ઈશ્વર મોટા મનાઓ."

હું ગર્ભસ્થાનમાં હતો, ત્યારથી તમે મારા આધાર રહ્યા છો; મારી માતાના ઉદરમાંથી મને બહાર લાવનારા તમે જ છો; હું હંમેશા તમારી સ્તુતિ કરીશ. હું ઘણા લોકો માટે એક દ્રષ્ટાંત બન્યો છું; તમે મારો મજબૂત ગઢ છો. મારું મુખ તમારી સ્તુતિથી ભરપૂર થશે અને આખો દિવસ તમારા ગૌરવની વાતોથી ભરપૂર થશે.

પણ હું નિત્ય તમારી આશા રાખીશ અને તમારી સ્તુતિ વધારે અને વધારે કરીશ.

સિતાર સાથે હું તમારું સ્તવન કરીશ હે મારા ઈશ્વર, હું તમારી સત્યતાનું સ્તવન કરીશ; હે ઇઝરાયલના પવિત્ર, વીણા સાથે હું તમારાં સ્તોત્રો ગાઈશ. જ્યારે હું તમારી સ્તુતિ કરીશ, ત્યારે મારા હોઠો હર્ષનો પોકાર કરશે અને મારો ઉદ્ધાર પામેલો આત્મા અતિશય આનંદ પામશે.

જેઓ અરણ્યમાં રહે છે, તેઓ તેમની આગળ નમશે; તેમના શત્રુઓ ધૂળ ચાટશે.

સર્વ રાજાઓ તેમની આગળ પ્રણામ કરશે; સર્વ દેશનાઓ તેમની સેવા કરશે.

રાજાનું નામ સર્વદા રહેશે; સૂર્ય તપે ત્યાં સુધી તેમનું નામ ટકશે; તેમનામાં લોકો આશીર્વાદ પામશે. સર્વ દેશનાઓ તેમની સ્તુતિ કરશે. યહોવાહ ઈશ્વરની, ઇઝરાયલના ઈશ્વરની, સ્તુતિ થાઓ, એકલા તે જ આશ્ચર્યકારક કામો કરે છે. સર્વકાળ માટે તેમના ગૌરવી નામને પ્રશંસા હોજો અને આખી પૃથ્વી તેમના મહિમાથી ભરપૂર થાઓ. આમેન તથા આમેન.

પણ હું યહોવાહનાં કૃત્યોનું સ્મરણ કરીશ; તમારા પુરાતન કાળના ચમત્કાર વિષે હું વિચાર કરીશ. હું તમારાં સર્વ કામોનું મનન કરીશ અને તમારાં કૃત્યો વિષે વિચાર કરીશ. હે ઈશ્વર, તમારા માર્ગો પવિત્ર છે, આપણા મહાન ઈશ્વર જેવા બીજા ઈશ્વર કોણ છે? તમે ચમત્કાર કરનાર ઈશ્વર છો; તમે લોકોમાં તમારું સામર્થ્ય પ્રગટ કર્યું છે.

તે તેઓને દિવસે મેઘથી અને આખી રાત અગ્નિના પ્રકાશથી દોરતા.

તેઓએ યાદ કર્યુ કે ઈશ્વર તેઓના ખડક છે અને પરાત્પર ઈશ્વર તે જ તેઓના છોડાવનાર છે.

ઈશ્વર જે આપણું સામર્થ્ય છે, તેમની સમક્ષ મોટેથી ગાઓ; યાકૂબના ઈશ્વર સમક્ષ હર્ષનાદ કરો. ગીત ગાઓ અને ઢોલક વગાડો, સિતાર અને મધુર વીણા સાથે વગાડો.

જેથી તેઓ જાણે કે તમે એકલા જ યહોવાહ છો, તમે એકલા જ સમગ્ર પૃથ્વી પર પરાત્પર ઈશ્વર છો.

હે સૈન્યોના યહોવાહ, તમારું નિવાસસ્થાન કેવું મનોહર છે! મારો આત્મા યહોવાહના આંગણાની અભિલાષા રાખે છે; જીવતા જાગતા ઈશ્વર માટે મારું હૃદય તથા મારો દેહ હર્ષનાદ કરશે. ચકલીઓને ઘર મળ્યું છે અને અબાબીલને પોતાનાં બચ્ચાં રાખવા માટે માળો મળ્યો છે એટલે તમારી વેદીઓ આગળ, હે સૈન્યોના યહોવાહ, મારા રાજા તથા મારા ઈશ્વર. તમારા ઘરમાં રહેનારાઓ આશીર્વાદિત છે; તેઓ સદા તમારાં સ્તુતિગાન ગાશે. સેલાહ

હે પ્રભુ, જે સર્વ પ્રજાઓને તમે ઉત્પન્ન કરી છે, તેઓ આવીને તમારી આગળ નમશે. તેઓ તમારા નામનો મહિમા ગાશે. કારણ કે તમે મહાન છો અને અદ્દભુત કાર્યો કરનાર છો; તમે જ એકલા ઈશ્વર છો. હે યહોવાહ, તમે તમારા માર્ગ શીખવો. પછી હું તમારા સત્ય માર્ગ પર ચાલીશ. તમારો આદર કરવાને મારા હૃદયને એકાગ્ર કરો. હે પ્રભુ, મારા ઈશ્વર, મારા પૂરા હૃદયથી હું તમારી સ્તુતિ કરીશ; હું તમારા નામને સર્વદા મહિમા આપીશ.

વળી સર્વ ગાનારાઓ તથા નાચનારાઓ કહેશે, "મારા સર્વ ઝરાઓ તમારામાં છે."

દુ:ખને લીધે મારી આંખો ક્ષીણ થાય છે; હે યહોવાહ, મેં દરરોજ તમને અરજ કરી છે; તમારી સંમુખ મેં મારા હાથ જોડ્યા છે.

હું નિરંતર યહોવાહની કૃપા વિષે ગાઈશ. હું મારે મુખે પેઢી દરપેઢી તમારું વિશ્વાસુપણું પ્રગટ કરીશ.

હે યહોવાહ, આકાશો તમારા ચમત્કારોની સ્તુતિ કરશે; સંતોની સભામાં તમારું વિશ્વાસુપણું વખાણવામાં આવશે. કેમ કે આકાશમાં એવો કોણ છે કે જેની તુલના યહોવાહ સાથે થાય? ઈશ્વરના દીકરાઓમાં યહોવાહ જેવો કોણ છે? સંતોની સભામાં તે ઘણા ભયાવહ ઈશ્વર છે અને જેઓ તેમની આસપાસ છે તે સર્વ કરતાં તે વધારે ભયાવહ છે.

ન્યાયીપણું તથા ઇનસાફ તમારા રાજ્યાસનનો પાયો છે. તમારી હજૂરમાં કૃપા તથા સત્યતા હોય છે.

તમે તેઓના સામર્થ્યનો મહિમા છો અને તમારી ઇચ્છા પ્રમાણે અમે વિજયવંત છીએ. કેમ કે અમારી ઢાલ તો યહોવાહ છે; ઇઝરાયલના પવિત્ર અમારા રાજા છે.

હે પ્રભુ, પેઢી દરપેઢી તમે અમારું નિવાસસ્થાન થયા છો. પર્વતો ઉત્પન્ન થયા હતા, અને તમે પૃથ્વી અને જગતને રચ્યાં હતાં, તે પહેલાંથી, એટલે અનાદિકાળથી તે અનંતકાળ સુધી, તમે ઈશ્વર છો.

પરાત્પરના આશ્રયસ્થાનમાં જે વસે છે, તે સર્વસમર્થની છાયામાં રહેશે.

યહોવાહની સ્તુતિ કરવી અને હે પરાત્પર તમારા નામનાં સ્તોત્ર ગાવાં, તે સારું છે.

યહોવાહ રાજ કરે છે; તેમણે મહત્વ ધારણ કર્યું છે; યહોવાહે પોતાની કમરે પરાક્રમ બાંધ્યું છે. ખસેડાય નહિ તેમ જગત સ્થિર કરવામાં આવ્યું છે. તમારું રાજ્યાસન પુરાતન કાળથી સ્થપાયેલું છે; તમે અનાદિકાળથી છો. હે યહોવાહ, પ્રવાહોએ ઊંચો કર્યો છે; તેઓએ પોતાનો અવાજ ઊંચો કર્યો છે; પ્રવાહો પોતાનાં મોજાં ઊંચાં કરે છે. ઘણા પાણીઓના ખળખળાટ કરતાં, સમુદ્રનાં પરાક્રમી મોજાં કરતાં, યહોવાહ પરમ ઊંચામાં પરાક્રમી છે. તમારી પવિત્ર આજ્ઞાઓ અતિ વિશ્વાસયોગ્ય છે; હે યહોવાહ, સર્વકાળ પવિત્રતા તમારા ઘરને શોભે છે.

આવો, આપણે યહોવાહની સમક્ષ ગાઈએ; આપણા ઉધ્ધારક ખડકની આગળ હર્ષનાદ કરીએ. આભારસ્તુતિ સાથે તેમની હજૂરમાં આવીએ; આવો આપણે ગીતોથી તેમની સમક્ષ હર્ષનાદ કરીએ. કારણ કે યહોવાહ મહાન ઈશ્વર છે અને તે સર્વ દેવો પર મોટા રાજા છે.

આવો, આપણે તેમની સ્તુતિ કરીએ અને નમીએ; આવો આપણે આપણા કર્તા યહોવાહની આગળ ઘૂંટણિયે પડીએ.

યહોવાહની આગળ નવું ગીત ગાઓ; આખી પૃથ્વી, યહોવાહની આગળ ગાઓ. યહોવાહની આગળ ગાઓ, તેમના નામની પ્રશંસા કરો; તેમના દ્વારા મળતો ઉદ્ધાર દિનપ્રતિદિન પ્રગટ કરો. વિદેશીઓમાં તેમનો મહિમા પ્રગટ કરો, સર્વ લોકોમાં તેમના ચમત્કાર, જાહેર કરો. કારણ કે યહોવાહ મહાન છે અને બહુ સ્તુત્ય છે. સર્વ દેવો કરતાં તે ભયાવહ છે. કેમ કે લોકોના સર્વ દેવો મૂર્તિઓ જ છે, પણ યહોવાહે, આકાશોને ઉત્પન્ન કર્યાં. ભવ્યતા અને મહિમા તેમની હજૂરમાં છે. સામર્થ્ય તથા સૌંદર્ય તેમના પવિત્રસ્થાનમાં છે. લોકોનાં કુળો, યહોવાહની સ્તુતિ કરો, ગૌરવ તથા સામર્થ્ય યહોવાહને આપો. યહોવાહના નામને શોભતું ગૌરવ તેમને આપો. અર્પણ લઈને તેમના આંગણામાં આવો. પવિત્રતાની સુંદરતાએ યહોવાહને ભજો. આખી પૃથ્વી, તેમની આગળ કંપો. વિદેશીઓમાં કહો, "યહોવાહ રાજ કરે છે." જગત પણ એવી રીતે સ્થાપન કરવામાં આવ્યું છે કે તે ખસેડી શકાય નહિ. તે યથાર્થપણે લોકોનો ન્યાય કરશે. આકાશો આનંદ કરો અને પૃથ્વી હરખાઓ; સમુદ્ર તથા તેનું ભરપૂરીપણું ગાજો. ખેતરો અને તેમાં જે કંઈ છે, તે સર્વ આનંદ કરો. વનનાં સર્વ વૃક્ષો હર્ષ સાથે યહોવાહની આગળ ગાઓ, કેમ કે તે આવે છે. તે પૃથ્વીનો ન્યાય કરવા આવે છે. તે પ્રમાણિકપણે જગતનો અને વિશ્વાસુપણે લોકોનો ન્યાય કરશે.

યહોવાહ રાજ કરે છે; પૃથ્વી હરખાઓ; ટાપુઓનો સમૂહ આનંદ પામો. વાદળો અને અંધકાર તેમની આસપાસ છે. ન્યાયીપણું તથા ન્યાય તેમના રાજ્યાસનનો પાયો છે.

યહોવાહની સમક્ષ, આખી પૃથ્વીના પ્રભુની સમક્ષ, પર્વતો મીણની જેમ પીગળી ગયા. આકાશો તેમનું ન્યાયીપણું પ્રગટ કરે છે અને સર્વ લોકોએ તેમનો મહિમા જોયો છે.

કેમ કે, હે યહોવાહ, તમે સમગ્ર પૃથ્વી પર પરાત્પર છો. તમે સર્વ દેવો કરતાં શ્રેષ્ઠ છો.

યહોવાહની સમક્ષ, એક નવું ગીત ગાઓ, કેમ કે તેમણે અદ્દભુત કૃત્યો કર્યાં છે; તેમના જમણા હાથે તથા તેમના પવિત્ર બાહુએ પોતાને માટે વિજય મેળવ્યો છે.

હે પૃથ્વીના લોકો, યહોવાહની આગળ હર્ષનાદ કરો; આનંદ અને ઉત્સાહથી તેમની સ્તુતિ ગાઓ, હા, સ્તોત્રો ગાઓ. વીણાસહિત, વીણા તથા ગાયનસહિત યહોવાહનાં સ્તોત્રો ગાઓ. તૂરી તથા રણશિંગડાંના અવાજથી યહોવાહ રાજાની આગળ હર્ષનાદ કરો. સમુદ્ર તથા તેનું સર્વસ્વ, જગત અને તેમાંના સર્વ રહેવાસીઓ, ગાજો. નદીઓના પ્રવાહો તાળી પાડો અને પર્વતો હર્ષનાદ કરો.

યહોવાહ રાજ કરે છે; લોકો કાંપો. તે કરૂબીમ પર બિરાજે છે; પૃથ્વી કાંપો. યહોવાહ સિયોનમાં મહાન છે; તે સર્વ લોકો કરતાં ઊંચા છે. તેઓ તમારા મહાન અને ભયાવહ નામની સ્તુતિ કરો; તે પવિત્ર છે. રાજા પરાક્રમી છે અને તે ન્યાયને ચાહે છે. તમે ન્યાયને સ્થાપન કરો છો; તમે યાકૂબમાં ન્યાયીપણાને ઉત્પન્ન કરો છો. આપણા ઈશ્વર યહોવાહ મોટા મનાઓ અને તેમના પાયાસન પાસે ભજન કરો. તે પવિત્ર છે.

આપણા ઈશ્વર યહોવાહને મોટા માનો અને તેમના પવિત્ર પર્વત પર ભજન કરો, કેમ કે આપણા ઈશ્વર યહોવાહ પવિત્ર છે.

હે પૃથ્વીના લોકો, યહોવાહની સમક્ષ ગાઓ. આનંદથી યહોવાહની સેવા કરો; ગાતાં ગાતાં તેમની આગળ આવો. જાણો કે યહોવાહ તે જ ઈશ્વર છે; તેમણે આપણને ઉત્પન્ન કર્યા છે અને આપણે તેમના જ છીએ. આપણે તેમના લોક અને તેમના ચારાનાં ઘેટાં છીએ. આભારસ્તુતિ સાથે તેમના દ્વારમાં પ્રવેશો અને સ્તવન કરતાં તેમના આંગણામાં આવો. આભાર માનીને તેમના નામની પ્રશંસા કરો. કારણ કે યહોવાહ ઉત્તમ છે; તેમની કૃપા સર્વકાળ અને તેમનું ન્યાયીપણું પેઢી દરપેઢી ટકી રહે છે.

કૃપા તથા ન્યાય વિષે હું ગાયન કરીશ; હે યહોવાહ, હું તમારી સ્તુતિ કરીશ.

હે યહોવાહ, વિદેશીઓ તમારા નામનો આદર કરશે અને પૃથ્વીના સર્વ રાજાઓ તમારા ગૌરવનો આદર કરશે. યહોવાહે સિયોનને ફરીથી બાંધ્યું છે અને તે પોતાના ગૌરવથી પ્રગટ થયા છે.

પૂર્વે તમે પૃથ્વીનો પાયો નાખ્યો; આકાશો તમારા હાથનું કામ છે. તેઓ નાશ પામશે, પણ તમે ટકી રહેશો; તેઓ સર્વ વસ્ત્રની જેમ જીર્ણ થઈ જશે; વસ્ત્રની જેમ તમે તેઓને બદલશો અને તેઓ બદલાઈ જશે. પણ તમે તો એવા અને એવા જ રહેશો તમારાં વર્ષોનો અંત આવશે નહિ.

હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન અને મારા ખરા અંતઃકરણ, તેમના પવિત્ર નામને સ્તુત્ય માન. હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન, અને તેમના સર્વ ઉપકારો તું ભૂલી ન જા.

યહોવાહે પોતાનું રાજ્યાસન આકાશમાં સ્થાપ્યું છે અને તેમના રાજ્યની સત્તા સર્વ ઉપર છે.

હે બળમાં પરાક્રમી, યહોવાહનું વચન પાળનારા તથા તેમની આજ્ઞાઓ પાળનારા તેમના દૂતો, તમે યહોવાહની સ્તુતિ કરો. હે યહોવાહનાં સર્વ સૈન્યો, તેમની ઇચ્છાને અનુસરનારા તેમના સેવકો, તમે તેમને સ્તુત્ય માનો. યહોવાહના રાજ્યમાં સર્વ સ્થળોમાં તેમનાં સૌ કૃત્યો તેમને સ્તુત્ય માનો; હે મારા આત્મા, તું યહોવાહને સ્તુત્ય માન.

હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન. હે યહોવાહ મારા ઈશ્વર, તમે અતિ મહાન છો; તમે વૈભવ તથા ગૌરવ ધારણ કર્યાં છે. તમે વસ્ત્રની જેમ અજવાળું પહેર્યું છે; પડદાની જેમ તમે આકાશને વિસ્તારો છો.

હે યહોવાહ, તમારાં કામ કેવાં તરેહતરેહનાં છે! તમે તે સર્વને બુદ્ધિપૂર્વક બનાવ્યાં છે; તમારી બનાવેલી વસ્તુઓથી પૃથ્વી ભરપૂર છે. જુઓ આ વિશાળ તથા ઊંડા સમુદ્રમાં, અસંખ્ય જીવજંતુઓ, નાનાંમોટાં જળચરો છે.

યહોવાહનો મહિમા સદાકાળ ટકી રહો; પોતાના સર્જનથી યહોવાહ આનંદ પામો. તે પૃથ્વી પર દ્રષ્ટિ કરે છે અને તે કંપે છે; તે પર્વતોને સ્પર્શે છે અને તેઓમાંથી ધુમાડો નીકળે છે. હું જીવનપર્યંત યહોવાહની પ્રશંસાનાં ગીતો ગાઈશ; હું મારા છેલ્લાં શ્વાસ સુધી યહોવાહની સ્તુતિ કરીશ. તેમના માટેના મારા શબ્દો વડે તે પ્રસન્ન થાઓ; હું યહોવાહમાં આનંદ કરીશ. પૃથ્વીમાંથી સર્વ પાપીઓ નાશ પામો અને દુષ્ટોનો અંત આવો. હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન. યહોવાહની સ્તુતિ કરો.

યહોવાહનો આભાર માનો, તેમના નામને વિનંતિ કરો; તેમનાં કૃત્યો લોકોમાં પ્રસિદ્ધ કરો. તેમની આગળ ગાઓ, તેમનાં સ્તોત્ર ગાઓ; તેમનાં સર્વ આશ્ચર્યકારક કામોનું મનન કરો. તેમના પવિત્ર નામને લીધે તમે ગૌરવ અનુભવો; યહોવાહને શોધનારનાં હૃદય આનંદ પામો. યહોવાહને તથા તેમના સામર્થ્યને શોધો; સતત તેમની હાજરીનો અનુભવ કરો. તેમણે જે આશ્ચર્યકારક કામો કર્યાં છે, તે તથા તેમના ચમત્કારો અને તેમના મુખમાંથી નીકળતા ન્યાયચુકાદા યાદ રાખો.

યહોવાહની સ્તુતિ કરો. યહોવાહનો આભાર માનો, કારણ કે તે ઉત્તમ છે, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. યહોવાહનાં મહાન કૃત્યો કોણ વર્ણવી શકે? અથવા તેમની સંપૂર્ણ સ્તુતિ કોણ કરી શકે?

હે યહોવાહ, અમારા ઈશ્વર, અમારો બચાવ કરો. વિદેશીઓમાંથી અમને એકત્ર કરો કે જેથી અમે તમારા પવિત્ર નામનો આભાર માનીએ અને સ્તુતિ કરીને તમારો મહિમા કરીએ. હે ઇઝરાયલના ઈશ્વર યહોવાહ, તમે અનાદિકાળથી અનંતકાળ સુધી સ્તુત્ય મનાઓ. સર્વ લોકોએ કહ્યું, "આમેન." યહોવાહની સ્તુતિ કરો.

યહોવાહનો આભાર માનો, કારણ કે તે ઉત્તમ છે અને તેમની કૃપા સર્વકાળ ટકે છે.

લોકોની સભામાં તેમને મોટા મનાવો અને વડીલોની સભામાં તેમની સ્તુતિ કરો.

હે ઈશ્વર, મેં મારું હૃદય દૃઢ કર્યું છે; હું મારા અંતઃકરણથી ગીત ગાઈશ અને સ્તુતિ કરીશ. વીણા, સિતાર, જાગો; હું જાતે પરોઢિયાને જગાડીશ. હે યહોવાહ, હું લોકોમાં તમારો આભાર માનીશ; પ્રજાઓમાં હું તમારાં સ્તોત્ર ગાઈશ. કારણ કે તમારી કૃપા આકાશો કરતાં ઊંચી છે; અને તમારું વિશ્વાસુપણું આભ સુધી પહોંચે છે. હે ઈશ્વર, તમે આકાશો કરતાં ઊંચા મનાઓ અને તમારું ગૌરવ આખી પૃથ્વી કરતાં ઊંચું મનાઓ.

હું વારંવાર યહોવાહનો આભાર માનીશ; હું ઘણા લોકોમાં તેમની સ્તુતિ ગાઈશ.

યહોવાહની સ્તુતિ કરો. ન્યાયીઓની સભામાં અને મંડળીઓમાં હું ખરા હૃદયથી યહોવાહની આભારસ્તુતિ કરીશ. યહોવાહનાં કાર્યો મહાન છે, જે બાબતો તેઓ ઇચ્છે છે તેની તેઓ આતુરતાપૂર્વક રાહ જુએ છે. તેમનાં કાર્યો તેજસ્વી અને મહિમાવંત છે અને તેમનું ન્યાયીપણું સદાકાળ ટકે છે.

તેમણે પોતાના લોકોને વિજય આપ્યો છે; પોતાનો કરાર સદાકાળ માટે ફરમાવ્યો છે; તેમનું નામ પવિત્ર અને ભયાવહ છે. યહોવાહને માન આપવું એ બુદ્ધિની શરૂઆત છે. જે લોકો તેમની સૂચનાઓનું પાલન કરે છે, તેઓ સમજદાર છે. તેમની સ્તુતિ સર્વકાળ થશે.

યહોવાહની સ્તુતિ કરો. હે યહોવાહના સેવકો, સ્તુતિ કરો; યહોવાહના નામની સ્તુતિ કરો. યહોવાહનું નામ આ સમયથી તે સર્વકાળ સુધી સ્તુત્ય થાઓ. સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી યહોવાહના નામની સ્તુતિ કરો.

યહોવાહ સર્વ પ્રજાઓ ઉપર સર્વોપરી અધિકારી છે અને તેમનું ગૌરવ આકાશો કરતાં મહાન છે. આપણા ઈશ્વર યહોવાહ જેવા કોણ છે? જે ઉચ્ચસ્થાનમાં બેઠા છે. આકાશમાં તથા પૃથ્વીમાં જે છે તે કોણ જુએ છે?

હે યહોવાહ, અમોને નહિ, અમોને નહિ, કેમ કે તમારી કૃપા અને તમારા વિશ્વાસુપણાને લીધે, તમારું નામ મહિમાવાન મનાઓ,

પણ અમે આજથી તે સર્વકાળ સુધી યહોવાહની સ્તુતિ કરીશું. યહોવાહની સ્તુતિ થાઓ.

હું તમારા માટે આભારસ્તુતિનાં અર્પણો ચઢાવીશ અને હું યહોવાહના નામે પોકારીશ. યહોવાહની સમક્ષ લીધેલા સંકલ્પો જે મેં તેમના સર્વ લોકોની સમક્ષ લીધા છે, તે પાળીશ. હે યરુશાલેમ, તારી અંદર, યહોવાહના ઘરનાં આંગણામાં યહોવાહની સ્તુતિ થાઓ.

પૃથ્વીના સર્વ લોકો યહોવાહની સ્તુતિ કરો; સર્વ લોકો, તેમને મહાન માનો. કારણ કે તેમની અનહદ કૃપા આપણા પર છે અને યહોવાહની સત્યતા સર્વકાળ ટકે છે. યહોવાહની સ્તુતિ કરો.

યહોવાહના વફાદાર અનુયાયીઓ કહો, "તેમની કૃપા સર્વકાળ ટકે છે."

યહોવાહનો જમણો હાથ ઊંચો થયેલો છે; યહોવાહનો જમણો હાથ વિજય આપનાર છે.

હું તમારો આભાર માનીશ, કેમ કે તમે મને ઉત્તર આપ્યો છે અને તમે મારો ઉદ્ધાર કર્યો છો. જે પથ્થરને ઘર બાંધનારાઓએ નકાર્યો હતો; તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે. આ કાર્ય તો યહોવાહથી થયું છે; આપણી દ્રષ્ટિમાં તે આશ્ચર્યકારક છે. આ દિવસ યહોવાહે આપણને આપ્યો છે; તેમાં આપણે આનંદોત્સવ કરીએ.

તમે મારા ઈશ્વર છો અને હું તમારો આભાર માનીશ; તમે મારા ઈશ્વર છો; હું તમને મહાન માનીશ. યહોવાહનો આભાર માનો; કેમ કે તે ઉત્તમ છે; તેમની કૃપા સર્વકાળ ટકે છે.

જ્યારે હું તમારા ન્યાયી સાક્ષ્યો શીખીશ ત્યારે હું મારા શુદ્ધ અંતઃકરણથી તમારો આભાર માનીશ.

તમારાં ન્યાયીવચનોને લીધે હું તમારો આભાર માનવા મધ્ય રાત્રે ઊઠીશ.

તમારાં યથાર્થ અને ન્યાયી વચનોને કારણે, હું દિવસમાં સાતવાર તમારી સ્તુતિ કરું છું.

મારા હોઠો તમારી સ્તુતિ ઉચ્ચારશે, કારણ કે તમે મને તમારા વિધિઓ શીખવો છો.

ચાલો આપણે ઈશ્વરના મુલાકાતમંડપમાં જઈએ; આપણે તેમના પાયાસનની આગળ તેમની સ્તુતિ કરીએ.

પવિત્રસ્થાન તરફ તમારા હાથ ઊંચા કરો અને યહોવાહની સ્તુતિ કરો.

યહોવાહની સ્તુતિ કરો. યહોવાહના નામની સ્તુતિ કરો. હે યહોવાહના સેવકો, તમે તેમની સ્તુતિ કરો. યહોવાહના ઘરમાં, આપણા ઈશ્વરના ઘરના, આંગણાંમાં ઊભા રહેનારા તેમની સ્તુતિ કરો. યહોવાહની સ્તુતિ કરો, કારણ કે તે ઉત્તમ છે; તેમના નામની સ્તુતિ કરો, કારણ કે તેમ કરવું આનંદદાયક છે.

સિયોનમાં યહોવાહની સ્તુતિ કરો, જે યરુશાલેમમાં રહે છે. તે યહોવાહની સ્તુતિ કરો.

સર્વોચ્ચ ઈશ્વરની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. પ્રભુઓના પ્રભુની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.

આકાશના ઈશ્વરની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.

હું મારા ખરા હૃદયથી તમારી આભારસ્તુતિ કરીશ; હું દેવોની આગળ તમારાં સ્તોત્ર ગાઈશ. હું તમારા પવિત્રસ્થાન તરફ ફરીને દંડવત્ પ્રણામ કરીશ તમારી કૃપા તથા સત્યતાને લીધે હું તમારા નામનો આભાર માનીશ. મેં તમને પ્રાર્થના કરી, તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો; તમે મારા આત્માને ઉત્તેજન આપીને બળવાન કર્યો છે. હે યહોવાહ, પૃથ્વીનાં સર્વ રાજાઓએ તમારા મુખનાં વચન સાંભળ્યાં છે, તેથી તેઓ તમારી સ્તુતિ કરશે. તેઓ યહોવાહનાં કાર્યો વિષે ગીત ગાશે, કારણ કે યહોવાહનો મહિમા મહાન છે.

હું તમારો આભાર માનીશ, કેમ કે તમારાં કાર્યો અદ્દભુત અને આશ્ચર્યજનક છે. તમે મારા જીવન વિષે સઘળું જાણો છો.

પ્રાર્થનામાં હું મારા હાથ તમારા તરફ પ્રસારું છું; સૂકી ભૂમિની જેમ મારો જીવ તમારા માટે તરસે છે.

હે ઈશ્વર, હું તમારે માટે નવું ગીત ગાઈશ; દશ તારવાળાં વાજિંત્ર સાથે હું તમારી સમક્ષ નવું ગીત ગાઈશ.

હે મારા ઈશ્વર, મારા રાજા, હું તમને મોટા માનીશ; હું સદા તમારા નામની સ્તુતિ કરીશ. હું પ્રતિદિન તમારી પ્રશંસા કરીશ; સદા હું તમારા નામની સ્તુતિ કરીશ. યહોવાહ મહાન છે તે બહુ જ સ્તુતિપાત્ર છે; તેમની મહાનતા સમજશક્તિની બહાર છે. પેઢી દરપેઢી તમારાં કામની પ્રશંસા થશે અને તમારા પરાક્રમનાં કાર્યો પ્રગટ કરવામાં આવશે. હું તમારી મહાનતા તથા તમારા મહિમા અને તમારાં અદ્દભુત કાર્યો વિષે મનન કરીશ. લોકો તમારાં પરાક્રમી કૃત્યોનું સામર્થ્ય પ્રગટ કરશે; હું તમારી મહાનતા વર્ણવીશ. તેઓ તમારા અનહદ પરોપકારનું સ્મરણ કરીને તમારી કીર્તિ ફેલાવશે અને તેઓ તમારા ન્યાયીપણા વિષે ગાયન કરશે.

હે યહોવાહ, જે બધાં તમારું સર્જન છે તે બધાં તમારો આભાર માનો; તમારા ભક્તો તમારી સ્તુતિ કરો. તેઓ ભેગા મળીને તમારા રાજ્યના મહિમા વિષે વાત કરશે; અને તેઓ તમારું પરાક્રમ પ્રગટ કરશે. સર્વ લોકોમાં તેઓ ઈશ્વરના પરાક્રમી કામો જાહેર કરશે અને તમારા રાજ્યના મહિમા વિષે અને તમારા પ્રતાપ વિષે જાણશે. તમારું રાજ્ય સદાકાળનું રાજ્ય છે અને તમારું શાસન પેઢી દરપેઢી ટકી રહે છે.

મારું મુખ યહોવાહની સ્તુતિ કરશે; સર્વ માણસો તેમના પવિત્ર નામની સ્તુતિ કરો.

યહોવાહની સ્તુતિ કરો. હે મારા આત્મા, યહોવાહની સ્તુતિ કર. મારા જીવન પર્યંત હું યહોવાહની સ્તુતિ કરીશ; મારા જીવનના છેલ્લાં શ્વાસ સુધી હું મારા ઈશ્વરનાં સ્તુતિગીતો ગાઈશ.

યહોવાહ સદાકાળ રાજ કરશે, હે સિયોન, તમારા ઈશ્વર પેઢી દરપેઢી રાજ કરશે. યહોવાહની સ્તુતિ કરો.

યહોવાહની સ્તુતિ કરો, કેમ કે આપણા ઈશ્વરનાં સ્તુતિગીતો ગાવાં એ સારું તથા મનોરંજક છે, સ્તુતિ કરવી એ ઘટતું છે.

તે તારાઓની ગણતરી કરે છે; તે તેઓને નામ આપીને બોલાવે છે. આપણા પ્રભુ કેવા મહાન છે અને ઘણા પરાક્રમી છે; તેમના ડહાપણની કોઈ સીમા નથી. યહોવાહ નમ્રજનોને ઊંચાં કરે છે; તે દુષ્ટોને જમીનદોસ્ત કરી નાખે છે. યહોવાહનો આભાર માનતાં માનતાં ગાઓ; વીણા સાથે આપણા ઈશ્વરનાં સ્તોત્ર ગાઓ.

યહોવાહની સ્તુતિ કરો. આકાશોથી યહોવાહની સ્તુતિ કરો; ઉચ્ચસ્થાનોમાં તેમની સ્તુતિ કરો. તેમના સર્વ દૂતો, તમે તેમની સ્તુતિ કરો; તેમનાં સર્વ સૈન્યો, તેમની સ્તુતિ કરો. સૂર્ય તથા ચંદ્ર, તમે તેમની સ્તુતિ કરો; સર્વ ઝગઝગતાં તારા, તેમની સ્તુતિ કરો. આકાશોનાં આકાશ, તમે તેમની સ્તુતિ કરો આકાશ ઉપરનાં પાણી, તેમની સ્તુતિ કરો. યહોવાહના નામની સ્તુતિ તેઓ કરો, કેમ કે તેમની આજ્ઞાથી તેઓ ઉત્પન્ન થયાં. વળી તેમણે સદાકાળને માટે તેઓને સ્થાપન કર્યાં છે; જેનો અપરાધ તેઓ કરી શકે નહિ, એવો નિયમ તેમણે કર્યો છે.

હે પૃથ્વી પરના બધા જ જીવો, તમે યહોવાહની સ્તુતિ કરો, હે સમુદ્રના જીવો અને મહાસાગરનાં ઊંડાણો, તમે તેમની સ્તુતિ કરો. અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ, આંધીના વાયુ, જે તેમનું વચન પૂરું કરે છે, પર્વતો તથા ડુંગરો ફળવૃક્ષો તથા સર્વ દેવદારો, વન્ય જાનવરો તથા સર્વ પશુઓ, પેટે ચાલનારાં જીવજંતુ તથા ઊડનારાં પક્ષીઓ, પૃથ્વીના રાજાઓ અને સર્વ પ્રજાઓ, રાજકુમારો તથા પૃથ્વીના સર્વ ન્યાયાધીશો, જુવાન પુરુષો તથા જુવાન સ્ત્રીઓ, વૃદ્ધો તથા બાળકો. તમે સર્વ યહોવાહની સ્તુતિ કરો, કારણ કે એકલું તેમનું જ નામ પ્રતિષ્ઠાપાત્ર છે અને તેમનું ગૌરવ આકાશ તથા પૃથ્વી કરતાં મોટું છે.

યહોવાહની સ્તુતિ કરો. તેમની સમક્ષ નવું ગીત ગાઓ; સંતોની સભામાં તેમની સ્તુતિ કરો. ઇઝરાયલ પોતાના સર્જનહારથી આનંદ પામે; સિયોનના લોકો પોતાના રાજાને લીધે આનંદ મનાવો. તેઓ તેના નામની સ્તુતિ નૃત્યસહિત કરો; ખંજરી તથા વીણાથી તેમનાં સ્તોત્ર ગાઓ. કારણ કે યહોવાહ પોતાના લોકોથી આનંદ માને છે; તે નમ્રજનોને ઉદ્ધારથી સુશોભિત કરે છે. સંતો વિજયમાં હરખાઓ; પોતાની પથારીમાં પણ તમે આનંદનાં ગીતો ગાઓ. તેઓના મુખમાંથી ઈશ્વરની ઉત્તમ સ્તુતિ ગવાઓ અને તેઓના હાથમાં બેધારી તરવાર રહો.

યહોવાહની સ્તુતિ કરો. તેમના પવિત્રસ્થાનમાં તેમની સ્તુતિ કરો; આકાશો તેમના પરાક્રમનો પ્રદેશ છે, તેમાં તેમની સ્તુતિ કરો. તેમનાં પરાક્રમી કાર્યો માટે તેમની સ્તુતિ કરો; તેમના ઉત્તમ માહાત્મ્ય પ્રમાણે તેમની સ્તુતિ કરો. રણશિંગડાં વગાડીને તેમની સ્તુતિ કરો; સિતાર તથા વીણાથી તેમની સ્તુતિ કરો. ખંજરી વગાડીને તથા નૃત્યસહિત તેમની સ્તુતિ કરો; સારંગી તથા શરણાઈ સાથે તેમની સ્તુતિ કરો. તીવ્ર સૂરવાળી ઝાંઝો સાથે તેમની સ્તુતિ કરો; ઝાંઝોના હર્ષનાદ સાથે તેમની સ્તુતિ કરો. શ્વાસોચ્છવાસ લેનારાં સર્વ યહોવાહની સ્તુતિ કરો. યહોવાહની સ્તુતિ કરો.

યહોવાહનો ભય એ ડહાપણનો આરંભ છે, પરમપવિત્રની ઓળખાણ એ જ બુદ્ધિની શરૂઆત છે.

આકાશમાં કોણ ચઢ્યો છે અને પાછો નીચે ઊતર્યો છે? કોણે હવાને પોતાની મુઠ્ઠીમાં બાંધી રાખી છે? કોણે પોતાનાં વસ્ત્રમાં પાણી બાંધી લીધાં છે? પૃથ્વીની સર્વ સીમાઓ કોણે સ્થાપી છે? જો તું ખરેખર જાણતો હોય, તો કહે તેનું નામ શું છે? અને તેના દીકરાનું નામ શું છે?

તારા મુખના ચુંબનોથી તું મને ચુંબન કર, કેમ કે તારો પ્રેમ દ્રાક્ષારસથી ઉત્તમ છે. તારા અત્તરની ખુશ્બો કેવી સરસ છે! તારું નામ અત્તર જેવું મહાન છે! તેથી જ બધી કુમારિકાઓ તને પ્રેમ કરે છે! મને તારી સાથે લઈ જા, આપણે જતાં રહીએ. રાજા મને પોતાના ઓરડામાં લાવ્યો છે. હું પ્રસન્ન છું; હું તારા માટે આનંદ કરું છું; મને તારા પ્રેમની ઉજવણી કરવા દે; તે દ્રાક્ષારસ કરતાં પણ વધારે સારો છે. બીજી યુવતીઓ તને પ્રેમ કરે તે વાજબી છે.

ધુમાડાના સ્તંભ જેવો, બોળ, લોબાન તથા વેપારીઓના સઘળાં સુગંધી દ્રવ્યોથી મહેકતો, આ જે અરણ્યમાં આવતો દેખાય છે તે કોણ છે?

હે ઉત્તરના વાયુ, તું જાગૃત થા, અને હે દક્ષિણના વાયુ, તું આવ, મારા બગીચામાં તું વા કે જેથી તેની સુવાસ સર્વત્ર ફેલાય, મારો પ્રીતમ પોતાના બગીચામાં આવે અને પોતાનાં મનોહર ફળો ખાય.

યહોવાહના ભયથી અને તેમના માહાત્મ્યના પ્રતાપથી બચવા, ખડકોમાં શરણ શોધો અને જમીનમાં સંતાઈ જાઓ.

યહોવાહ પૃથ્વીને કંપાવવાને ઊઠશે, ત્યારે તેમના ભયથી તથા તેમના મહિમાના ગૌરવથી બચવા, માણસો ખડકોની ગુફાઓમાં અને ભૂમિની બખોલમાં સંતાઈ જશે.

જ્યારે યહોવાહ પૃથ્વીને કંપાવવાને ઊઠશે ત્યારે તેઓ તેના રોષથી અને તેના મહિમાના ગૌરવથી બચવા, લોકો પર્વતોની ગુફાઓમાં અને ખડકોની તિરાડોમાં ભરાઈ જશે.

ત્યારે યહોવાહ સિયોન પર્વતનાં દરેક રહેઠાણ પર અને તેની સભાઓ પર, દિવસે મેઘ તથા ધુમાડો અને રાત્રે બળતા અગ્નિનો પ્રકાશ ઉત્પન્ન કરશે; કેમ કે તે સર્વ ગૌરવ ઉપર આવરણ થશે.

પણ સૈન્યોના યહોવાહ તેમના ન્યાયને લીધે મોટા મનાય છે અને ઈશ્વર જે પવિત્ર છે તે ન્યાયથી પવિત્ર મનાય છે.

ઉઝિયા રાજા મરણ પામ્યો તે વર્ષે મેં પ્રભુને જોયા, તે ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બેઠેલા હતા. તેમના ઝભ્ભાની કિનારીથી સભાસ્થાન ભરાઈ ગયું હતું. તેમની આસપાસ સરાફો ઊભા હતા; તેઓને દરેકને છ છ પાંખો હતી; બેથી તે પોતાનાં મુખ ઢાંકતા, બેથી પોતાનાં પગ ઢાંકતા અને બેથી ઊડતા હતા. તેઓ એકબીજાને પોકારીને કહેતા, "પવિત્ર, પવિત્ર, પવિત્ર છે સૈન્યોના યહોવાહ! આખી પૃથ્વી તેમના ગૌરવથી ભરપૂર છે." પોકાર કરનારની વાણીથી ઉંબરાના પાયા હાલ્યા અને સભાસ્થાન ધુમાડાથી ભરાઈ ગયું. ત્યારે મેં કહ્યું, "મને અફસોસ છે! મારું આવી બન્યું છે કારણ કે હું અશુદ્ધ હોઠોનો માણસ છું અને અશુદ્ધ હોઠોના લોકોમાં હું રહું છું, કેમ કે મારી આંખોએ રાજાને, એટલે સૈન્યોના યહોવાહને જોયા છે!"

કેમ કે આપણે સારુ છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; અને તેના ખભા પર રાજ્યાધિકાર રહેશે; અને તેને અદ્દભુત સલાહકાર, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા અને શાંતિનો રાજકુમાર એ નામ આપવામાં આવશે. દાઉદના રાજ્યાસન ઉપર અને તેના રાજ્ય ઉપર, તેમને ઇનસાફ તથા ન્યાયીપણાથી, તે સમયથી તે સર્વકાળ માટે સ્થાપવા તથા દૃઢ કરવા માટે તેમની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહિ. સૈન્યોના યહોવાહનો ઉત્સાહ આમ કરશે.

યહોવાહનો આત્મા, જ્ઞાન તથા સમજનો આત્મા, વિવેકબુદ્ધિ તથા પરાક્રમનો આત્મા, ડહાપણ તથા યહોવાહના ભયનો આત્મા તેના પર રહેશે.

તે દિવસે તમે કહેશો, "યહોવાહનો આભાર માનો અને તેમનું નામ લઈને હાંક મારો; લોકોમાં તેમનાં કૃત્યો જાહેર કરો, તેમનું નામ શ્રેષ્ઠ છે એવું પ્રગટ કરો. યહોવાહનાં ગીત ગાઓ, કેમ કે તેમણે મહિમાવાન કૃત્યો કર્યાં છે; આ વાત આખી પૃથ્વીમાં જાહેર થાઓ. હે સિયોનના રહેવાસીઓ, જોરથી પોકારો અને આનંદનો પોકાર કરો, કેમ કે ઇઝરાયલના પવિત્ર તમારામાં મહાન મનાય છે."

તે દિવસે માણસ પોતાના કર્તાની તરફ નિહાળશે અને તેઓની નજર ઇઝરાયલના પવિત્ર ઈશ્વર યહોવાહની તરફ જોશે.

તેઓ મોટે સાદે બૂમ પાડશે અને યહોવાહના મહિમાને લીધે આનંદથી સમુદ્રને સામે પારથી પોકારશે. તેથી પૂર્વમાં યહોવાહનો મહિમા ગાઓ અને સમુદ્રના બેટોમાં ઇઝરાયલના ઈશ્વર યહોવાહના નામને મહિમા આપો.

હે યહોવાહ, તમે મારા ઈશ્વર છો; હું તમને મોટા માનીશ, હું તમારા નામની સ્તુતિ કરીશ; કેમ કે તમે અદ્દભુત કાર્યો કર્યાં છે; તમે વિશ્વાસુપણે કરેલી પુરાતનકાળની યોજનાઓ પૂરી કરી છે. કેમ કે તમે નગરનો ઢગલો કરી નાખ્યો છે; મોરચાબંધ નગરને ખંડિયેર કર્યું છે, પરદેશીઓના ગઢને તમે નગરની પંક્તિમાંથી કાઢી નાખ્યો છે. તેથી સામર્થ્યવાન લોકો તમારો મહિમા ગાશે; ક્રૂર દેશોનું શહેર તમારાથી બીશે.

યહોવાહ પર સદા ભરોસો રાખો; કેમ કે, યહોવાહ આપણો સનાતન ખડક છે.

તે દિવસે સૈન્યોના યહોવાહ પોતાના લોકના શેષને માટે મહિમાનો મુગટ તથા સૌદર્યનો તાજ થશે.

પર્વની રાત્રે જેમ ગીતો ગવાય છે તેમ ગાયન કરશો અને યહોવાહના પર્વત પર ઇઝરાયલના ખડકની પાસે વાંસળી વગાડતા વગાડતા જનાર માણસની જેમ તમે મનમાં આનંદ કરશો. યહોવાહ પોતાની વિજયી ગર્જના સંભળાવશે અને ઉગ્ર કોપથી, બળતા અગ્નિની જવાળાથી, આંધીથી, મુશળધાર વરસાદથી તથા કરાથી તે શત્રુઓને પોતાના ભુજનું સામર્થ્ય દેખાડશે.

તારી આંખો રાજાને તેના સૌંદર્યમાં જોશે; તેઓ વિશાળ દેશને જોશે.

કેમ કે યહોવાહ આપણા ન્યાયાધીશ, યહોવાહ આપણા નિયમ આપનાર, યહોવાહ આપણા રાજા છે; તે આપણને બચાવશે.

યહોવાહે જે લોકો માટે મુક્તિ મૂલ્ય ચૂકવ્યું છે તેઓ પાછા ફરશે અને હર્ષનાદ કરતા કરતા સિયોન સુધી પહોંચશે અને તેઓને માથે હંમેશા આનંદ રહેશે; તેઓને હર્ષ અને આનંદ પ્રાપ્ત થશે, તેઓના શોક તથા નિશ્વાસ જતા રહેશે.

યહોવાહ મારો ઉધ્ધાર કરવાના છે અને અમે અમારી આખી જિંદગી સુધી યહોવાહના ઘરમાં વાજિંત્રો વગાડીને ઉજવણી કરીશું."

યહોવાહનું ગૌરવ પ્રગટ થશે અને સર્વ માણસો તે જોશે; કેમ કે એ યહોવાહના મુખનું વચન છે.

કોણે પોતાના ખોબાથી સમુદ્રનાં પાણી માપ્યાં છે, વેંતથી આકાશ કોણે માપ્યું છે, કોણે ટોપલીમાં પૃથ્વીની ધૂળને સમાવી છે, કાંટાથી પર્વતોને તથા ત્રાજવાથી પહાડોને કોણે જોખ્યા છે?

શું તમે નથી જાણતા? તમે નથી સાંભળ્યું? આરંભથી તમને ખબર મળી નથી? પૃથ્વીનો પાયો નંખાયો ત્યારથી તમે સમજતા નથી? પ્રભુ તો પૃથ્વી ઉપરના આકાશમંડળ પર બિરાજનાર છે અને એમની નજરમાં તેના રહેવાસીઓ તીડ સમાન છે! તે પડદાની જેમ આકાશોને પ્રસારે છે અને રહેવા માટેના તંબુની જેમ તેઓને તાણે છે. અધિપતિઓને નહિ સરખા કરનાર તે છે અને તે પૃથ્વીના રાજકર્તાઓને શૂન્ય જેવા કરે છે.

તમારી દૃષ્ટિ આકાશ તરફ ઊંચી કરો! આકાશના આ સર્વ તારા કોણે ઉત્પન્ન કર્યા છે? તે મહા સમર્થ અને બળવાન હોવાથી પોતાના પરાક્રમના માહાત્મ્યથી તેઓને સંખ્યાબંધ બહાર કાઢી લાવે છે અને તે સર્વને નામ લઈને બોલાવે છે, એકે રહી જતો નથી.

તે શું નથી જાણ્યું? તે શું નથી સાંભળ્યું? યહોવાહ તે સનાતન ઈશ્વર છે, પૃથ્વીના છેડા સુધી ઉત્પન્ન કરનાર તે છે, તે કદી નિર્બળ થતા નથી કે થાકતા નથી; તેમની સમજણની કોઈ સીમા નથી.

તું તેઓને ઊપણશે અને વાયુ તેઓને ઉડાવશે અને તેઓને વિખેરી નાખશે. તું યહોવાહમાં આનંદ કરીશ, તું ઇઝરાયલના પવિત્રમાં આનંદ કરશે.

હું યહોવાહ છું, એ જ મારું નામ છે; હું મારું ગૌરવ બીજાને તથા મારી સ્તુતિ કોરેલી મૂર્તિઓને આપવા દઈશ નહિ. જુઓ, અગાઉની બિનાઓ થઈ ચૂકી છે, હવે હું નવી ઘટનાઓની ખબર આપું છું. તે ઘટનાઓ બન્યા પહેલાં હું તમને તે કહી સંભાળવું છું." યહોવાહની સમક્ષ નવું ગીત ગાઓ અને પૃથ્વીના છેડા સુધી તેમના સ્તોત્ર ગાઓ; સમુદ્રમાં પર્યટન કરનાર તથા તેમાં સર્વ રહેનારા ટાપુઓ તથા તેઓના રહેવાસીઓ. અરણ્ય તથા નગરો પોકાર કરશે, કેદારે વસાવેલાં ગામડાં હર્ષનાદ કરશે! સેલાના રહેવાસીઓ ગાઓ, પર્વતોનાં શિખર પરથી તેઓ બૂમ પાડો. તેઓ યહોવાહને મહિમા આપે અને ટાપુઓમાં તેમની સ્તુતિ પ્રગટ કરે.

જે સર્વને મારા નામમાં બોલાવવામાં આવ્યા છે, જેઓને મેં મારા મહિમાને અર્થે ઉત્પન્ન કર્યા છે તેઓને લાવ; મેં તેઓને બનાવ્યા છે; હા મેં તેઓને પેદા કર્યા છે.

યહોવાહ કહે છે, "તમે મારા સાક્ષી છો," અને મારા સેવકને મેં પસંદ કર્યો છે, જેથી તમે મને જાણો અને મારો ભરોસો કરો તથા સમજો કે હું તે છું. મારા અગાઉ કોઈ ઈશ્વર થયો નથી અને મારી પાછળ કોઈ થવાનો નથી. હું, હું જ યહોવાહ છું; અને મારા વિના બીજો કોઈ ઉધ્ધારક નથી.

હું યહોવાહ, તમારો પવિત્ર, ઇઝરાયલને ઉત્પન્ન કરનાર, તમારો રાજા છું."

મેં આ લોકને મારા પોતાને માટે બનાવ્યા છે, જેથી તેઓ મારી સ્તુતિ કરશે.

ઇઝરાયલના રાજા, તેના ઉધ્ધારક, સૈન્યોના ઈશ્વર યહોવાહ એવું કહે છે: "હું આદિ છું અને હું જ અંત છું; મારા વિના બીજો કોઈ ઈશ્વર નથી.

હે આકાશો, તમે હર્ષનાદ કરો, કેમ કે યહોવાહે તે કર્યું છે; હે પૃથ્વીના ઊંડાણો, તમે જયઘોષ કરો; હે પર્વતો, વન તથા તેમાંનાં સર્વ વૃક્ષો તમે ગાયન કરવા માંડો, કેમ કે યહોવાહે યાકૂબનો ઉદ્ધાર કર્યો છે અને ઇઝરાયલમાં તે પોતાનો મહિમા પ્રગટ કરશે.

હું જ યહોવાહ છું અને બીજો કોઈ નથી; મારા સિવાય કોઈ ઈશ્વર નથી. જો કે તેં મને ઓળખ્યો નથી, તો પણ હું તને યુદ્ધ માટે તૈયાર કરીશ; એથી પૂર્વથી તથા પશ્ચિમ સુધી સર્વ લોકો જાણે કે મારા વિના બીજો કોઈ ઈશ્વર નથી. હું જ યહોવાહ છું અને બીજો કોઈ નથી. પ્રકાશનો કર્તા અને અંધકારનો ઉત્પન્ન કરનાર હું છું; હું શાંતિ અને સંકટ લાવનાર; હું, યહોવાહ એ સર્વનો કરનાર છું.

જેણે આકાશો ઉત્પન્ન કર્યાં, સાચા ઈશ્વર, યહોવાહ એવું કહે છે, તેમણે આ પૃથ્વી ઉત્પન્ન કરી અને બનાવી, એને સ્થાપન કરી. તેમણે તે ખાલી રાખવા માટે નહિ પણ વસ્તી માટે ઉત્પન્ન કરી છે: હું યહોવાહ છું અને મારી બરોબરી કરનાર કોઈ નથી.

પૃથ્વીના છેડા સુધીના સર્વ લોક, મારી તરફ ફરો અને ઉદ્ધાર પામો; કેમ કે હું ઈશ્વર છું અને બીજો કોઈ નથી. 'મેં મારા પોતાના સમ ખાધા છે, ફરે નથી એવું ન્યાયી વચન મારા મુખમાંથી નીકળ્યું છે: મારી આગળ દરેક ઘૂંટણ નમશે, દરેક જીભ કબૂલ કરશે,

પુરાતન કાળની વસ્તુઓ વિષે વિચાર કરો, કેમ કે હું ઈશ્વર છું અને બીજો કોઈ નથી, હું ઈશ્વર છું અને મારા જેવો કોઈ નથી. હું આરંભથી પરિણામ જાહેર કરનાર અને જે થયું નથી તેની ખબર આપનાર છું. હું કહું છું, "મારી યોજના પ્રમાણે થશે અને મારી ઇચ્છા પ્રમાણે હું કરીશ."

આપણો ઉદ્ધાર કરનાર, જેમનું નામ સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના પવિત્ર ઈશ્વર છે.

હે યાકૂબ અને મારા બોલાવેલા ઇઝરાયલ, મારું સાંભળો: હું તે જ છું; હું જ પ્રથમ, હું જ છેલ્લો છું. હા, મારે હાથે પૃથ્વીનો પાયો નાખ્યો અને મારે જમણે હાથે આકાશોને પ્રસાર્યાં; જ્યારે હું તેઓને બોલાવું છું ત્યારે તેઓ એકસાથે ઊભા થાય છે.

ઇઝરાયલનો ઉદ્ધાર કરનાર, તેઓના પવિત્ર યહોવાહ એવું કહે છે, જેને લોકો ધિક્કારે છે, રાજ્યો દ્વારા તિરસ્કાર પામેલ, શાસકોના ગુલામ: "રાજાઓ તને જોશે અને ઊભા થશે અને સરદારો તને જોઈને પ્રણામ કરશે, કારણ કે યહોવાહ વિશ્વાસુ છે, ઇઝરાયલનાં પવિત્ર, જેમણે તને પસંદ કર્યો છે.

હે આકાશો, ગાઓ અને હે પૃથ્વી, આનંદ કર; હે પર્વતો, તમે જયઘોષ કરવા માંડો! કેમ કે યહોવાહે પોતાના લોકોને દિલાસો આપ્યો છે અને તે પોતાના દુ:ખી લોકો પર દયા કરશે.

સાંભળ, તારા ચોકીદારો પોકારે છે, તેઓ સાથે હર્ષનાદ કરે છે, કેમ કે યહોવાહ કેવી રીતે સિયોનમાં પાછા આવે છે, તે તેઓ નજરોનજર જોશે. હે યરુશાલેમનાં ખંડિયેર, તમે સર્વ હર્ષનાદ કરી ગાયન કરો; કેમ કે યહોવાહે પોતાના લોકોને દિલાસો આપ્યો છે; તેમણે યરુશાલેમનો ઉદ્ધાર કર્યો છે.

કેમ કે તારા કર્તા જ તારા છે; તેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવાહ છે. ઇઝરાયલના પવિત્રએ તારા ઉદ્ધારકર્તા છે; તે આખી પૃથ્વીના ઈશ્વર કહેવાય છે.

તમે આનંદસહિત નીકળી જશો અને શાંતિથી તમને દોરી જવામાં આવશે; તમારી આગળ પર્વતો તથા ટેકરીઓ હર્ષનાદ કરવા માંડશે અને ખેતરોનાં સર્વ વૃક્ષો તાળી પાડશે.

કેમ કે જે ઉચ્ચ તથા ઉન્નત છે, જે સનાતન કાળથી છે, જેમનું નામ પવિત્ર છે, તે એવું કહે છે: હું ઉચ્ચ તથા પવિત્રસ્થાનમાં રહું છું, વળી જે કચડાયેલ અને આત્મામાં નમ્ર છે તેની સાથે રહું છું, જેથી હું નમ્ર જનોનો આત્મા અને પશ્ચાતાપ કરનારાઓનાં હૃદયને ઉત્તેજિત કરું.

હવે પછી દિવસે તને અજવાળું આપવા માટે સૂર્યની જરૂર પડશે નહિ, કે તેજને માટે ચંદ્ર તારા પર પ્રકાશશે નહિ; પણ યહોવાહ તારું સર્વકાળનું અજવાળું અને તારા ઈશ્વર તારો મહિમા થશે. તારો સૂર્ય કદી અસ્ત થશે નહિ, કે તારો ચંદ્ર જતો રહેશે નહિ; કેમ કે યહોવાહ તારું સર્વકાળનું અજવાળું અને તારા શોકના દિવસો પૂરા થશે. તારા સર્વ લોક ધાર્મિક થશે; તેઓ મારા મહિમાને અર્થે, મારા રોપેલા રોપાની ડાળીઓ, મારા હાથની કૃતિ, તેઓ સદાકાળ માટે દેશનો વારસો ભોગવશે.

સિયોનમાંના શોક કરનારાઓને રાખને બદલે મુગટ શોકને બદલે હર્ષનું તેલ, ખિન્ન આત્માને બદલે સ્તુતિરૂપ વસ્ત્ર, આપવા માટે મને મોકલ્યો છે; જેથી તેઓ તેમના મહિમાને અર્થે ધાર્મિકતાનાં વૃક્ષ, યહોવાહની રોપણી કહેવાય.

જેમણે મૂસાને જમણે હાથે પોતાનું ગૌરવી સામર્થ્ય મોકલ્યું, અને પોતાનું નામ અનંતકાળને માટે કરવાને તેમણે અમારી આગળ સમુદ્રના પાણીના બે ભાગ કર્યા, તે ઈશ્વર ક્યાં છે?

કેમ કે તમે અમારા પિતા છો, જો કે ઇબ્રાહિમ અમને જાણતા નથી અને ઇઝરાયલ અમને કબૂલ કરતા નથી, તમે, હે યહોવાહ, તમે અમારા પિતા છો. પ્રાચીન કાળથી "અમારો ઉદ્ધાર કરનાર" એ જ તમારું નામ છે.

અને છતાં, હે યહોવાહ, તમે અમારા પિતા છો; અમે માટી છીએ. તમે અમારા કુંભાર છો; અને અમે સર્વ તમારા હાથની કૃતિ છીએ.

યહોવાહ એવું કહે છે: "આકાશ મારું સિંહાસન છે અને પૃથ્વી મારું પાયાસન છે. તો મારે માટે તમે ક્યાં ઘર બાંધશો? જ્યાં હું નિવાસ કરી શકું તે સ્થાન ક્યાં છે?

કેમ કે જે નવાં આકાશ તથા નવી પૃથ્વી બનાવવાનો છું તે મારી સમક્ષ રહેશે" એમ યહોવાહ કહે છે, "તેમ જ તમારા વંશજો અને તમારું નામ રહેશે." "એક મહિનાથી બીજા સુધી અને એક સાબ્બાથથી બીજા સાબ્બાથ સુધી, સર્વ લોકો મારી આગળ પ્રણામ કરવા આવશે," એવું યહોવાહ કહે છે.

યહોવાહ કહે છે, શું તમે મારાથી બીતા નથી? શું તમે મારી આગળ ધ્રૂજ્શો નહિ? મેં હંમેશને માટે સમુદ્રને રેતીની મર્યાદા ઠરાવી છે કે તે તેને ઓળંગી શકે નહિ, જો કે તેનાં મોજાં ઊછળે, તોપણ તેઓ તેને ઓળંગી શકે નહિ.

પરંતુ યહોવાહ સત્ય ઈશ્વર છે, તે જ જીવંત ઈશ્વર તથા સનાતન રાજા છે. તેમના રોષથી ધરતી ધ્રૂજી ઊઠે છે. અને તેમનો ક્રોધ વિદેશીઓ ખમી શકતા નથી.

યહોવાહનું ગીત ગાઓ, યહોવાહની સ્તુતિ કરો! કેમ કે તેમણે દુષ્ટોના હાથમાંથી દરિદ્રીઓના જીવ બચાવ્યા છે.

શું ગુપ્ત સ્થાનોમાં કોઈ મારાથી પોતાને સંતાડી શકે છે કે હું તેને નહિ જોઉં?" એવું યહોવાહ કહે છે. "શું હું આકાશ તથા પૃથ્વીમાં સર્વત્ર હાજર નથી?" એમ યહોવાહ કહે છે.

યહોવાહ એમ કહે છે કે, "શું મારું વચન અગ્નિ સમાન નથી? તથા "ખડકના ચૂરેચૂરા કરનાર હથોડા જેવું નથી?

તમે મને શોધશો અને ખરા હૃદયથી મને શોધશો તો મને પામશો.

હે પ્રભુ યહોવાહ, જુઓ, તમે એકલાએ જ તમારી પ્રચંડ શક્તિથી અને લાંબા કરેલા ભુજથી આકાશ અને પૃથ્વી સર્જ્યા છે. તમારે માટે કશું અશકય નથી. તમે હજારો પ્રત્યે કૃપા કરો છો અને પૂર્વજોનાં પાપની સજા તેમની પાછળ આવનાર તેમનાં સંતાનોના ખોળામાં ભરી આપો છો. તમે મહાન અને બળવાન ઈશ્વર છો; તમારું નામ સૈન્યોના યહોવાહ છે.

જો, હું યહોવાહ, સર્વ મનુષ્યનો ઈશ્વર છું. શું મારા માટે કંઈ અશક્ય છે ખરું?"

હર્ષ તથા આનંદનો સાદ, વરવધૂનો કિલ્લોલ કરતો સાદ અને સૈન્યોના યહોવાહની સ્તુતિ કરો, કેમ કે યહોવાહ સારા છે તેમની કૃપા સદાકાળ ટકે છે,' એવું કહેનારોનો સાદ અને યહોવાહના ઘરમાં આભારાર્થાર્પણો લાવનારોનો સાદ હજી સંભળાશે. કેમ કે આગલા વખતમાં હતું તેમ હું દેશનો બંદીવાસ ફેરવી નાખીશ. એમ યહોવાહ કહે છે.

તું રાત્રીના પ્રથમ પહોરે ઊઠીને મોટેથી પ્રાર્થના કર; પ્રભુની સમક્ષ હૃદયને પાણીની જેમ વહાવ. તારાં જે બાળકો સર્વ શેરીઓના નાકાંમાં ભૂખે મૂર્ચ્છિત થાય છે, તેઓના જીવ બચાવવાને માટે તારા હાથ તેમની તરફ ઊંચા કર."

આપણે આકાશમાંના ઈશ્વરની તરફ આપણા હાથ અને આપણું હૃદય ઊંચાં કરીને પ્રાર્થના કરીએ.

પણ, હે યહોવા, તમારું રાજ સર્વકાળ સુધી રહે છે. તમારું રાજ્યાસન પેઢી દરપેઢીનું છે.

તેઓ ઊડતાં ત્યારે તેઓની પાંખોનો અવાજ ધસમસતા પાણીના અવાજ જેવો તથા સર્વ શક્તિમાનના અવાજ જેવો સંભળાતો હતો. જ્યારે તેઓ હલનચલન કરતાં ત્યારે તેઓનો અવાજ આંધીના અવાજ જેવો થતો હતો. તે સૈન્યના કોલાહલ જેવો હતો. જ્યારે તેઓ ઊભાં રહેતાં ત્યારે તેઓ પોતાની પાંખો નીચે નમાવી દેતાં. જ્યારે તેઓ ઊભાં રહેતાં, ત્યારે તેઓના માથા પરના ઘૂમટમાંથી અવાજ નીકળતો અને તેઓ તેમની પાંખો નીચે તરફ નમાવી દેતાં. તેઓના માથા પરના ઘુમટ પર નીલમ જેવા દેખાવની રાજ્યાસનની પ્રતિમા દેખાઈ. આ રાજ્યાસન પર એક મનુષ્ય જેવા દેખાવનો માણસ હતો. તેની કમરની ઉપરનો ભાગ ચળકતી ધાતુ જેવો દેખાતો હતો, કમરની નીચેના ભાગનો દેખાવ અગ્નિના જેવો હતો. તેની આસપાસ ચળકાટ હતો. તે ચળકાટ ચોમાસામાં થતા મેઘધનુષના અજવાળા જેવો હતો. આ યહોવાહના ગૌરવનું પ્રતિમાનો દેખાવ હતો. જ્યારે મેં તે જોયું, ત્યારે હું ઊંધો પડી ગયો.અને કોઈ બોલતું હોય એવો અવાજ મારા સાંભળવામાં આવ્યો.

પછી આત્માએ મને ઉપર ઊંચકી લીધો, મેં મારી પાછળ યહોવાહના સ્થાનમાંથી, "યહોવાહના ગૌરવને ધન્ય હો." એવા મોટા ગડગડાટનો અવાજ સાંભળ્યો.

તેથી હું ઊઠીને બહાર મેદાનમાં ગયો, જે ગૌરવ મેં કબાર નદીની પાસે જોયું હતું તેવું જ યહોવાહનું ગૌરવ ત્યાં ઊભું હતું; હું ઊંધો પડી ગયો.

ત્યાં ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ દેખાયું, તેનો દેખાવ મેદાનમાં સંદર્શન જોયું હતું તેના જેવો હતો.

પછી યહોવાહનો મહિમા કરુબો ઉપરથી ઊઠીને સભાસ્થાનના પ્રવેશદ્વાર આગળ ઊભો રહ્યો; સભાસ્થાન વાદળથી ભરાઈ ગયું અને આંગણું યહોવાહના ગૌરવના તેજથી ભરપૂર થયું. કરુબોની પાંખોનો અવાજ બહારના આંગણા સુધી, સર્વશક્તિમાન ઈશ્વરના મુખમાંથી નીકળેલા અવાજ જેવો સંભળાતો હતો.

પછી યહોવાહનો મહિમા સભાસ્થાનના પ્રવેશદ્વારથી જઈને કરુબો પર આવી ઊભો રહ્યો. કરુબોએ પોતાની પાંખો પ્રસારીને તેઓ તથા તેઓની સાથેનાં પૈડાં મારા દેખતાં પૃથ્વી પરથી ઊંચે ચઢીને બહાર નીકળી આવ્યાં. તેઓ સભાસ્થાનના પૂર્વ તરફના દરવાજા આગળ ઊભાં રહ્યાં. તેઓના ઉપર ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ હતું.

ત્યારે કરુબોએ પોતાની પાંખો પ્રસારી અને પૈડાં પણ તેઓની સાથે હતાં. ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ ઊંચે તેઓના પર હતું. યહોવાહનું ગૌરવ નગરમાંથી ઉપડીને પૂર્વ બાજુએ આવેલા પર્વત પર ઊભું રહ્યું.

હું મારું માહાત્મય તથા મારી પવિત્રતા બતાવીશ અને ઘણી પ્રજાઓની દ્રષ્ટિમાં પોતાને પ્રગટ કરીશ ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું!'"

જુઓ, ઇઝરાયલના ઈશ્વરનો મહિમા પૂર્વ તરફથી આવ્યો, તેમનો અવાજ ઘણાં પાણીના અવાજ જેવો હતો અને પૃથ્વી ઈશ્વરના મહિમાથી પ્રકાશતી હતી. જે સંદર્શન મને થયું હતું, એટલે હું નગરનો નાશ કરવાને આવ્યો, મેં કબાર નદીને કિનારે જે સંદર્શન જોયું હતું, તેના જેવાં તે સંદર્શનો હતાં ત્યારે હું ઊંધો પડ્યો! તેથી યહોવાહનો મહિમા પૂર્વ તરફ ખૂલતા દરવાજેથી ઘરમાં આવ્યો. પછી આત્મા મને ઊંચકીને અંદરના આંગણામાં લઈ ગયો. જુઓ, યહોવાહના મહિમાથી આખું ઘર ભરાઈ ગયું હતું. મેં સાંભળ્યુ કે સભાસ્થાનની અંદરથી મારી સાથે કોઈ વાત કરી રહ્યું હતું. તે માણસ મારી બાજુમાં ઊભો હતો. તેણે મને કહ્યું, "હે મનુષ્યપુત્ર, આ મારું સિંહાસન તથા મારા પગના તળિયાની જગ્યા છે. જ્યાં હું ઇઝરાયલી લોકો વચ્ચે સદાકાળ સુધી રહીશ. ઇઝરાયલી લોકો ફરી કદી મારા પવિત્ર નામને અપવિત્ર કરશે નહિ, તેઓ કે તેઓના રાજાઓ તેઓના વ્યભિચારથી તથા તેઓના રાજાઓના મૃતદેહોથી ભ્રષ્ટ કરશે નહિ.

પછી તે માણસ મને ઉત્તરના દરવાજેથી સભાસ્થાનની આગળ લાવ્યો. મેં જોયું તો જુઓ યહોવાહના ગૌરવથી સભાસ્થાન ભરાઈ ગયું હતું. હું ઊંધો પડ્યો.

તે રાત્રે સંદર્શનમાં દાનિયેલને આ વિષે મર્મ પ્રગટ કરવામાં આવ્યો. તેથી દાનિયેલે આકાશના ઈશ્વરની સ્તુતિ કરી. અને કહ્યું, "ઈશ્વરનું નામ સદાસર્વકાળ સ્તુત્ય હો; કેમ કે ડહાપણ તથા પરાક્રમ તેમના છે. તે સમયોને તથા ઋતુઓને બદલે છે; તે રાજાઓને પદભ્રષ્ટ કરે છે વળી રાજાઓને રાજગાદીએ બેસાડે છે. તે જ્ઞાનીને ડહાપણ તથા બુદ્ધિમાનને સમજ આપે છે. તે ઊંડી તથા ગુપ્ત વાતો પ્રગટ કરે છે. કેમ કે તે જાણે છે કે અંધારામાં શું છે, પ્રકાશ તેમની સાથે રહે છે. હે મારા પૂર્વજોના ઈશ્વર, હું તમારો આભાર માનું છું અને તમારી સ્તુતિ કરું છું, કેમ કે, તમે મને ડહાપણ અને સામર્થ્ય આપ્યાં છે. અમે જે તમારી પાસેથી માગ્યું હતું તે હવે તમે અમને જણાવ્યું છે; તમે અમને રાજાની વાત જણાવી છે."

તે રાજાઓના શાસન દરમ્યાન, આકાશના ઈશ્વર એક એવું રાજ્ય સ્થાપશે જેનો કદી નાશ થશે નહિ. તે રાજ્ય કદી બીજી કોઈ પ્રજાના હાથમાં જશે નહિ. તે બીજા રાજ્યને ભાંગીને ભૂકો કરી નાખશે. અને સર્વકાળ ટકશે.

તે દિવસોને અંતે મેં નબૂખાદનેસ્સારે, મારી આંખો આકાશ તરફ ઊંચી કરી, મારી સમજશકિત મને પાછી આપવામાં આવી. મેં પરાત્પર ઈશ્વરની સ્તુતિ કરી. જે સદાકાળ જીવે છે તેમની સ્તુતિ કરી અને તેમને માન આપ્યું. કેમ કે તેમનું રાજ અનંતકાળનું છે, તેમનું રાજ્ય પેઢી દરપેઢીનું છે.

હવે હું, નબૂખાદનેસ્સાર, આકાશના રાજાની સ્તુતિ કરું છું, તેમની પ્રશંસા કરું છું, તેમનું સન્માન કરું છું, કેમ કે, તેમના બધાં કાર્યો સાચાં છે, તેમના માર્ગો ન્યાયી છે. જેઓ પોતાના ઘમંડમાં ચાલે છે તેઓને તે નીચા પાડે છે.

હું જોતો હતો ત્યારે, સિંહાસનો ગોઠવવામાં આવ્યાં, એક પુરાતન કાલીન માણસ તેના પર બેઠો હતો, તેનાં વસ્ત્રો હિમ જેવાં સફેદ હતાં, તેના માથાના વાળ શુદ્ધ ઊન જેવા હતાં. તેનું સિંહાસન અગ્નિની જ્વાળારૂપ હતું, તેનાં પૈડાં સળગતા અગ્નિનાં હતાં. તેમની આગળથી ધગધગતા અગ્નિનો ધોધ નીકળીને વહેતો હતો. હજારોહજાર લોકો તેમની સેવા કરતા હતા લાખો લોકો તેમની આગળ ઊભા હતા. ન્યાયસભા ભરાઈ હતી, પુસ્તકો ખોલવામાં આવ્યાં હતાં.

તે રાત્રે મારા સંદર્શનમાં, મનુષ્યપુત્ર જેવા એક પુરુષને આકાશના વાદળો સાથે ઊતરતો મેં જોયો. તે પુરાતનકાલીન પુરુષની પાસે આવ્યો, તેમની સમક્ષ હાજર થયો. તેને સત્તા, મહિમા તથા રાજ્યાધિકાર આપવામાં આવ્યો, જેથી બધા લોકો, પ્રજાઓ તથા વિવિધ ભાષા બોલનારાઓ તેને તાબે થાય. તેની સત્તા સનાતન છે તે કદી લોપ થશે નહિ, તેનું રાજ્ય જે કદી નાશ નહિ પામે.

પણ પરાત્પરના સંતો રાજ્ય મેળવશે અને તેઓ સદા સર્વકાળ સુધી રાજ કરશે.'

રાજ્ય તથા સત્તા, આખા આકાશ નીચેના રાજ્યોનું માહાત્મ્ય, લોકોને સોંપવામાં આવશે જે પરાત્પરના પવિત્રોનું થશે. તેમનું રાજ્ય સદાકાળનું રાજ્ય છે, બીજા બધાં રાજ્યો તેમને તાબે થશે અને તેમની આજ્ઞામાં રહેશે.'

યહોવાહના સામર્થ્યથી તથા પોતાના ઈશ્વર યહોવાહના નામના પ્રતાપથી તે પુરુષ ઊભો રહીને પોતાના ટોળાનું પાલન કરશે. તેઓ કાયમ રહેશે. કેમ કે હવે તે પૃથ્વીના છેડા સુધી મોટો ગણાશે.

તેમની હાજરીમાં પર્વતો ધ્રૂજે છે, ડુંગરો ઓગળી જાય છે; તેમની હાજરીમાં પૃથ્વી, હા, દુનિયા તથા તેમાં વસતા બધા લોકો હાલી ઊઠે છે.

કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરેલો છે તેમ દેશ યહોવાહના ગૌરવના જ્ઞાનથી ભરાઈ જશે.

ઈશ્વર તેમાનથી આવે છે, પવિત્ર દેવ પારાન પર્વતથી આવે છે. સેલાહ તેમનો મહિમા આકાશોને ઢાંકી દે છે અને પૃથ્વી તેમની સ્તુતિથી ભરપૂર છે. તેમના હાથોમાંથી પ્રકાશની જેમ કિરણો ચમકે છે ત્યાં જ તેમનું સામર્થ્ય ગુપ્ત રહેલું છે.

પર્વતો તમને જોઈને થરથર ધ્રૂજે છે, ત્યાં આગળ થઈને પાણીની રેલ ચડે છે; ઊંડાણ પોતાનો અવાજ કાઢે છે. તેનાં મોજા કેવાં હેલે ચડે છે!

અને હું બધી પ્રજાઓને હલાવીશ, દરેક પ્રજા તેઓની કિંમતીવસ્તુ મારી પાસે લાવશે, અને આ સભાસ્થાનને હું ગૌરવથી ભરી દઈશ. સૈન્યોના યહોવાહ કહે છે.

કેમ કે, યહોવાહ કહે છે કે, 'હું પોતે તેની આસપાસ અગ્નિના કોટરૂપ થઈશ, અને હું તેનામાં મહિમાવાન થઈશ.'

તેણે મને જવાબ આપીને કહ્યું, ત્યારે દૂતે મને કહ્યું, "ઝરુબ્બાબેલને યહોવાહનું વચન આ છે: 'બળથી નહિ કે સામર્થ્યથી નહિ પણ મારા આત્માથી,' સૈન્યોના યહોવાહ કહે છે,"

તે જ યહોવાહનું સભાસ્થાન બાંધશે અને પોતાનો વૈભવ ઊભો કરશે; પછી તે પોતાના સિંહાસન પર બેસીને રાજ કરશે. તેના સિંહાસન પર યાજક બેસશે અને બન્ને વચ્ચે શાંતિની સલાહ રહેશે.

હે સિયોનની દીકરી, મોટા આનંદથી પોકાર કર, હે યરુશાલેમની દીકરી હર્ષનાદ કર. જો, તારો રાજા તારી પાસે ન્યાયીપણા સાથે આવે છે તે તારણ લાવે છે. તે નમ્ર છે અને ગધેડા પર એટલે ગધેડીના વછેરા પર સવારી કરીને આવે છે.

તે દિવસે તેમના પગ યરુશાલેમની પૂર્વમાં આવેલા જૈતૂનના પર્વત ઉપર ઊભા રહેશે. જૈતૂન પર્વત પૂર્વ તથા પશ્ચિમ વચ્ચે અડધો અડધ વિભાજિત થઈ જશે અને બહુ મોટી ખીણ થઈ જશે, અડધો પર્વત ઉત્તર તરફ અને બાકીનો અડધો દક્ષિણ તરફ પાછો જશે.

યહોવાહ આખી પૃથ્વી ઉપર રાજા થશે. તે દિવસે યહોવાહ ઈશ્વર એક જ હશે અને તેમનું નામ પણ એક જ હશે.

ત્યારે યહોવાહનો ભય રાખનારાઓએ એકબીજાની સાથે વાત કરી; યહોવાહે તે ધ્યાનથી સાંભળ્યું. યહોવાહનું ભય રાખનારાઓને સારુ તથા તેમના નામનું આદર રાખનારાઓને સારુ યાદીનું પુસ્તક તેમની હજૂરમાં લખવામાં આવ્યું.

"જુઓ, કુંવારી ગર્ભવતી થશે, તેને દીકરો થશે અને તેનું નામ તેઓ ઈમ્માનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે, 'ઈશ્વર આપણી સાથે.'"

"યહૂદીઓના જે રાજા જનમ્યાં છે, તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તેમનો તારો જોઈને, અમે તેમનું ભજન કરવાને આવ્યા છીએ."

ઘરમાં જઈને તેઓએ બાળકને તેની મા મરિયમની પાસે જોયું; પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની ઝોળી ખોલીને સોનું, લોબાન તથા બોળનું તેને નજરાણું કર્યું.

જયારે ઈસુ બાપ્તિસ્મા પામીને તરત પાણીમાંથી બહાર આવ્યા; અને જુઓ, તેમને સારુ સ્વર્ગો ઉઘાડાયાં અને ઈશ્વરના આત્માને કબૂતર રૂપે ઊતરતા તથા પોતા પર આવતા તેમણે જોયા. જુઓ, સ્વર્ગોમાંથી એવી વાણી થઈ કે, "આ મારો વહાલો દીકરો છે, તેના પર હું પ્રસન્ન છું."

તેમ જ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારાં સદકૃત્યો જોઈને સ્વર્ગમાંનાં તમારા પિતાનો મહિમા કરે.

માટે તમે આ રીતે પ્રાર્થના કરો "ઓ સ્વર્ગમાંનાં અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ; તમારું રાજ્ય આવો; જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.

અમને પરીક્ષણમાં પડવા ન દો, પણ દુષ્ટથી અમારો છુટકારો કરો. કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારાં છે. આમીન."

ત્યારે તે માણસોએ આશ્ચર્ય પામીને કહ્યું કે, "એ કયા પ્રકારના માણસ છે કે પવન તથા સમુદ્ર પણ તેમનું માને છે?"

પણ હું તમને કહું છું કે ભક્તિસ્થાન કરતાં અહીં એક મોટો છે.

હોડીમાં જેઓ હતા તેઓએ તેમનું ભજન કરતાં કહ્યું કે, "ખરેખર તમે ઈશ્વરના દીકરા છો."

જયારે લોકોએ જોયું કે મૂંગાઓ બોલતાં થયાં છે, ટૂંડાઓ સાજાં થયાં છે, પાંગળાઓ ચાલતાં થયા છે તથા અંધજનો દેખતા થયાં છે, ત્યારે તેઓએ આશ્ચર્ય પામીને ઇઝરાયલના ઈશ્વરનો મહિમા કર્યો.

કેમ કે માણસનો દીકરો પોતાના પિતાના મહિમામાં પોતાના સ્વર્ગદૂતો સહિત આવશે, ત્યારે તે દરેકને તેમના કાર્યો પ્રમાણે બદલો ભરી આપશે.

તેઓની આગળ તેમનું રૂપાંતર થયું, એટલે તેમનું મુખ સૂર્યના જેવું તેજસ્વી થયું અને તેમના વસ્ત્ર અજવાળાનાં જેવા શ્વેત થયા.

તે બોલતો હતો એટલામાં, જુઓ, એક ચળકતી વાદળી તેઓ પર આચ્છાદિત થઈ; અને વાદળીમાંથી એવી વાણી થઈ કે, 'આ મારો વહાલો દીકરો છે, તેના પર હું પ્રસન્ન છું, તેનું સાંભળો.' શિષ્યો એ સાંભળીને બહુ ગભરાયા, અને ઊંધે મોઢે જમીન પર પડયા.

પણ ઈસુએ તેઓની તરફ જોઈને કહ્યું કે, 'માણસોને તો એ અશક્ય છે, પણ ઈશ્વરને સર્વ શક્ય છે.'

ઈસુએ તેઓને કહ્યું, 'હું તમને નિશ્ચે કહું છું કે, જયારે પુનઃઆગમનમાં માણસનો દીકરો પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે, ત્યારે તમે, મારી પાછળ આવનારા, ઇઝરાયલનાં બાર કુળનો ન્યાય કરતાં બાર રાજ્યાસનો પર બિરાજશો.'

'સિયોનની દીકરીને એમ કહો કે, જુઓ, તારો રાજા તારી પાસે આવે છે, તે નમ્ર છે, તથા ગધેડા પર, હા, ખોલા પર, એટલે ગધેડીના વછેરા પર, સવાર થઈને આવે છે.'

હવે આગળ ચાલનાર તથા પાછળ આવનાર લોકે પોકાર્યું કે, 'દાઉદના દીકરાને હોસાન્ના, પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે; પરમ ઊંચામાં હોસાન્ના.'

પણ જે ચમત્કારો તેમણે કર્યા, તથા જે બાળકો ભક્તિસ્થાનમાં મોટા અવાજે 'દાઉદના દીકરાને હોસાન્ના' પોકારતા હતાં, તેઓને જયારે મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓએ જોયા, ત્યારે તેઓ બહુ ગુસ્સે થયા. તેઓએ ઈસુને કહ્યું કે, 'તેઓ શું કહે છે, તે શું તું સાંભળે છે?' ત્યારે ઈસુ તેઓને કહે છે કે, 'હા, "બાળકોના તથા નવજાત શિશુઓના મુખથી તેં સ્તુતિ સંપૂર્ણ કરાવી છે, એ શું તમે કદી નથી વાંચ્યું?"

ત્યારે ઈસુએ તેને કહ્યું કે, 'પ્રભુ તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી તથા તારા પૂરા મનથી પ્રેમ કર. પહેલી અને મોટી આજ્ઞા તે જ છે.

પછી માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે, ત્યારે પૃથ્વી પરનાં સઘળાં કુળો શોક કરશે; અને માણસના દીકરાને પરાક્રમ તથા મહામહિમાસહિત તેઓ આકાશનાં વાદળ પર આવતા જોશે. રણશિંગડાના મોટા અવાજ સહિત તે પોતાના સ્વર્ગદૂતોને મોકલશે, તેઓ ચારે દિશામાંથી, આકાશના એક છેડાથી તે બીજા છેડા સુધી, તેમના પસંદ કરેલાઓને એકત્ર કરશે.

જયારે માણસના દીકરા [ઈસુ] પોતાના મહિમામાં સર્વ પવિત્ર સ્વર્ગદૂતો સાથે આવશે, ત્યારે તે પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે. સર્વ દેશજાતિઓ તેમની આગળ એકઠી કરાશે; અને જેમ ઘેટાંપાળક ઘેટાંને બકરાંથી જુદાં પાડે છે, તેમ તે તેઓને એકબીજાથી જુદા પાડશે.

તેઓ ગીત ગાયા પછી જૈતૂનનાં પહાડ પર ગયા.

ઈસુ તેને કહે છે કે, તેં જ કહ્યું, પરંતુ હું તમને કહું છું કે, હવે પછી તમે માણસના દીકરાને પરાક્રમના જમણાં હાથ પર બેઠેલા તથા આકાશનાં વાદળો પર આવતા નિહાળશો.

અને ઈસુ રાજ્યપાલની આગળ ઊભા રહ્યા અને રાજ્યપાલે તેમને પૂછ્યું કહ્યું કે, 'શું તું યહૂદીઓનો રાજા છે?' ઈસુએ તેને કહ્યું કે, 'તું પોતે કહે છે.'

'ઈસુ જે યહૂદીઓનો રાજા, તે એ જ છે.' એવું તેમના વિરુધ્ધનું આરોપનામું તેમના માથાની ઉપર મુકાવ્યું.

ત્યારે જુઓ, ઈસુએ તેઓને મળીને કહ્યું કે, 'કુશળતા.' તેઓએ પાસે આવીને તેમના પગ પકડ્યા, અને તેમનું ભજન કર્યું.

તેઓએ તેમને જોઈને તેમનું ભજન કર્યું, પણ કેટલાકને સંદેહ આવ્યો. ઈસુએ પાસે આવીને તેઓને કહ્યું કે, 'સ્વર્ગ તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે.'

તેઓ ઘણાં ગભરાયા તથા માંહોમાંહે બોલ્યા કે, 'આ તે કોણ છે કેમ કે પવન તથા સમુદ્ર પણ તેમનું માને છે?'

કેમ કે આ બેવફા તથા પાપી પેઢીમાં જે કોઈ મારે લીધે તથા મારાં વચનોને લીધે શરમાશે, તેને લીધે માણસનો દીકરો પણ જયારે પોતાના બાપના મહિમામાં પવિત્ર સ્વર્ગદૂતોની સાથે આવશે, ત્યારે તે શરમાશે.'

એક વાદળું આવ્યું. તેણે તેઓ પર છાયા કરી; વાદળામાંથી એવી વાણી થઈ કે, 'આ મારો વહાલો દીકરો છે, તેનું સાંભળો.'

ઈસુ તેઓની તરફ જોઈને કહે છે કે, 'માણસોને એ અશક્ય છે, પણ ઈશ્વરને નથી, કેમ કે ઈશ્વરને સર્વ શક્ય છે.'

આગળ તથા પાછળ ચાલનારાંઓએ બૂમ પાડતાં કહ્યું કે, 'હોસાન્ના, પ્રભુને નામે જે આવે છે, તે આશીર્વાદિત છે. આપણા પિતા દાઉદનું રાજ્ય જે પ્રભુને નામે આવે છે, તે આશીર્વાદિત છે; પરમ ઊંચામાં હોસાન્ના!'

ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, 'પહેલી એ છે કે, ઓ ઇઝરાયલ, સાંભળ, પ્રભુ આપણા ઈશ્વર તે એક જ છે; તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી, તારી પૂરી બુદ્ધિથી અને તારા પૂરા સામર્થ્યથી પ્રભુ તારા ઈશ્વર પર તું પ્રેમ કર.

ત્યારે તેઓ માણસના દીકરાને ભરપૂર પરાક્રમ તથા મહિમાસહિત વાદળામાં આવતા જોશે.

આકાશ તથા પૃથ્વી નાશ પામશે, પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહિ.

તેઓ ગીત ગાયા પછી જૈતૂનનાં પહાડ પર ગયા.

ઈસુએ કહ્યું કે, 'હું છું; તમે માણસના દીકરાને પરાક્રમનાં જમણા હાથ તરફ બેઠેલા તથા આકાશનાં વાદળાંપર આવતા જોશો.

પિલાતે ઈસુને પૂછ્યું કે, 'શું તું યહૂદીઓનો રાજા છે?' તેમણે જવાબ આપતાં તેને કહ્યું કે, 'તું કહે છે તે જ હું છું.'

તેના ઉપર ઈસુનું એવું તહોમતનામું લખ્યું હતું કે "યહૂદીઓનો રાજા."

પ્રભુ ઈસુ તેઓની સાથે બોલી રહ્યા પછી સ્વર્ગમાં લઈ લેવાયા અને ઈશ્વરને જમણે હાથે બિરાજ્યા.

જો, તને ગર્ભ રહેશે, તને દીકરો થશે, અને તું તેમનું નામ ઈસુ પાડશે. તે મોટા થશે અને પરાત્પર ઈશ્વરના દીકરા કહેવાશે; અને ઈશ્વર પ્રભુ તેમને તેમના પિતા દાઉદનું રાજ્યાસન આપશે. તે યાકૂબના વંશજો પર સર્વકાળ રાજ્ય કરશે, અને તેમના રાજ્યનો અંત આવશે નહિ.' મરિયમે સ્વર્ગદૂતને કહ્યું કે, 'એ કેમ કરીને થશે? કેમ કે હું કુંવારી છું, અને હું કોઈ પુરુષ સાથે સંબંધમાં આવી નથી.' સ્વર્ગદૂતે તેને ઉત્તર આપ્યો કે, 'પવિત્ર આત્મા તારા પર આવશે, અને પરાત્પર ઈશ્વરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે; માટે જે તારાથી જન્મ લેશે તેને પવિત્ર ઈશ્વરનો દીકરો કહેવાશે.

'કેમ કે ઈશ્વર પાસેથી [આવેલું] કોઈ પણ વચન પરાક્રમ વગરનું થશે નહિ.'

મરિયમે કહ્યું કે, મારો જીવ પ્રભુને મહાન માને છે, અને ઈશ્વર, મારા ઉદ્ધારકમાં મારો આત્મા હરખાયો છે.

કેમ કે પરાક્રમી ઈશ્વરે મારે સારુ મહાન કૃત્યો કર્યા છે, તેમનું નામ પવિત્ર છે.

પવિત્રાઈથી તથા ન્યાયીપણાથી તેમની સેવા કરીએ.

પછી એકાએક સ્વર્ગદૂતની સાથે આકાશના બીજા સ્વર્ગદૂતોનો સમુદાય પ્રગટ થયો; તેઓ ઈશ્વરની સ્તુતિ કરીને કહેતાં હતા કે, 'સ્વર્ગમાં ઈશ્વરને મહિમા, તથા પૃથ્વી પર જે માણસો વિષે તે પ્રસન્ન છે, તેઓ મધ્યે શાંતિ થાઓ.'

ઘેટાંપાળકોને જે કહેવામાં આવ્યું હતું તે તેઓએ બધું સાંભળ્યું તથા જોયું, તેથી તેઓ ઈશ્વરનો મહિમા તથા સ્તુતિ કરતા પોતાનાં ઘેટાં પાસે પાછા ગયા.

અને ઈસુએ તેને ઉત્તર આપતાં કહ્યું કે, 'એમ લખ્યું છે કે, તારે તારા ઈશ્વર પ્રભુનું ભજન કરવું અને એકલા તેમની જ સેવા કરવી.'

તે જોઈને સિમોન પિતરે ઈસુના પગ આગળ પડીને કહ્યું કે, 'ઓ પ્રભુ, મારી પાસેથી જાઓ. કેમ કે હું પાપી માણસ છું.'

ઈસુએ તેઓને કહ્યું કે, 'તમારો વિશ્વાસ ક્યાં છે?' તેઓ ભયથી આશ્ચર્ય પામ્યા અને એકબીજાને કહેવા લાગ્યા કે, 'આ તે કોણ છે કે પવનને તથા પાણીને પણ આજ્ઞા કરે છે અને તે તેમનું માને છે?'

કેમ કે જે કોઈ મારે લીધે તથા મારાં વચનોને લીધે શરમાશે, તેને લીધે માણસનો દીકરો જયારે પોતે પોતાના તથા બાપના તથા પવિત્ર સ્વર્ગદૂતોનાં મહિમામાં આવશે ત્યારે શરમાશે.

ઈશ્વરના મહા પરાક્રમથી તેઓ બધા ચકિત થઈ ગયા. પણ ઈસુએ જે જે કર્યું તે સઘળું જોઈને બધા આશ્ચર્યમાં ડૂબેલા હતા, ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું,

તે જ સમયે તે પવિત્ર આત્માથી હરખાયા, અને બોલ્યા કે, 'ઓ ઈશ્વરપિતા, આકાશ તથા પૃથ્વીના પ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું કે, જ્ઞાનીઓથી તથા બુદ્ધિમંતોથી તમે એ વાતો ગુપ્ત રાખી અને બાળકોને પ્રગટ કરી છે; હા ઈશ્વરપિતા, કેમ કે તમને તે સારું લાગ્યું.

તેણે ઉત્તર આપતા કહ્યું કે, 'તમારા ઈશ્વર પ્રભુ પર તારા પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરા સામર્થ્યથી તથા પૂરા મનથી પ્રેમ રાખવો અને જેવા પોતાના પર તેવો તારા પડોશી પર [પ્રેમ રાખવો].'

ઈસુએ તેઓને કહ્યું કે, તમે પ્રાર્થના કરો, ત્યારે કહો કે, ઓ સ્વર્ગમાંનાં અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ; તમારું રાજ્ય આવો; જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.

તેઓમાંનો એક, પોતે સાજો થયો છે તે જોઈને, મોટા અવાજે ઈશ્વરનો મહિમા કરતાં પાછો વળ્યો. તેણે ઈસુને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેમનો આભાર માન્યો; તે સમરૂની હતો.

પણ ઈસુએ કહ્યું કે, 'માણસોને જે અશક્ય છે તે ઈશ્વરને શક્ય છે.'

અને તરત તે દ્રષ્ટિ પામ્યો અને ઈશ્વરને મહિમા આપતો તે તેમની પાછળ ચાલ્યો; બધા લોકોએ તે જોઈને ઈશ્વરની આભારસ્તુતિ કરી.

ઈસુ નજીકમાં જૈતૂન પહાડના ઢોળાવ પાસે આવી પહોંચ્યાં, ત્યારે જે પરાક્રમી કામો તેઓએ જોયાં હતાં, તે સઘળાંને લીધે શિષ્યોનો આખો સમુદાય હર્ષ કરીને ઊંચે અવાજે ઈશ્વરની સ્તુતિ કરતાં કહેવા લાગ્યા કે, 'પ્રભુને નામે જે રાજા આવે છે તે આશીર્વાદિત છે! આકાશમાં શાંતિ તથા પરમ ઊંચામાં મહિમા!' લોકોમાંથી કેટલાક ફરોશીઓએ ઈસુને કહ્યું કે, 'ઉપદેશક, તમારા શિષ્યોને ધમકાવો.' ઈસુએ ઉત્તર આપ્યો કે, 'હું તમને કહું છું કે જો તેઓ ચૂપ રહેશે તો પથ્થરો પોકારી ઊઠશે.'

ત્યારે તેઓ માણસના દીકરાને પરાક્રમ તથા મહામહિમાસહિત વાદળામાં આવતા જોશે.

આકાશ તથા પૃથ્વી નાશ પામશે, પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહિ.

પણ હવે પછી માણસનો દીકરો ઈશ્વરના પરાક્રમને જમણે હાથે બિરાજશે." લોકોએ કહ્યું, "તો શું, તમે ઈશ્વરના દીકરા છો?" તેમણે તેઓને કહ્યું કે, "તમે કહો છો તે મુજબ હું તે છું."

અને પિલાતે ઈસુને પૂછ્યું, 'શું તું યહૂદીઓના રાજા છે?' અને તેમણે તેનો ઉત્તર આપતા કહ્યું, 'તમે કહો છો તે બરાબર છે.'

તેમના ઉપર એવો લેખ પણ લખેલો હતો કે, 'આ યહૂદીઓના રાજા છે.'

તેણે કહ્યું કે, 'હે ઈસુ, તમે તમારા રાજ્યમાં આવો ત્યારે મને યાદ કરજો.'

તેમનું ભજન કરીને તેઓ બહુ આનંદ કરતા યરુશાલેમમાં પાછા વળ્યા. અને તેઓ નિત્ય ભક્તિસ્થાનમાં ઈશ્વરની સ્તુતિ કરતા હતા.

તેમણે સઘળું ઉત્પન્ન કર્યું; એટલે જે કંઈ ઉત્પન્ન થયું તે તેમના વિના થયું નહિ.

અને શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યા અને પિતાના એકનાએક પુત્રના મહિમા જેવો તેમનો મહિમા અમે જોયો; તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતા.

નથાનિયેલે તેમને જવાબ આપ્યો, 'ગુરુજી, તમે ઈશ્વરના દીકરા છો; તમે ઇઝરાયલના રાજા છો.'

તે વધતા જાય, પણ હું ઘટતો જાઉં, એ જરૂરનું છે. જે સ્વર્ગમાંથી આવ્યા છે તે સર્વોપરી છે; જે પૃથ્વીનો છે તે ઐહિક છે તે પૃથ્વીની વાતો કરે છે; જે સ્વર્ગમાંથી આવ્યા છે તે સર્વની ઉપર છે.

ઈસુએ તેને કહ્યું કે, 'સ્ત્રી, મારું માન; એવો સમય આવે છે કે જ્યારે તમે આ પહાડ પર અથવા યરુશાલેમમાં પણ પિતાનું ભજન કરી શકશો નહિ. જેને તમે જાણતા નથી તેને તમે ભજો છો; અમે જેને જાણીએ છીએ તેને ભજીએ છીએ! કેમ કે ઉદ્ધાર યહૂદીઓમાંથી છે. પણ એવો સમય આવે છે અને હાલ આવી ચૂક્યો છે કે, જયારે ખરા ભજનારા આત્માથી તથા સચ્ચાઈથી પિતાનું ભજન કરશે; કેમ કે એવા ભજનારાઓને પિતા ઇચ્છે છે. ઈશ્વર આત્મા છે અને જેઓ તેમને ભજે છે, તેઓએ આત્માથી તથા સચ્ચાઈથી તેમનું ભજન કરવું જોઈએ.'

કે, જેમ બધા પિતાને માન આપે છે, તેમ દીકરાને પણ માન આપે. દીકરાને જે માન આપતો નથી, તે તેના મોકલનાર પિતાને પણ માન આપતો નથી.

ફરીથી ઈસુએ તેઓને કહ્યું, 'હું માનવજગતનું અજવાળું છું; જે કોઈ મારી પાછળ આવે છે તે અંધકારમાં નહિ ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે.'

ઈસુએ તેઓને કહ્યું કે, 'હું તમને ખાતરીપૂર્વક કહું છું કે, ઇબ્રાહિમનો જન્મ થયા અગાઉથી હું છું.'

તેણે કહ્યું કે, 'પ્રભુ, હું વિશ્વાસ કરું છું.' પછી તેણે તેમનું ભજન કર્યું.

હું તથા પિતા એક છીએ.'

ઈસુ તેને કહે છે કે, 'જો તું વિશ્વાસ કરશે, તો તું ઈશ્વરનો મહિમા જોશે, એવું મેં તને નથી કહ્યું શું?'

બીજે દિવસે પર્વમાં આવેલા ઘણાં લોકોએ એવું સાંભળ્યું કે, ઈસુ યરુશાલેમ આવે છે; ત્યારે ખજૂરીની ડાળીઓ લઈને તેઓ તેમને મળવાને બહાર ગયા; અને ઊંચા અવાજે કહ્યું કે, 'હોસાન્ના; પ્રભુને નામે ઇઝરાયલના જે રાજા આવે છે, તે આશીર્વાદિત છે. ઈસુને ગધેડાનો એક વછેરો મળ્યો ત્યારે તેના પર તેઓ બેઠા, જેમ લખેલું છે તેમ કે, 'ઓ સિયોનની દીકરી, બીશ નહિ; જો, તારા રાજા ગધેડાના વછેરા પર બેસીને આવે છે.'

ત્યારે ઈસુ તેઓને જવાબ કહ્યું કે, 'માણસના દીકરાને મહિમાવાન થવાનો સમય આવ્યો છે.

ઓ બાપ, તમારા નામનો મહિમા [પ્રગટ] કરો, ત્યારે સ્વર્ગમાંથી એવી વાણી થઈ કે, 'મેં તેનો મહિમા [પ્રગટ] કર્યો છે અને ફરી કરીશ.'

જયારે તે બહાર ગયો, ત્યારે ઈસુ કહે છે કે, 'હવે માણસનો દીકરો મહિમાવાન થયો છે, તેનામાં ઈશ્વર મહિમાવાન થયા છે. ઈશ્વર તેને પોતામાં મહિમાવાન કરશે અને તેને વહેલો મહિમાવાન કરશે.

જે કંઈ મારે નામે તમે માગશો, તે હું કરીશ, એ માટે કે પિતા દીકરામાં મહિમાવાન થાય.

તમે બહુ ફળ આપો, એમાં મારા પિતા મહિમાવાન થાય છે; અને એથી તમે મારા શિષ્ય થશો.

ઈસુએ એ વાતો કહ્યાં પછી સ્વર્ગો તરફ પોતાની આંખો ઊંચી કરીને કહ્યું કે, 'પિતા, સમય આવ્યો છે; તમે તમારા દીકરાને મહિમાવાન કરો, જેથી દીકરો તમને મહિમાવાન કરે. કેમ કે તે સર્વ માણસો પર તમે અધિકાર આપ્યો છે કે, જે સર્વ તમે તેને આપ્યાં છે તેઓને તે અનંતજીવન આપે. અનંતજીવન એ છે કે તે તમને એકલાને, સત્ય ઈશ્વરને તથા મને (ઈસુ ખ્રિસ્તને) કે જેને તમે મોકલ્યો છે તેને ઓળખે. જે કામ કરવાનું તમે મને સોંપ્યું હતું તે પૂરું કરીને મેં તમને પૃથ્વી પર મહિમાવાન કર્યાં છે. હવે, ઓ પિતા, સૃષ્ટિની ઉત્પત્તિ અગાઉ તમારી સાથે જે મહિમા હું ભોગવતો હતો તેથી તમે હમણાં પોતાની સાથે મને મહિમાવાન કરો.

તેઓએ તેમને ઉત્તર દીધો કે, 'ઈસુ નાઝારીને.' ઈસુ તેઓને કહે છે કે, 'તે હું છું.' અને યહૂદા જે તેમને પરસ્વાધીન કરનાર હતો તે પણ સૈનિકોની સાથે ઊભો હતો. એ માટે જયારે તેમણે તેઓને કહ્યું કે, 'તે હું છું,' ત્યારે તેઓ પાછા હટીને જમીન પર પડ્યા.

એથી પિલાતે ફરી દરબારમાં જઈને ઈસુને બોલાવીને તેને પૂછ્યું કે, 'શું તું યહૂદીઓનો રાજા છે?'

ઈસુએ ઉત્તર આપ્યો કે, 'મારું રાજ્ય આ જગતનું નથી; જો મારું રાજ્ય આ જગતનું હોત, તો મને યહૂદીઓને સ્વાધીન કરવામાં આવત નહિ, તે માટે મારા સેવકો લડાઈ કરત, પણ મારું રાજ્ય તો અહીંનું નથી. તેથી પિલાતે ઈસુને પૂછ્યું કે, 'ત્યારે શું તું રાજા છે?' ઈસુએ ઉત્તર આપ્યો કે, 'તું કહે છે કે હું રાજા છું.' એ જ માટે હું જન્મ્યો છું; અને એ જ માટે હું આ દુનિયામાં આવ્યો છું, જેથી હું સત્ય વિષે સાક્ષી આપું; સર્વ જે સત્યનો છે, તે મારી વાણી સાંભળે છે.'

પણ પાસ્ખાપર્વમાં તમારે માટે એક બંદીવાનને હું છોડી દઉં, એવો તમારો રિવાજ છે. તેથી હું તમારે માટે યહૂદીઓના રાજાને છોડી દઉં, એમ તમે ચાહો છો શું?

પિલાતે એવું લખાણ લખીને વધસ્તંભ પર ટિંગાળ્યું કે; 'નાસરેથનો ઈસુ, યહૂદીઓનો રાજા.' જ્યાં ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યા હતા, તે જગ્યા શહેરની પાસે હતી અને તે લખાણ હિબ્રૂ, લેટિન તથા ગ્રીક ભાષામાં લખેલું હતું, માટે ઘણાં યહૂદીઓએ તે વાંચ્યું. તેથી યહૂદીઓના મુખ્ય યાજકોએ પિલાતને કહ્યું કે, 'યહૂદીઓનો રાજા,' એમ ન લખો, પણ તેણે કહ્યું કે, 'હું યહૂદીઓનો રાજા છું.' એમ લખો. પિલાતે ઉત્તર આપ્યો કે, 'મેં જે લખ્યું તે લખ્યું.'

થોમાએ ઉત્તર આપતાં તેમને કહ્યું કે, 'મારા પ્રભુ અને મારા ઈશ્વર!'

માટે ઈશ્વરને જમણે હાથે તેમને ઉપર લઈ લેવામાં આવ્યા, અને આશાવચન અનુસાર ઈશ્વરપિતા પાસેથી પવિત્ર આત્મા પામીને, આ જે તમે જુઓ છો તથા સાંભળો છો, તેમ તેમણે આપણને પવિત્ર આત્મા આપ્યાં છે.

એ માટે ઇઝરાયલના તમામ લોકોએ નિશ્ચે જાણવું કે, જે ઈસુને તમે વધસ્તંભ પર મારી નાખ્યા, તેમને ઈશ્વરે પ્રભુ તથા ખ્રિસ્ત બનાવ્યા છે.

તે કૂદીને ઊભો થયો, અને ચાલવા લાગ્યો; ચાલતાં અને કૂદતાં તથા ઈશ્વરની સ્તુતિ કરતાં તે તેઓની સાથે ભક્તિસ્થાનમાં ગયો.

તેમને ઈશ્વરે પોતાને જમણે હાથે રાજા તથા ઉદ્ધારક થવાને ઊંચા કર્યા છે, કે તેઓ ઇઝરાયલને પશ્ચાતાપ કરાવે તથા તેઓને પાપની માફી આપે.

પ્રભુએ તેને કહ્યું કે, 'તું તારા પગમાંથી ચંપલ ઉતાર; કેમ કે જે જગ્યાએ તું ઊભો છે તે પવિત્ર ભૂમિ છે.

પણ પવિત્ર આત્માથી ભરપૂર થઈને સ્તેફને સ્વર્ગ તરફ એક નજરે જોઈ રહેતાં, ઈશ્વરનું ગૌરવ તથા ઈશ્વરને જમણે હાથે ઈસુને ઊભેલા જોયા. તેણે કહ્યું કે, "જુઓ, સ્વર્ગ ઊઘડેલું તથા ઈશ્વરને જમણે હાથે માણસના દીકરાને ઊભેલા હું જોઉં છું."

ઈસુ ખ્રિસ્ત જે સર્વનાં પ્રભુ છે તેમની મારફતે શાંતિની સુવાર્તા પ્રગટ કરતા ઈશ્વરે ઇઝરાયલપુત્રોની પાસે જે વાત મોકલી,

ત્યાં મધરાતને સુમારે પાઉલ તથા સિલાસ પ્રાર્થના કરતા તથા ઈશ્વરનાં સ્ત્રોત્ર ગાતા હતા, બીજા કેદીઓ તે સાંભળતાં હતા; ત્યારે એકાએક એવો મોટો ધરતીકંપ થયો કે, જેલના પાયા હાલ્યા; અને બધા દરવાજા તરત ઊઘડી ગયા; અને સર્વના બંધનો છૂટી ગયા.

જે ઈશ્વરે સૃષ્ટિ તથા તેમાંનું સઘળું ઉત્પન્ન કર્યું, તે આકાશ તથા પૃથ્વીના પ્રભુ હોવાથી હાથે બાંધેલા ભક્તિસ્થાન રહેતાં નથી.

પણ પવિત્રાઈના આત્માના સામર્થ્ય દ્વારા મરણોત્થાન થયાથી પરાક્રમસહિત ઈશ્વરના દીકરા ઠર્યા છે.

તેમની અદ્રશ્ય બાબતો, એટલે તેમનું અનંતકાળિક સામર્થ્ય અને ઈશ્વરીય સ્વભાવ સૃષ્ટિની ઉત્પત્તિના સમયથી સૃજેલી વસ્તુઓ ધ્યાનમાં લેવાથી સ્પષ્ટ જણાય છે. તેથી તેઓ બહાના વગરનાં છે.

પૂર્વજો તેઓના છે અને ખ્રિસ્ત દેહ પ્રમાણે તેઓમાંના છે; તેઓ સર્વોપરી સદાકાળ સ્તુત્ય ઈશ્વર છે. આમીન.

આહા! ઈશ્વરની બુદ્ધિની, અને જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે! તેમના ન્યાયચૂકાદાઓ કેવાં ગૂઢ અને તેમના માર્ગો કેવાં અગમ્ય છે! કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે? અથવા તેમનો સલાહકાર કોણ થયો છે?

કેમ કે તેમનાંમાંથી તથા તેમના વડે, તથા તેમને અર્થે, બધું છે. તેમને સર્વકાળ મહિમા હો. આમીન.

તેથી, ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે, ઈશ્વરની દયા પ્રાપ્ત કરવા તમે તમારાં શરીરોનું જીવતું, પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે તેવું, અર્પણ કરો; તે તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે.

એવું લખેલું છે કે, પ્રભુ કહે છે કે, મારા જીવના સમ કે, દરેક ધૂંટણ મારી આગળ વાંકો વળશે અને દરેક જીભ ઈશ્વરની સ્તુતિ કરશે.

એ માટે ધીરજ તથા દિલાસો દેનાર ઈશ્વર તમને એવું વરદાન આપો કે તમે ખ્રિસ્ત ઈસુને અનુસરીને અંદરોઅંદર એક જ મનના થાઓ. માટે, ખ્રિસ્તે જેમ ઈશ્વરના મહિમાને અર્થે તમારો સ્વીકાર કર્યો, તેમ તમે પણ એકબીજાનો સ્વીકાર કરો. વળી હું કહું છું કે, જે વચનો પૂર્વજોને આપેલાં હતાં, તેઓને તે સત્ય ઠરાવે, અને વળી વિદેશીઓ પણ તેની દયાને લીધે ઈશ્વરનો મહિમા પ્રગટ કરે, એ માટે ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના સત્યને લીધે સુન્નતીઓના સેવક થયા. લખેલું છે કે, એ કારણ માટે હું વિદેશીઓમાં તમારી સ્તુતિ કરીશ અને તમારા નામનું ગીત ગાઈશ. વળી તે કહે છે કે, ઓ બિનયહૂદીઓ, તમે તેના લોકોની સાથે આનંદ કરો. વળી, હે સર્વ બિનયહૂદીઓ પ્રભુની સ્તુતિ કરો અને સર્વ લોકો તેમનું સ્તવન કરો.

હવે જે મર્મ આરંભથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો, પણ આ સમયમાં પ્રસિદ્ધ થયો છે અને સર્વ પ્રજાઓ વિશ્વાસને આધીન થાય, એ માટે સનાતન ઈશ્વરની આજ્ઞાથી પ્રબોધકોના લેખોમાં તેમને જણાવવાંમાં આવ્યો છે, તે મર્મના પ્રકટીકરણ પ્રમાણે મારી સુવાર્તા, એટલે ઈસુ ખ્રિસ્ત વિષેના ઉપદેશ પ્રમાણે તમને દૃઢ કરવાને જે શક્તિમાન છે, તે એકલા જ્ઞાની ઈશ્વરને, ઈસુ ખ્રિસ્ત દ્વારા સર્વકાળ સુધી મહિમા હો. આમીન.

કેમ કે મૂલ્ય ચૂકવીને તમને ખરીદવામાં આવ્યા છે. તેથી હવે તમારું શરીર અને તમારો આત્મા ઈશ્વરનાં છે, તમારાં શરીરો દ્વારા ઈશ્વરને મહિમા આપો.

તોપણ આપણા તો એક જ ઈશ્વર એટલે પિતા છે, જેમનાંથી સર્વ સર્જાયું છે; અને આપણે તેમને અર્થે છીએ; એક જ પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્ત છે, જેમને આશરે સર્વ છે અને આપણે પણ તેમને આશ્રયે છીએ.

માટે તમે ખાઓ કે, પીઓ કે, જે કંઈ કરો તે સર્વ ઈશ્વરના મહિમાને અર્થે કરો.

અને તેના હૃદયની ગુપ્ત બાબતો પ્રગટ કરાય છે; વળી ખરેખર ઈશ્વર તમારામાં છે એવું કબૂલ કરીને, તે ઘૂંટણે પડીને ઈશ્વરનું ભજન કરશે.

કેમ કે જે ઈશ્વરે જેમણે અંધારામાંથી અજવાળાને પ્રકાશવા ફરમાવ્યું; તે મુજબ ઈસુ ખ્રિસ્તનાં ચહેરા પરનો ઈશ્વરના મહિમાના જ્ઞાનનો પ્રકાશ આપણા હૃદયોમાં પાડે.

જેમણે આપણાં પાપોને સારુ પોતાનું અર્પણ કર્યું, કે જેથી આપણા ઈશ્વર અને પિતાની ઇચ્છા પ્રમાણે, આ વર્તમાન દુષ્ટ જગતથી તેઓ આપણને છોડાવે. ઈશ્વર પિતાને સદાસર્વકાળ મહિમા હો. આમીન.

આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં પિતા અને ઈશ્વરની સ્તુતિ હો; તેમણે સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદોથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યા છે;

કે, તેમની કૃપાના મહિમાની સ્તુતિ થાય; એ કૃપા તેમણે પોતાના વહાલા પુત્ર ઈસુ દ્વારા આપણને મફત આપી છે.

જેથી ખ્રિસ્ત પર પહેલાંથી આશા રાખનારા અમે તેમના મહિમાની સ્તુતિને સારુ થઈએ. તમે પણ, સત્યનું વચન એટલે તમારા ઉદ્ધારની સુવાર્તા સાંભળીને, અને ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખીને, તેમનાંમાં આશાવચનના પવિત્ર આત્માથી મુદ્રાંકિત થયા; ઈશ્વરના આત્મા પોતાના દ્રવ્યરૂપી લોકના ઉદ્ધારના સંબંધમાં પ્રભુના મહિમાને અર્થે આપણા વારસાની ખાતરી છે.

આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં ઈશ્વર, મહિમાવાન પિતા, પોતાના વિષેના જ્ઞાનને સારુ બુદ્ધિનો તથા પ્રકટીકરણનો આત્મા તમને આપે; અને તમારાં અંતર્નયનો પ્રકાશિત થઈ ગયા હોવાથી તેમના આમંત્રણની આશા અને સંતોમાં તેમના વારસાના મહિમાની સંપત્તિ શી છે, અને તેમની મહાન શક્તિના પરાક્રમ પ્રમાણે આપણ વિશ્વાસ કરનારાઓમાં તેમની શક્તિ શી છે, તે તમે સમજો. ઈશ્વરે તે પરાક્રમ ખ્રિસ્તમાં બતાવીને ઈસુને મૂએલાંમાંથી સજીવન કર્યા, અને સર્વ રાજ્યસત્તા, અધિકાર, પરાક્રમ, આધિપત્ય તથા પ્રત્યેક નામ જે કેવળ આ કાળમાંનું નહિ, પણ ભવિષ્યકાળમાંનું દરેક નામ જે હોય, એ સર્વ કરતાં ઊંચા કરીને પોતાની જમણી તરફ સ્વર્ગીય સ્થાનોમાં તેમને બેસાડયા. અને સઘળાંને તેમણે તેમના પગ નીચે રાખ્યાં, અને તેમને સર્વ પર વિશ્વાસી સમુદાયના શિરપતિ તરીકે નિર્માણ કર્યા; વિશ્વાસી સમુદાય તો ખ્રિસ્તનું શરીર છે, ખ્રિસ્ત તેમાં સંપૂર્ણ રીતે વસેલા છે; તે સર્વમાં સર્વ છે.

એ કારણથી પિતા, જેમનાં નામ પરથી સ્વર્ગનાં તથા પૃથ્વી પરનાં સર્વ કુટુંબને નામ આપવામાં આવે છે, તે [પિતા] ની આગળ હું ઘૂંટણે પડીને વિનંતી કરું છું, કે તે [ઈશ્વર] પોતાના મહિમાની સંપત્તિ પ્રમાણે તેમના [પવિત્ર] આત્મા દ્વારા તમને આંતરિક મનુષ્યત્વમાં સામર્થ્યથી બળવાન કરે; અને વિશ્વાસથી તમારાં હૃદયોમાં ખ્રિસ્ત વસે; જેથી તમારાં મૂળ પ્રેમમાં રોપીને અને તેનો પાયો દૃઢ કરીને, સર્વ સંતોની સાથે [ખ્રિસ્તના પ્રેમની] પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ તથા ઊંડાઈ કેટલી છે તે તમે સમજી શકો, ખ્રિસ્તનો પ્રેમ જે માણસની સમજશક્તિની મર્યાદાની બહાર છે તે પણ તમે સમજી શકો; કે તમે ઈશ્વરની પરિપૂર્ણતા પ્રમાણે સંપૂર્ણ થાઓ. હવે આપણે માગીએ કે કલ્પીએ તે કરતાં, જે આપણામાં કાર્ય કરનાર સામર્થ્ય પ્રમાણે, આપણે સારુ પુષ્કળ કરી શકે છે, તેમને [ઈશ્વરને] ખ્રિસ્ત ઈસુમાં તથા વિશ્વાસી સમુદાયમાં સર્વકાળ પેઢી દરપેઢી મહિમા હો. આમીન.

એક ઈશ્વર અને સર્વના પિતા, ઈશ્વર સર્વ ઉપર, સર્વ મધ્યે તથા સર્વમાં છે.

જે ઊતર્યા તે [ઈસુ ખ્રિસ્ત] એ છે કે જે સર્વને ભરપૂર કરવાને સર્વ સ્વર્ગો પર ઊંચે ચઢ્યાં.

ગીતોથી, સ્ત્રોત્રોથી તથા આત્મિક ગાનોથી એકબીજાની સાથે પ્રભુની વાતો કરીને તમારાં હૃદયમાં પ્રભુનાં ભજનો તથા ગીતો ગાઓ; આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે, ઈશ્વર પિતાની આભારસ્તુતિ સર્વને સારુ નિત્ય કરજો.

વળી ઈશ્વરની સ્તુતિ તથા મહિમા વધે તે માટે ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીપણાનાં ફળોથી તમે ભરપૂર થાઓ.

તેને કારણે ઈશ્વરે તેમને ઘણાં ઊંચા કર્યા અને સર્વ નામો કરતાં એવું શ્રેષ્ઠ નામ આપ્યું કે, સ્વર્ગમાંનાં, પૃથ્વી પરનાં તથા પાતાળમાંનાં સર્વ ઈસુને નામે ઘૂંટણે પડીને નમે; અને ઈશ્વરપિતાના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે.

કેમ કે આપણે ઈશ્વરના આત્માથી સેવા કરનારા, ખ્રિસ્ત ઈસુમાં ગર્વ કરનારા તથા દેહ પર ભરોસો ન રાખનારા, સાચા સુન્નતી છીએ.

આપણા ઈશ્વરને તથા પિતાને સદાસર્વકાળ સુધી મહિમા હો. આમીન.

તે અદ્રશ્ય ઈશ્વરની પ્રતિમા, સર્વ સૃષ્ટિના પ્રથમજનિત છે; કેમ કે તેમનાંથી બધાં ઉત્પન્ન થયાં, જે આકાશમાં તથા પૃથ્વી પર છે, જે દૃશ્ય તથા અદ્રશ્ય છે, રાજ્યાસનો, રાજ્યો, અધિપતિઓ કે અધિકારીઓ સર્વ તેમની મારફતે તથા તેમને માટે ઉત્પન્ન થયાં; તેઓ સર્વ બાબતોમાં પહેલાં છે; અને તેમનાંમાં સર્વ બાબતો વ્યવસ્થિત થઈને રહે છે. તેઓ શરીરનું એટલે વિશ્વાસી સમુદાયનું શિર છે; તે આરંભ, એટલે મૃત્યુ પામેલાંઓમાંથી પ્રથમ સજીવન થયેલાં છે; કે જેથી સર્વમાં તે શ્રેષ્ઠ થાય. કેમ કે તેમનાંમાં સર્વ પ્રકારની સંપૂર્ણતા રહે; એવું પિતાને પસંદ પડયું; અને ઈસુ ખ્રિસ્તનાં વધસ્તંભના રક્તથી શાંતિ કરાવીને તેમની મારફતે તેઓ પોતાની સાથે સઘળી બાબતોનું સમાધાન કરાવે છે; પછી તે પૃથ્વી પરની હોય કે આકાશમાંની હોય.

બિનયહૂદીઓમાં તે મર્મના મહિમાની સમૃદ્ધિ શી છે, તે તેઓને જણાવવાં ઈશ્વરે ઇચ્છ્યું; તે [મર્મ] એ છે કે, ખ્રિસ્ત તમારામાં મહિમાની આશા છે.

કેમ કે ઈશ્વરત્વની સર્વ સંપૂર્ણતા ખ્રિસ્તનાં શરીરમાં વસે છે. તમે તેમનાંમાં સંપૂર્ણ થયા છો; તેઓ સર્વ શાસન તથા અધિકારનાં ઉપરી છે;

એ માટે જો તમને, ખ્રિસ્તની સાથે સજીવન કરવામાં આવ્યા છે, તો જ્યાં ખ્રિસ્ત, ઈશ્વરને જમણે હાથે બિરાજમાન છે ત્યાંની, એટલે કે ઉપરની બાબતોની શોધો કરો. સ્વર્ગીય બાબતો પર મન લગાવો, પૃથ્વી પરની બાબતો પર નહિ. કેમ કે તમે મરણ પામેલા છો અને તમારું જીવન ખ્રિસ્તની સાથે ઈશ્વરમાં ગુપ્ત રાખવામાં આવેલું છે. ખ્રિસ્ત જે આપણું જીવન છે, તે જયારે પ્રગટ થશે ત્યારે તમે પણ તેમની સાથે મહિમામાં પ્રગટ થશો.

ખ્રિસ્તનું શિક્ષણ સર્વ જ્ઞાનમાં ભરપૂરતાથી તમારામાં રહે; ગીતો, સ્ત્રોત્રો તથા આત્મિક ગાયનોથી એકબીજાને શીખવો તથા બોધ કરો અને આભારસહિત તમારા હૃદયોમાં પ્રભુની સમક્ષ ગાન કરો. વચનથી કે કાર્યથી જે કંઈ તમે કરો, તે સર્વ પ્રભુ ઈસુને નામે કરો અને તે દ્વારા ઈશ્વર પિતાની આભારસ્તુતિ કરો.

જેમાં ઈશ્વરે તમને અમારી સુવાર્તાદ્વારા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહિમા પામવાને અર્થે બોલાવ્યા છે.

જે સનાતન યુગોના રાજા, અવિનાશી, અદ્રશ્ય તથા એકમાત્ર ઈશ્વર છે, તેમને અનંતકાળ માન તથા મહિમા હો. આમીન.

જેઓ સ્તુત્ય છે, એકલા જ સર્વોપરી, રાજકર્તાઓના રાજા તથા પ્રભુઓના પ્રભુ છે તેઓ યોગ્ય સમયે ઈસુનું પ્રગટ થવું બતાવશે, તેમને એકલાને જ અવિનાશીપણું છે, પાસે ન જવાય એવા અજવાળામાં રહે છે, જેમને કદી કોઈ મનુષ્યોએ જોયા નથી અને જોઈ શકતા પણ નથી તેમને અનંતકાળ સન્માન તથા આધિપત્ય હો. આમીન.

અને પ્રભુ સર્વ ખરાબ હુમલાથી મને છોડાવશે, અને પોતાના સ્વર્ગીય રાજ્યને સારું મને બચાવી રાખશે; તેમને સર્વકાળ મહિમા હો. આમીન.

અને આશીર્વાદિત આશાપ્રાપ્તિની તથા મહાન ઈશ્વર તેમ જ આપણા ઉદ્ધારકર્તા ઈસુ ખ્રિસ્તનાં મહિમાના પ્રગટ થવાની પ્રતિક્ષા કરવી;

તે આ છેલ્લાં સમયમાં પુત્ર કે, જેમને તેમણે સર્વના વારસ ઠરાવ્યાં અને વળી જેમનાં વડે તેમણે વિશ્વ પરના લોકોને ઉત્પન્ન કર્યા, તેમના દ્વારા આપણી સાથે બોલ્યા છે. તેઓ ઈશ્વરના મહિમાનું તેજ તથા તેમના વ્યક્તિત્વની આબેહૂબ પ્રતિમા છે, પોતાના પરાક્રમના શબ્દથી તેઓ સર્વને નિભાવી રાખે છે; તેઓ આપણા પાપનું પ્રાયશ્ચિત કરી, આપણને શુદ્ધ કરી, મહાન પિતાની જમણી તરફ ઉચ્ચસ્થાને બિરાજેલા છે.

વળી જયારે તે પ્રથમજનિતને દુનિયામાં લાવે છે, ત્યારે તે કહે છે કે, 'ઈશ્વરના સર્વ સ્વર્ગદૂતો તેમનું ભજન કરો.' વળી સ્વર્ગદૂતો સંબંધી તે એમ કહે છે કે, 'તે પોતાના સ્વર્ગદૂતોને વાયુરૂપ, અને પોતાના સેવકોને અગ્નિની જ્વાળારૂપ કરે છે.' પણ પુત્ર વિષે તે કહે છે, 'ઓ ઈશ્વર, તમારું રાજ્યાસન સનાતન છે અને તમારો રાજદંડ ન્યાયનો દંડ છે.

પણ ઈશ્વરની કૃપાથી સઘળાં માણસને માટે મૃત્યુ પામવાને અર્થે જેમને સ્વર્ગદૂતો કરતાં થોડીવાર સુધી ઊતરતા કરવામાં આવ્યા છે, અને મરણ સહેવાને લીધે જેમનાં પર મહિમા તથા ગૌરવનો મુગટ મૂકવામાં આવ્યો, તે ઈસુને જોઈએ છીએ.

તે કહે છે કે, "હું તમારું નામ ભાઈઓને પ્રગટ કરીશ, વિશ્વાસી સમુદાયમાં ગીત ગાતાં હું તમારી સ્તુતિ કરીશ.

તો ઈશ્વરના પુત્ર ઈસુ જે સ્વર્ગમાં પ્રવેશ પામ્યા છે, એવા મહાન પ્રમુખ યાજક આપણને મળ્યા છે, માટે આપણે જે સ્વીકાર્યું છે તેને દૃઢતાથી પકડી રાખીએ. કેમ કે આપણી નિર્બળતા પર જેમને દયા ન આવે એવા નહિ, પણ તે સર્વ પ્રકારે આપણી જેમ પરીક્ષણ પામેલા છતાં નિષ્પાપ રહ્યા એવા આપણા પ્રમુખ યાજક છે. એ માટે દયા પામવાને તથા યોગ્ય સમયે સહાયને માટે કૃપા પામવા સારુ આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ.

તેમના જેવા પ્રમુખ યાજકની આપણને જરૂર હતી, તે પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક, પાપીઓથી તદ્દન અલગ છે, અને તેમને આકાશ કરતાં વધારે ઉચ્ચસ્થાને બિરાજવામાં આવેલા છે.

હવે જે વાતો અમે કહીએ છીએ, તેનો સારાંશ એ છે, કે આપણને એવા પ્રમુખ યાજક મળ્યા છે, કે જે સ્વર્ગમાં ઈશ્વરના મહત્વના રાજ્યાસનની જમણી તરફ બિરાજમાન છે.

બકરાના તથા વાછરડાના લોહીથી નહિ, પણ પોતાના જ રક્તથી, માણસોને માટે અનંતકાળિક ઉદ્ધાર મેળવીને તે પરમપવિત્રસ્થાનમાં એક જ વાર ગયા હતા.

પણ ઈસુ તો, પાપોને કાજે એક બલિદાન સદાકાળને માટે આપીને, ઈશ્વરની જમણી તરફ બિરાજેલા છે.

મારા ભાઈઓ, તેણે આપણે માટે પડદામાં થઈને, એટલે પોતાના શરીરમાં થઈને, એક નવો તથા જીવતો માર્ગ ઉઘાડ્યો છે.

આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ રાખીએ કે, જેમણે પોતાની સમક્ષ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને વધસ્તંભ પર મરણનું દુઃખ સહન કર્યું અને હાલ તેઓ ઈશ્વરના રાજ્યાસનની જમણી તરફ બિરાજમાન છે.

માટે કંપાવવામાં ના આવે એવું રાજ્ય પ્રાપ્ત કરીને આપણે ઈશ્વરનો આભાર માનીએ, જેથી ઈશ્વર પ્રસન્ન થાય એવી રીતે આપણે તેમની સેવા આદરભાવ તથા બીકથી કરીએ. કેમ કે આપણો ઈશ્વર ભસ્મીભૂત કરી નાખનાર અગ્નિ છે.

ઈસુ ખ્રિસ્ત ગઈ કાલે, આજ તથા સદાકાળ એવા અને એવા જ છે.

માટે તે દ્વારા આપણે ઈશ્વરને સ્તુતિરૂપ બલિદાન, એટલે તેના નામને કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ, નિત્ય કરીએ.

હવે શાંતિના ઈશ્વર, જેણે અનંતકાળના કરારના રક્તથી ઘેટાંના મોટા રખેવાળ આપણા પ્રભુ ઈસુને મૃત્યુમાંથી પાછા સજીવન કર્યાં, તે તમને દરેક સારા કામને માટે એવા સંપૂર્ણ કરે કે, તમે તેમની ઇચ્છા પ્રમાણે જ બધું કરો. અને તેમની દ્રષ્ટિમાં જે સંતોષકારક છે, તે આપણી મારફતે ઈસુ ખ્રિસ્ત દ્વારા તેઓ કરાવે; તેમને સદાસર્વકાળ મહિમા હો. આમીન.

તમારામાં શું કોઈ દુઃખી છે? તો તેણે પ્રાર્થના કરવી. શું કોઈ આનંદિત છે? તો તેણે ગીત ગાવાં.

ઈસુ તો સ્વર્ગદૂતો, અધિકારીઓ તથા પરાક્રમીઓને પોતાને સ્વાધીન કરીને સ્વર્ગમાં ગયા અને ઈશ્વરને જમણે હાથે બિરાજમાન છે.

જો કોઈ ઉપદેશ આપે છે, તો તેણે ઈશ્વરના વચન પ્રમાણે ઉપદેશ આપવો; જો કોઈ સેવા કરે, તો તેણે ઈશ્વરે આપેલા સામર્થ્ય પ્રમાણે સેવા કરવી; કે જેથી સર્વ બાબતોમાં ઈસુ ખ્રિસ્ત ધ્વારા ઈશ્વર મહિમાવાન થાય; તેમને સદાસર્વકાળ મહિમા તથા સત્તા હો! આમીન.

પણ ખ્રિસ્તનાં અનુયાયી હોવાને કારણે જો કોઈને સહેવું પડે છે, તો તેથી શરમાય નહિ પણ તે નામમાં તે ઈશ્વરનો મહિમા કરે.

સર્વ કૃપાના ઈશ્વર જેમણે ખ્રિસ્તમાં તમને પોતાના અનંતકાળના મહિમાને સારુ બોલાવ્યા છે, તે પોતે તમે થોડીવાર સહન કરો ત્યાર પછી, તમને પૂર્ણ, સ્થિર તથા બળવાન કરશે. તેમને સદાસર્વકાળ સત્તા હોજો, આમીન.

કેમ કે જયારે અમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય તથા તેના આગમનની વાત તમને જણાવી, ત્યારે અમે ચતુરાઈથી કલ્પેલી વાર્તાઓ અનુસર્યા નહોતા; પણ તેમની મહાન પ્રભુતાને પ્રત્યક્ષ જોનારા હતા. કેમ કે જયારે ગૌરવી મહિમા તરફથી તેઓને એવી વાણી થઈ કે, 'એ મારો વહાલો પુત્ર છે, તેના પર હું પ્રસન્ન છું,' ત્યારે ઈશ્વરપિતાથી તેઓ માન તથા મહિમા પામ્યા.

પણ આપણા પ્રભુ તથા ઉદ્ધારકર્તા ઈસુ ખ્રિસ્તની કૃપામાં અને જ્ઞાનમાં તમે વૃદ્ધિ પામો; તેમને હમણાં તથા સદાસર્વકાળ મહિમા હો. આમીન.

એટલે આપણા ઉદ્ધારકર્તા એકલા ઈશ્વરને, મહિમા, પરાક્રમ તથા અધિકાર અનાદિકાળથી, હમણાં તથા સર્વકાળ હોજો. આમીન.

તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ સાક્ષી, અને મરણ પામેલાંમાંથી પ્રથમ ઊઠેલ અને દુનિયાના રાજાઓના અધિકારી છે તેમનાંથી, તમારા પર કૃપા તથા શાંતિ હો. જેમણે આપણા પર પ્રેમ કર્યો, અને પોતાના રક્ત વડે આપણને આપણાં પાપથી બચાવ્યા; અને ઈશ્વર પિતાને માટે આપણને રાજ્ય તથા યાજકો બનાવ્યા, તેમનો મહિમા તથા અધિકાર સદાસર્વકાળ સુધી હો; આમીન. જુઓ, તે વાદળાં સાથે આવે છે અને દરેક આંખ, અને જેઓએ તેમને વીંધ્યા તેઓ પણ તેમને જોશે; અને પૃથ્વી પરનાં સઘળાં કુળો તેમને લીધે વિલાપ કરશે; હા, આમીન.

પ્રભુ ઈશ્વર જે છે, જે હતા અને જે આવનાર છે, જે સર્વસમર્થ છે, તે એમ કહે છે કે, 'હું આલ્ફા તથા ઓમેગા છું.'

જે વાણીએ મારી સાથે વાત કરી, તેને જોવા હું ફર્યો; ત્યારે મેં સોનાની સાત દીવીને જોઈ. તે દીવીઓની વચમાં મનુષ્યપુત્ર જેવા એકને મેં જોયા, તેમણે પગની પાની સુધી પહોંચે એવો ઝભ્ભો પહેરેલો હતો અને તેમની છાતી પર સોનાનો પટ્ટો બાંધેલો હતો; તેમનું માથું તથા વાળ સફેદ ઊનના જેવા, બરફની માફક શ્વેત હતાં; અને તેમની આંખો અગ્નિની જ્વાળા જેવી હતી; તેમના પગ જાણે ભઠ્ઠીમાં શુદ્ધ થયેલા ચળકતા પિત્તળના જેવા હતા; અને તેમનો અવાજ ઘણાં પાણીનાં મોજાંના જેવો ગર્જતો હતો; તેમના જમણાં હાથમાં સાત તારા હતા; તેમના મુખમાંથી બેધારી તીક્ષ્ણ તરવાર નીકળતી હતી; અને તેમનો ચહેરો પૂર્ણ તેજથી પ્રકાશતા સૂર્ય સમાન હતો; જયારે મેં તેમને જોયા ત્યારે મૂએલા જેવો થઈને હું તેમના પગ પાસે પડી ગયો; ત્યારે તેમણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું કે, 'બીશ નહિ, પ્રથમ તથા છેલ્લો હું છું; અને જે જીવંત છે તે હું છું, હું મૃત્યુ પામ્યો હતો અને જુઓ, હવે હું સદાકાળ જીવતો છું; મરણ તથા હાદેસની ચાવીઓ મારી પાસે છે.

એકાએક હું આત્મામાં હતો; ત્યારે જુઓ, સ્વર્ગમાં એક રાજ્યાસન મૂકવામાં આવ્યું, તેના પર એક જણ બિરાજેલા હતા; તે દેખાવમાં યાસપિસ પાષાણ તથા લાલ જેવા હતા; રાજ્યાસનની આસપાસ એક મેઘધનુષ હતું, તેનો દેખાવ લીલમ જેવો હતો. રાજ્યાસનની આસપાસ ચોવીસ આસનો હતાં; તેના પર ચોવીસ વડીલો બેઠેલા મેં જોયા, તેઓએ સફેદ વસ્ત્ર પહેરેલાં હતાં; તેઓનાં માથાં પર સોનાનાં મુગટ હતા.

રાજ્યાસનમાંથી વીજળીઓ, વાણીઓ તથા ગર્જનાઓ નીકળતી હતી અને રાજ્યાસનની આગળ અગ્નિના સાત દીવા બળતા હતા તે ઈશ્વરના સાત આત્મા હતા. રાજ્યાસનની આગળ સ્ફટિકના જેવો ચળકતો સમુદ્ર હતો; રાજ્યાસનની મધ્યે તથા તેની આસપાસ આગળપાછળ આંખોથી ભરપૂર એવાં ચાર પ્રાણી હતાં.

તે ચાર પ્રાણીમાંના દરેકને છ છ પાંખ હતી, અને તેઓ ચારે તરફ તથા અંદર આંખોથી ભરપૂર હતાં; તેઓ 'પવિત્ર, પવિત્ર, પવિત્ર, પ્રભુ ઈશ્વર, સર્વશક્તિમાન, જે હતા, જે છે, અને જે આવનાર છે,' એમ રાતદિવસ કહેતાં વિસામો લેતાં નહોતાં. રાજ્યાસન પર જે બેઠેલા છે, જે સદાસર્વકાળ જીવંત છે, તેમનો મહિમા, માન તથા આભારસ્તુતિ તે પ્રાણીઓ જયારે ગાશે, ત્યારે ચોવીસ વડીલો રાજ્યાસન પર બેઠેલાને પગે પડશે, ને જે સદાસર્વકાળ સુધી જીવંત છે તેમની આરાધના કરશે અને રાજ્યાસન આગળ પોતાના મુગટ ઉતારીને કહેશે કે, 'ઓ અમારા પ્રભુ તથા ઈશ્વર, મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તમે જ યોગ્ય છો; કેમ કે તમે સર્વને ઉત્પન્ન કર્યા, અને તમારી ઇચ્છાથી તેઓ અસ્તિત્વમાં આવ્યા અને ઉત્પન્ન થયાં.'

ત્યારે વડીલોમાંના એકે મને કહ્યું કે, તું રડીશ નહીં; જો, યહૂદાના કુળમાંનો જે સિંહ છે, જે દાઉદનું મૂળ છે, તે આ ઓળિયું ખોલવાને તથા તેના સાત સીલ [તોડવાને] વિજયી થયો છે. રાજ્યાસનની તથા ચાર પ્રાણીઓની વચ્ચે તથા વડીલોની વચ્ચે મારી નંખાયેલા જેવું એક હલવાન ઊભું રહેલું મેં જોયું, તેને સાત શિંગડાં તથા સાત આંખ હતી; એ આંખો ઈશ્વરના સાત આત્મા છે, જેઓને આખી પૃથ્વી પર મોકલવામાં આવેલા છે. તેમણે જઈને રાજ્યાસન પર બેઠેલાના જમણાં હાથમાંથી તે ઓળિયું લીધું. જયારે તેમણે તે ઓળિયું લીધું, ત્યારે ચારેય પ્રાણી તથા ચોવીસ વડીલોએ હલવાન આગળ નમી પડ્યા; અને દરેકની પાસે વીણા તથા ધૂપથી ભરેલાં સુવર્ણ પાત્ર હતાં, તે ધૂપ સંતોની પ્રાર્થનાઓ છે. તેઓ નવું ગીત ગાતાં કહે છે કે, તમે ઓળિયું લેવાને તથા તેનું સીલ તોડવાને યોગ્ય છો; કેમ કે તમને મારી નાખવામાં આવ્યા હતા, તમે તમારા રક્તથી ઈશ્વરને સારુ સર્વ કુળોના, ભાષાના, પ્રજાના તથા દેશોમાંના લોકોને ખરીદેલા છે; તેઓને અમારા ઈશ્વરને સારુ રાજ્ય તથા યાજકો કર્યા છે; અને તેઓ પૃથ્વી પર રાજ કરે છે.

મેં જોયું, તો રાજ્યાસન, પ્રાણીઓ તથા વડીલોની આસપાસ મેં ઘણાં સ્વર્ગદૂતોની વાણી સાંભળી; તેઓની સંખ્યા લાખોલાખ અને હજારોહજાર હતી. તેઓએ મોટે અવાજે પોકારીને કહ્યું કે, 'જે હલવાન મારી નંખાયેલું હતું તે પરાક્રમ, સંપત્તિ, જ્ઞાન, સામર્થ્ય, માન, મહિમા તથા સ્તુતિ પામવાને યોગ્ય છે.' વળી ઉત્પન્ન થયેલ [પ્રાણી] જે સ્વર્ગમાં, પૃથ્વી પર, પાતાળમાં તથા સમુદ્રમાં છે, તેઓમાંનાં સર્વને મેં એમ કહેતાં સાંભળ્યાં કે, રાજ્યાસન પર જે બેઠેલા છે તેમને તથા હલવાનને સ્તુતિ, માન, મહિમા તથા અધિકાર સદાસર્વકાળ હો. ત્યારે ચારે પ્રાણીઓએ કહ્યું, આમીન. પછી વડીલોએ પગે પડીને [તેમની] આરાધના કરી.

ત્યાર બાદ મેં જોયું, તો જુઓ, સર્વ દેશમાંથી આવેલાની, સર્વ કુળ, લોકો તથા ભાષાના માણસોની કોઈથી ગણી શકાય નહિ એવી એક મોટી સભા! તેઓ રાજ્યાસનની આગળ તથા હલવાનની સમક્ષ ઊભા રહ્યા; તેઓએ સફેદ ઝભ્ભા પહેરેલા હતા, અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી; અને તેઓ મોટા અવાજે પોકારીને કહે છે કે, 'અમારા જે ઈશ્વર રાજ્યાસન પર બેઠેલા છે, તેમને તથા હલવાનને ઉદ્ધારને માટે પ્રશંસા હોજો.' સઘળા સ્વર્ગદૂતો રાજ્યાસનની તથા વડીલોની તથા ચારે પ્રાણીઓની આસપાસ ઊભેલા હતા, અને તેઓએ રાજ્યાસનની આગળ દંડવત પ્રણામ કરીને ઈશ્વરની ભજન કરતાં કહ્યું કે, 'આમીન, આભાર, મહિમા, જ્ઞાન, ઉપકારસ્તુતિ, માન, પરાક્રમ તથા સામર્થ્ય સર્વકાળ સુધી અમારા ઈશ્વરને હો; આમીન.'

માટે તેઓ ઈશ્વરના રાજ્યાસનની આગળ છે, અને તેમના ભક્તિસ્થાનમાં રાતદિવસ તેમની સેવા કરે છે; અને રાજ્યાસન ઉપર જે બેઠેલા તે તેઓના પર છત્રરૂપે રહેશે.

પછી સાતમાં સ્વર્ગદૂતે પોતાનું રણશિંગડુ વગાડ્યું ત્યારે આકાશમાં મોટી વાણીઓ થઈ. તેઓએ કહ્યું કે 'આ દુનિયાનું રાજ્ય આપણા પ્રભુનું તથા તેમના ખ્રિસ્તનું થયું છે, તે સદાસર્વકાળ રાજ્ય કરશે.' જે ચોવીસ વડીલો ઈશ્વરની આગળ પોતાનાં આસન પર બેઠા હતા તેઓએ દંડવત કરીને ઈશ્વરનું ભજન કરતાં કહ્યું કે, 'ઓ સર્વસમર્થ પ્રભુ ઈશ્વર, જે છે, ને જે હતા, અમે તમારી સ્તુતિ કરીએ છીએ કેમ કે તમે પોતાનું મહાન પરાક્રમ ધારણ કરીને રાજ કરો છો.

ત્યારે સ્વર્ગમાંથી મોટી વાણી મેં એમ કહેતી સાંભળી કે, 'હમણાં ઉદ્ધાર, પરાક્રમ તથા અમારા ઈશ્વરનું રાજ્ય તથા તેમના ખ્રિસ્તનો અધિકાર આવ્યાં છે; કેમ કે અમારા ભાઈઓ પર દોષ મૂકનાર, જે અમારા ઈશ્વરની આગળ રાતદિવસ તેમની વિરુધ્ધ આક્ષેપો મૂકે છે તેને નીચે ફેંકવામાં આવ્યો છે.

મેં ઘણાં પાણીના અવાજના જેવી તથા મોટી ગર્જનાના અવાજના જેવી વાણી સ્વર્ગમાંથી સાંભળી; તે તો વીણા વગાડનારાઓ પોતાની વીણા વગાડતા હોય એવી વાણી હતી. તેઓ રાજ્યાસન તથા ચાર પ્રાણીઓની તથા વડીલોની આગળ જાણે કે નવું ગીત ગાતા હતા; પૃથ્વી પરથી જે એક લાખ ચુંમાળીસ હજારને મુક્તિ મૂલ્ય દ્વારા ખરીદવામાં આવ્યા હતા, તેઓ સિવાય બીજું કોઈ એ ગીત શીખી શક્યું નહિ. સ્ત્રીઓ [ના સંસર્ગ] થી જેઓ અશુદ્ધ નથી થયા તેઓ એ છે; કેમ કે તેઓ કુંવારા છે. હલવાન જ્યાં જાય છે ત્યાં તેની પાછળ જે ચાલનારાં છે તેઓ તે છે. તેઓ ઈશ્વરને સારુ તથા હલવાનને સારુ પ્રથમફળ થવાને માણસોમાંથી ખરીદવામાં આવ્યા હતા; તેઓનાં મુખમાં અસત્ય નથી; તેઓ નિર્દોષ છે.

તે મોટે અવાજે કહે છે કે, 'ઈશ્વરથી ડરો અને તેમને મહિમા આપો, કેમ કે તેમના ન્યાયકરણનો સમય આવ્યો છે, જેમણે આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા પાણીના ઝરાઓને ઉત્પન્ન કર્યા, તેમની આરાધના કરો.'

પછી મેં જોયું, તો જુઓ, સફેદ વાદળું અને તે વાદળાં પર મનુષ્યપુત્ર જેવા એક [પુરુષ] બેઠેલા હતા, તેમના માથા પર સોનાનો મુગટ હતો, તેમના હાથમાં ધારદાર દાતરડું હતું.

તેઓ ઈશ્વરના સેવક મૂસાનું ગીત તથા હલવાનનું ગીત ગાઈને કહેતાં હતા કે, હે સર્વશક્તિમાન પ્રભુ ઈશ્વર, તમારાં કામો મહાન તથા અદભુત છે; હે યુગોના રાજા, તમારા માર્ગ ન્યાયી તથા સત્ય છે. હે પ્રભુ, તમારાથી કોણ નહિ બીશે, તમારા નામનો મહિમા કોણ નહિ કરશે? કેમ કે એકલા તમે પવિત્ર છો; હા સઘળી પ્રજાઓ તમારી આગળ આવશે ને તમારી આરાધના કરશે; કેમ કે તમારાં ન્યાયી કૃત્યો પ્રગટ થયાં છે.

ઈશ્વરના ગૌરવના તથા તેમના પરાક્રમના ધુમાડાથી ભક્તિસ્થાન ભરાઈ ગયું; સાત સ્વર્ગદૂતોની સાત આફતો પૂરી થઈ ત્યાં સુધી કોઈથી ભક્તિસ્થાનમાં પ્રવેશ કરી શકાયો નહિ.

તેઓ હલવાનની સાથે લડશે અને હલવાન તેઓને જીતશે કેમ કે તેઓ મહાન પ્રભુ તથા રાજાઓના રાજા છે; અને તેમની સાથે જેઓ છે, એટલે તેડાયેલા, પસંદ કરેલા તથા વિશ્વાસુ છે તેઓ પણ જીતશે.

તે પછી સ્વર્ગમાં મોટા સમૂદાયના જેવી વાણી મેં મોટે અવાજે એમ કહેતી સાંભળી કે 'હાલેલુયા, ઉદ્ધાર આપણા તથા ઈશ્વરથી છે; મહિમા તથા પરાક્રમ તેમના છે.'

રાજ્યાસન પર બેઠેલા ઈશ્વરની ભજન કરતાં ચોવીસ વડીલોએ તથા ચાર પ્રાણીઓએ દંડવત કરીને કહ્યું, 'આમીન, હાલેલુયા.' રાજ્યાસનમાંથી એવી વાણી થઈ કે, 'આપણા ઈશ્વરના સર્વ સેવકો, તેમનો ડર રાખનારા, નાના તથા મોટા, તમે તેમની સ્તુતિ કરો.' મોટા સમુદાયના જેવી, ઘણાં પાણીના પ્રવાહ જેવી તથા ભારે ગર્જનાઓના જેવી વાણીને એમ કહેતી મેં સાંભળી કે, હાલેલુયા; કેમ કે પ્રભુ આપણા ઈશ્વર જે સર્વસમર્થ છે તે રાજ કરે છે. આપણે આનંદ કરીએ અને તેમને મહિમા આપીએ; કેમ કે હલવાનના લગ્નનો દિવસ આવ્યો છે, અને તેમની કન્યાએ પોતાને તૈયાર કરી છે.

અગ્નિની જ્વાળા જેવી તેમની આંખો છે, અને તેમના માથા પર ઘણાં મુગટ છે; જેનાં પર એવું નામ લખેલું છે કે જે તેમના સિવાય બીજું કોઈ જાણતું નથી. લોહીથી છંટાયેલો ઝભ્ભો તેમણે પહેર્યો છે; તેમનું નામ 'ઈશ્વરનો શબ્દ' છે. સ્વર્ગનાં સૈન્ય તે શ્વેત ઘોડા પર સફેદ તથા શુદ્ધ બારીક શણનાં વસ્ત્રો પહેરીને તેમની પાછળ પાછળ ચાલ્યા. તેમના મોમાંથી ધારવાળી તલવાર નીકળે છે; એ માટે કે તેનાથી વિદેશીઓને તે મારે, અને લોખંડના દંડથી તેઓ પર તે સત્તા ચલાવશે! અને સર્વસમર્થ ઈશ્વરના ભારે કોપનો દ્રાક્ષકુંડ તે ખૂંદે છે.

તેમના ઝભ્ભા પર તથા તેમની જાંઘ પર એવું લખેલું છે કે 'રાજાઓનો રાજા તથા પ્રભુ.'

પછી મેં મોટા સફેદ રાજ્યાસનને તથા તેના પર જે બેઠેલા હતા તેમને જોયા, તેમની સન્મુંખથી પૃથ્વી તથા આકાશ જતા રહ્યાં. અને તેઓને માટે કોઈ સ્થાન મળ્યું નહિ. પછી મેં મૂએલાંને, મોટાં તથા નાનાં સર્વને ઈશ્વરની સમક્ષ ઊભા રહેલાં જોયાં; અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યાં, અને બીજું પુસ્તક જે જીવનનું છે તે પણ ઉઘાડવામાં આવ્યું. અને તે પુસ્તકોમાં જે જે લખ્યું હતું તે પરથી મૃત્યુ પામેલાંનો તેઓની કરણીઓ પ્રમાણે, ન્યાય કરવામાં આવ્યો.

પછી મેં નવું આકાશ તથા નવી પૃથ્વી જોયાં, કેમ કે પ્રથમનું આકાશ તથા પ્રથમની પૃથ્વી જતા રહ્યાં હતા; અને સમુદ્ર પણ રહ્યો ન હતો. મેં પવિત્ર નગર, નવું યરુશાલેમ, ઈશ્વરની પાસેથી સ્વર્ગમાંથી ઊતરતું જોયું, અને જેમ કન્યા પોતાના વરને સારુ શણગારેલી હોય તેમ તે તૈયાર કરેલું હતું. રાજ્યાસનમાંથી મોટી વાણી એમ કહેતી મેં સાંભળી કે, 'જુઓ, ઈશ્વરનું રહેઠાણ માણસોની સાથે છે, અને ઈશ્વર તેઓની સાથે વસશે, અને તેઓ તેમના લોકો થશે, અને ઈશ્વર પોતે તેઓની સાથે રહીને તેઓના ઈશ્વર થશે.

મેં તેમાં ભક્તિસ્થાન જોયું નહિ, કેમ કે સર્વસમર્થ પ્રભુ ઈશ્વર તથા હલવાન એ જ ત્યાનું ભક્તિસ્થાન છે. નગરમાં સૂર્ય કે ચંદ્ર પ્રકાશ આપે એવી જરૂર નથી. કેમ કે ઈશ્વરના ગૌરવે તેને પ્રકાશિત કર્યું છે, અને હલવાન તેનો દીવો છે.

સ્ફટિકના જેવી ચળકતી, જીવનનાં પાણીની નદી, ત્યારે તેણે મને ઈશ્વરના તથા હલવાનના રાજ્યાસનમાંથી વહેતી નગરના માર્ગ વચ્ચે બતાવી. એ નદીના બંને કિનારા પર જીવનનું વૃક્ષ હતું, તેને બાર પ્રકારનાં ફળ લાગતાં હતાં; દર માસે તે નવાં ફળ આપતું હતું; અને તે વૃક્ષ નાં પાંદડાં સર્વ પ્રજાઓને નીરોગી કરવા માટે હતાં. ત્યાં કદી કોઈ શાપ થનાર નથી, પણ તેમાં ઈશ્વરનું તથા હલવાનનું રાજ્યાસન થશે, અને તેમના સેવકો તેમની સેવા કરશે, તેઓ તેમનું મોં નિહાળશે. અને તેઓનાં કપાળ પર તેમનું નામ હશે.

હું આલ્ફા તથા ઓમેગા, પ્રથમ તથા છેલ્લો, આરંભ તથા અંત છું.

Gujarati - ગુજરાતી - GU

GUBCS - Gujarati Bridge Connectivity Solutions - 2017

This Bible text is from Gujarati Indian Revised Version IRV
https://open.bible/bibles/gujarati-bridge-text-bible/
provided by: Bridge Connectivity Solutions Pvt Ltd, available by Creative Commons CC-BY-SA-4.0,
and this new compilation is shared as www.creativecommons.org/licenses/by-sa/4.0.
Languages are made available to you by www.ipedge.net